Latest Entries »

………………..

………….

(૧૦)

………….

યૌવન ધન પાહુન દિન ચારા,

યૌવન ધન પાહુન દિન ચારા, વાકા ગર્વ કરૈ સો ગમારા.

પશુ ચામ કે બનત પનહિયા, નૌબત બનત નગારા,

નર દેહી કછુ કામ ન આવે, ભૂલા ફિરૈ ગમારા…

દશો શીશ ભુજા બિસ જાકે, પુત્રન કે પરિવારા,

મર્દ ગર્દ મેં મિલ ગૌ યારો, લંકા કે સરદારા…

હાડક પિંજરા ચામ સુ મઢિયા, ભીતર ભરા ભંગારા,

ઉપર રંગ સુરેખ રંગા હૈ, કારીગર કરતારા…

સત્યનામ જાનૈ નહિં વાકો, મારિ મારિ યમ હારા,

કહહિં કબીર સુનો હો સન્તો, છોડ ચલે પરિવારા…

……………

હે ગમાર મનુષ્યો ! આ યુવાની, ધન, દૌલત વિગેરેનો ગર્વ કરશો નહિં કારણકે ધન, દૌલત, સ્ત્રી, પુત્ર, આ શરીરની યુવાની વિગેરે ચાર દિવસના મહેમાન જેવી ક્ષણિક અને અનિત્ય છે. તે ક્યારે નષ્ટ થઈ જશે તેની ખબર નથી અને અંત સમયે આ કશું જ કામ લાગવાનું નથી કે સાથે જવાનું પણ નથી તેથી શ્રી કબીર સાહેબ આ દેહની અસારતા બતાવે છે. પશુના મૃત્યુ પછી તો તેના ચામડાનાં પગરખાં, ઢોલ, નગારાદિ વાજીંત્ર બને છે, જ્યારે મનુષ્યનો દેહ મર્યા પછી કોઈ જ કામમાં આવતો નથી, તે તું સમજ અને દેહનું મિથ્યાભિમાન કરી ગમારની જેમ ભટકીશ નહિં. લંકાના રાજા સરદાર રાવણને દશ માથાં, વીશ, હાથ તેમજ પુત્ર પરિવાર ધન સંપત્તિ અઢળક હોવા છતાં પણ આજે તેના દેહનો એક ટૂકડો પણ રહેવા પામ્યો નથી. આવા વીર પરૂષો પણ ધૂળમાં મળી ગયા એટલે કે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા તો સામાન્ય માણસની તો વાત જ શી કરવી? આ સુંદર દેહની રચના કારીગર કર્તા, ધર્તા, હર્તા, ઈશ્વરે હાડકાંનું પાંજરૂં બનાવી તેને ચામડીથી મઢી ઉપર સુંદર રેખા ચિહ્ન યુક્ત બે આંખ, કાન તથા મોઢું, નાક, ઈન્દ્રિયોથી રંગી દીધું છે, પણ તેની અંદર તો “ભંગાર” એટલે કે કર્કટ-કૂડા, મળ, મૂત્ર, માંસ, મજ્જા વિગેરે ભરેલું છે. તો આવા દેહનું અભિમાન કરીને તું તેમાં કેમ ભૂલ્યો છે? તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે જેણે વિવેક વિચારાદિ દ્વારા આ સત્ય સ્વરૂપાત્મા રામનો અનુભવ કર્યો નહિં એટલે કે આત્માને દેહથી જુદો જાણ્યો નથી તેને જન્મ, જરા, વ્યાધિ તેમજ મૃત્યુ રૂપ દુઃખ ભોગવવું પડે છે અને સર્વ પરિવારને છોડીને એકલો જ દુઃખ ભોગવે છે તેથી જો યમયાતના રૂપ કષ્ટમાંથી મુક્તિ જોઈતી હોય તો શીઘ્ર ચેતીને રામનામનું સ્મરણ કરો અને દેહની આસક્તિ છોડો.    

…………

………….

(૧૧)

………….

………

……….

(૯)

હંસા યહ પિંજરા નહિં તેરા.

હંસા યહ પિંજરા નહિં તેરા.

માટી ચુન ચુન મહલ બનાયા, લોગ કહૈં ઘર મેરા,

ના ઘર મેરા ના ઘર તેરા, ચિડિયા રૈનિ બસેરા…

બાબા દાદા ભાઈ ભતીજા, કોઈ ન ચલે સંગ તેરા,

હાથી ઘોડા માલ ખજાના, પરા રહૈ ઘન ઘેરા…

માતુ પિતા સ્વારથ કે લોભી, કહતે મેરા મેરા,

કહૈં કબીર સુનો ભાઈ સાધો, ઈક દિન જંગલ ડેરા…

…………

હૈ બૌરે મનુષ્યો! જે શરીરને માટે તમે મિથ્યા સ્ત્રી, પુત્ર, ધનાદિમાં આસક્ત રહો છો, તે જ્ઞાન ધ્યાનાદિના સાધન રૂપ આ અમુલ્ય શ્રેષ્ઠ માનવ શરીર પણ આપણું નથી. જે શરીરનું અભિમાન કરો છો, જેને પવિત્ર સમજો છો, તેને મર્યા પછી કોઈ અડકતું પણ નથી. આમ કોઈ શરીર વસ્તુતઃ પોતાની સાથે રહેવાનું નથી. છતાં પણ લોકો આ મારૂં ઘર છે, મારી સંપત્તિ છે, એમ મારૂં મારૂં કરીને મરી જાય છે, પણ કોઈ વસ્તુ સાથે જતી નથી તે સમજો. પિતા, દાદા, ભાઈ, ભત્રીજા આમ કોઈ સગા સંબંધીઓ પણ તારી સાથે આવવાના નથી. હાથી, ઘોડા, ધન, દૌલત બધું અહીંનું અહીં જ પડી રહેવાનું છે. માતા, પિતા પણ સ્વાર્થને કારણે કહે છે કે આ મારો પુત્ર છે કારણ કે વૃધ્ધાવસ્થામાં પુત્ર તેમની સેવા કરે, પણ અંત સમયે સગા સંબંધી કે ધન દૌલત કામ લાગતાં નથી અને છેલ્લે એક ને એક દિવસ “જંગલ ડેરા” એટલે કે મૃત્યુને પામવાનું જ છે, ચાહે રાજા, રંક, અમીર કે ફકીર હોય, તો પણ તે અમર રહેતા નથી. એટલા માટે શીઘ્ર ચેતો, રામને ભજો અને શરીર વિષયક આસક્તિને ત્યાગો. જ્ઞાની, મતિમાન પુરૂષ પાસે જઈ આ શરીરને, અનાત્મ, અપવિત્ર, અનિત્ય, દુઃખરૂપ જાણી, અભિમાન, આસક્તિથી રહિત થાઓ. અને વિવેક દ્રષ્ટિ દ્વારા આત્માને દેહથી અત્યન્ત જુદો જાણીને શોક મુક્ત થાઓ એ જ શ્રી કબીર સાહેબનો ઉપદેશ છે.

………………..

………….

(૧૦)

………….

અધ્યાય 2 જો

જ્ઞાન અને યોગનું તત્ત્વ

2.સાંખ્ય—યોગ

 

મોહને વશ થઇ મનુષ્ય અધર્મ ધર્મ માને છે,મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથક્તા તથા આત્માની નિત્યતા અને તેનીએકતા બતાવેછે.

પછી સમજાવેછે કે મનુષ્ય કેવળપુરુષાર્થનો અધિકારી છે, પરિણામોનો નથી. તેથી તેણે કર્તવ્યનો નિશ્ચ્ય કરી, નિશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઇએ. એવી પરાયણતાથી તે મોક્ષને સાધી શકે છે.

સંજય બોલ્યા–

આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી

શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં–         1

આમ કરુણાથી ઘેરાયેલા અને અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રોવાળા દુ:ખી અર્જુન પ્રત્યે મધુસૂદને આ વચન કહ્યાં :

શ્રી ભગવાન બોલ્યા–

ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે

નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે ?         2

હે અર્જુન ! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગથી વિમુખ રાખનાર અને અપજશ દેનાર એવો આ મોહ તને આવી વિષમ ઘડીએ ક્યાંથી થઇ આવ્યો ?

 

મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું નથી;

હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ.             3

હે પાર્થ ! તું નામર્દ ન થા. આ તને ન શોભે. હ્રદયની નિર્બળતાનો ત્યાગ કરીહે પરંતપ ! તું ઊઠ.

3

અર્જુન બોલ્યા–

મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ, તે પ્રતિ

કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું?              4

હે મધુસૂદન ! રણભૂમિમાં બાણો વડે હું ભીષ્મ અને દ્રોણની સામે કેમ લડું ? હે અરિસૂદન ! એઓ તો પૂજનીય છે.  4

 

વિના હણીને ગુરુઓ મહાત્મ

ભિક્ષા વડે જીવવું તેય સારું;

હણી અમે તો ગુરુ અર્થવાંછુ

લોહીભર્યા માણશું ભોગ લોકે !                       5

મહાનુભાવ ગુરુજનોને ન મારતાં આ લોકમાં મારે ભિક્ષાથી નિર્વાહ કરવો એ પણ વધારે સારું છે, કેમ કે ગુરુજનોને મારીને તો મારે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા રહ્યા.  5

 

થાયે  અમારો જય તેમનો વા–

શામાં અમારું હિત તે ન સૂઝે;

જેને હણી જીવવુંયે ગમે ના,

સામા ખડા તે ધૃતરાષ્ટ્ર-પુત્રો.                        6

 

જું જાનતો નથી કે બે માંથી શું સારું ગણાય, અમે જીતીએ એ?કે તેઓ અમને જીતે એ ? જેમનેમારીને અમે જીવવાયે ન ઇચ્છીએ તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો આ સામે ઊભા છે.   6

સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,

ન ધર્મ સૂઝે, તમને હું પૂછું;

બોધો મ’ંર નિશ્ચિત શ્રેય જેમાં,

છું શિષ્ય, આવ્યો શરણે તમારે.                      7

 

દીનતાને કારણે મારો મૂલ સ્વભાવ હણાઇ ગયો છે. કર્તવ્ય વિશે હું મૂંઝવણમાં પડ્યો છું. તતેથી જેમાં મારું હિત હોય તે મને નિશ્ચયપૂર્વક કહેવા તમને વીનવું છું. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવ્યો છું. મને દોરો.

 

સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય

મળે જગે કે સુરલોકમાંયે;

તોયે ન દેખું કંઇ શોક ટાળે

મારી બધી ઇન્દ્રિય તાવનારો.                      8

 

આ લોકમાં ધનધાન્યસંપન્ન નિષ્કંટક રાજ્ય મળે તો તેથીયે, ઇન્દ્રિયોને ચૂસી લેનારા આ મારા શોકને ટાળી શકે એવું કશું હું જોતો નથી.  8

સંજય બોલ્યા–

પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,

”હું તો નહીં લડું’ એવું બોલી મૌન ધર્યું પછી.       9

હે રાજન્ !

હ્રષિકેશ ગોવિંદને ઉપર પ્રમાને કહી, શત્રુને અકળાવનાર તરીકે જેની નામના છે એવા ગુડાકેશ અર્જુન ‘નથી લડવાનો’ એમ બોલી ચૂપ થયા.   9

 

આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને

હસતા-શું હૃષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં–       10

હે ભારત ! બંને સેના વચ્ચે આમ ઉદાસ થઇ બેઠેલા એ અર્જુનને હસતા નહીં હોય તેમ હૃષીકેશે આ વચન કહ્યાં:  10

શ્રીભગવાન બોલ્યા–

ન ઘટે ત્યાં કરે શોક,ને વાતોજ્ઞાનની વદે !

પ્રાણો ગયા-રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે.       11

શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે, અને પંડિતાઇના બોલ બોલે છે, પણ પંડિતો તો મૂઆજીવતાની પાછળ શોક નથી કરતા.   11

હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યરે હતા નહીં,

ન હઇશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે.            12

કેમ કે ખરું જોતાં હું, તું કે આ રાજાઓ કોઇ કાળમાં નહોતા અથવા હવે પછી નહીં હોઇએ એવું છે જ નહીં   12

 

દેહીને દેહમાં આવે બાળ, જોબનને જરા,

તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના.          13

દેહધારીને જેમ આ દેહને વિશે કૌમાર, યૌવન અને જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અન્ય દેહની પ્રાપ્તિ પન થાય છે. તી વિશે બુદ્ધિમાન પુરુષ અકળાતો નથી.   13

સ્પર્શાદિ વિષયો જાણ, શીતોષ્ણ-સુખદુ:ખદા,

અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન, લે સહી.        14

હે કૌંતેય ! ઇન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો ઠંડી, ગરમી, સુખ અને દુ:ખ દેનારા હોય છે. તે અનિત્ય હોઇ, આવે છે ને અલોપ થાય છે. હે ભારત ! તેમને તું સહન કરી છૂટ  14

તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,

તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને.          15

હે પુરુષશ્રેષ્ઠ ! સુખદુ:ખમાં વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય બને છે.  15

અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;

નિહાળ્યો તે તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો.       16

અસત્ ની હસ્તી નથી, ને સત્ય નો નાશ નથી. આ બંનેનો નિર્ણય જ્ઞાનીઓએ જાણ્યો છે.   16

જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;

તે અવ્યય તણો નાશ કોઇયે ના કરી શકે.            17

જે વડે આ અખિલ જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણજે. આ અવ્યયનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી.  17

અવિનાશી, પ્રમાતીત, નિત્ય દેહીતણાં કહ્યાં

શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન.          18

નિત્ય રહેનારા તેમ જ મન અને ઇન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અવિનાશી દેહી (આત્મા)ના આ દેહો નાશવંત કહ્યા છે, તેથી હે ભારત ! તું યુદ્ધ કર.   18

જે માને કે હણે છે તે, જે માને તે હણાય છ,

બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના.         19

જે આને હણનાર તરીકે માને છે તેમ જ જે આને હણાયેલો માને છે એ બંને કંઇ જાણતા નથી. આ (આત્મા) નથી હણતો, નથી હણાતો.     19

ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,

ન્હોતો ન તે કે ન હશે ન પાછો :

અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,

હણ્યે શરીરે ન હણાય તે તો.                         20

 

આ કદી જન્મતો નથી, કે મરતો નથી; આ હતો કે હવે થવાનો નથી એવુંયે નથી; તેથી તે અજન્મા છે. નિત્ય છે, શાસ્વત છે, પુરાતન છે; શરીર હણાયાથી તે હણાતો નથી.    20

જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,

તે નર કેમ ને કોને હણાવે અથવા હણે?              21

હે પાર્થ ! જે પુરુષ, આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય માને છે તે કેવી રીતે કોઇને હણાવે કે કોઇને હણે ?    21

ત્યજી દઇ જીર્ણ થયેલ વસ્ત્રો,

લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;

ત્યજી દઇ જીર્ણ શરીર તેમ,

પામે નવાં અન્ય શરીર દેહી.                        22

 

મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો નાખી દઇ બીજાં નવાં ધારણ કરે છે, તેમ દેહધારી જીવ જીર્ણ થઇ ગયેલા દેહને છોડી બીજા ન્વા દેહને પામે છે.  22

ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાલતો,

ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે.          23

એ (આત્મા) ને શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પળાળતું નથી, વાયુ સુકવતો નથી.   23

 

છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના :

સર્વવ્યાપક તે નિત્ય,સ્થિર, નિશ્ચળ, શાશ્વત.          24

આ છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી કે સૂકવી  શકાતો નથી. આ નિત્ય છે, સર્વગત છે,સ્થિર છે, અચળ છે, અને સનાતન છે.  24

તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;

તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં.          25

વળી એ ઇન્દ્રિયોને અને મનને અગમ્ય છે, વિકારરહિત કહેવાયો છે, માટે એને તેવો જાણીને તારે એનો શોક કરવો ઉચિત નથી.   25

ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,

તોયે તારે, મહાબાહુ, આવો શોક ઘટે નહીં.           26

 

અથવા જો તું આને નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માને તોયે હે મહાબાહો ! તારે એને વિશે શોક કરવો ઉચિત નથી.   26

જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;

માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં.             27

જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય

નથી.  27

અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;

વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું ?       28

હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઇ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત એટલે કે પ્રગટ થાઅય છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે ?   28

 

નોંધ : ભૂત એટલે સ્થાવર-જંગમ તમામ સૃષ્ટિ.

આશ્ચર્ય-શું કોઇ નિહાલતું એ,

આશ્ચર્ય-શું તેમ વદે, વળી, કો,  

આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઇ,

સુણ્યા છતાં કો સમજ ન તેને.                         29

કોઇ આ (આત્મા) ને આશ્ચર્ય સરખો જુએ છે, બીજો તેને આશ્ચર્ય સરખો વર્ણવે છે; વળી બીજા તેને આશ્ચર્ય સરખો વર્ણવાયેલો સાંભળે છે, અને સાંભળવા છતાં કોઇ તેને જાણતું નથી.  29

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;

કોઇયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં                 30

હે ભારત! બધાના દેહમાં રહેલો આ દેહધારી આત્મા નિત્ય અને અવધ્ય છે; તેથી તારે ભૂતમાત્રને વિશે શોકકરવો ઘટતો નથી.   30

નોંધ : આટલે લગી શ્રીકૃષ્ણે બુદ્ધિપ્રયોગથી આત્માનુંનિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવી સૂચવ્યું કે જો કોઇ સ્થિતિમાં દેહનો નાશ કરવો યોગ્ય ગણાય, તો સ્વજન પરજનનો ભેદ કરી કૌરવ સગા છે તેથી તેમને કેમ હણાય એ વિચાર મોહજન્ય છે.

હવે અર્જુનને ક્ષત્રિયધર્મ શો છે તે બતાવે છે.

                                5

 

 

વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;

ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી.                31

સ્વધર્મનો વિચાર કરીને પણ તારે અચકાવું ઉચિત નથી, કારણકે ધર્મયુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કંઇ વધારે શ્રેયસ્કર હોય નહીં.   31

અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;

ક્ષરૈયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું.      32

હે પાર્થ ! આમ પોતાની મેળે પ્રાપ્ત થયેલું, ને જાને સ્વર્ગદ્વાર જ ખૂલ્યું નહીં હોય એવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે.  32

માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું,

તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપને.               33

જો તું આ ધર્મપ્રાત સંગ્રામ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ બંને ખોઇ પાપ વહોરી લઇશ. 33

અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;

માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ,                   34

 

બધા લોકો તારી નિંદા નરંતર કર્યા કરશે. અને માન પામેલાને માટે અપકીર્તિ એ મરણ કરતાં પણ બૂરી વસ્તુ છે.  34

 

ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;

રહ્યો સ્ન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે.           35

જે મહારથીઓમાં તું માન પામ્યો તેઓ તને ભયને લીધે રણમાંથી નાઠેલો માનશે અને તેમની વચ્ચે તારો દરજ્જો ઊતરી જશે.   35

ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;

નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું?             36

અને તારા શત્રુઓ તારા બળને નિંદતાનિંદતા ન બોલવાના અનેક બોલ બોલશે, આથી વધારે દુ:ખ કર બીજું શું હોઇ શકે ?   36

હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;

માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે.             37

જો તું હણાઇશ તો તને સ્વર્ગ મળશે. જો જીતીશ તો તું પૃથ્વી ભોગવશે. તેથી હે કૌંતેય ! લડવાનો નિશ્ચય કરીને તું ઊભો થા.   37

 

નોંધ :ભગવાને પ્રથમ આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવ્યું. ત્યાર પછી સહજપ્રાપ્ત યુદ્ધ કરવામાં ક્ષત્રિયને ધર્મનો બાધ હોય નહીં એમ પણ બતાવ્યું.એટલે 31મા શ્લોકથી ભગવાને પરમાર્થની સાથે ઉપયોગનો [લાભહાનિની વ્યવહાર દૃષ્ટિનો ] મેળ સાધ્યો.

લાભ-હાનિ, સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,

પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને.         38

ભગવાન હવે, ગીતાની મુખ્ય બોધનો પ્રવેશ એક શ્લોકમાં કરાવે છે.

સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજયસરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તને પાપ નહીં લાગે.   38

કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;

જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન.                   39

હવે યોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મનાં બંધનો તોડી શકીશ.    39

 

આદર્યં વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;

સ્વલ્પેઆ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા.             40

આ નિષ્ઠાથી થયેલા આરંભનો નાશ થતો નથી, એમાં વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મનું યત્કિંચિત પાલન પણ મહાભયમાંથી ઉગારી લે છે.  40

એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;

અનંત, બહુશાખાળી બુદ્ધિ બુદ્ધિ નિશ્ચયહીનની.           41

હે કુરુનંદન ! (યોગવાદીની)નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, જ્યારેઅનિશ્ચયવાળાની બુદ્ધિઓ એટલે કે વાસનાઓ બહુ શાખાવાળી અને અનંત હોય છે.   41

નોંધ: બુદ્ધિ એક મટી અનેક (બુદ્ધિઓ) થાય છે ત્યારે તે બુદ્ધિ મટી વાસનાનું રૂપ લે છે તેથી બુદ્ધિઓ એટલે વાસના.

અલ્પબુદ્ધિજનો, પાર્થ કાઅમ-સ્વર્ગ-પરાયણ,

વેદવાદ વિશે મગ્ન, આવી જે કર્મકાંડની                   42

અજ્ઞાની વેદિયા, ‘આ સિવાય બીજું કંઇ નથી’ એવું બોલનારા, કામનાવાળા, અને સ્વર્ગને જ શ્રેષ્ઠમાનનારા લોકો જન્મમરણરૂપી કર્મનાં ફળો દેનારી, ભોગ અને ઐશ્વર્યને વિશે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઇ જાય છે; તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી હોતી, અને નથી સમાધિને વિશે સ્થિર થઇ શકતી.   42-43-44.

નોંધ :યોગવાદની વિરુદ્ધ કર્મકાંદનું એટલું જ વેદવાદનું વર્ણનૌપલા ત્રણ શ્લોકમાં આવ્યું. કર્મકાંદ અથવા વેદવાદ એટલે ફળ ઉપજાવવા મથનારી અસંખ્ય ક્રિયાઓ. આ ક્રિયાઓ વેદાંતથી એટલે કે વેદના રહસ્યથી, અલગ અને અલ્પ પરિણામવાળી હોવાથી નિરર્થક છે.

 

 

જન્મ-કર્મ- ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી

વાણીને ખીલવી બોલે,”આથી અન્ય કશું નથી.”            43

ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઇ બુદ્ધિ તે વડે,–

તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં.          44

ત્રિગુણાત્મક વેદાર્થો, થા ગુણાતીત, આત્મવાન્ .

નિશ્ચિંત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય-સત્ત્વવાન્ .        45

 

હે અર્જુન! જે ત્રણ ગુણો વેદનો વિષય છે તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુ:ખાદિ દ્વંદ્વોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ કિશે સ્થિત રહે. કંઇ વસ્તુ મેલવવા –સાચવવાની ભાંજગડમાંથી મુક્ત રહે, અને આત્મપરાયણ થા.    45

 

નીર-ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,

તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને.                    46

 

જે અર્થ કૂવાથી સરે છે તે બધો બધી રીતે સરોવરમાંથી જેમ સરે છે, તેમ જ જે કાંઇ બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે.     46

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દૃષ્ટિ , મા હો રાગ અકર્મમાં.            47

કર્મને વિશે જ તને અધિકાર (કાબૂ) છે, તેમાંથી નીપજતાં અનેક ફળોને વિશે કદી નહીં. કર્મનું ફળ તારો હેતુ ન હજો. કર્મ ન કરવા વિશે પણ તને આગ્રહ ન હજો.   47

કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા માની –સમતા તે જ યોગ છે.       48

 

હે ધનંજય! આસક્ત છોડી યોગસ્થ રહી એટલે કે સફળતા- નિષ્ફળતા વિશે સમાઅન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે.   48

અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;

શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતાં.                   49

હે ધનંજય ! સમત્વબુદ્ધિ સાથે સરખાવતાં કેવળ કર્મ ઘણું તુચ્છ છે. તું સમત્વબુદ્ધિનો આશ્રય લે. ફળની લાલસા રાખનારા પામરો દયાપાત્ર છે.   49

બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;

માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે.       50

 

બુદ્ધિયુક્ત એટલે સમતાવાળો પુરુષ અહીં જ પાપપુણ્યનો સ્પર્શ થવા દેતો નથી; તેથી તું સમત્વને સારુ પ્રયત્ન કર. સમતા એ જ કાર્યકુષળતા છે.  50

બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફળો,

જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને.                   51

કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઇ નિષ્કલંક એવા મોક્ષપદને પામે છે.   51

મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;

સુણ્યું ને સુણવું બાકી બેએ નિર્વેદ આવશે.              52

 

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને પાર ઊતરી જશે ત્યારે તને સાંભળેલાને વિશે તેમ જ સાંભળવાનું બાકી હશે તેને વિશે ઉદાસીનતા પ્રાપ્ત થશે.   52

બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,

અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે.        53

અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળવાથી વ્યગ્ર થઇ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને એટલે કે યોગને પામીશ.    53

સ્થિતપ્રજ્ઞના લક્ષણો

શ્રીમદ્  ભગવદ્  ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72

 

નોંધ:-

સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

 

 

અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54

 

અર્જુન બોલ્યા:

હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

 

 

શ્રીભગવાન બોલ્યા–

મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે

રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55

 

શ્રીભગવાન બોલ્યા–

હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55

નોંધ:

આત્મામાં આત્મા વડે  જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો,

સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો.

આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં  હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.

 

દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;

ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56

દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56

 

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;

ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા  થઇ સ્થિર….57

 

 

જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુધ્ધિ સ્થિર છે…..57

 

કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી

સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….58

કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષજ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય..58

નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,

રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં…59

દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો;તે રસ તો પરવસ્તુના દર્શનથી,પરમાત્માનો સાક્ષાત્કારથવાથી શમે છે…..59

 

નોંધ:

આ શ્લોક ઉપવાસાદિનો નિષેધનથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે.વિષયોને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે,પણ તેમની જડ એટલે તેમને વિશે ર્હેલોરસ તો કેવળ ઇશ્વરની ઝાંખી થયે જ શમે.ઇશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો તે બીજા રસોને ભૂલી જ જાય….

 

 

પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે

 

મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી….60

 

હે કૌંતેય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે….60

 

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,

ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર….61

 

એ  બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ,કેમ કે પોતાની ઇંદ્રિયો જેના વશમાં છે તેની જ બુધ્ધિ સ્થિર રહે છે….61

નોંધ:

એટલે કે ભક્તિ વિના-ઇશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે.

 

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે….62

 

 

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે.આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે….62

 

નોંધ:

 

કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઇ દિવસ તૃપ્ત થતો જ નથી.

 

 

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;

સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે….63

ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે.(તેની સર્વે પ્રકારે અધોગતિ થાય છે.)…63

રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે

વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64

પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે….64

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;

પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર…65

ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુધ્ધિ તરત જ સ્થિર થાય છે…65

 

અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના;

ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને?….66

જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય?…..66

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,

દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે….67

વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન –વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઇ જાય છે તેમ—તેની બુધ્ધિને ગમે ત્યાં તાણી લઇ જાય છે….67

તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી

ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….68

તેથી હે મહાબાહો !જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુધ્ધિ સ્થિર થાય છે…68

 

નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,

જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા….69

જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છેઅને જેમાં (જ્યારે) લોકો જાગતા હોય છે તેમાં(ત્યારે) જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે…69

નોંધ:

ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતાઅઠ વાગ્યા સુધી સૂએ છે.સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઇ મધરાતે ઊઠી ઇશ્વરનું ધ્યાન ધરે છે.

વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઇશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે એમ બંનેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે…

 

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ

   સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;

જેમાં પ્રવેશે સહુ કામ તેમ,

તે શાંતિ પામે નહીં કામકામી…70

 

બધેથી સતત  ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે  એવા સમુદ્રમાં જેમ પાણી સમાઇ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય….70

 

છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,

અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત…71

બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઇ વિચરે છે તે જ શાંતિ પામે છે….71

 

આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે;

અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે….72

હે પાર્થ ! ઇશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે..72

                               ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી  ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો’સાંખ્ય-યોગ’ નામનો બીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.   

 

GITA-DHWANI

ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા

અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ

અધ્યાય 1 લો

અર્જુન-વિષાદ-યોગ// અર્જુનનો ખેદ-

 

 

સારું શું અને માઠું શું  એ જાણવાની ઇચ્છા સરખો જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજ્જ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં. દુ:ખ વિના સુખ નથી. ધર્મવેદના, ધર્મસંકટ, હૃદયમંથન સહુ જિજ્ઞાસુને એક વખત થાય જ છે.

(1)

 

ધૃતરાષ્ટ્ર બોલ્યા

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઇ,

મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીતે, સંજય ?      1

ધૃતરાષ્ટ્ર બોલ્યા:

 

હે સંજય ! મને કહો, કે યુદ્ધ કરવાની ઇચ્છાથી ધર્મક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

નોંધ: કુરુક્ષેત્રની લડાઇ એનિમિત્ત માત્ર છે. અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું તે ભાજન થઇ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે.

તે કુરુક્ષેત્ર છે તેમ જ ધર્મક્ષેત્ર પણ છે કેમ કે એ મોક્ષનું દ્કાર થૈ શકે છે.

જો તેને આપણે ઇશ્વરનું નિવાસસ્થાન માનીએ અને કરીએ તો તે ધર્મક્ષેત્ર છે.તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઇ ને કાંઇ લડાઇ હોય છે.

કૌરવ એટલે આસુરી વૃત્તો. પાંદુપુત્રો એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું? અને આવી ઘણીખરી લડાઇઓ તો આ મારુંને આ તારુંએમાંથી થાય છે. સ્વજન-પરજનના ભેદમાંથી આવી લડાઇ થાય છે.

 

સંજય બોલ્યા

દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,

દ્રોણાચાર્ય કને પોંચી રાજા દુર્યોધને કહ્યું:           2

તે સમયે પાંડવોની સેનાને ગોઠવાયેલી

જોઇને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઇને બોલ્યા:

:દુર્યોધન બોલ્યા

જુઓ, આચાર્ય, આ મોટી સેનાઓ પાંડવો તણી,

જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રૌપદે વ્યૂહમાં રચી.         3

હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવેલી આ મોટી સેના જુઓ. 3

 

અહીં શૂરા ધનુર્ધારી  ભીમ-અર્જુન શા રણે;

યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી;                4

અહીં ભીમ અર્જુન જેવા લડવામાં શૂરવીર મહાધનુર્ધારીઓ, યુયુધાન(સાત્યકિ), વિરાટ, મહારથી દ્રુપદરાજા, ધૃષ્ટકેતુ, ચેકિતાન, રેજસ્વી કાશીરાજ, પુરુજિત કુંતિભોજ, અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈલ્યતેમ જ પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ) અને દ્રૌપદીના પુત્રો (દેખાય) છે. એ બધા જ મહારથી છે.   4-5-6

 

કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,

ચેકિતાન, તથા રાજા પુરુજિત કુંતિભોજનો:          5

કુંતિભોજ= ભૂરિશ્રવા, કુંતિભોજ એ કુળનું નામ છે.

પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપ વાન્ ,         6

આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;

જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું :         7

હે બ્રાહ્મણશ્રેષ્ઠ !  હવે આપણા જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને આપ જાણમાં લો. મારી સેનાના (એ) નાયકોનાં નામ હું આપના ધ્યાન ઉપર લાવવા સારુ કહું.    7

 

આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજ્યી કૃપ,

અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્તતણો સુત.             8

એક તો આપ પોતે, [પછી] ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જયવાન એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા. એ ઉપરાંત બીજા પણ ઘણા શૂરાઓ મારે અર્થે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભેલા છે. તેઓ સઘળા વિવિધ પ્રકારનાં શસ્ત્રો વાપરનારા અને યુદ્ધમાં કુશળ છે.     8-9

 

બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;

સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા.            9

અગણ્ય આપની સેના, જેના રક્ષક ભીષ્મ છે;

ગણ્ય છે એમની સેના, જેનો રક્ષક ભીમ છે.        10

[છતાં] ભીષ્મે રક્ષેલી આપણીસેનાનું બળ અપૂર્ણ છે, જ્યારે ભીમથી રક્ષિત તેમની સેના પૂરી છે.   10

 

(અગણ્ય અને ગણ્ય .મૂળના અપર્યાપ્ત અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને તેની માફક જ દ્વિઅર્થી છે. એટલે કે અગણ્ય-(1) ગણાય નહીં એટલે અપાર, અથવા (2) ન ગણવા જેવી, નજીવી. ગણ્યતેથી ઊલટું. બંનેનોપહેલો અર્થ વધારે ઠીક લાગે છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.)

 

જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી;

ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી.        11

તેથી તમે બધા પોતપોતાને સ્થાનેથી બધે માર્ગે ભીષ્મ પિતામહને રક્ષા બરાબર કરજો.    11

[આમ દુર્યોધને કહ્યું પણ દ્રોણાચાર્યે જવાબમાં કશું જ કહ્યું નહીં]

તેથી સંજય બોલ્યા

તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં

પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી.         12

એવામાં, કુરૂઓના વડા પ્રતાપી ભીષ્મ પિતામહે  તેને હર્ષ પમાદવા, ઊંચે સ્વરે સિંહનાદ કરીને શંખ વગાડ્યો.    12

પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં

વાગ્યાં સૌ સામટાં તેનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો.     13

એ ઉપરથી શંખો, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશિંગો એકસાથે વાગી ઊઠ્યાં.એ અવાજ ઘનઘોર હતો.   13

 

તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે

બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે.       14

એવે ટાણે, સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા.   14

પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે,

વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે:            15

શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજય-અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો. ભયાનક કર્મવાળા ભીમે પૌંડ્ર નામનો મહાશંક વગાડ્યો.     15

અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે,

નકુલે-સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક:             16

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામે શંખ વગાડ્યો ને નકુલે સુઘોષ તથા મણિપુષ્પક નામે શંખ વગાડ્યા.16

કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી,

ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ;         17

તેમ જ, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજિત સાત્યકિ,દ્રુપદરાજ, દ્રૌપદીના પુત્રો, સુભદ્રાપુત્ર મહાબાહુ અભિમન્યુ આ બધાએ, હે રાજન્  !પોતપોતાના જુદા જુદા શંખ વગાડ્યા.  17-18

દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા,

સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા.       18

તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા,

અને આકાશ ને પૃથ્વી ભર્યા ગર્જી ભયંકર.      19

પૃથ્વી અને આકાશને ગજાવતા એ ભયંકર નાદે કૌરવોનાં હ્રદયોને જાને ચીરી નાખ્યાં. 19

ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે

વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને,    20

હવે, હે રાજન્  ! જેની ધજા પર હનુમાન છે એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઇને, હથિયાર ચાલવાની તૈયારીને સમયે , પોતાનું ધનુષ ચડાવી હૃષીકેશને આ વચન કહ્યાં:  20

 

ને હૃશિકેશને આવું કહ્યું વેણ, મહીપતે:

અર્જુન બોલ્યા

બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત,     21

હે અચ્યુત! મારા રથને (જરીક ) બે સેનાની વચ્ચે લઇને ઊભો રાખો; જેથી, યુદ્ધની કામનાથી ઊભેલાને હું નીરખું ને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિ દુર્યોધનનું લડાઇમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે યોદ્ધાઓ એકઠા થયેલા છે તેમને જું જોઉં તો ખરો.’ 21-22-23

 

 

જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા,

ને લોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે.          22

અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા,

પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુરયોધન કુબુદ્ધિનું.           23

સંજય બોલ્યા

ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી

બે સૈન્યવચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ;          24

 

હે રાજન્ !

જ્યારે અર્જુને આમ શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમણે બંને સેનાઓ વચ્ચે, બધા રાજાઓ તેમ જ ભીષ્મ-દ્રોણની સામે તે ઉત્તમ રથ ખડો કરીને કહ્યું:

હે પાર્થ ! એકઠા થયેલા આ કૌરવોને જો.’24-25

ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી,

બોલ્યા માધવ,”જો પાર્થ,કૌરવોના સમૂહ આ.”     25

(2)

 

ત્યાં દીઠા અર્જુને ઊભા બન્નેયે સૈન્યને વિશે

ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઇઓ, સખા,  26

ત્યાં બંને સેનાઓમાં રહેલા વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઇઓ, પુત્રો, પૌત્રો, ગોઠિયાઓ, સસરાઓ અને સ્નેહીઓ આદિને અર્જુન ઊભેલા જોઇ ખેદ ઉતપન્ન થવાથી દીન બનેલા કુંતીપુત્ર આ પ્રમાને બોલ્યા: 26-27-28

સસરા, દીકરા, પોતા, સુહૃદો, સ્વજનો ઘણા :

અવા સ્ર્વે સગાવ્હાલા ઊભેલા જોઇ, અર્જુન,        27

અત્યંત રાંક ભાવે શું, બોલ્યો ગળગળો થઇ:

અર્જુન બોલ્યા

દેખી આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા,       28

હે કૃષ્ણ ! લડવાને સારુ ઉત્સુક થઇ ભેળા થયેલા આ સગાં સ્નેહીઓને જોઇને મારાં ગાત્ર ઢીલાં થઇ જાય છે. મોઢું સુકાય છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે અને રૂંવાં ઊભાં થાય છે. હાથમાંથી ગાંડીવ સરી જાઅય છે, ચામડી બહુ બળે છે. મારાથી ઊભા રહેવાતું નથી. કેમ કે મારું મગજ ફર્તું જેવું લાગે છે. 28-29-30

 

ગાત્રો ઢીલાં પદે મારાં, મોઢામાં શોષ ઊપજે;

કંપારી દેહમાં ઊઠે, રૂંવાડાં થાય છે ખડાં;           29

ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે;

રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન.           30

ચિહ્ નોયે અવળાં  સર્વે, ને દેખાય, કેશવ;

જોઉં નહીં કંઇ શ્રેય હણીને સ્વજનો રણે.             31

વળી હે કેશવ ! હું અહીં વિપરીત અશુભ ચિહ્ નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કંઇ શ્રેય નથી

જોતો. 31

નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;

રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું ?         32

હે કૃષ્ણ! તેમને મારીને હું નથી ઇચ્છતો વિજય, નથી માગતો રાજ્ય કે જાતજાતનાં સુખ; હે ગોવિન્દ! અમારે રાજ્ય કે ભોગોનો કે જીવતરનોયે શો ખપ ? 32

ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,

તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો.       33

જેમને કાજે આપણે રાજ્ય, ભોગો અનેસુખ ઇચ્છ્યું તે આ આચાર્યો, વડીલ, પુત્રો, પૌત્રો,દાદા, મામા, સસરા, સાળા અને બીજા સંબંધીજન જીવવાની અને ધનની તમા છોડીને લડાઇને સારુ ઊભેલા.  33-34

ગુરુઓ, બાપ ને બેટા, દાદા-પોતા વળી ઘણા,

મામાઓ, સસરા, સાળા, સંબંધો, સ્વજનો બધા.      34

ન ઇચ્છુંહણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;

ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો ?        35

ભલે તેઓ મને મારી નાખે,પણ ત્રિલોકીના રાજ્ય સારુ પણ હે મધુસૂદન, હું તેમને હણવા નથી ઇચ્છતો, તો પચી આ ભૂમિ માટે કેમ જ હણું?.  35

હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?

અમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ !            36

 

(આતતાયીશસ્ત્ર ઉગામનાર. આ કોણ?સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે, પણ મારો અભિપ્રાય તેને અમનેના વિશેષણ તરીકે લેવાનો છે.આ માટે કર્ણપર્વ 91-49, શલ્ય પર્વ 11-11 વગેરેમાં આધાર છે.ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી છે.કિ.મ)

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શો આનંદ થાય? આતતાયીઓને પણ હણીને અમને પાપ જ લાગે.  36

 

માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;

સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે ?           37

તેથી હે માધવ ! અમારા પોતાના જ બાંધવ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારે હણવા એ યોગ્ય નથી. સ્વજનોને હણીને અમે શું સુખી થઇશું ? 37

 

લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી

કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે.               38

લોભથી ચિત્ત મલિન થયેલાં હોવાથી તેઓ ભલે કુળનાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને ન જોઇ શકે, પણ હે જનાર્દન ! કુળનશથી થતા દોષને સમજનારા અમને આ પાપમાંથી બચવાનું કેમ ન

સૂઝે ?38-39

વળવા પાપથી આવા અમે કાં ન વિચારવું,-

કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે ?          39

કુળક્ષયે થતો નાશ કુળધર્મો સનાતન;

ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની.             40

કુલનો નાશ થયો એટલે પરાપૂર્વથી ચાલતા અવેલા કુલધર્મોનો નાશ થાય, અને ધર્મનો નાશ થયો એટલે તો અધર્મ કુલ આખાને ડુબાવી દે છે. 40

 

અધર્મ વ્યાપતા લાજ લૂંટાય કુળનારની.,

કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણશંકર નીપજે.               41

હે કૃષ્ણ ! અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિઅત થાય છે. અને તેમના દૂષિઅત થવાથી વર્ણનો સંકર થાય છે. 41

 

 

નરકે જ પડે તેથી કુળ ને કુળઘાતકો;

પિતરોયે પડે હેઠા ન મળ્યે પિંડતર્પણ.              42

 

આવો સંકર કુલઘાતકને અને તેના કુલને નરકમાં પહોંચાડે છે અને પિંડોદકની ક્રિયાથી વંચિત થવાથી તેના પિતરોની પણ અવગતિ થાય છે. 42

કુળઘાતકના આવા દોષે સંકરકારક

ઊખડે જાતિધર્મો ને કુળધર્મો સનાતન.              43

કુલઘાતક લોકોના આ વર્ણસંકરને-ઉત્પન્ન-કરનારા દોષોથી સનાતન કુલધર્મોનો અને જાતિધર્મોનો નાશ થાય છે. 43

ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો

સદાયે નરકે વાસએવું છે સાંભળ્યું અમે.          44

હે જનાર્દન ! જેમના કુલધર્મનો ઉચ્છેદ થયો છે એવા મનુષ્યોનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. 44

 

અહો કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !

કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા !        45

અરેરે ! કેવું મહાપાપ કરવાને અમે તૈયાર થયા છીએ કે રાજ્યસુખને લોભે સ્વજનોને હણવા તત્પર થયા ! 45

 

ન કરતાં પ્રતીકાર મને નિ:શસ્ત્રને હણે

રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મને વધુ.             46

ધૃતરાષ્ટ્રના શ્સ્ત્રધારી પુત્રો જો શસ્ત્ર વિનાના અને સામે ન થનારા મને રણમાં હણે તો તે મારે સારુ વધારે કલ્યાણકારક થાય. 46

 

 

સંજય બોલ્યા

આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,

ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો.               47

 

શોકથી વ્યગ્રચિત્ત થયેલા અર્જુન રણમધ્યે આમ બોલી ધનુષબાણને પડતાં મૂકી રથની બેઠકપર બેસી ગયા.

ૐ તત્સત્  .

જે બ્રહ્મવિદ્યા પણ અછે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો અર્જુન-વિષાદ-યોગનામનો પહેલો અધ્યાય અત્રે પૂરો થાય છે.

…………..

(૮)

………….

ભજન કે કારણ તન ધારી.

ભજન કે કારણ તન ધારી.

વહાં સે આયે ભજન કરન કે, કૌન કુમતિ તો મતિ મારી…

સાંચ કહૌં પરતીત માન લે, ઝૂઠ કે પલરા ડગમારી…

રામ નામ તોહિ ભૂલ ગયા હૈ, ઈક દિન કાલ ઝપટ મારી…

 કહૈં કબીર સુનો ભાઈ સાધો, ખેલત જૂઆ ચલા હારી…

………….

જે લોકો પાખંડ, પ્રપંચ લૌકિક સુખાદિમાં જ આસક્ત રહે છે તેના પ્રતિ શ્રી કબીર સાહેબ કહે છે કે આ શરીર (દેહ) ભજન કરવા માટે પ્રાપ્ત થયેલ છે. હે અભાગી મનુષ્યો! રામનું ભજન સ્મરણ કરવામાં તમને શું દંડ લાગે છે? શું હાનિ થાય છે? સંસાર પાખંડ વિષયાદિમાં રમણ કરવાથી તમારે જન્માદિ જન્ય દુઃખનો દંડ ભોગવવો પડે છે અને આત્મારામમાં રમણ કરવાથી બધાં જ દુઃખ નિવૃત્ત થઈ જાય છે. તો પણ તું ભગવાનનું ભજન કરતો નથી તેથી તારી મતિ (બુધ્ધિ) મરી ગઈ છે. આ હું સત્ય વાત કહું છું તેની પ્રતીતિ કરી લે. કારણકે જો હું સાચી વાત કહું છું તો સર્વ જગત ક્રોધ કરે છે અને ખીજાઈને કહે છે કે સંસારમાંજ સુખ છે. પરંતુ મારાથી જૂઠી વાત કહેવાતી નથી. જૂઠી અવિદ્યમાન, મિથ્યા વસ્તુને મારાથી સત્ય છે એમ કહેવાતું નથી કારણ સંસારમાં જૂઠા લોકોનો પલ્લો ભારે છે. સંસાર જૂઠા તરફ જ આકર્ષાય છે. મનુષ્ય સંસારમાં આવીને રામને ભૂલી ગયો છે, તેથી કાળના વશમાં થઈ દુઃખી થાય છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે શરીર ધારણ કર્યા પછી અવશ્ય ભજન સત્સંગ કર. તેમાં જ તારૂં કલ્યાણ છે અને આ નહિં કરીને જે સ્વર્ગાદિની ઈચ્છાથી તામસ તપ કરે છે, બાહ્ય વેષ ધારણ કરીને ઢોંગ કરે છે તેઓ મરણ કાળમાં મહાન કષ્ટ ભોગવે છે. જે આ જન્મમાં જ દાવ પુરો રમતા નથી તે સંસારને જીતી શકતા નથી અને જેમ જુગારી જુગારમાં હારીને જતો રહે છે, તેમ તમે પણ સંસારમાં હારીને રામનામના સ્મરણ વગર જન્મ વ્યર્થ ગુમાવ્યો. તેથી કર્તવ્ય છે કે વિવેક, વિચાર, વૈરાગ્ય, શમ, દમાદિ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરો.

………

……….

(૯)

………….

(૭)

હીરા સે જન્મ ગમાયો રે,

હીરા સે જન્મ ગમાયો રે, ભજન બિનુ બાવરે.

ના સંગતિ સાધુન કે કીના, ના ગુરૂ દ્વારે આયો રે,

બહિ વહિ મરે બૈલ કી નાઈ, જો નિરેવોસો ખાયો રે…

યહ સંસાર હાટ બનિયાં કે, સબ જગ સૌદે આયો રે,

કાહુન કીના દામ ચૌગુને, કાહુન મૂલ ગમાયો રે…

યહ સંસાર કૂલ સેમર કા, લાલી દેખ લુભાયો રે,

મારે ચોંચ રૂઆ જબ નિકસ્યો, શિર ધુનિ કે પછતાયો રે…

તું બન્દે માયા કે લોભિ, મમતા મહલ ચિનાયો રે,

કહહીં કબીર એક રામ ભજે બિનુ, અન્ત સમય દુઃખ પાયો રે…

…………

હે બાવરા ! હે જીવ ! ભજન વિના આ હીરા તુલ્ય પ્રકાશમય જન્મ (દેહ) વ્યર્થ વ્યતીત થઈ રહ્યો છે. વિચારાદિ નહિં કરવાથી તથા રક્ષક ગુરૂ અને બ્રહ્માત્માની પ્રાપ્તિ નહિં થવાથી તું ઘાણીના બળદ સમાન થઈ ગયો છે. અર્થાત તેલીનો બળદ જેમ આંખ બંધ હોવાથી આજુબાજુ કાંઈ ન જોતાં એક જ સ્થાનમાં વારંવાર ફરીને ભાર ખેંચવાનું દુઃખ પોતાના પ્રયોજન વગર જ સહ્યા કરે છે, તેમ સાધુની સંગતિ નહિં કરવાથી અને ગુરૂના દ્વારે નહિં જવાથી તારા જ્ઞાન વિવેક રૂપી નેત્રો બંધ થઈ ગયાં છે. તેથી વિભુ આત્મતત્વને જાણતો નથી અને સ્વર્ગલોક, મૃત્યુલોક વિગેરેની કલ્પના કરીને તેમાં ઘાણીના બળદની માફક વારંવાર ફર્યા કરે છે. અને બળદ જેમ ભાર ખેંચવાનું દુઃખ પોતાના પ્રયોજન વગર ભોગવે છે તેમ તું પણ અનેક યોનિઓમાં જન્મ મરણ રૂપ દુઃખ પોતાના પ્રયોજન વગર ભોગવે છે. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે ઉપર બતાવેલા દુઃખની નિવૃત્તિ માટે સાધુ, મહાત્મા, ગુરૂની સંગતિમાં બેસ કે જેથી તારૂં કલ્યાણ થાય. આ સંસાર વાણિયાના વ્યવહાર જેવો છે. વાણિયો જેમ વ્યવહારમાં વસ્તુઓનો સોદો કરે છે તેમ તું પણ કર્મ બંધનમાં પડી જગતની વસ્તુઓનો સોદો કરે છે. પણ જન્મ મળ્યા પછી પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી. કોઈક વાણિયો વ્યવહારમાં પૈસા કમાઈ તેને ચાર ગણા કરે છે અને કોઈક મૂળ મુડી પણ ખોઈ બેસે છે, તેમ તેં પણ વિચારાદિ વિના, સ્વાત્માનુભૂતિ વિના આ મનુષ્ય જન્મ વ્યર્થ ખોઈ નાંખ્યો છે. આ સંસાર સેમરના ફૂલ જેવો છે. સેમરના ઝાડ ઉપર કેટલાય ચાતકાદિ પક્ષીઓ સુંદર ફળની પ્રાપ્તિની આશાએ બેસે છે. પરંતુ તેમાં પક્ષી જ્યારે ચાંચ મારે છે ત્યારે તેમાંથી રૂ ઉડે છે અને તેમાં પાંખો લપટાઈ જાય છે. આમ તેમાંથી સુંદર ફળ રૂપ સાર મળતો નથી. તેથી સેવન કર્યા પછી પસ્તાય છે, અને માથું પટકે છે. તેમ હે વંશાભિમાની મનુષ્યો! તમે પણ આ સંસરમાં સુખ ચાહો છો. ધન, દૌલત, સ્ત્રી, પુત્ર, રાજ, પાટ, વિગેરેનો લોભ હોવાથી મમતા રૂપી મહેલ પણ તમેજ આ સંસારમાં ઉભો કરો છો. બધા જ લોકો તેનાથી સુખ ચાહે છે પણ સુખ પામી શકતા નથી. તો સુખી થવાનો ઉપાય શું છે? શ્રી કબીર સાહેબ કહે છે કે રામનું સ્મરણ કરો, તો અંત સમયે ઘણું દુઃખ પડશે. આ જીવ બંધનમાં પડશે અને મુક્તિ તો ઘણી દૂર રહેશે.

………………..

…………..

(૮)

…………

(ૐ)

………….

(૬)

ભજન બિના દિન બીતા જાય.

ભજન બિના દિન બીતા જાય.

કર લે ભજન ભલો તન પાયો, ભજન બિના સુખ પાયા કિન રે,

ઉપજત વિનશત યુગ ચારો ગૌ, વેદ વિચારત ગૈ મુનિ ગન રે.

પલ માંહીં પરલય હો જાઈ, વિનશત લગૈ ઘડી ના છિન રે,

કહૈં કબીર ભજન કર વાકા, પાનિ સે પિણ્ડ સમારા જિન રે.

…………

આ મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે તે વારંવાર મળતો નથી. છતાં પણ તમે તો આખી જીંદગી ઈશ્વર સ્મરણ, ભજન વગર વ્યર્થ વ્યતીત કરી દો છો. જ્યારે આ દેહમાંથી પ્રાણ છૂટી જશે ત્યારે તેનાથી કોઈ પ્રયોજન સિધ્ધ કરી શકવાના નથી. તેથી યમની યાતનાઓથી બચવા માટે શ્રી કબીર સાહેબ કહે છે કે આ ભલો મનુષ્ય દેહ ધારણ કર્યા પછી ઈશ્વર ભજન કરવું જોઈએ કારણકે ભજન વગર એટલે કે જ્ઞાન વગર દુઃખની નિવૃત્તિ થતી નથી અને નિરતિશય સુખની પ્રાપ્તિ થતી નથી. આ શરીર રૂપી ઘરને મર્યા પછી કોઈ સાથે લઈ જતું નથી. જીવોના મોહ, કામ, કર્માદિ દ્વારા તેમને કષ્ટ થાય છે, અને મોહાદિની નિવૃત્તિ કેવળ સર્વાત્મા સ્વરૂપ રામની પ્રાપ્તિથી જ થાય છે. આમને આમ કેટલાય શરીરો ચારે યુગમાં ઉત્પન્ન થઈને નાશ થઈ ગયા; વેદને ભણવા, વિચારવાવાળા મુનીઓ પણ મરી ગયા. આ સંસાર ક્ષણ ભંગુર છે તેનો પણ પ્રલય કાળમાં નાશ થઈ જાય છે. દરેક પ્રાણી સંસારમાં વારંવાર પોતાનાં કર્મનું ફળ ભોગવવા આવે છે અને જાય છે. આ દેહ પંચભૂતનું કાર્ય તેમજ મિથ્યા, ભ્રમરૂપ કૃત્રિમ તથા સ્વપ્ન તુલ્ય માયાથી યુક્ત છે. જો દેહની આ દશા છે તો વસ્તુતઃ કોણ કોનો પુત્ર છે? પિતા છે? સ્ત્રી છે? પતિ છે? કેવળ અજ્ઞાન કામમૂલક કર્મથી દરેક જીવ અનેક જન્મમાં ભ્રમે છે તેથી શ્રી કબીર સાહેબ આ દુઃખથી નિવૃત્ત થવા માટે કહે છે કે જે સર્વનો આધાર છે, જેની સત્તા માત્રથી આ બધું નિયંત્રણમાં રહે છે; તેનું ભજન કરો, સ્મરણ કરો જેથી તમારૂં કલ્યાણ થાય.

…………..

………….

(૭)

…………

(૫)

યા તન ધન કી કૌન બડાઈ,

યા તન ધન કી કૌન બડાઈ, દેખત નૈન માટી મિલિ જાઈ…

કંકર ચુન-ચુન મહલ બનાયા, આપન જાય જંગલ બસાયા,

હાડ જરૈ જસ લાકર ઝૂરી, કૈશ જરૈ જસ ઘાસ કી પૂરી…

યા તન ધન કછુ કામ ન આઈ, તાતે નામ જપો લૌ લાઈ…

કહૈં કબીર સુનો મેરે મુનિયાં, આપ મુયે ફિર ડૂબ ગઈ દુનિયાં…

………….

મનુષ્ય જે એવું સમઝે છે કે આઘરનું કાર્ય મારાથી જ ચાલે છે, આ શરીર મારૂં છે, મારા સર્વે ભાઈ, ભાંડું, પુત્ર, સ્ત્રી વિગેરે મારાં છે અને મારા ઉપકારક છે, એવા લોકોને માટે મોહનો ત્યાગ, વૈરાગ્ય તેમજ ભાવી દુઃખની નિવૃત્તિને માટે શ્રી કબીર સાહેબ ઉપદેશ આપે છે કે આ શરીર તેમજ ધનની શું બડાઈ કરો છો, કારણ કે આંખનાં પલકારામાં જ આ શરીર તેમજ ધનનો નાશ થઈ માટીમાં મળી જશે. પૈસા ભેગા કરીને સુંદર ઘર રહેવા માટે બનાવો છો પણ તારા જ બંધુઓ, પુત્ર, પત્નિ વિગેરે આ શરીર મર્યા પછી કહેશે કે આ મુડદાને જલદીથી ઘરની બહાર કાઢી સ્મશાનમાં લઈ જઈ બાળી દો. આ શરીરનાં હાડકાં સુકાં લાકડાંની જેમ અગ્નિમાં બળી જાય છે અને કેશ સુકા ઘાસની પુળીની માફક બળી જાય છે. આમ જે સગા સંબંધીને તું તારા માનતો હતો તે કોઈ તારાં નથી. મર્યા પછી કોઈ સાથે આવતા નથી. કેવળ કર્મ સંકલ્પ વશ આ બધા તને પ્રાપ્ત થાય છે. તેથી આ શરીર તેમજ ધન કોઈના કામમાં આવ્યું નથી, માટે તું ઈશ્વરનું સ્મરણ કર. શ્રી કબીર સાહેબ કહે છે કે, હે મુની લોકો ! જેનું મન મરી જાય છે તેને માટે આ સંસાર પણ મરી જાય છે;  દુનિયા ડૂબી જાય છે. કેવળ શરીર મરવાથી કાંઈ જ ફાયદો નથી. તેથી કર્તવ્ય છે કે હું ક્યાં છું? ક્યાં જઈશ? કોનો છું?  સંસારમાં કેમ જન્મ્યો છું? મારો બંધુ કોણ છે? હું કોણ છું? વિગેરેની ચિંતા કરી મોહની નિવૃત્તિને માટે મરણકાળ સુધી સત્સંગ વિચારાદિ કરી કોઈ સાંસારિક પદાર્થોમાં આસક્તિ કરવી નહિં, કારણકે આત્મ સ્વરૂપની સ્થિતિ માટે માતા, પિતા, પુત્ર, સ્ત્રી વિગેરે સહાયતા કરતા નથી; કેવળ ધર્મ જ રક્ષા કરે છે. એટલે ઈશ્વરનું નામ સ્મરણ કરી આ સંસાર રૂપી સાગરથી પાર થાઓ…

…………

(ૐ)

………….

(૬)

………..

(૪)

સન્તન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી.

સન્તન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી.

હંસન કી ગતિ હંસહી જાને, ક્યા જાને કોઈ કાગ રે,

સન્તન કે સંગ પૂર્ણ કમાઈ, હોય બડો તેરો ભાગ રે…

ધ્રુવ કી બની, પ્રહલાદ કી બન ગઈ, હરિ સુમિરન વૈરાગ રે,

કહત કબીરા સુનો ભાઈ સાધો, રામ ભજન કો લાગ રે…

………..

વાસ્તવિક તત્ત્વજ્ઞાન, સત્સંગ, સત્શાસ્ત્રાદિનો વિચાર, વૈરાગ્યાભ્યાસ અને સદગુરૂની સેવા, ગુરૂના ઉપદેશ દ્વારા જ થાય છે. તેથી શ્રી કબીર સાહેબ જિજ્ઞાસુઓ પ્રતિઉપદેશ કરે છે કે સંતનો સંગ કરશો તો તમારૂં જીવન સફળ થઈ જશે. સાંસારિક વિષયોની આસક્તિને ત્યાગીને ગુરૂની શરણમાં પ્રાપ્ત થઈ ગુરૂનાં વચનોને માની વિચારાદિ કરો, કારણકે સાધુ, સન્ત, પરોપકારી શુદ્ધ હ્રદયવાળા મહાત્મા જ તને વિવેકજ્ઞાન દ્રષ્ટિ આપી સંસારના આદિ અન્ત તથા ઉત્પત્તિ પ્રલયનો અનુભવ કરાવી દેશે, અને નિરવચ્છિન્ન સુખ આપી પાપનું નિવારણ પણ કરાવી દેશે. જેમ હંસની ગતિને હંસ જ જાણી શકે છે, એટલે કે હંસ દૂધ અને પાણીને જુદા (વિવેક) કરી સાર ગ્રહણ કરે છે, તેની કાગડાને શું ખબર પડે? કારણકે કાગડો અવિવેકી છે; તેમ આ હંસ રૂપી સંતનો સંગ કરવાથી (આત્મા અનાત્માનો વિવેક કરવાથી), રાગ રહિત, પુરૂષ કર્મ બંધનથી મુક્ત થઈ શકે છે. તેની કાગ તુલ્ય અજ્ઞાની (અવિવેકી) ને શું ખબર પડે ! પૂર્વ જન્મના જો પૂર્ણ સંસ્કાર અને ભાગ્ય હોય તો જ આ જન્મમાં સંતનો સંગ થાય અને “પૂર્ણ કમાઈ” થાય એટલે કે સમર્થ ગુરૂ, સંત આ જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટેનું જ્ઞાન રૂપી પૂર્ણ ધન કમાવી આપે. શ્રી કબીર સાહેબ કહે છે કે હરિ સુમિરણ અને વૈરાગ્ય દ્વારા ધ્રુવ અને પ્રહલાદ ભગવાનને જાણી શક્યા, પ્રાપ્ત કરી શક્યા તેથી તું પણ આ જન્મમાં રામનું ભજન, સ્મરણ કર જેથી જ્ઞાન દ્વારા તને પણ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે…

……………..

…………

(૫)

……….

(૩)

ના કછુ ના કછુ રામ બિના રે,

ના કછુ ના કછુ રામ બિના રે,

દેહ ધરે કી યહી પરમ ગતિ, સત્સંગતિ મેં રહના રે…

મન્દિર રચત માસ દશ લાગે, વિનશત એક છના રે,

પલ ઈક સુખ કે કારણ પ્રાણી, પરપંચ કરત ઘનારે…

માતું પિતા સુત લોક કુટુમ મેં, ફૂલા ફિરત મના રે,

કહહિં કબીર રામ ભજ પ્રાણી, છાંડ સકલ ભ્રમના રે…

………

શ્રી કબીર સાહબ જિજ્ઞાસુઓ પ્રતિ ઉપદેશ આપે છે કે આ સંસારમાં રામ સિવાય બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા લાયક નથી. દેહ (શરીર) ધારણ કર્યા પછી જો પોતાની પરમ ગતિ ઈચ્છતા હો તો સત્સંગ કરો. સંતનો સંગ કરી તેમના દ્વારા આ નિત્ય, વિભુ, સર્વાત્મા રામનો સ્વસ્વરૂપથી અનુભવ કરો. આ મનુષ્ય જન્મ ચૌર્યાસી લાખ યોનિઓમાં ફરી આવ્યા પછી મળે છે, તેથી દેવોને પણ દુર્લભ છે તેવો દેહ બનતાં પહેલાં માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઉંધા લટકીને રહેવું પડે છે, પરંતુ તેનો નાશ માત્ર એક ક્ષણમાં જ થાય છે તે સમઝ. આ સંસારમાં મનુષ્ય સુખ માટે ઘણો પ્રપંચ રચે છે, એટલે કે ધન, દોલત, સ્ત્રી, પુત્ર વિગેરે માટે આખી જીંદગી પ્રયત્ન કરે છે, અને અંતે દુઃખ પામી યમયાતના, કષ્ટ સહન કરે છે. માતાપિતા કહે છે કે મારો પુત્ર છે; સ્ત્રી કહે છે કે મારો પતિ છે; પુત્ર કહે છે કે મારો પિતા છે, આમ આ લોકોમાં કુટુંબીઓ ફૂલાઈ ફૂલાઈને આ માયાનો રસ લે છે. પરંતુ અંતે કશું પામતા નથી. તેથી શ્રી કબીર સાહેબ કહે છે કે એક નિર્ગુણ, આત્મારામનું ભજન કરી આ સંસારનો ભ્રમ છોડી દે અને સત્સંગતિ કર તેમાં જ તારી પરમ ગતિ છે. આ સંસારમાં રામ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે તે સમઝ.

…………

………..

(૪)

Follow

Get every new post delivered to your Inbox.