વિવેક ચૂડામણિ

January 23, 2009 by kantilal1929

નિવેદન
શ્રીમત્ શંકરાચાર્યે દસ મુખ્ય ઉપનિષદો ઉપર તેમ જ ભગવદ્ ગીતા ઉપર વિસ્તૃત વિવેચનરૂપ ભાષ્ય લખ્યું છે તથા વેદવ્યાસનાં બ્રહ્મસૂત્રો ઉપરનું તેમનું ભાષ્ય તો તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં જગવિખ્યાત છે. આ ભાષ્યોમાં તેમણે અદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. આ વિસ્તૃત ભાષ્યોમાં તાર્કિક પરિભાષાઓમાં વણાયેલા એ અદ્વૈતસિદ્ધાંતના મુખ્ય મુદ્દદાઓને સામાન્ય અભ્યાસી-જિજ્ઞાસુ પણ સરળતાથી સમજી શકે એ રીતે આ ગ્રંથમાં રજૂ કર્યા છે. આમાં ઘણા શ્લોકો સરળ, હ્રદયંગમ અને મુખપાઠ કરી શકાય એવા છે. એથી અદ્વૈત સિદ્ધાંતના અભ્યાસીઓમાં આ ગ્રંથ ખૂબ પ્રિય બનેલો અને પ્રસિદ્ધિ પામેલો છે.
વલ્લભવિદ્યાનગર – તા. – ૨૫ – ૦૮ – ૧૯૭૪.
‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ ના ટ્રસ્ટીઓ વતી
એચ. એમ. પટેલ (પ્રમુખ)
……………………………………..

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત
વિવેક ચૂડામણિ

જાણવા અશક્ય છતાં જેમને સર્વ વેદાંતના સિદ્ધાંતથી જાણી શકાય છે, એ પરમ આનંદસ્વરૂપ સદ્ ગુરૂ શ્રી ગોવિંદને હું પ્રણામ કરૂં છું. ।। ૧ ।।
આત્મજ્ઞાનનું મહત્વ – Page – 5
પ્રાણીઓને પહેલાં તો મનુષ્યજન્મ દુર્લભ છે; તેમાંય પુરૂષ થવું અને પછી બ્રાહ્મણપણું મેળવવું મુશ્કેલ છે; બ્રાહ્મણ થયા પછી વેદધર્મને અનુસરવું અને પછી વિદ્વાન થવું કઠિન છે. તે પછી પણ આત્મા અને અનાત્માનું પૃથક્કરણ, કરો અનુભવ, આત્મા પોતે બ્રહ્મરૂપ છે એ સમજ્યા પછીની સ્થિતિ અને મુક્તિ-એ તો કરોડો જન્મોનાં પુણ્યો વિના મળતાં નથી. ।। ૨ ।।
Page – 6
ભગવાની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરૂષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ છે. ।। ૩ ।।
કેમે કરીને દુર્લભ મનુષ્યજન્મ મેળવીને અને તેમાં પણ વેદાંતના સિદ્ધાંતનું જ્ઞાન થઈ શકે એવું પુરૂષત્વ પામીને પણ જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી, એ આત્મઘાતક જ છે; અને એ સત્ – દેહ વગેરે વસ્તુઓ ઉપર આસક્તિ ધરાવવાથી પોતે જ પોતાને હણે છે. ।। ૪ ।।
દુર્લભ મનુષ્યદેહ અને તેમાં પણ પુરૂષત્વ પામ્યા છતાં જે માણસ તત્વજ્ઞાનરૂપી સ્વાર્થ સાધવામાં આળસ કરે છે, એનાથી મૂર્ખ બીજો કોણ શકે ? ।। ૫ ।।
ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે-સમજાવે, દેવોની પૂજા કરે, અનેક (શુભ) કર્મ કરે અથવા દેવોને ભજે, તોપણ ‘બ્રહ્મ અને આત્મા એક જ છે’ એવા જ્ઞાન વિના સો બ્રહ્મા થઈ જાય તેટલા કાળે પણ (તેની) મુક્તિ થતી નથી. ।। ૬ ।।
Page – 7
કારણ કે ‘ધનથી અમર થવાની આશા નથી’ એમ કહેનાર વેદ જ ચોખ્ખું કહે છે કે, ‘કર્મ મુક્તિનું કારણ નથી.’ ।। ૭ ।।
જ્ઞાન મેળવવાના ઉપાય
માટે વિદ્વાન માણસે બાહ્ય વિષયોનાં સુખની ઈચ્છાનો ત્યાગ કરી, મહા સંત ગુરૂદેવને શરણે જઈ એમના ઉપદેશને બરાબર સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો. ।। ૮ ।।
સત્ય આત્મજ્ઞાન પર શ્રદ્ધા રાખી યોગમાર્ગે જઈને, સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા આત્માનો પોતે જ ઉદ્ધાર કરવો. ।। ૯ ।।
આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાનોએ સર્વ કર્મોનો ત્યાગ કરી સંસારરૂપી બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરવા. ।। ૧૦ ।।
કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે, તત્ત્વજ્ઞાન માટે નથી. તત્વજ્ઞાન તો વિચારથી જ થાય છે; કરોડો કર્મોથી કાંઈ થતું નથી. ।। ૧૧ ।।
(અધારામાં પડેલા) દોરડાને જ્યારે ભ્રમથી સર્પ માનવામાં આવે, ત્યારે તે ભ્રાંતિથી માનેલા-સર્પના ડરથી જે દુઃખ થાય છે તેને, બરાબર વિચાર કર્યા પછી ‘આ તો દોરડું છે, આવો નિશ્ચય જ દૂર કરે છે. ।। ૧૨ ।।
Page – 8
(મહાત્માઓનાં) હિતકારક વચનોનો વિચાર કરવાથી જ (આત્મારૂપ) વસ્તુનો નિશ્ચય થાય છે; પણ સ્નાન, દાન અથવા સેંકડો પ્રાણાયામથી થતો નથી. ।। ૧૩ ।।
આત્મજ્ઞાનના અધિકારી – Page – 8
ફળસિદ્ધિ અધિકારીને ખાસ કરી ઉપદેશ દે છે; અને એમાં દેશ, કાલ વગેરે ઉપાયો પણ સહાયક બને જ છે. ।। ૧૪ ।।
આથી બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, દયાસાગર ઉત્તમ ગુરૂના શરણે જઈ જિજ્ઞાસુએ આત્મતત્ત્વનો વિચાર કરવો. ।। ૧૫ ।।
ઉપર કહેલાં લક્ષણોવાળો બુદ્ધિમાન, વિદ્વાન અને તર્કવિતર્કમાં ચતુર મનુષ્ય આત્મવિદ્યામાં અધિકારી છે. ।। ૧૬ ।।
જેને સદ્ અને અસદ્ નું જ્ઞાન હોય, જે વૈરાગ્યવાન, શમ-દમ વગેરે ષટ્સંપત્તિવાળો હોય અને જે મુમુક્ષુ હોય, એની જ બ્રહ્મજિજ્ઞાસા માં યોગ્યતા માની છે. ।। ૧૭ ।।
ચાર સાધન – Page – 9
વિદ્વાનોએ બ્રહ્મજિજ્ઞાસામાં ચાર સાદન કહ્યાં છે. એ (સાધન) હોય, તો જ સત્ય વસ્તુ-આત્મા ઉપર શ્રદ્ધા થાય છે; એ વિના ન થાય. ।। ૧૮ ।।
પહેલું સાધન – ‘નિત્યાનિત્યવસ્તુવિવેક’ કહેવાય છે;
બીજું સાધન – ‘આ લોકના અને પરલોકના સુખ-ભોગ પર ‘વૈરાગ્ય’ છે;’
ત્રીજું સાધન – શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન – આ ષટ્સંપત્તિ છે; અને
ચોથું સાધન – ‘મુમુક્ષુપણું’ છે.
‘બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે’ એવો જે નિશ્ચય, એ ‘નિત્યાનિત્યવસ્તુવિવેક’ છે.।। ૧૯ – ૨૦ ।।
Page – 10
(જગતનું તુચ્છપણું નજરે) જોવાથી અને સાંભળવા વગેરેથી આ દેહથી માંડી બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય ભોગ્ય પદાર્થોને તજી દેવાની જે ઈચ્છા એ જ ‘વૈરાગ્ય’ છે. ।। ૨૧ ।।
વારંવાર દોષદ્રષ્ટિ કરીને, વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી, મનની પોતાના લક્ષ્યમાં જ સ્થિર અવસ્થા, એ ‘શમ’ કહેવાય છે. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંનેને તેમના વિષયો તરફથી વાલીને પોતપોતાના સ્થાનમાં જ સ્થિર કરવી, એ ‘દમ’ કહેવાય છે, અને (ચિત્તની) વૃત્તિ બહારના વિષયો ઉપર ન ભટકે, એ જ ઉત્તમ ‘ઉપરતિ’ છે. ।। ૨૨ – ૨૩ – ૨૪ ।।
ચિંતા અને શોક વિના સર્વ દુઃખોને ઉપાય કર્યા વગર સહી લેવાં, એ ‘તિતિક્ષા’ કહેવાય છે. ।। ૨૫ ।।
શાસ્ત્રનાં અને ગુરૂદેવનાં વચનોને સત્ય બુદ્ધિથી ગ્રહણ કરવાં, એ ‘શ્રદ્ધા’ કહેવાય છે; જેથી વસ્તુ મેળવી શકાય છે. ।। ૨૬ ।।
Page – 11
બુદ્ધિને હમેશાં શુદ્ધ બ્રહ્મમાં જ સ્થિર કરવી, એ ‘સમાધાન’ કહેવાય છે; ચિત્તને સ્વેચ્છાચારી કરવું, એ ‘સમાધાન’ નથી.।। ૨૭ ।।
અહંકારથી માંડી દેહ સુધીનાં જેટલાં અજ્ઞાનકલ્પિત બંધનો છે, તેમાંથી પોતાના આત્મસ્વરૂપના જ્ઞાન દ્વારા છૂટવાની ઈચ્છા એ ‘મુમુક્ષુપણું’ છે.।। ૨૮ ।।
મુમુક્ષુપણું મંદ અથવા મધ્યમ હોય, તોપણ વૈરાગ્યથી, શમ વગેરે ષટ્સંપત્તિથી અને ગુરૂની કૃપાથી વદીને સફળ થાય છે. ।। ૨૯ ।।
જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું – બંને તીવ્ર હોય, તેમાં જ ‘શમ વગેરે ષટ્સંપત્તિ’ સાર્થક અને સફળ થાય છે. ।। ૩૦ ।।
પણ જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું બંને મંદ હોય, તેમાં રહેલી ‘શમ વગેરે ષટ્સંપત્તિ’ મરૂસ્થળ ના જળની પેઠે માત્ર દેખાવની જ બને છે ।। ૩૧ ।।
Page – 12
મુક્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. પોતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય છે. કેટલાક વિદ્વાનો કહે છે કે ‘પોતાના આત્મત્વનું મનન એ જ ભક્તિ છે.’
ઉપર જણાવેલાં ચાર સાધનવાળા અને આત્મતત્વને જાણવા ઈચ્છતા પુરૂષે પ્રાજ્ઞ-સ્થિતપ્રજ્ઞ પાસે જવું, કે જેથી સંસારરૂપ બંધન છૂટે. જે શ્રોત્રિય અને પાપરહિત હોય, વિષય-વાસનાને વશ ન હોય, બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હોય. બ્રહ્મજ્ઞાનમાં અગ્રેસર હોય, ઈંધણાં વગરના અગ્નિ જેવો શાંત હોય, કારણ વિના દયાનો સમુદ્ર હોય ને શરણે આવેલાનો બંધુ હોય, એવા ગુરૂને વિનય, નમ્રતા અને સેવાથી ભક્તિપૂર્વક સેવીને તે પ્રસન્ન થાય ત્યારે પાસે જઈ પોતાને જાણવું હોય તે આમ પૂછવુઃ ।। ૩૨ – ૩૩ – ૩૪ – ૩૫ – ૩૬ ।।
Page – 13
શરણે આવેલા લોકના બંધુ અને દયાના સાગર, હે ગુરૂદેવ ! પ્રભુ ! હું આપને નમસ્કાર કરૂં છું. સંસારરૂપીસમુદ્રમાં પડેલા મારો, અતિ કરૂણારૂપી અમૃત વરસતી આપની સરળ કટાક્ષદ્રષ્ટિથી આપ ઉદ્ધાર કરો. ।। ૩૭ ।।
રોકવો મુશ્કેલ એવા સંસારરૂપી દાવાનળથી હું દાઝેલો છું અને દુર્ભાગ્યરૂપી આંધીથી અતિશય થરથરૂં છું અને ડરૂં છું; તેથી હું આપને શરણે આવ્યો છું. આપ મૃત્યુથી મને બચાવો. આપ શિવાય બીજાને શરણ લેવા યોગ્ય હું નથી માનતો. ।। ૩૮ ।।
આ ભયંકર સંસારરૂપી સમુદ્રને પોતાની મેળે જ તરી ગયેલા, બીજાઓને પણ તારનારા અને વસંતઋતુની પેઠે પ્રાણીમાત્રનું હિત કરનારા (આપ જેવા) શાંત સત્પુરૂષો (આ દુનિયામાં) વસે છે. ।। ૩૯ ।।
પોતાની મેળે જ બીજાનાં દુઃખો દૂર કરવા તત્પર રહેવું, એ મહાત્માઓનો સ્વભાવ છે; જેમ સૂર્યના આકરા તપથી તપેલી પૃથ્વીને આ ચંદ્રદેવ પોતાની મેળે જ શાંત કરે છે. ।। ૪૦ ।।
Page – 14
હે પ્રભુ ! સંસારરૂપ દાવાનળની ઝાળથી દાઝેલા અને આપને શરણે આવેલા આ-મને, આપ બ્રહ્માનંદના રસાનુભવવાળાં, પવિત્ર, અતિ શિતળતાવાળાં, આપના મુખરૂપી સુવર્ણકળશથી ઝરેલાં અને કાનને સુખ આપનારાં વચનરૂપ અમૃતથી સિંચો. જેઓ એક ક્ષણ પણ આપની (કૃપા) દ્રષ્ટિના પાત્ર બન્યા છે અને જેમને આપે પોતાના તરીકે સ્વીકાર્યા છે, તેમને ધન્ય છે. ।। ૪૧ ।।
હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરૂં ? મારી શી ગતિ થશે ? કયો ઉપાય છે ? એ કાંઈ હું જાણતો નથી. પ્રભુ ! કૃપા કરી મને બચાવો. અને મારા સંસારરૂપી દુઃખનો નાશ કરો.’।। ૪૨ ।।
ગુરૂ તરફથી અભયદાન – Page – 14
એમ કહેતા, પોતાના શરણે આવેલા અને સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા એ શિષ્યને જોઈ મહાત્મા ગુરૂએ તરત જ પોતાના કરૂણારસથી વ્યાપ્ત દ્રષ્ટિથી તેને અભયદાન આપવું.
શરણે આવેલા, મુમુક્ષુ, આજ્ઞા પ્રમામે સારી રીતે વર્તનાર, શાંત ચિત્તવાળા અને ષટ્સંપત્તિયુક્ત એ શિષ્યને ગુરૂએ કૃપાથી (આ પ્રમાણે) તત્ત્વોપદેશ કરવોઃ ।। ૪૩ – ૪૪ ।।
Page – 15
ગુરૂઃ ‘હે વિદ્વાન ! તું ડર મા. તારો નાશ નહિ થાય. સંસારસાગરને તરવાનો ઉપાય છે. જે માર્ગે યોગીઓ આ સંસારસાગરનો પાર પામ્યા છે, એ જ માર્ગ હું તને બતાવું છું. ।। ૪૫ ।।
સંસારના ભયનો નાશ કરનાર કોઈ મોટો ઉપાય છે; એ ઉપાયથી તું સંસારસાગર તરીને પરમાનંદ પામીશ. ।। ૪૬ ।।
વેદાંતના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે; અને પછી તેનાથી સંસારના દુઃખનો અત્યંત નાશ થાય છે. ।। ૪૭ ।। શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ-આ ચાર મુમુક્ષુ માણસની મુક્તિના ઉપાય છે, એમ વેદની વાણી કહે છે. જે માણસ આ ઉપાયોને વળગી રહે છે. તેનો અજ્ઞાનથી ઊપજેલા દેહબંધનથી છુટકારો થાય છે. ।। ૪૮ ।।
Page – 16
તું પરમાત્મા છે, છતાં અજ્ઞાનને કારણે જ તારે અનાત્મારૂપ દેહના બંધનમાં બંધાવું પડ્યું છે; અને એથી જ તને સંસાર વળગ્યો છે. આત્મા અને અનાત્મા ના વિવેકથી ઊપજેલો જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાનના કાર્ય-સંસારને મૂળમાંથી બાળી નાખશે. ।। ૪૯ ।।
શિષ્યઃ ‘હે પ્રભુ ! કૃપા કરી આપ સાંભળો. હું પ્રશ્ન કરૂં છું. એનો જવાબ આપના મુખથી સાંબળીને હું કૃતાર્થ થઈશ.।। ૫૦ ।। બંધન કયું છે, એ કેમ આવ્યું, એની સ્થિતિ કેવી છે, અને એમાંથી કેવી રીતે છૂટી શકાય ? વળી અનાત્મા એ કોણ છે, પરમાત્મા કોણ, પોતાનો આત્મા કોણ, અને એ બંન્નેનું જ્ઞાન કેવી રીતે થાય, એ આપ કહો.’ ।। ૫૧ ।।
ગુરૂઃ ‘તને ધન્ય છે. કરવાનાં બધાં કામ તું કરી ચૂક્યો છે. તેં તારા કુળને પવિત્ર કર્યું છે; કારણ કે તું અજ્ઞાનરૂપ બંધનમાંથી છૂટી બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે. ।। ૫૨ ।।
પોતે જ પ્રયત્નો કરવાની જરૂર – Page – 17
પુત્રો વગેરે પિતાના ઋણ થી (પોતાનો) છુટકારો કરનારા થઈ શકે; પણ આ સંસારરૂપ બંધનમાંથી પોતાને છોડાવનાર પોતાથી બીજો કોઈ નથી. ।। ૫૩ ।।
જેમ પોતાના માથા ઉપર ઉપડેલા ભારનું દુઃખ બીજા દૂર કરી શકે છે; પણ ભૂખ વગેરે દુઃખ તો પોતાના સિવાય બીજા કોઈથી દૂર કરી શકાતું નથી. ।। ૫૪ ।।
જે રોગી હોય તે જો પરેજી પાળે અને દવા લે, તો જ તેને આરોગ્ય પ્રાપ્ત થાય; પણ બીજી કોઈ ક્રિયાથી તેની આરોગ્યસિદ્ધિ થતી નથી. ।। ૫૫ ।।
(જેમ) વિવેકી પુરૂષે વસ્તુનું સ્વરૂપ પોતાની મેળે જ પોતાના જ્ઞાનરૂપી નેત્રથી સમજવું જોઈએ. (કોઈ બીજાથી તે ન સમજાય.) ચંદ્રનું સ્વરૂપ પોતાની જ આંખથી જાણી શકાય; બીજાઓથી શું તે જણાય ? ।। ૫૬ ।।
અજ્ઞાન, વિષયની ઈચ્છા અને કર્મ વગેરેના પાશરૂપ બંધન છોડવાને સો કરોડ કલ્પો સુધી પણ પોતાના સિવાય બીજો કોણ સમર્થ થઈ શકે ? ।। ૫૭ ।।
આત્મજ્ઞાનની મહત્તા – Page – 18
યોગથી, સાંખ્યથી, કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી, એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઈ શકે છે, બીજી કોઈ રીતે નહિ. ।। ૫૮ ।।
જેમ વીણાનું રૂપ, એની સુંદરતા અને એને બજાવવાની મનોહર રીત માણસને માત્ર ખુશ કરે છે, પણ એથી કાંઈ સામ્રાજ્ય મળી શકે નહિ; એમ વિદ્વાનોની ભાષાની ચતુરાઈ, શબ્દોની ઝડી, શાસ્ત્રોનાં વ્યાખ્યાનની કુશળતા અને વિદ્વતા-એ બધું માત્ર ભોગ માટે છે. મોક્ષ માટે નથી. ।। ૫૯-૬૦ ।।
આત્મતત્વ ન સમજાયું, તો શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે, તેમ જ આત્મતત્વ સમજાઈ ગયું, તોપણ શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે. ।। ૬૧ ।।
Page – 19
શબ્દજાળ એ તો ચિત્તને ભટકાવનારૂ મોટું જંગલ છે, માટે (શબ્દજાળમાં ફસાવાને બદલે કોઈ) તત્વજ્ઞાની પાસેથી પ્રયત્નપૂર્વક આત્માનું તત્વ સમજવું જોઈએ. ।। ૬૨ ।।
અજ્ઞાનરૂપી સાપ જેને કરડ્યો છે, તેને બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ વિના વેદો, શાસ્ત્રો, મંત્રો કે બીજાં ઔષધોથી શું થવાનું છે ? ।। ૬૩ ।।
જાતઅનુભવની જરૂર – Page – 19
જેમ દવા પીધા વિના માત્ર દવાના નામથી જ રોગ જતો નથી, તેમ પોતાના જાતઅનુભવ વિના માત્ર વેદના શબ્દોથી મુક્તિ થતી નથી. ।। ૬૪ ।।
‘આ દેખાતું જગત છે જ નહિ’ એવું સમજ્યા વિના અને આત્મતત્વને જાણ્યા વિના માત્ર બોલવારૂપ ફળવાળા બહારના શબ્દોથી મનુષ્યોની મુક્તિ ક્યાંથી થાય? ।। ૬૫ ।।
શત્રુઓનો નાશ કર્યા વિના અને આખી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના ‘હું રાજા છું’ એમ કહેવાથી કોઈ રાજા થવાને યોગ્ય થતો નથી. ।। ૬૬ ।।
Page – 20
જેમ પૃથ્વીમાં દાટેલું ધન મેળવવું હોય, તો પહેલાં કોઈ જાણકાર વિશ્વાસુ માણસ તરફથી માહિતી મેળવવી પડે, ને પછી જમીન ખોદી, કાંકરા-પથરા ખસેડી ધનને બહાર કાઢવા સુધીની મહેનત કરવી પડે, માત્ર ઉપલક વાતો કરવાથી એ ધન બહાર નીકળતું નથી; એ જ રીતે નિર્મળ આત્મતત્વ પણ માયાના કાર્યથી ઢંકાયેલું હોઈ બ્રહ્મજ્ઞાની ગુરૂના ઉપદેશથી, તેના મનન થી તથા નિદિધ્યાસન વગેરેથી સમજી શકાય છે, દુષ્ટ યુક્તિઓથી નહિ. ।। ૬૭ ।।
માટે રોગની જેમ સંસારબંધનમાંથી છૂટવા સારૂ વિદ્વાનોએ પોતાની બધી શક્તિથી જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. ।। ૬૮ ।।
પ્રશ્નવિચાર – Page – 20
આજે તેં જે પ્રશ્ન કર્યો છે, એ શાસ્ત્રવેત્તાઓને માન્ય અને બહુ શ્રેષ્ઠ છે. આ પ્રશ્ન સૂત્ર જેવો ટૂંકો છે, પણ એમાં ગંભીર અર્થ સમાયેલો છે, અને મુમુક્ષુઓને એ સમજવા જેવો છે. ।। ૬૯ ।।
હે વિદ્વાન ! હુંજે કહું, તે બરાબર ધ્યાન દઈ સાંભળ એ સાંભળવાથી ખરેખર તું સંસારબંધનમાંથી છૂટીશ. ।। ૭૦ ।।
Page – 21
અનિત્ય વસ્તુઓ ઉપર અત્યંત વૈરાગ્ય થવો, એ મોક્ષનું પ્રથમ કારણ કહેવાય છે. પછી શમ, દમ, તિતિક્ષા અને મોહ-મમતાવાળાં બધાં કામોનો અત્યંત ત્યાગ થવો જોઈએ. તે પછી વેદાંતનું શ્રવણ, તેનું મનન અને લાંબા વખત સુધી હમેશાં નિરંતર આત્મતત્વનું ધ્યાન કરવું જોઈએ. એથી વિદ્વાન નિર્વિકલ્પ પરમાત્માને પામી મોક્ષનું સુખ મેળવે છે. ।। ૭૧ – ૭૨ ।।
હવે આત્મા અને અનાત્માનો જાણવા યોગ્ય વિવેક તને હું કહું છું; એને બરાબર સાંભળી ચિત્તમાં તું સ્થિર કર. ।। ૭૩ ।।
સ્થૂળ શરીરનું વર્ણન – Page – 21
મજ્જા, અસ્થિ, મેદ, માંસ, લોહી, ચર્મ અને ત્વચા આ સાત ધાતુઓથી આ દેહ ભરેલો છે, તથા પગ, સાથળો, છાતી, હાથ, પીઠ અને માથું વગેરે એનાં અંગોપાંગ છે. મોહનું સ્થાન અને ‘હું અને મારૂં’ એમ કહેવાતા આ દેહને જ વિદ્વાનો ‘સ્થુળ શરીર’ કહે છે. આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી એ (પાંચ) ભૂતો (પ્રથમ) સૂક્ષ્મરૂપે હોય છે; પછી એકબીજાના અંશોથી મળેલાં તે ભૂતો સ્થૂળ બની શરીરનાં કારણ બને છે. એ ભૂતોની જ તન્માત્રાઓ જીવના વિષયભોગના સુખ માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-એ નામે પાંચ વિષયો બને છે.
જે મૂઢ લોકો એ વિષયોમાં મોહરૂપી વિશાળ અને મજબૂત બંધનથી બંધાય છે, તેઓને એમનાં પોતાનાં કર્મોરૂપી દૂતો વેગથી ઘસડી જાય છે; તેથી અનેક ઊંચી-નીચી જાતિમાં (જન્મ લેવા) આવે છે અને પાછા ત્યાંથી નીકળે છે.
।। ૭૪ – ૭૫ – ૭૬ – ૭૭ ।।
વિષયનિંદા – Page – 22
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે પાંચ વિષયોમાંથી માત્ર એક એક વિષયથી જ પોતપોતાના સ્વભાવ પ્રમાણે બંધાયેલાં હરણ, હાથી, પતંગિયું, માછલી અને ભમરો મરણ પામે છે, તો એ પાંચેય વિષયોથી બંધાયેલો મનુષ્ય મરે, એમાં શું કહેવું? ।। ૭૮ ।।
Page – 23
વિષયો કાળા સાપના ઝેર કરતાં પણ વધારે તીવ્ર છે, કારણ કે ઝેર તો માત્ર ખાનારને જ મારે છે; પણ વિષય તો નજરે જોનારને પણ મારી નાખે છે. ।। ૭૯ ।।
જે માણસ વિષયોની આશારૂપી અતિ દુરૂત્યજ મહાપાશથી છૂટ્યો હોય, તે જ મોક્ષ મેળવવા સમર્થ થાય છે. બીજો છયે દર્શન (ન્યાય, વેશેષિક, સાખ્ય, યોગ, પૂર્વમિમાંસા અને ઉત્તરમિમાંસા ) ને જાણનારો હોય તોપણ નહિ. ।। ૮૦ ।।
સંસારરૂપી સાગરનો પાર પામવા તૈયાર થયેલા ઉપલક વૈરાગ્યવાળા મુમુક્ષુઓને આશારૂપી ઝૂડ વેગથી પાછો ફરી ગળું પકડીને વચ્ચે જ ડુબાડી દે છે. ।। ૮૧ ।।
જેણે ઉત્તમ વૈરાગ્યરૂપી તલવારથી વિષયની ઈચ્છારૂપી ઝૂડને મારી નાખ્યો હોય, તે જ માણસ નિર્વિગ્ને સંસારસમુદ્રનો પાર પામે છે. ।। ૮૨ ।।
Page – 24
વિષયરૂપી વિકટ માર્ગે જનાર મલિન બુદ્ધિવાળા માણસને ડગલે ડગલે મૃત્યુ સામે જ આવતું રહે છે, એમ તારે સમજવું; અને આ પણ સત્ય જ માનજે કે હિતેચ્છુ, સજ્જન અથવા ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલનાર માણસને પોતાની યુક્તિથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ સારી રીતે થાય છે. ।। ૮૩ ।।
જો તને મોક્ષની ઈચ્છા છે, તો વિષયને ઝેરની પેઠે અતિ દૂરથી જ છોડી દે; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શમ અને દમનું અમૃતની પેઠે નિત્ય આદરથી સેવન કર. ।। ૮૪ ।।
દેહ ઉપર મોહ ન રાખવો – Page – 24
અનાદિથી અજ્ઞાનથી ઉપજેલાં બંધનમાંથી છૂટવાનું કામ પ્રતિક્ષણ કરવાનું છે; તેને છોડી જે મનુષ્ય કેવળ પરાયા આ દેહનું જ પોષણ કરવામાં લાગ્યો રહે છે, તે એ દેહ વડે પોતાનો જ નાશ કરે છે. ।। ૮૫ ।।
જે માણસ દેહના જ પોષણની ઈચ્છાવાળો હોય, છતાં આત્મતત્વને સમજવા ઈચ્છે, તે નદીમાં રહેલાં ઝૂડને લાકડું સમજીને તેને પકડીને નદી તરવા જાય છે. ।। ૮૬ ।।
Page – 25
શરીર વગેરે પદાર્થો ઉપર મોહ રાખવો, એ મુમુક્ષુનું મોટું મરણ છે; જેણે મોહને જીત્યો હોય, તે જ મોક્ષપદને યોગ્ય છે. ।। ૮૭ ।।
દેહ, સ્ત્રી અને પુત્ર વગેરે ઉપરના મોહનો તું નાશ કર. એ મોહ જ મહામૃત્યુ છે. એને જીતીને મુનિઓ ભગવાનના પ્રસિદ્ધ પરમ પદને પામે છે. ।। ૮૮ ।।
સ્થૂળ શરીરની નિંદા – Page – 25
ચામડી, માંસ, લોહી, નસો, મેદ, મજ્જા અને હાડકાંથી વ્યાપ્ત તથા મળમૂત્રથી ભરેલો આ સ્થૂળ દેહ નિંદાને જ પાત્ર છે. ।। ૮૯ ।।
આ સ્થૂળ દેહ, પૂર્વજન્મનાં કર્મથી એકઠાં કરેલાં પાંચ તત્ત્વો (આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વીમાં ) થી ઊપજેલો છે અને એ જ આત્માનું ભોગસ્થાન છે. એની અવસ્થા જાગ્રત છે; કારણ કે એથી સ્થૂળ પદાર્થોનો એનુભવ થાય છે. ।। ૯૦ ।।
Page – 26
‘આ દેહ છે એ જ હું છું’ એમ સમજીને ફૂલોની માળા, ચંદન વગેરે અનેક રૂપોવાળા સ્થૂળ પદાર્થોને બાહ્ય ઈંદ્રિયોથી ભોગવે છે; આથી જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ દેહનું મુખ્યપણું છે. ।। ૯૧ ।।
જેનો લેવાથી જીવને આખું બાહ્ય જગત દેખાય છે, એ શરીરને જ ગૃહસ્થના ઘર જેવો સ્થૂલદેહ સમજવો. ।। ૯૨ ।।
જન્મ, ઘડપણ, મરણ, સ્થૂળતા વગેરે સ્થૂળ દેહના અનેક ધર્મો છે. બાળપણ વગેરે એની અવસ્થાઓ છે; વર્ણ, આશ્રમ વગેરે અનેક જાતના એના નિયમો છે. તથા માન, અપમાન વગેરે અનેક જાતની એની ખાસિયત છે. ।। ૯૩ ।।
દશ ઈંદ્રિયો – Page – 26
કાન, ત્વચા (ચામડી), આંખ, નાક, જીભ-આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે; કારણ કે એનાથી ( શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ અનુક્રમે પાંચ ) વિષયોનું જ્ઞાન થાય છે; વાણી, પગ, હાથ, ગુદા અને ઉપસ્થ-એ પાંચ કર્મેંન્દ્રિયો છે; કારણ કે એ ઈંદ્રિયો જુદાંજુદાં કામો તરફ વળે છે. ।। ૯૪ ।।
અંતઃકરણના પ્રકાર – Page – 27
પોતાની વૃત્તિઓના કારણે અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર-એમ ચાર પ્રકારનું કહેવાય છે. સંકલ્પ-વિકલ્પ (વિચાર ) કરે છે તેથી મન, નિશ્ચય કરે છે તેથી બુદ્ધિ, ‘હું’ એવું જ્ઞાન થાય છે તેથી અહંકાર અને ઈચ્છેલી વસ્તુનું ચિંતન કરે છે તેથી ચિત્ત નામે તે છે. ।। ૯૫ ।।
પાંચ પ્રાણ – Page – 27
જેમ સોનાના જુદા જુદા આકાર ( નાં ઘરેણાં ) બનવાથી તેનાં જુદાં જુદાં નામ પડે છે અને જેમ પાણીની જુદી જુદી અવસ્થામાં તેનાં જુદાં જુદાં નામ પડે છે, તેમ પ્રાણનાં પણ જુદા જુદા વ્યાપારોના કારણે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એવાં નામ છે. ।। ૯૬ ।।
સૂક્ષ્મ શરીર – Page – 27
( ૧ ) વાણી વગેરે પાંચ કર્મેંદ્રિયો, ( ૨ ) કાન વગેરે પાંચ જ્ઞાનેંદ્રિયો, ( ૩ ) પાંચ પ્રાણો, ( ૪ ) આકાશ વગેરે પાંચ ભૂત,( ૫ ) બુદ્ધિ વગેરે ચાર અંતઃકરણ, ( ૬ ) અજ્ઞાન, ( ૭ ) ઈચ્છા અને ( ૮ ) કર્મ – આ આઠના સમૂહને સૂક્ષ્મ શરીર કહે છે. ।। ૯૭ ।। સૂક્ષ્મ શરીરનું નામ ‘લિંગ શરીર’ પણ છે. અને અપંચીકૃત ( ભેગાં નહિ થયેલાં – સૂક્ષ્મ ) ભૂતો ( આકાશ, પવન, તેજ પાણી અને પૃથ્વી ) માંથી ઊપજ્યું છે, વાસનાવાળું છે અને જીવને કર્મનું ફળ ભોગવાવે છે; અને આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી, તેથી એ આત્માને અનાદિ કાળના ઉપાધિરૂપ છે.।। ૯૮ ।।
Page – 28
એની જુદી અવસ્થા સ્વપ્ન છે, જેમાં માત્ર પોતે બાકી રહેલ તરીકે ભાસે છે; અને એ વખતે બુદ્ધિ પોતે જ જાગ્રત અવસ્થાની અનેક પ્રકારની વાસનાઓથી કર્તાપણું વગેરે સ્વીકારીને જણાય છે, આત્મા તો સર્વનો સાક્ષી છે, બુદ્ધિ જ એને માત્ર ઉપાધિરૂપ છે, આથી બુદ્ધિએ કરેલા કર્મોથી એ જરા પણ બંધાતો નથી; કારણ તે આત્મા અસંગ છે ( એને કોઈનો સંગ જ નથી. ) આથી જ બુદ્ધિએ કરેલાં કર્મોના નાશથી પણ એ લેપાતો નથી. ।। ૯૯ – ૧૦૦ ।।
એ લિંગ દેહ ચૈતન્યરૂપ આત્માને દરેક કામમાં સાધનરૂપ છે-જેમ સુતારનું સાધન વાંસલો વગેરે છે ( એટલે કે બધાં કામો લિંગ દેહથી જ થાય છે. ) અને તેથી આત્મા પોતે અસંગ છે. ।। ૧૦૧ ।।
માણસ દેખતો કે આંધળો, બહેરો કે મૂંગો, મૂર્ખ કે વિદ્વાન વગેરે ધર્મવાળો કહેવાય છે, તે તેની આંખ, કાન વગેરે ઈંદ્રિયોને કારણે જ કહેવાય છે. એ બધા ધર્મ સર્વસાક્ષી આત્માના નથી, ઈંદ્રિયોના છે. ।। ૧૦૨ ।।
પ્રાણના ધર્મ – Page – 29
શ્વાસ, ઉચ્છવાસ, બગાસુ, ચીંક, મળમૂત્રને બહાર કાઢવાં, એક શરીરમાંથી લિંગ દેહને મૃત્યુ વખતે બીજા શરીરમાં લઈ જવો વગેરે ક્રિયાઓ પણ પ્રાણની જ છે; એમ તત્તવને જાણનારાઓ કહે છે; તેમ જ ભૂખ અને તરશ પણ પ્રાણના જ ધર્મ છે. ( આત્માના નહિ ). ।। ૧૦૩ ।।
અહંકાર – Page – 29
શરીરમાં જે આંખ વગેરે ઈંદ્રિયો છે, તેમાં અંતઃકરણ ચિદાત્માના તેજ સાથે ‘હું છું’ એવા અભિમાનથી રહે છે. ।। ૧૦૪ ।।
એને જ અહંકાર જાણવો. એ જ કરનાર, ભોગવનાર અને અભિમાન કરનાર છે, અને એ જ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોના સંબંધથી જુદી જુદી ત્રણ અવસ્થા – ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) ને પામે છે. ।। ૧૦૫ ।।
વિષયોની અનુકૂળતા હોય, તો તે અહંકાર પોતાને સુખી માને છે; અને વિષયોની અનુકૂળતા ન હોય તો દુઃખી થાય છે. આ રીતે સુખ અને દુઃખ અહંકારના જ ધર્મો છે, નિત્ય આનંદરૂપ આત્માના નહિ. ।। ૧૦૬ ।।
આત્મા સૌને પ્રિય છે – Page – 30
વિષયો પોતાની મેળે કોઈને ગમતા નથી, પણ આત્માને માટે જ ગમે છે; કારણ કે સૌને પોતાની મેળે જ અતિશય પ્રિય માત્ર આત્મા જ છે. ।। ૧૦૭ ।।
આથી જ આત્મા સદા આનંદરૂપ છે. એને ક્યારેય દુઃખ નથી, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં વિષયો હોતા નથી, છતાં આત્માનો આનંદ અનુભવાય છે, આ બાબતમાં વેદ, પ્રત્યક્ષ, ઈતિહાસ અને અનુમાન પ્રમાણ છે. ।। ૧૦૮ ।।
માયાનું સ્વરૂપ – Page – 30
જેનું નામ ‘અવ્યક્ત’ છે, ( સત્વ, રજસ્ અને તમસ્ ) ત્રણ જેના ગુણો છે અને જે પરમાત્માની શક્તિ છે, એ જ ‘અનાદિ અવિદ્યા’ અથવા ‘માયા’ કહેવાય છે. એનાથી જ આ આખું જગત ઉત્પન્ન થાય છે. ( એ દેખાતી નથી, પણ ) બુદ્ધિમાન માણસ એના કામ ઉપરથી એનું અનુમાન કરે છે. ।। ૧૦૯ ।।
Page – 31
એ માયા સત્ કે અસત્ નથી, તેમ જ ( સદ્સત્ ) બેય પ્રકારની પણ નથી. વળી જુદી, ભેગી કે ( ભિન્નાભિન્ન ) બેય પ્રકારની પણ નથી. વળી અંગવાળી કે અંગ વગરની નથી; તેમ જ ( સાંગ – અનંગ ) બેય પ્રકારની પણ નથી; છતાં અત્યંત ચકિત કરે એવી અને ( અનિર્વચનીય ) વર્ણન કરવાને અશક્ય સ્વરૂપવાળી છે. ।। ૧૧૦ ।।
જેમ દોરડાંને જાણવાથી સાપનો ભ્રમ ભાંગી જાય છે, તેમ શુદ્ધ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી એ માયાનો નાશ કરી શકાય છે, પોતપોતાનાં પ્રસિદ્ધ કામો ઉપરથી જ જણાતાં સત્વ, રજસ્ અને તમસ્-આ તે માયાના ગુણો છે. ।। ૧૧૧ ।।
રજોગુણ – Page – 31
રજોગુણની ‘વિક્ષેપ’ નામની શક્તિ ક્રિયારૂપ છે. એને લીધે જ જૂના કાળની પ્રવૃત્તિ પ્રસરી છે. વળી એથી જ સૌને મનના વિકારરૂપ રાગાદિ તથા દુઃખ વગેરે નિત્ય થાય છે. ।। ૧૧૨ ।।
કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે અસૂયા ( બીજાના ગુણોમાં દોષનો આરોપ ), અભિમાન, ઈર્ષ્યા અને મત્સર ( દ્વેષ ) વગેરે –આ ભયંકર ધર્મો રજોગુણના છે, જેથી જીવની પ્રવૃત્તિ થાય છે, માટે રજોગુણ આત્માને બંધનનું કારણ છે. ।। ૧૧૩ ।।
તમોગુણ – Page – 32
જે ચીજ જેવી હોય તેના કરતાં બીજે જ રૂપે દેખાય એ તમોગુણની ‘આવરણ’ નામની શક્તિ છે. જીવના સંસારનું પહેલું કારણ આ જ છે, અને રજોગુણની ‘વિક્ષેપ’ શક્તિના ફેલાવાનું કારણ પણ આ જ છે. ।। ૧૧૪ ।।
માણસ બુદ્ધિમાન, વિદ્વાન, ચતુર અને અત્યંત સૂક્ષ્મ આત્મદ્રષ્ટિવાળો હોય, તોપણ તે તમોગુણથી વ્યાપ્ત થયો હોય ત્યારે અનેક રીતે ખરી વાત સમજાવ્યા છતાં સમજતો નથી, અને ભ્રમને કારણે જૂઠા પદાર્થોને પણ સાચા માને છે અને તેના ગુણો ગ્રહણ કરે છે. અહો ! જેનું પરિણામ ખરાબ છે એવા તમોગુણની એ આવરણશક્તિ મહા પ્રબળ છે ! ।। ૧૧૫ ।।
એ શક્તિના સંબંધમાં આવેલાને ( ઈશ્વર કે બ્રહ્મ છે જ નહિ, આવી ) અભાવના, ( શરીર જ આત્મા છે, એવી ) વિપરીત ભાવના, ( મોક્ષ વગેરે કાંઈ સંભવતું નથી, આવી ) સંભાવના તથા ( શાસત્રમાં કહેલી વાતો સાચી હશે કે કેમ ? આવી ) વિપ્રતિપત્તિ ખરેખર છોડતી નથી; તેમ જ વિક્ષેપશક્તિ તેનો નિરંતર નાશ કરે છે. ।। ૧૧૬ ।।
Page – 33
અજ્ઞાન, આળસ, જડપણું, નિદ્રા, પ્રમાદ, મૂર્ખતા વગેરે દુર્ગુણો તમોગુણના છે, આથી ઘેરાયેલો માણસ કાંઈ સમજી શકતો નથી. એ તો ઊંઘણશી અને થાંભલા જેવો જ ( જડ ) રહે છે. ।। ૧૧૭ ।।
સત્વગુણ – Page – 33
સત્વગુણ પાણીના જેવો ઘણો પવિત્ર છે, તોપણ એ રજોગુણ અને તમોગુણ સાથે ભળી જઈને માણસને સંસારનું કારણ જ બને છે. એ સત્વગુણમાં પ્રતિબિંબ ( ઓછાયો ) પડેલું આત્માનું બિંબ ( સ્વરૂપ ) સૂર્યની જેમ સર્વ પદાર્થોને બતાવે છે. ।। ૧૧૮ ।।
નિરહંકારપણું, યમ, નિયમ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઈચ્છા, દૈવી સંપત્તિ, અને જૂઠા પદાર્થોનો ત્યાગ-આ મિશ્ર ( રજોગુણથી અને તમોગુણથી દબાયેલા ) સત્ત્વગુણના ધર્મો છે. ।। ૧૧૯ ।।
Page – 34
અંતઃકરણની પ્રસન્નતા, પોતાના આત્માનો અનુભવ ( વિષયસુખ વિના ) પરમ શાંતિ, તૃપ્તિ ( સંતોષ ), અતિશય આનંદ અને પરમાત્મા ઉપર શ્રદ્ધા-એ શુદ્ધ સત્વગુણના ધર્મ છે. આનાથી મુમુક્ષુ સદા આનંદરસ પામે છે. ।। ૧૨૦ ।।
કારણ – શરીર – Page – 34
આ ત્રણે ગુણોથી જોડાયેલી માયા એ જ આ જીવનું ‘કારણ’ નામે શરીર છે. એની સુષુપ્તિ ( ગાઢ નિદ્રા ) નામની જુદી અવસ્થા છે, જેમાં સર્વ ઈંદ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ અત્યંત લય પામેલી છે. ।। ૧૨૧ ।।
જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે. માણસ સુષુપ્તિ અવસ્થામાં જાગીને કહે છે, કે ‘મને કાંઈ ખબર નહોતી’ –આ જ આ ( અવસ્થામાં કેવળ એક જ વસ્તુરૂપે રહેલા આત્માની ) ખાતરી છે. ।। ૧૨૨ ।।
જડ તત્વ – Page – 34
દેહ, ઈંદ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે બધા વિકાર, સુખ-દુઃખ વગેરે વિષય, આકાશ વગેરે પાંચ ભૂત અને માયા સુધીનું આખું જગત-આ બધું આત્મા નથી-‘જડ’ છે. ।। ૧૨૩ ।।
Page – 35
માયા અને મહત્તત્વથી માંડી દેહ સુધીનાં બધાં માયાનાં કાર્યને તું ઝાંઝવાનાં પાણી જેવાં અસત્ ( મિથ્યા ) અને જડ જાણ. ।। ૧૨૪ ।।
આત્માનું સ્વરૂપ – Page – 35
હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી મોક્ષ પામે છે. ।। ૧૨૫ ।।
‘હું છું’ એવું જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનનો નિત્ય આધાર પોતે જરૂર કોઈ છે, અને એ જ ‘આત્મા’ છે. એ ત્રણેય અવસ્થા ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) નો સાક્ષી છે અને પંચકોશથી ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોશ છે. એ માટે જુઓ શ્લોક ૧૫૬ થી આગળ ) જુદો છે. ।। ૧૨૬ ।।
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણેય અવસ્થામાં આત્મા બુદ્ધિને, એની વૃત્તિઓને તથા વૃત્તિઓના અભાવને ‘આ હું’ એમ જાણે છે. ।। ૧૨૭ ।।
Page – 36
આત્મા પોતે બધાને જુએ છે, પણ એને કોઈ જોતું નથી, એ પોતે બુદ્ધિ વગેરેને સતેજ કરે છે, પણ બુદ્ધિ વગેરે એને સતેજ કરી શકતાં નથી. ।। ૧૨૮ ।।
એનાથી આખું જગત વ્યાપ્ત છે, પણ એને કોઈ વ્યાપી શક્તું નથી. એ પ્રકાશે છે, તેથી તેની પાછળ આભાસ ( છાયા ) રૂપે આ બધું પ્રકાશે છે. ।। ૧૨૯ ।।
એના માત્ર સામીપ્યથી દેહ, ઈંદ્રિય, મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે પ્રેરણા પામ્યાં હોય તેમ વર્તે છે. ।। ૧૩૦ ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયો અને સુખ વગેરે અનુભવાય છે તેમ. ।। ૧૩૧ ।।
આ અંતરાત્મા નિરંતર અખંડ સુખના અનુભવરૂપ અને પુરાણ ( અનાદિ ) પુરૂષ છે, જે હમેશાં એકરૂપ અને માત્ર જ્ઞાનસ્વરૂપ છે, એની જ પ્રેરણા પામેલી ઈંદ્રિયો અને પ્રાણ ચાલે છે. ।। ૧૩૨ ।।
Page – 37
સત્વગુણવાળા અંતઃકરણની અંદર ‘કારણ શરીર’ માં સ્વયંપ્રકાશરૂપ ચેતન આકાશ છે, એ જ આત્મા છે એ ઊંચે આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના તેજથી આખા જગતને અજવાળતો પ્રકાશે છે. ।। ૧૩૩ ।।
એ આત્મા મન અને અહંકારરૂપ વિકારને તથા દેહ, ઈંદ્રિય અને પ્રાણની ક્રિયાઓને જાણે છે. તપાવેલા લોઢાના ગોળામાં રહેલો અગ્નિ જેમ કાંઈ પણ ક્રિયા કરતો નથી, તેમ આત્મા પણ એ બધામાં રહ્યો હોવા છતાં પોતે કાંઈ કરતો નથી તેમ વિકાર પણ પામતો નથી. ।। ૧૩૪ ।।
આત્મા જન્મતો નથી કે મરતો નથી, વધતો નથી કે ઘટતો નથી; એ નિત્ય છે, તેથી વિકાર પામતો નથી. આ દેહ નાશ પામે છે ત્યારે પણ ઘડો ફૂટતાં એની અંદર રહેલા આકાશની પેઠે આત્મા નાશ પામતો નથી. ।। ૧૩૫ ।।
પ્રકૃતિ – માયા અને એના વિકારથી જુદો, શુદ્ધ જ્ઞાનરૂપ તથા રૂપ અને ( આકાર વગેરે ) વિશેષોથી રહિત, એ પરમાત્મા, સત્ અને અસત્ આ સર્વને પ્રકાશિત કરે છે અને જાગ્રત વગેરે ત્રણેય અવસ્થામાં બુદ્ધિના સાક્ષીરૂપે રહીને ‘હું’ રૂપે સાક્ષાત્ પ્રકાશે છે. ।। ૧૩૬ ।।
Page – 38
ચિત્ત ઠેકાણે રાખીને, બુદ્ધિ નિર્મળ બનાવીને, ‘હું’ એમ કહેનાર, પોતાના અંતરમાં રહેલ એ આત્માને તું સાક્ષાત્ જાણી લે; પછી જન્મ-મરણરૂપ તરંગવાળા આ અપાર સંસારસાગરને તરી જા અને બ્રહ્મસ્વરૂપ બની કૃતાર્થ થા. ।। ૧૩૭ ।।
સંસારબંધન – Page – 38
માણસને દેહ વગેરે જડ વસ્તોમાં ‘આ હું છું’ એવી બુદ્ધિ થાય છે, એ જ જન્મ-મરણરૂપ દુઃખ આવવાનું કારણ અને અજ્ઞાનથી ઊપજેલું બંધન છે; એના કારણે જ આ જીવ આ અસત્ શરીરને સત્ય માનીને એને જ આત્મા માને છે; અને જેમ રેશમનો કીડો કોશેટાને તારથી વધારતો જાય છે, તેમ વિષયોથી દેહને પોષે છે, સીંચે છે ને રક્ષે છે. ।। ૧૩૮ ।।
અજ્ઞાનને કારણે જ મૂઢ માણસને અવસ્તુમાં વસ્તુ-બુદ્ધિ થાય છે. જેમ અજ્ઞાનને કારણે જ દોરડામાં સાપની બુદ્ધિ થાય છે, એવી ( ભ્રમિત બુદ્ધિથી ) વસ્તુ ગ્રહણ કરનારને તે જ કારણે અનેક અનર્થો પ્રાપ્ત થાય છે; માટે હે મિત્ર સાંભળ; તેવી બુદ્ધિથી અસત્યને સત્ય માની લેવું એ જ બંધન છે. ।। ૧૩૯ ।।
Page – 39
જેમ સૂર્યના બિંબને રાહુ ઢાંકી દે છે, તેમ અખંડ નિત્ય અને એક જ જ્ઞાનશક્તિથી પ્રકાશતા અનંતવૈભવવાળા આત્મતત્વને આ તમોગુણની ‘આવરણશક્તિ’ ઢાંકી દે છે. ।। ૧૪૦ ।।
અતિ નિર્મળ તેજવાળું આત્મતત્વ ઢંકાઈ જાય છે, ત્યારે મોહને કારણે જીવ, જડ દેહને જ ‘આ હું છું’ એમ માને છે અને તેથી રજોગુણની ‘વિક્ષેપ’ નામની મહાન શક્તિ, કામ-ક્રોધ વગેરે પોતાના બંધનકારક ગુણોથી એને હેરાન કરે છે. ।। ૧૪૧ ।। પછી હલકી ગતિવાળો થયેલો કુબુદ્ધિ આ જીવ, વિષયરૂપી ઝેરથી ભરેલા અપાર સંસારસમુદ્રમાં ગળકાં ખાઈને મહામોહરૂપી ઝૂડે ગળવાથી આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે, અને બુદ્ધિની અનેક અવસ્થાઓને તેના ગુણો તરીકે પોતે જ દેખાવ કરતો ભમ્યા કરે છે. ।। ૧૪૨ ।।
Page – 40
જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલો અહંકાર આત્માને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે. ।। ૧૪૩ ।।
‘આવરણશક્તિ’ અને વિક્ષેપ-શક્તિ – Page – 40
જેમ ચોમાસામાં ઘાટાં વાદળાંથી સૂર્ય ઢંકાઈ જાય છે. ત્યારે ઉગ્ર ઠંડો વંટોળિયો આ લોકોને હેરાન કરે છે, તેમ ગાઢ તમોગુણથી ( એટલે તેની આવરણશક્તિથી ) આત્મા ઢંકાઈ જાય છે ત્યારે મૂઢબુદ્ધિ માણસને ( રજોગુણની ) ‘વિક્ષેપ’ શક્તિ અનેક દુઃખોથી હેરાન કરે છે. ।। ૧૪૪ ।।
સંસારસ્વરૂપ – Page – 40
આ બંને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી જ મોહિત થઈ દેહને આત્મા માની સંસારચક્રમાં તે ભમ્યા કરે છે. ।। ૧૪૫ ।।
Page – 41
‘અજ્ઞાન’ સંસારરૂપી વૃક્ષનું બીજ છે, ‘દેહને આત્મા માનવો’ એ તેનો ફણગો છે, ‘મોહ’ એ તે વૃક્ષનાં પાંદડાં છે, ‘કર્મ’ એ (વૃક્ષને પોષણ આપનારૂં) પાણી છે, ‘શરીર’ એનું થડ છે, ‘પ્રાણો’ એ એની ડાળીઓ છે, ‘ઈંદ્રિયોનો સમુદાય’ એ તેની અણીઓ છે, ‘વિષયો’ એ એનાં ફૂલ છે, ‘અનેક કર્મોથી ઊપજતાં દુઃખ’ એ એનાં અનેક જાતનાં ફળ છે, અને એ ફળને એ ઝાડ ઉપર રહેલું જીવરૂપી પક્ષી ખાય છે. ।। ૧૪૬ ।।
અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે; અને એ જ જીવને જન્મ, મરણ, વ્યાધિ અને ઘડપણ વગેરે દુઃખના પ્રવાહમાં નાખે છે. ।। ૧૪૭ ।।
આત્મા અને દેહના ભેદજ્ઞાનની જરૂર – Page – 41
વિધાતાની કૃપાથી ઉજ્જવળ એને સુંદર મોટી તલવાર વિના કોઈ અસ્ત્રથી, શસ્ત્ર ( હથિયાર ) થી કે પવન અથવા અગ્નિથી અને કરોડો ઉપાયોથી પણ એ બંધન કાપી શકાતું નથી. ।। ૧૪૮ ।।
વેદનાં પ્રમાણોમાં જે બુદ્ધિવાળાને પોતાના ધર્મમાં શ્રદ્ધા ઊપજે છે, અને એથી જ એનું ચિત્ત શુદ્ધ થયું હોય, એને જ પરમાત્માનું જ્ઞાન થાય છે અને એથી જ સંસારનો મૂળ સાથે નાશ થાય છે. ।। ૧૪૯ ।।
Page – 42
જેમ પાણીમાંથી ઊપજેલી શેવાળથી જ વાવનું પાણી ઢંકાઈને દેખાતું નથી, તેમ પોતાની શક્તિથી જ ઊપજેલા ‘અન્નમય’ વગેરે પાંચ કોશોથી ઢંકાયેલો આત્મા દેખાતો નથી. ।। ૧૫૦ ।।
જેમ શેવાળ દૂર કરતાં માણસની તરસને તથા તાપને દૂર કરનારૂં અને તરત જ સુખ આપનારૂં શુદ્ધ પાણી સારી રીતે દેખાય છે, તેમ એ પાંચેય કોશોનો ભ્રમ દૂર થતાં શુદ્ધ, નિત્ય, આનંદરૂપ એક રસવાળો અંતર્યામી, સ્વયંપ્રકાશ પરમાત્મા દેખાય છે. ।। ૧૫૧ – ૧૫૨ ।।
સંસાર-બંધનથી છૂટવા માટે વિદ્વાને ‘આત્મા જડ દેહથી જુદો છે’ એમ સમજવું જોઈએ; કોમ કે એથી જ પોતાને સત્, ચિત્ત અને આનંદ ( સચ્ચિદાનંદ ) રૂપ સમજીને આનંદી થાય છે. ।। ૧૫૩ ।।
મુક્ત કોણ ? – Page – 42
જે માણસ પ્રત્યેકમાં રહેલ છતાં અસંગ અને નિષ્ક્રિય આત્માને, જેમ મુંજની સળીને મુંજથી જુદી સમજે, તેમ દેખાતા સર્વ પદાર્થોથી જુદો સમજી બધી વસ્તુઓને આત્મામાં જ લય પમાડી પોતે તે આત્મારૂપે જ રહે છે, એ મુક્ત છે. ।। ૧૫૪ ।।
અન્નમયકોશ – Page – 43
અન્નથી ઊપજનારો આ દેહ જ ‘અન્નમયકોશ’ છે; કારણ કે એ અન્નથી જ જીવે છે અને અન્ન વિના નાશ પામે છે. ત્વચા, ચામડી, માંસ, લોહી, હાડકાં અને મળ વગેરેનો સમૂહ આ દેહ પોતે નિત્ય શુદ્ધ આત્મા તરીકે થવાને યોગ્ય નથી. ।। ૧૫૫ ।।
આ અન્નમયકોશ અથવા દેહ જનામ પહેલાં અને મૃત્યુ પછી હોતો નથી; ક્ષણમાં જન્મ્યો છે, એના ગુણો પણ ક્ષણિક છે અને ઘડાની પેઠે દ્રશ્ય પદાર્થ છે; તેથી એ દેહ ભાવો અને વિકારોને જાણનારો પોતાનો આત્મા કેમ હોઈ શકે ? ।। ૧૫૬ ।।
હાથ, પગ વગેરે અંગોવાળું આ શરીર આત્મા નથી; કારણ કે તેનું કોઈ અંગ ઓછું થાય છે, તોપણ તે જીવે છે, અને તેની શક્તિનો નાશ થતો નથી. વળી તે આત્માના હુકમ પ્રમાણે ચાલે છે; તેથી એ પોતે હુકમ કરનાર ( આત્મા ) કેમ થઈ શકે ? ।। ૧૫૭ ।।
Page – 44
દેહ, એના ધર્મ, એનાં કર્મ તથા એની અવસ્થાઓ વગેરેના સાક્ષી આત્માની એ બધાંથી વિલક્ષણતા પોતાથી જ સ્વતઃસિદ્ધ છે. ।। ૧૫૮ ।।
હાડકાંના ઢગ જેવો, માંસથી લીંપેલો, મળમૂત્રથી ભરેલો અને અતિશય ગંદો આ દેહ આત્મા કેમ બની શકે ? કારણ કે આત્મા પોતે એ દેહથી જુદાં જ લક્ષણવાળો છે. ।। ૧૫૯ ।।
ત્વચા, માંસ, મેદ, હાડકાં અને મળમૂત્રના ઢગલા જેવા આ દેહમાં મૂઢ માણસ જ ‘અહં’ ભાવ કરે છે. વિચારશીલ માણસ તો પોતાનું ખરૂં સ્વરૂપ એનાથી જુદું જ સમજે છે. ।। ૧૬૦ ।।
‘આ દેહ એ જ હું છું’ એવી બુદ્ધિ જડની હોય છે. વિદ્વાન માણસની બુદ્ધિ દેહ તથા જીવ એ બંનેમાં ‘અહં’ ભાવવાળી હોય છે; પણ વિવેક – જ્ઞાનવાળા મહાત્માની બુદ્ધિ તો ‘હું બ્રહ્મ છું’ એમ સદા આત્મામાં જ હોય છે. ।। ૧૬૧ ।।
Page – 45
અરે મૂર્ખ ! ચામડી, માંસ, મેદ, હાડકાં અને મળમૂત્રના ઢગલારૂપ આ દેહમાં તું આત્મબુદ્ધિ તજી દે; અને દરેકના આત્મારૂપ નિર્વિકલ્પ બ્રહ્મમાં જ આત્મબિદ્ધિ કર અને પરમ શાંતિ પામ. ।। ૧૬૨ ।।
વિદ્વાન, આ અસત્ દેહ અને ઈંદ્રિયો વગેરેમાં જ્યાં સુધી ‘અહંતા’ છોડતો નથી, ત્યાં સુધી એ વેદાંત શાસ્ત્રના પારને પામ્યો હોય છતાં એના મોક્ષની વાત પણ સંભવતી નથી. ।। ૧૬૩ ।।
જેમ છાયા, પ્રતિબિંબ, સ્વપ્ન અને મનમાં જોયેલા શરીરમાં કોઈ પ્રકારે તને આત્મબુદ્ધિ થતી નથી, એ જ રીતે આ જીવતા શરીરમાં પણ તને આત્મબુદ્ધિ ન થાઓ. ।। ૧૬૪ ।।
દેહમાં આત્મબુદ્ધિ એ જ દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યોને જન્માદિ દુઃખોનું કારણ – આ સંસારનું બીજ બને છે; માટે એ બુદ્ધિને તું પ્રયત્નથી તજી દે; કેમ કે ચિત્તમાં એનો ત્યાગ થતાં ફરી જન્મની આશા નહિ રહે. ।। ૧૬૫ ।।
પ્રાણમયકોશ – Page – 45
પાંચ કર્મેંદ્રિયો સહિત આ પ્રાણ એ જ ‘પ્રાણમય કોશ’ છે. આ અન્નમય કોશ ( દેહ ) એ પ્રાણમયકોશ સાથે જોડાઈ જીવયુક્ત થઈ અન્નપૂર્ણ બની અને દરેક ક્રિયોમાં પ્રવર્તે છે. ।। ૧૬૬ ।।
એ ‘પ્રાણમયકોશ’ પણ આત્મા નથી, કારણ કે એ તો પવનનો વિકાર છે અને પવનની જેમ જ શરીરની અંદર અને બહાર જાય-આવે છે. વળી એ નિત્ય પરતંત્ર છે અને હિત-અહિત, પોતાનું કે પારકું એવું કાંઈ જાણતો નથી. ।। ૧૬૭ ।।
મનોમયકોશ – Page – 46

પાંચ જ્ઞાનેંદ્રિયો અને મન મળી ‘મનોમય કોશ’ બને છે. ‘આ હું અને મારૂં’ એવી વસ્તુના વિચારનું કારણ મનોમયકોશ જ છે. દરેક વસ્તુઓનાં નામ વગેરે ભેદની કલ્પના પણ એ જ કરે છે. ઉપર જણાવેલા બન્ને કોશને આ વશ રાખે છે, તેથી વધારે બળવાન છે; તથા પ્રાણમયકોશની અંદર રહી પ્રકાશે છે. ।। ૧૬૮ ।।
આ મનોમય કોશ જાણે કે એક અગ્નિ છે; પાંચ જ્ઞાનેંદ્રિયો એ અગ્નિમાં હોમ કરનાર છે; પાંચ વિષયો એ હોમવાનું ઘી છે અને વાસનાઓ એ ઈંધણાં છે. એ ઈંધણાંથી એ અગ્નિ વધારે સળગે છે અને આખા સંસારને બાળી મૂકે છે. (અર્થાત્ જ્યારે ઈંદ્રિયો પોતે વાસનારૂપી ઈંધણાંથી સળગાવેલા મનોમય અગ્નિમાં વિષયોરૂપી ઘી હોમે છે, ત્યારે એ મનોમય અગ્નિ આખા સંસારમાં ભભૂકી ઊઠે છે. ) ।। ૧૬૯ ।।
Page – 47
અવિદ્યા એ મનથી જુદી નથી, મન એ જ સંસાર-બંધનનું કારણ અવિદ્યા છે. એ મન નાશ પામ્યું હોય, તો બધું નાશ પામ્યું જ છે, પણ એ જો ભાસે છે, તો આ બધું ભાસે જ છે. ।। ૧૭૦ ।।
સ્વપ્ન એ સત્ય નથી, છતાં મન એ સ્વપ્નમાં પોતાની શક્તિથી ભોક્તા વગેરે બધું જગત બનાવે છે. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ખરી રીતે કાંઈ છે જ નહિ. આ બધું જે દેખાય છે, એ માત્ર મનનો જ વિલાસ છે. ।। ૧૭૧ ।।
સુષુપ્તિના સમયે મન જ્યારે લીન થઈ જાય છે, ત્યારે કાંઈ હોતું જ નથી, આ વાત સર્વ લોકમાં પ્રસિદ્ધ છે; માટે આ જીવને જે સંસાર જણાય છે, તે મનની જ કલ્પેલી વસ્તુ છે, કરી રીતે કાંઈ છે જ નહિ. ।। ૧૭૨ ।।
વાદળાં વાયુથી જ લઈ જવાય છે અને પાછાં લઈ અવાય છે; એ જ રીતે મનથી જ સંસારરૂપ બંધન રચાય છે, અને તેનાથી જ મોક્ષ કલ્પાય છે. ।। ૧૭૩ ।।
Page – 48
જેમ દોરડાંથી પશુને બાંદે, તેમ આ મન જ દેહ વગેરે સર્વ વસ્તુઓમાં મોહ ઉપજાવી એનાથી જીવને ( પ્રથમ ) બાંધે છે; અને પછી ઝેર જેવા આ વિષયોમાં વિરાગ ( અભાવો ) ઉપજાવી એ બંધનથી એને છોડાવે છે. ।। ૧૭૪ ।।
માટે મન જ આ જીવને બંધન અને મોક્ષ કરવામાં કારણ છે. જ્યારે રજોગુણથી મેલું હોય ત્યારે જીવને બંધનું કારણ થાય છે. અને રજોગુણ તથા તમોગુણથી રહિત થઈ શુદ્ધ બન્યું હોય, ત્યારે જીવને મોક્ષનું કારણ થાય છે. ।। ૧૭૫ ।।
વિવેક અને વૈરાગ્ય ગુણના વધવાથી મન શુદ્ધિ પામીને મુક્તિ માટે થાય છે. માટે બુદ્ધિમાન મુમુક્ષુના એ બે ગુણો જ પ્રથમ દ્રઢ થવા જોઈએ. ।। ૧૭૬ ।।
પાંચ વિષય ( શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ) એ એક વન છે. તેમાં ‘મન’ નામનો વાઘ ફર્યા કરે છે, માટે મુમુક્ષુ સજ્જનોએ તે વનમાં ન જવું. ।। ૧૭૭ ।।
Page – 49
નાનામોટા દરેક વિષયોને તથા આ શરીર, વર્ણ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર; આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યસ્ત; જાતિ વગેરે ભેદો અને ગુણ, ક્રિયા, કારણ તથા ક્રિયાનાં ફળ વગેરેને મન જ ભોક્ત (જીવ) માટે નિત્ય સર્જે છે. ।। ૧૭૮ ।।
ચેતન આ આત્મા તો સંગરહિત જ છે, છતાં તેને મોહિત કરી દેહ, ઈંદ્રિય, પ્રાણ વગેરે ગુણોથી ‘ હું અને મારૂં ’ એમ તેમાં બાંધી આ મન જ પોતે ઊભાં કરેલાં કામો માટે તથા તેનાં ફળ ભોગવવા માટે નિરંતર ભમાવે છે. ।। ૧૭૯ ।।
ભ્રમના દોષથી જ આત્માને સંસાર લાગુ થાય છે, અને એ ભ્રમરૂપ બંધન મને જ કલ્પેલું છે; રજોગુણ અને તમોગુણના દોષવાળા અવિવેકી જીવને જન્મ વગેરે દુઃખનું મૂળ કારણ આ જ છે. ।। ૧૮૦ ।।
આથી તત્તવને સમજનારા વિદ્વાનો મનને જ અવિદ્યા કહે છે. જેમ પવન વાદળાંને આમતેમ ભમાવે છે, એમ મન જ જગતને ભમાવે છે. ।। ૧૮૧ ।।
Page – 50
માટે મુમુક્ષુએ મનને જ પ્રયત્નથી શુદ્ધ કરવું જોઈએ. એ શુદ્ધ થતાં મુક્તિ હાથમાં આવી પડેલા ફળ જેવી છે. ।। ૧૮૨ ।।
જે માણસ મોક્ષમાં જ કેવળ આસક્તિ કરી, વિષયો પરના રાગને નિર્મૂળ કરી, સર્વ કર્મો ત્યજીને શુદ્ધ શ્રદ્ધાથી સાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે, તે બુદ્ધિનો રજોગુણી સ્વભાવ દૂર કરે છે ( અને એની બુદ્ધિ સ્થિર થાય છે ). ।। ૧૮૩ ।।
આ ‘મનોમયકોશ’ પણ ાદિ-અંતવાળો, પરિણામી સ્વભાવનો, દુઃખમય અને વિષયરૂપ હોવાથી આત્મા હોઈ શકે નહિ, કારણ કે જે દ્ષ્ટા ( જોનાર ) હોય તેને દ્રસ્ય ( જોવાની ) વસ્તુરૂપે કોઈએ જોયો નથી. ।। ૧૮૪ ।।
વિજ્ઞાનમયકોશ – Page – 50
જ્ઞાનેંદ્રિયોની સાથે પોતાની વૃત્તિઓ સહિત જોડાયેલી બુદ્ધિ એ જ ‘વિજ્ઞાનમયકોશ’ છે. એ દરેક કામનો કર્તા પોતે જ છે, એમ માને છે અને જીવને સંસારનું કારણ થાય છે. ।। ૧૮૫ ।।
Page – 51
એ ‘વિજ્ઞાનમયકોશ’માં ચેતનની પ્રતિબિમ્બ-શક્તિ રહેલી જણાય છે, માયાનું જ એ કાર્ય છે તથા ‘હું જ્ઞાનવાળો અને ક્રિયાવાળો છું’ એમ દેહ તથા ઈંદ્રિયો વગેરે પર તે ઘણું જ અભિમાન કરે છે. ।। ૧૮૬ ।।
આ ‘વિજ્ઞાનમયકોશ’ નો સ્વભાવ અહંકાર કરવાનો છે અને એ અનાદિ કાળનો હોઈ જીવરૂપ થઈને સમગ્ર વ્યવહારને ઉઠાવી લે છે એ પૂર્વની વાસનાથી યુક્ત થઈ પાપ અને પુણ્ય કર્મ કરે છે અને તેના ફળો ભોગવે છે; વળી તે જુદી જુદી જાતની યોનિઓ-જુદા જુદા જન્મોમાં ભમતો ક્યારેક નીચે આવે છે અને ક્યારેક ઉપર જાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-ત્રણેય અવસ્થાઓ, સુખ-દુઃખ વગેરે ભોગ, દેહ સાથે સંબંધ ધરાવતા આશ્રમો વગેરેનાં ધર્મ, કર્મ, ગુણ વગેરેનું અભિમાન અને સદાની મમતા-એ બધું આ ‘વિજ્ઞાનમયકોશ’નું જ છે. આ કોશ શ્રેષ્ઠ આત્માની પાસે જ હોવાથી અતિ પ્રકાશવાળો છે તથા આત્માને ઉપાધિરૂપ છે; એના પર જે આત્મબુદ્ધિ કરે છે, તે એ ભ્રમને લીધે સંસારને પામ્યા કરે છે. ।। ૧૮૭ ।। ।। ૧૮૮ ।। ।। ૧૮૯ ।। ।। ૧૯૦ ।।
આત્મા કોણ છે ?– Page – 52
સ્વયંપ્રકાશ, વિજ્ઞાનમય તથા હ્રદયની અંદર પ્રાણોમાં જે પ્રકાશે છે, તે આત્મા છે. એ નિર્વિકાર ( વિકાર વગરનો ) હોવા છતાં ઉપાધિમાં રહેલો હોઈ કર્તા અને ભોક્તા ( કર્મ કરનાર અને તેનાં ફળ ભોગવનાર ) બને છે, ।। ૧૯૧ ।।
એ પરમ આત્મા મિથ્યા બુદ્ધિથી ભમીને ‘એ પોતે જ છે’ એમ માનવાને કારણે પોતે સર્વાત્મા ( સર્વરૂપ ) હોવા છતાં જેમ માટીથી ઘડા જુદા જુએ, તેમ પોતાનાથી બધું જુદું દેખે છે. ।। ૧૯૨ ।।
એ પરમ આત્મા સ્વભાવે તો એક જ રૂપે છે, તોપણ ઉપાધિના સંબંધને વશ થવાથી ‘એના ગુણો એ પોતાના જ ગુણો છે’ એમ માનીને એના ધર્મો (ઈચ્છા વગેરે) વાળો દેખાય છે. ‘જેમ લોઢાની બનેલી તપાવેલી કોઈ ચીજમાં વ્યાપેલો અવિકારી અગ્નિ, એ ચીજના આકારવાળો દેખાય છે તેમ.’ ।। ૧૯૩ ।।
મુક્તિ કેવી રીતે ? – Page – 52
શિષ્ય પૂછે છેઃ ‘હે ગુરૂદેવ ! ભ્રમને કારણે હો કે કોઈ બીજું કારણ હો, પણ પરમ આત્માને જ ‘જીવ’ બનવું પડ્યું છે, એ તો ખરી વાત; પણ એ ઉપાધિ તો અનાદિ કાળની છે, અને જે અનાદિ હોય તેનો નાશ થઈ શકે નહિ.’ ।। ૧૯૪ ।।
‘આથી આત્માને નિત્ય જીવરૂપે જ રહેવું પડે અને એનો સંસાર પણ નિત્ય હોઈ કદી દૂર ન થાય; તો હે ગુરૂદેવ ! એનો મોક્ષ કેવી રીતે થાય, એ મને કહો.’ ।। ૧૯૫ ।।
આત્માના જ્ઞાનથી જ મુક્તિ – Page – 53
ગુરૂદેવે કહ્યું : ‘હે વિદ્વાન ! તેં ઠીક પૂછ્યું. હવે સાવધાન થઈને તે સાંભળ : ભ્રમને લીધે ઊપજેલી મોહયુક્ત કલ્પના પ્રમાણભૂત હોતી નથી. ।। ૧૯૬ ।।
જેમ આકાશનો વાદળી રંગ દેખાય છે, એ માત્ર ભ્રમ જ છે, તેમ સંગ વગરના, ક્રિયા વિનાના અને આકારરહિત આત્માને કોઈ પણ પદાર્થો ( વિષયો ) સાથેનો સંબંધ ભ્રમ વિના ઘટતો જ નથી. ।। ૧૯૭ ।।
સર્વનો સાક્ષી, માયાના ગુણથી રહિત, અક્રિય ( કોઈ પણ જાતની ક્રિયા નહિ કરનાર ) અને વ્યાપક જ્ઞાન તથા આનંદસ્વરૂપ આત્માને બુદ્ધિના ભ્રમથી જે જીવપણું આવ્યું છે એ ખરૂં નથી; કારણ કે સ્વભાવથી જ એ કાંઈ વસ્તુ નથી, તેથી મોહ દૂર થતાં એ કાંઈ છે જ નહિ. ।। ૧૯૮ ।।
Page – 54
જ્યાં સુધી ભ્રમ હોય, ત્યાં સુધી જ દોરડામાં સાપ દેખાય છે, ભ્રમનો નાશ થયે સાપ છે જ નહિ; તેમ પ્રમાદને લીધે જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી જ આત્માને મિથ્યાજ્ઞાનથી પ્રકટેલું જીવપણું છે. ( ભ્રમ દૂર થતાં આત્માને જીવપણું છે જ નહિ. ) ।। ૧૯૯ ।।
માયા અને એનાં કાર્યોનું અનાદિપણું જોકે મનાય છે, પણ જેમ જાગ્યા પછી સ્વપ્ન મૂળમાંથી નાશ પામે છે, તેમ જ્ઞાન થયા પછી અવિદ્યાથી ઊપજેલું તેનું કાર્ય અનાદિ છતાં નાશ પામે છે. આ અવિદ્યાકાર્ય અનાદિ કાળનું છે, છતાં ‘પ્રાગભાવ’ ની પેઠે નિત્ય નથી એ ચોક્કસ છે. ‘પ્રાગભાવ’ અનાદિ છે, છતાં તેનો નાશ દેખાય છે. ।। ૨૦૦ ।। ।। ૨૦૧ ।।
Page – 55
કારણ કે બુદ્ધિરૂપ ઉપાધિના સંબંધથી જ આત્મામાં જીવપણાની કલ્પના થઈ છે, તે સિવાય બીજું કોઈ કારણ જ નથી; કેમ કે જીવ પોતે સ્વરૂપથી વિલક્ષણ જ છે. મિથ્યાજ્ઞાનને લીધે જ પોતાના આત્માનો બુદ્ધિ સાથે સંબંધ થયો છે. ઉત્તમ પ્રકારના જ્ઞાનથી તે સંબંધ દૂર થઈ શકે છે. બીજી કોઈ રીતે નહિ. બ્રહ્મ અને આત્મા એ બંને જુદા નથી, એક જ છે-આવું જ્ઞાન એ જ ઉત્તમ જ્ઞાન છે. આમ વેદનું માનવું છે. ( ‘હું બ્રહ્મ જ છું,’ એવું જ્ઞાન થાય છે, ત્યારે જીવપણું નાશ પામે છે. અને પછી પોતે શુદ્ધ આત્મારૂપે પ્રકાશે છે. ) ।। ૨૦૨ ।। ।। ૨૦૩ ।। ।। ૨૦૪ ।।
એ જ્ઞાન આત્મા તથા અનાત્માનો સારી રીતે વિવેક ( પૃથક્કરણ ) કરવાથી જ સિદ્ધ થાય છે; માટે એ વિવેક કરવો જોઈએ, જેથી આત્મા અને બ્રહ્મ એક જ છે, એમ સમજાય છે. ।। ૨૦૫ ।।
કાદવવાળું પાણી કાદવ દૂર થતાં જેમ ચોખ્ખું થઈ જાય છે, તેમ માયારૂપ દોષ દૂર થતાં આત્મા સ્ફુટ પ્રભાવાળો થઈ પ્રકાશે છે. ।। ૨૦૬।।
Page – 56
( જ્ઞાન દ્વારા ) અસત્ માયાની નિવૃત્તિ થાય છે, ત્યારે અંતરમાં રહેલા જીવાત્માનું પરમાત્મારૂપે સ્પષ્ટ જ્ઞાન થાય છે. માટે અહંકાર વગેરે વસ્તુને સત્-આત્મામાંથી સારી રીતે દૂર કરવી જ જોઈએ. ।। ૨૦૭ ।।
ઉપર કહેલો ‘વિજ્ઞાનમયકોશ’ પણ વિકારવાળો, જડ, અમુક માપમાં જ રહેલો, આત્મા જેને જુએ છે એવો ( દ્રશ્ય ), તથા સુષુપ્તિ અવસ્થામાં નહિ જણાતો ( વ્યભિચારી ) હોવાથી આત્મા નથી. ( કારણ કે એ અનિત્ય છે. ) અનિત્ય વસ્તુ નિત્ય હોય જ નહિ. ।। ૨૦૮ ।।
આનંદમયકોશ અનુભવાય છે ક્યારે ? – Page – 56
( અજ્ઞાનથી ઢંકાયેલા ) આ આનંદરૂપ આત્માનું જેમાં પ્રતિબિંબ પડે છે, એવી તમો ગુણવાળી વૃત્તિ એ જ ‘આનંદમયકોશ’ છે. એ પ્રિય, આનંદ અને અતિ આનંદ એવા ત્રણ ગુણવાળો છે. જ્યારે પોતાને વહાલી વસ્તુ મળી આવે, ત્યારે એ પ્રકટે છે. પોતાનાં પુણ્યકર્મનો અનુભવ થાય છે, ત્યારે પુણ્યશાળી માણસોને પોતાની મેળે જ એ ‘આનંદમયકોશ’ જણાય છે. જેમાં પ્રાણીમાત્ર પોતે આનંદરૂપ થઈ પ્રયત્ન વગર જ અતિ આનંદી બને છે. ।। ૨૦૯ ।।
Page – 57
‘આનંદમયકોશ’ નો ઉત્કટ પ્રકાશ તો સુષુપ્તિ વખતે જ હોય છે, છતાં જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ પોતાને વહાલી વસ્તુ મળતાં એનો કાંઈક પ્રકાશ થાય છે. ।। ૨૧૦ ।।
એ ‘આનંદમયકોશ’ પણ સર્વશ્રેષ્ટ આત્મા નથી; કારણ કે એ ઉપાધિવાળો, માયાથી ઊપજેલો, શુભ કર્મોનાં ફળરૂપ અને આ દેહને આશરે રહેલો છે. ।। ૨૧૧ ।।
વેદશાસ્ત્રની યુક્તિઓથી એ પાંચેય કોશોનો નિષેધ થયા પછી ( ‘नेति नेति – એ નહિ, એ નહિ‘ ) એ નિષેધની હદરૂપે જ્ઞાનસ્વરૂપ સાક્ષી આત્મા જ બાકી રહે છે. ।। ૨૧૨ ।।
જે આ સ્વયંપ્રકાશ, ‘અન્નમય’ વગેરે પાંચેય કોશોથી જુદો અને જાગૃતિ વગેરે ત્રણેય અવસ્થાનો જોનાર છતાં વિકાર વગરનો, નિર્લેપ અને નિત્ય આનંદરૂપ છે, એને જ વિદ્વાન માણસે પોતાનો શુદ્ધ આત્મા સમજવો. ।। ૨૧૩ ।।
આત્માનાં સ્વરૂપ વિષે શંકા – Page – 58
शिष्य उवाच ।
શિષ્યઃ ‘હે ગુરૂદેવ ! આ પાંચેય કોશ મિથ્યા હોવાથી આત્મા નથી એમ નિષેધ કરતાં શૂન્ય સિવાય કંઈ પણ મને દેખાતું નથી; તો બુદ્ધિમાન માણસે આ જગતમાં કઈ વસ્તુને પોતાના આત્મા તરીકે જાણવી ?’।। ૨૧૪ ।।
આત્માનું ખરૂં સ્વરૂપ – Page – 58
श्रीगुरूउवाच ।
ગુરૂઃ ‘હે વિદ્વાન ! તેં કહ્યું. વિચાર કરવામાં તું ઘણો ચતુર છે. અહંકાર વગેરે જે વિકારો છે, તે અને એનો અભાવ એ બધું જેને લીધે જાણી શકાય છે અને જે પોતે બીજા કોઈથી જાણી શકાતો નથી, એ સૌને જાણનાર આત્માને તું અતિ સૂક્ષ્મ બુદ્ધિથી જાણ.’ ।। ૨૧૫ ।। ।। ૨૧૬ ।।
જે કોઈ વસ્તુ જે કોઈ વડે અનુભવાય છે, તેનું જ સાક્ષાત્ હોવાપણું હોઈ શકે, પણ કોઈએ નહિ અનુભવેલી વસ્તુ ( શૂન્ય ) નું સાક્ષાત્ હોવાપણું ઘટી શકે નહિ. ।। ૨૧૭ ।।
આત્મા તો પોતાની જ સાક્ષીવાળો પદાર્થ છે; કારણ કે તે પોતા વડે જ અનુભવાય છે; માટે સર્વથી પર એવો પોતે જ સાક્ષાત્ આત્મા છે, બીજો કોઈ નહિ.।। ૨૧૮ ।।
Page – 59
જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણ અવસ્થામાં જે આ અતિ સ્પષ્ટ પ્રકાશે છે, જે અંતઃકરણમાં ‘હું-હું’ એમ એક જ અંતરાત્મારૂપે સદા જણાય છે તથા જે અહંકારથી માંડી માયાના અનેક આકારવાળા વિકારોને સાક્ષીરૂપે જોતો હમેશાં સત્, ચિત્ અને આનંદરૂપી હ્રદયમાં અનુભવાય છે, એને જ તું પોતાનો આત્મા જાણ. ।। ૨૧૯ ।।
ઘડાના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ જોઈને મૂઢ માણસ એને જ સૂર્ય સમજે છે, તેમ અવિવેકી ( આત્મા – અનાત્માનો ભેદ નહિ પારખનાર માણસ ) બુદ્ધિરૂપ ઉપાધિમાં રહેલા ચેતન આત્માના પ્રતિબિંબને જ ભ્રમથી એ જ ‘હું આત્મા છું’ એમ માની લે છે. ।। ૨૨૦ ।।
પણ વિદ્વાન પુરૂષ જેમ ઘડો, તેમાં ભરેલું પાણી અને એમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ ( ઓછાયો ) – એ ત્રણેયને છોડી તટસ્થ, તેઓના પ્રકાશક અને સ્વયંપ્રકાશ પોતાની મેળે પ્રકાશતા સુર્યને જુદો જ જુએ છે, તેમ આ દેહ, તેમાં રહેલી બુદ્ધિ અને તેમાં પડતું ચેતન – આત્માનું પ્રતિબિંબ ( ચિદાભાસ ) – એ ત્રણેયને છોડી તટસ્થ, તેઓનો પ્રકાશક, બુદ્ધિરૂપ ગુફામાં રહેલ, સ્વયંપ્રકાશ, સૌના દ્રષ્ટા, અખંડ જ્ઞાનવાળા, નિત્ય, દરેક ઠેકાણે રહેલા વિભુ, અતિ સૂક્ષ્મ તથા અંદર અને બહાર એવા ભેદ વગરનો આત્મા પોતાથી જુદો નથી, પણ પોતાનું જ સ્વરૂપ છે, એમ બરાબર જાણીને પુરૂષ પાપરહિત, નિર્મળ અને અમર બને છે. ।। ૨૨૧ ।। ।। ૨૨૨ ।। ।। ૨૨૩ ।।
Page – 60
જ્ઞાની પોતે કોઈ પણ હોય છતાં શોકરહિત અને આનંદસ્વરૂપ બની કોઈથીય ડરતો નથી. આમ મુમુક્ષુ માટે આત્મતત્તવનાં જ્ઞાન સિવાય આ સંસારનાં બંધનમાંથી છૂટવાનો બીજો કોઈ માર્ગ નથી. ।। ૨૨૪ ।।
‘બ્રહ્મા અને આત્મા એક જ છે’ એવું જ્ઞાન જ સંસારના બંધનથી છૂટવાનાં કારણ છે, જેથી વિદ્વાનો અદ્વિતીય આનંદસ્વરૂપ બ્રહ્મને પામે છે. ।। ૨૨૫ ।।
બ્રહ્મસ્વરૂપ થયેલો વિદ્વાન ફરી જન્મ-મરણરૂપ આ સંસારમાં આવતો નથી; માટે ‘આત્મા’ની બ્રહ્મા સાથેની એકતા સારી રીતે સમજવી. ।। ૨૨૬ ।।
બ્રહ્મ સત્ય, જ્ઞાનરૂપ અને અનંત ( અવિનાશી ) છે તથા શુદ્ધ, શ્રેષ્ઠ અને પોતાની મેળે જ સિદ્ધ છે. ( એના અસ્તિત્ત્વ વિષે એના વિના બીજા કોઈ પ્રમાણની જરૂર નથી ); તેમ જ નિત્ય, માત્ર આનંદરૂપ રસવાળું, સૌની અંદર રહેલ અને સૌથી અભિન્ન ( જુદું નહિ એવું ) તે નિરંતર સર્વોત્કૃષ્ટ છે. ।। ૨૨૭ ।।
બ્રહ્મ અને જગતની એકતા – Page – 61
આ વિશ્વ એક જ વસ્તુ બ્રહ્મરૂપ છે. કેમ કે આત્મસ્વરૂપ એ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી; આ ‘અદ્વૈત’ ખરી વસ્તુનું બરાબર જ્ઞાન થતાં ( આત્મતત્ત્વ-બ્રહ્મ સિવાય ) બીજું કાંઈ રહેતું જ નથી. ।। ૨૨૮ ।।
આ આખું જગત અનેક જુદાં જુદાં રૂપ-રંગવાળું દેખાય છે, એનું કારણ અજ્ઞાન છે. ખરી રીતે તો એ બધું સમગ્ર ભાવનારૂપ દોષ વિનાનું ( નિર્વિકલ્પ ) બ્રહ્મ જ છે. ।। ૨૨૯ ।।
ઘડો માટીમાંથી બને છે, છતાં માટીથી જુદો નથી; કારણ કે એ આખોય માટીરૂપ જ છે. ‘ઘડો’ એ શબ્દ તો માટીમાં ખોટી રીતે કલ્પેલું નામમાત્ર જ છે; તેનું રૂપ માટીથી જુદું નથી. ।। ૨૩૦ ।।
ઘડાનું સ્વરૂપ માટીથી જુદું કોઈ બતાવી શકે નહિ; માટે ‘ઘડો’ માત્ર મોહથી જ માની લીધેલો છે; ખરી રીતે તો એ માટી જ છે. ।। ૨૩૧ ।।
Page – 62
( એવી રીતે ) સત્યસ્વરૂપ બ્રહ્મથી ઊપજેલું સમગ્ર જગત માત્ર બ્રહ્મરૂપ જ છે, એથી જુદું કાઈ પણ નથી; છતાં જે એમ કહે કે, એના સિવાય એનાથી જુદું પણ કાંઈક છે. તેનો મોહ હજી ગયો નથી. એની એ વાત, ઊંઘતા માણસના બકવાદ જેવી છે. ।। ૨૩૨ ।।
‘આ આખું જગત બ્રહ્મ જ છે.’ એમ અથર્વવેદની અતિ શ્રેષ્ઠ વાણી કહે છે. માટે આ જગત માત્ર બ્રહ્મ જ છે. કારણ કે જેમાં જે વસ્તુ માત્ર માની લીધેલી હોય, તે તેનાથી જુદી હોતી જ નથી. ।। ૨૩૩ ।।
જો આ જગત સત્ય હોય, તો સત્ય વસ્તુનો તો કદી નાશ જ ન હોય; આથી જગતનો પણ અંત નહિ આવે; અને ( વેદ-ઉપનિષદ તો એમ જ કહે છે કે, ‘બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે’ એવી ) ઉપનિષદની વાત અપ્રમાણ ઠરશે; વળી વેદ કે જે ઈશ્વરની જ વાણી છે એ અપ્રમાણ ઠરતાં ઈશ્વર પોતે અસત્યવાદી ઠરશે. આમ જગતને સત્ય માનવાથી ત્રણ દોષ ( વાંધા ) આવે છે, એ મહાપુરુષો માટે સારા કે હિતકારક નથી. ।। ૨૩૪ ।।
Page – 63
વળી વસ્તુના તત્ત્વને સમજનારા ભગવાન કૃષ્મચંદ્રે આમ ચોખ્ખેચોખ્ખું કહ્યું છે કે, ‘હું આ જગતના પદાર્થોમાં રહ્યો નથી; તેમ જ એ બધા પદાર્થો મારામાં રહ્યા નથી.’ ( જો આ જગત સત્ય હોય, તો ઈશ્વરની આ વાણી ખોટી પડે. ) ।। ૨૩૫ ।।
જો આ જગત સત્ય હોત, તો સુષુપ્તિ અવસ્થામાં પણ જણાત, પણ સુષુપ્તિમાં તો કંઈ જણાતું નથી; માટે આ જગત ખોટા સ્વપ્ન જેવું મિથ્યા છે. ।। ૨૩૬ ।।
આથી જગત પરમાત્માથી જુદું નથી; છતાં જુદું જણાય છે, તે જેમ ગુણવાનથી ગુણ જુદા જેવા જણાય છે, તેમ મિથ્યા જ છે. જે વસ્તુની બીજી વસ્તુમાં માત્ર કલ્પના જ થઈ હોય, એવી ( આરોપિત ) વસ્તુનું ખરું અસ્તિત્વ શું હોય ? એ રીતે આ અધિષ્ઠાન ( જેમાં જગતની કલ્પના જ થઈ છે, તે મૂળ વસ્તુ બ્રહ્મ જ ) ભ્રમથી જગતરૂપે દેખાય છે. ।। ૨૩૭ ।।
જેમ છીપમાં ભ્રમથી દેખાતી ચાંદી છે જ નહિ, ખરી રીતે એ છીપ જ છે; તેમ ભ્રાંતિ પામેલા અજ્ઞાનીને ભ્રમરૂપ અજ્ઞાનને લીધે જે જે દેખાય છે, એ બધું બ્રહ્મ જ છે. ‘આ જગત છે’ એ વાક્યમાં ‘આ’ શબ્દ જેને લાગુ પડે છે, એ બ્રહ્મ જ છે, એ બ્રહ્મમાં જગતનો માત્ર આરોપ જ થયો છે – માત્ર કલ્પનાથી જ માની લીધેલ છે, અને તે નામ માત્ર જ છે.।। ૨૩૮ ।।
બ્રહ્માનું સ્વરૂપ – Page – 64
આથી પરબ્રહ્મ સત્, એક જ અત્યંત શુદ્ધ, જ્ઞાનમય, નિર્લેપ, અતિ શાંત, આદિ-અંત વગરનું, ક્રિયા વિનાનું અને નિરંતર આનંદસ્વરૂપ છે. ।। ૨૩૯ ।।
એ માયાના કલ્પિત સર્વ ભેદ વિનાનું, નિત્ય, સુખરૂપ, અવયવો વગરનું, પ્રમાણોથી જાણવું અશક્ય, રૂપ વિનાનું ઈંદ્રિયોથી જાણી ન શકાય એવું, નામરહિત તથા અવિનાશી તેજસ્વરૂપ છે; અને તે પોતે જ ‘આ કંઈક છે’ એમ પ્રકાશે છે. ।। ૨૪૦ ।।
ડાહ્યા માણસો, એ પરમ તત્ત્વને જ્ઞાતા ( જાણનાર ), જ્ઞેય ( જાણવાનું ) અને જ્ઞાન ( જાણવું ) – એ ત્રણે ય ભેદથી રહિત, અવિનાશી, માયાના ગુણો વગરનું અને કેવળ અખંડ ચેતન માત્ર સમજે છે. ।। ૨૪૧ ।।
‘બ્રહ્મ’ એ ‘હું’ એમ સૌનું પોતાનું જ સ્વરૂપ હોવાથી છોડી શકાય કે લઈ શકાય એવું નથી; એને મન અને વાણી સમજી કે કહી શકતાં નથી, તથા માપમાં ન આવે એવું, આદિ કે અંત વગરનું, સર્વમાં રહેલું એ મહાન તેજરૂપ છે. ।। ૨૪૨ ।।
‘મહાવાક્ય’ નો વિચાર – Page – 65

છાંદોગ્ય ઉપનિષદે ‘તે તું છે’ એ વાક્યના ‘તે’ અને ‘તું’ એ બે શબ્દથી કહેલા ‘ઈશ્વર’ અને ‘જીવ’ જ્યારે ઉપાધિરહિત બને છે, ત્યારે એ બંને એક જ છે, એમ વારંવાર સિદ્ધ કર્યું છે. ।। ૨૪૩ ।।
સૂર્ય અને પતંગિયું; રાજા અને સેવક; સમુદ્ર અને કૂવો; મેરુ અને પરમાણુ- એ બધા જેમ એકબીજાથી જુદા છે, તેમ પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળા ઈશ્વર અને જીવ બંને વાચ્ય અર્થમાં તો જુદા જ છે- પણ એ બંનેનો જે લક્ષ્ય અર્થ (ઉપાધિ વિનાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ ) છે; તે જોતાં તો બંને એક જ છે. ।। ૨૪૪ ।।
જીવ અને ઈશ્વરમાં જે વિરોધ છે એ ઉપાધિને લીધે જ છે, અને એ ઉપાધિ તો કલ્પનામાત્ર છે. ખરી રીતે છે જ નહિ. ઈશ્વરની માયા મહતત્ત્વ વગેરેનું કારણ છે અને પાંચ કોશ એ જીવનું કાર્ય છે, અર્થાત્ બ્રહ્મ પોતે જ્યારે માયાથી સૃ,ષ્ટિ રચવા ઈચ્છે છે, ત્યારે એ બ્રહ્મનું નામ ‘ઈશ્વર’ છે અને જ્યારે ‘પાંચ કોશ’રૂપી ઉપાધિમાં પડે છે, ત્યારે એ ‘જીવ’ કહેવાય છે. ।। ૨૪૫ ।।
Page – 66
માયા અને પંચકોશ એ બે ઈશ્વર અને જીવની ઉપાધિ છે, તે સારી રીતે દૂર થતાં ઈશ્વર નથી કે જીવ પણ નથી. જેમ રાજ્ય એ રાજાની ઉપાધિ છે અને ઢાલ એ લડવૈયાની ઉપાધિ છે, એ બંને દૂર થતાં કોઈ રાજા નથી કે લડવૈયો નથી. ।। ૨૪૬ ।।
‘अर्थात आदेशः’ ( बृहदारण्यक २-३-६) આ વેદ પોતે કહે છે કે, આ બ્રહ્મ ‘કાર્ય’ નથી અને ‘કારણ’ પણ નથી એમ માયા અને પંચકોશ એ બંને બ્રહ્મમાં કલ્પિત હોઈને છે જ નહિ, માટે વેદના પ્રમાણથી ગ્રહણ કરેલા જ્ઞાન વડે એ બંને છે જ નહિ, એમ તેને દૂર કરવા જ જોઈએ. ।। ૨૪૭ ।।
આ જગત નથી, નથી જ, તે કલ્પિત છે; તેથી દોરડામાં દેખાતા સાપની માફક અને સ્વપ્નની જેમ સત્ય નથી. આમ દ્રશ્ય-જગતને ઉત્તમ યુક્તિથી દૂર કરીને પછી જીવ અને ઈશ્વરની જે એકતા છે, તે સમજવી. ।। ૨૪૮ ।।
Page – 67
માટે જીવ અને ઈશ્વરને એ લક્ષણા નામની શબ્દશક્તિથી સારી પેઠે જાણવા. એ બંને એક જ અને આનંદરૂપ જ છે, એમ સિદ્ધ કરવા માટે ( ‘તે તું છે’ એ ઉપનિષદના મહાવાક્યમાં ) ‘જહતી લક્ષણા’ થી કે ‘અજહતી લક્ષણા’થી ચાલતું નથી; પણ ‘જહત્યજહતી’ નામની બેય લક્ષણા હોવી જોઈએ ( તે નીચે પ્રમાણે છે ). ।। ૨૪૯ ।।
Page – 68
‘એ દેવદત્ત આ છે.’ આ વાક્યમાં ‘એ’ અને ‘આ’ એ બેય શબ્દો જુદા જુદા હોય એમ ( ઉપર ઉપરથી ) લાગે છે છતાં બંને શબ્દના અર્થની ‘દેવદત્ત’માં જ એકતા કહેવાય છે, તેમ ‘तत् त्वम् असि – તે તું છે’ એ વાક્યમાં પણ ‘તે’ અને ‘તું’ એ બંને જુદા જુદા હોય એમ પહેલાં લાગે છે, છતાં ‘તે’ એટલે ઈશ્વર અને ‘તું’ એટલે જીવ – એ બંનેમાં રહેલી ઉપાધિરૂપ ધર્મના વિરુદ્ધ અંશ – ( સર્વજ્ઞપણું અને અલ્પજ્ઞપણું ) નો ત્યાગ કરી ચેનરૂપે બંનેની એકતા કહી છે. ।। ૨૫૦ ।।
આમ ‘ तत् त्वम् असि ’ એ વાક્યમાં ‘ લક્ષણા ’ નામની શબ્દશક્તિથી જીવાત્મા અને પરમાત્માને માત્ર ચેતનરૂપ જાણીને બુદ્ધિમાનો ‘બ્રહ્મ અખંડ છે ’ એમ સમજે છે, અને આવાં સેંકડો વાક્યોથી બ્રહ્મ અને આત્માની એકતા શાસ્ત્રોમાં કહી છે. ।। ૨૫૧ ।।
બ્રહ્મભાવના – Page – 68
જે મોટું નથી, નાનું નથી; ટૂંકું નથી, લાંબું નથી. વગેરે વેદવાક્યથી, આત્મામાં નાના – મોટાં વગેરેની અસત્ કલ્પના તજીને આકાશની જેમ બધે રહેનાર છતાં વિચારમાં આવી ન શકે એવું એ આત્મતત્ત્વ પોતાની મેળે જ સિદ્ધ થાય છે; માટે આત્મારૂપે સ્વીકારેલા આ દેહ વગેરે બધા પદાર્થો જૂઠા છે, એમ સમજી એ બધાને હવે તું આત્મા માનીશ નહિ, અને ‘હું બ્રહ્મ છું’ એમ અતિ શુદ્ધ બુદ્ધિથી સમજીને પોતાના આત્માને અખંડ જ્ઞાનસ્વરૂપ તું જાણ. ।। ૨૫૨ ।।
Page – 69
જેમ માટીમાંથી બનેલ ઘડો વગેરે કાર્ય સદાકાળ અને ચારે બાજુ માટી જ છે, તેમ સત્ થી ઊપજેલું અને સત્ રૂપ આ આખું જગત સત જ છે, કારણ કે સત્ સિવાય બીજું કાંઈ છે જ નહિ; એ જ સત્ય છે અને એ પોતે જ આત્મા છે, માટે શાંત, નિર્મળ અને એક જ જે પરબ્રહ્મ છે એ જ તું છે. ।। ૨૫૩ ।।
જેમ સ્વપ્નમાં ઊંઘને કારણે કલ્પિત દેશ, કાળ, પદાર્થો અને એ બધાંને જાણનાર – એ બધું મિથ્યા છે; એમ જાગ્રત અવસ્થામાં પણ આ જગત પોતાના અજ્ઞાનનું જ કાર્ય હોવાથી મિથ્યા જ છે. આ રીતે આ શરીર, ઈંદ્રિયો, પ્રાણ અને અહંકાર વગેરે બધું અસત્ય છે; અને તું તો શાંત, નિર્મળ અને અદ્વૈત માત્ર પરબ્રહ્મ જ છે. ।। ૨૫૪ ।।
Page – 70
જે બ્રહ્મ જાતિ, નીતિ, કુળ કે ગોત્રથી રહિત છે, નામ, રૂપ, ગુણ કે દોષ વિનાનું છે, અને દેશ, કાળ તથા વિષયથી પણ અલગ છે, તે જ તું છે – આમ તું ચિત્તમાં વિચાર કર. ।। ૨૫૫ ।।
જે માયાથી અલગ છે, જે સકળ વાણીનો વિષય નથી, પણ માત્ર નિર્મળ જ્ઞાનરૂપી આંખથી જ જેને જોઈ શકાય છે; અને જે શુદ્ધ ચેતનમય અનાદિ વસ્તુ છે, એ જ ‘બ્રહ્મ તું છે’ એમ ચિત્તમાં તું વિચાર કર. ।। ૨૫૬ ।।
ઘડપણ, મરણ વગેરે છ ( ઉર્મિઓ ) ની અસરથી રહિત, યોગીઓએ પણ હ્રદયમાં ધ્યાન કરેલું; ઈંદ્રિયોથી નહિ જણાયેલું, બુદ્ધિથી જાણવું અશક્ય અને નિર્દોષ ઐશ્વર્યવાળું જે બ્રહ્મ છે, તે તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૫૭ ।।
ભ્રાંતિથી કલ્પેલા જગતરૂપ અંશનો આધાર, પોતે જ પોતાના આધારવાળું, સત્ અને અસત્ બંનેથી અલગ, અવયવ વિનાનું, ઉપમા વગરનું ( કોઈના જેવું નથી તે ) અને પરમ સમૃદ્ધિવાળું, જે બ્રહ્મ છે, તે જ તું છે, એમ તું મનમાં વિચાર કર. ।। ૨૫૮ ।।
Page – 71
જે જન્મવું, વધવું, બદલાવું, ઘટવું, રોગી થવું અને વિનાશ પામવું – આ જાતના વિકારોથી રહિત છે, અવિનાશી છે તથા જગતની સૃષ્ટિ, રક્ષણ તથા નાશનું જે કારણ છે, એ જ બ્રહ્મ તું છે, એમ તું મનમાં વિચાર કર. ।। ૨૫૯ ।।
જેમાં ભેદ નથી અને કોઈ રક્ષણ નથી; જેમાં મોજાં ન ઊછળતાં હોય એવા જળાશય જેવું જે અચળ છે અને જે સદા મુક્ત છે તથા મૂર્તિવિભાગથી રહિત છે, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં ધ્યાન કર. ।। ૨૬૦ ।।
જે પોતે એક જ છે, છતાં અનેક પદાર્થોનું કારણ છે, અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ જ નથી, છતાં જે કાર્ય અને કારણપણાથી અલગ, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૧ ।।
જે નિશ્ચયરૂપ, માપી ન શકાય એવું, અવિનાશી, શરીર અને જીવથી વિલક્ષણ, પર, નિત્ય, અવિકારી, આનંદસ્વરૂપ તથા નિર્લેપ છે, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૨ ।।
જે પોતે હમેશાં સત્ તથા સોનાની જેમ વિકાર વગરનું છે, તેપણ ભ્રમને કારણે નામ, રૂપ, ગુણ અને વિકારરૂપે અનેક પ્રકારે દેખાય છે, એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૩ ।।
Page – 72
જેનાથી વધી જાય એવું કોઈ નથી; જે માયાથી પર-શ્રેષ્ઠ છે, તથા જે પ્રત્યેકમાં રહેલ, એકરસ અને સૌનો આત્મા છે; તથા સત્, ચિત્, આનંદરૂપ, અનંત અને અવિકારી છે; એ જ બ્રહ્મ તું છે, એમ મનમાં તું ધ્યાન કર. ।। ૨૬૪ ।।
ઉપર કહેલી વાતને તું તારી બુદ્ધિ પ્રમાણે પ્રસિદ્ધ યુક્તિઓથી મનમાં વિચાર્યા કર, તેથી તને હથેળીમાં રહેલા જળની પેઠે શંકા અને ભ્રમ વગરનું તત્ત્વજ્ઞાન થશે. ।। ૨૬૫ ।।
લશ્કરની વચ્ચે રહેલા રાજાની જેમ પાંચ ભૂતો ( પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ ) ના સમૂહરૂપે શરીરની અંદર રહેલા સ્વયંજ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્ત્વને સમજીને હમેશાં તું પોતે પોતાના એ આત્મસ્વરૂપમાં સ્થિર થા અને આખા જગતને આ બ્રહ્મમાં સમાવી દે. ।। ૨૬૬ ।।
જે સત્ નથી અને અસત્ પણ નથી; તે અદ્વિતીય સત્ય પરબ્રહ્મ બુદ્ધિરૂપ ગુફામાં બિરાજે છે, જે માણસ એ આત્માની સાથે એક જ બની દેહરૂપ ગુફામાં રહે છે, તેનો ફરી શરીરરૂપી ગુફામાં પ્રવેશ થતો નથી ( એને ફરી સંસારમાં જન્મ લેવો પડતો નથી. ) ।। ૨૬૭ ।।
વાસનાના ત્યાગની જરૂર – Page – 73
આત્મારૂપ વસ્તુ જાણ્યા પછી પણ, અનાદિ કાળની અતિ બળવાન વાસના રહી જાય તો એ વાસના જ ‘હું કર્તા છું’ અને ‘હું જ ફળ ભોગવનાર છું’ આવા ભ્રમરૂપે મજબૂત થઈ જીવને સંસારનું કારણ બને છે; માટે આત્મદ્રષ્ટિથી આત્માનું ધ્યાન કરતાં મનુષ્યે એ વાસનાનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ; કેમ કે મુનિઓ કહે છે કે, ‘વાસનાનો ત્યાગ એ જ મોક્ષ છે.’ ।। ૨૬૮ ।।
દેહ, ઈંદ્રિય વગેરે પદાર્થો ઉપર જીવને ‘હું અને મારું’ એવો જે ભાવ છે, એ જ ‘અધ્યાસ’ કહેવાય છે. આત્મામાં સ્થિતિ કરીને વિદ્વાન માણસે એને દૂર કરવો. ।। ૨૬૯ ।।
પ્રત્યેકમાં રહેલા પોતાના આત્માને બુદ્ધિ અને એની વૃ્ત્તિઓનો સાક્ષી સમજી ‘તે જ હું છું’ એવી સત્ય જ્ઞાનરૂપ વૃત્તિ વડે જડ પદાર્થો ઉપર થયેલી આત્મબુદ્ધિનો તું ત્યાગ કર. ।। ૨૭૦ ।।
Page – 74
લોકોને અનુસરવાનું છોડી;શરીરને અનુસરવાનું તજી, શાસ્ત્રોને અનુસરવાનું પણ છોડીને પછી દેહ વગેરે જડ પદાર્થો ઉપર ‘હુંપણું, મારાપણું’ એવું જે મિથ્યા જ્ઞાન છે, તેને દૂર કર. ।। ૨૭૧ ।।
લોકો પરની, શાસ્ત્રો પરની તથા દેહ પરની વાસનાથી જીવને સત્ય જ્ઞાન થતું જ નથી. ।। ૨૭૨ ।।
જે માણસ આ સંસારરૂપી કેદમાંથી છૂટવા ઈચ્છે છે, તેને ઉપર કહેલી ત્રણ વાસનાઓ પગમાં બાંધેલી લોઢાની સાંકળ જેવી છે. એમ બ્રહ્મને જાણનારા કહે છે. જે મનુષ્ય એ ત્રણે વાસનાઓથી છૂટે છે તે મુક્તિ પામે છે. ।। ૨૭૩ ।।
જેમ સુખડ ઉપર જળ વગેરેના સંબંધથી ઉત્પન્ન થયેલી દુર્ગંધથી તેની દિવ્ય સુગંધ આવતી નથી, પણ જ્યારે એ સુખડને ખૂબ ઘસીને બહારની દુર્ગંધને સારી રીતે દૂર કરવામાં આવે છે, ત્યારે જ સુગંધ આવવા લાગે છે; તેમ અંતરમાં રહેલા પરમાત્મા પરની વાસના, હ્રદયમાં રહેલી અનંત દુરંત વાસનાઓરૂપી ધૂળથી દટાઈ ગઈ છે; તેને ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપી ઘર્ષણથી જ્યારે સારી રીતે દૂર કરવામાં આવે છે, ત્યારે પેલા ચંદનની સુગંધની પેઠે સ્પષ્ટ સ્વરૂપે તે જણાય છે.।। ૨૭૪ ।। ।। ૨૭૫ ।।
Page – 75
જડ પદાર્થો પરની વાસનાઓનાં જાળાંથી આત્મા પરની વાસના ઢંકાઈ ગઈ છે; માટે હમેશાં આત્માનું ચિંતન કરવાથી તે વાસનાઓનો નાશ થતાં આત્મા ઉપરની વાસના પોતાની મેળે સ્પષ્ટ પ્રકટે છે. ।। ૨૭૬ ।।
જેમ જેમ મન આત્માના ધ્યાનમાં સ્થિર થાય છે, તેમ તેમ બહારના પદાર્થોની વાસનાને તે છોડતું જાય છે. અને પછી બધી વાસનાઓ છૂટી જાય છે, ત્યારે આત્માનો અસ્ખલિત અનુભવ થવા લાગે છે. ।। ૨૭૭ ।।
ભ્રમના ત્યાગની જરૂર – Page – 75
આત્માના સ્વરૂપમાં જ સદા સ્થિર થવાથી યોગનું મન નાશ પામે છે અને વાસનાઓનો પણ નાશ થાય છે; માટે તું તારા દેહ ઉપરની ‘હું’ પણાની ભ્રાંતિને દૂર કર. ।। ૨૭૮ ।।
રજોગુણ અને સત્વગુણથી તમોગુણ નાશ પામે છે; સત્વગુણથી રજોગુણ નાશ પામે છે; તથા શુદ્ધ સત્વગુણથી ( મિશ્ર ) સત્વગુણ નાશ પામે છે; માટે શુદ્ધ સત્વગુણનો આશ્રય કરી તારા ભ્રમને તું દૂર કર. ।। ૨૭૯ ।।
Page – 76
પ્રારબ્ધકર્મ જ શરીરનું પોષણ કરે છે, એમ નિશ્ચય કરી સ્થિર થઈ ધીરજ ધરીને યત્નપૂર્વક પોતાના ભ્રમને તું દૂર કર. ।। ૨૮૦ ।।
‘હું જીવ નથી પણ શુદ્ધ બ્રહ્મ જ છું’ એમ પ્રથમ પોતાના જીવભાવને દૂર કર્યા પછી વાસનાના વેગથી ઊપજેલા પોતાના ભ્રમને તું દૂર કર. ।। ૨૮૧ ।।
‘सर्वं खल्विदं ब्रह्म – આ બધું બ્રહ્મ છે’ આવાં વેદવાક્યથી, યુક્તિથી અને પોતાના અનુભવથી ‘આત્મા જ સર્વસ્વરૂપ છે’ એમ સમજીને દેહાદિ પરના મિથ્યાભાસથી કોઈ કાળે ઊપજેલી તારી ભ્રાંતિને તું દૂર કર. ।। ૨૮૨ ।।
આત્મજ્ઞાની માટે કોઈ પણ વસ્તુ લેવાથી કે છોડી દેવાથી લગારે ક્રિયા રહેતી નથી; માટે હમેશાં આત્મા ઉપર જ શ્રદ્ધા કરીને પોતાનો ભ્રમ તું દૂર કર. ।। ૨૮૩ ।।
‘तत्वमसि – તે તું છે’ વગેરે મહાવાક્યોથી ઊપજેલા આત્મા અને બ્રહ્મના એકપણાના જ્ઞાનથી બ્રહ્મમાં જ આત્માપણું દ્રઢ કરવાને તું તારી ભ્રાંતિને દૂર કર. ।। ૨૮૪ ।।
Page – 77
‘આ દેહ છે એ જ હું છું’ એવી જાતનું દેહ ઉપર રહેલું ‘હુંપણું’ સંપૂર્ણ નાશ પામે, ત્યાં સુધી સાવધાન થઈ ચિત્તને સ્થિર કરી તારી ભ્રાંતિને તું દૂર કર. ।। ૨૮૫ ।।
હે વિદ્વાન ! જ્યાં સુધી આ જીવ અને જગત સ્વપ્નની જેમ તને જણાયા કરે, ત્યાં સુધી તું નિરંતર એ ભ્રમને દૂર કર્યા કર. ।। ૨૮૬ ।।
ઊંઘમાં, વાતચીતમાં, શબ્દ, સ્પર્શ, રૂપ રસ, ગંધ વગેરે વિષયોના અનુભવમાં અને આત્માના વિસ્મરણમાં કદી સમય ગાળ્યા વિના હ્રદયમાં તું આત્માનું જ ચિંતન કર્યા કર. ।। ૨૮૭ ।।
માતા અને પિતાના ( રજ અને વીર્યરૂપ ) મેલથી ઊપજેલું શરીર મળ-માંસથી ભરેલું છે, તેને ચાંડાલની પેઠે દૂર તજી-એના ઉપરનું ‘હુંપણું’ છોડી, બ્રહ્મસ્વરૂપ થઈ તું કૃતાર્થ થા. ।। ૨૮૮ ।।
હે વિચાર કરનાર વિદ્વાન ! ઘડો ફૂટી જવાથી જેમ ઘડાની અંદર રહેલું આકાશ, બહારના આકાશમાં મળી જાય છે, તેમ તું તારા આત્માને પરમાત્મામાં અખંડપણે એક કરી દઈ સદાને માટે શાંત થા. ।। ૨૮૧ ।।
Page – 78
સ્વયંપ્રકાશ અને સર્વનું મૂળસ્થાન જે બ્રહ્મ છે, તે રૂપે, તું પોતે જ સદા થઈને, પછી શરીરને તથા બ્રહ્માંડને પણ કચરાના ટોપલાની માફક ફેંકી દે-એના ઉપરનો મોહ દૂર કર. ।। ૨૯૦ ।।
દેહ ઉપર જે હુંપણાની બુદ્ધિ રૂઢ થઈ છે, તેને સદા આનંદ અને ચેતનરૂપ આત્મા ઉપર સ્થાપીને તથા ‘સૂક્ષ્મ શરીર’નો પણ ત્યાગ કરી તું કેવળ બ્રહ્મરૂપે જ સદા રહે. ।। ૨૯૧ ।।
જેમ દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતું નગર માત્ર આભાસ જ છે, તેમ બ્રહ્મમાં દેખાતું આ જગત માત્ર આભાસ જ છે, એમ સમજીને તું કૃતાર્થ થઈશ. ।। ૨૯૨ ।।
જે સત્યસ્વરૂપ, ચેતન, માત્ર એક જ, આનંદરૂપ અને ક્રિયા વગરનું છે, એ બ્રહ્મ જ પોતાનું મૂળસ્વરૂપ છે, એમ તે સ્વરૂપ થઈ, જેમ નાટક કરનારો માણસ પોતાનો બનાવટી વેશ છોડી દે છે, તેમ તું આ મિથ્યા દેહને તજી દે અર્થાત્ તેના પરના અભિમાનને છોડી દે. ।। ૨૯૩ ।।
‘હું’ શબ્દનો અર્થ – Page – 79
આ જે દેખાય છે, તે જગત ( તથા શરીર વગેરે ) મિથ્યા ભ્રમ જ છે તથા ક્ષણિક છે; ક્ષણે ક્ષણે બદલાયા કરે છે; એથી એ (શરીર વગેરે) ‘હું’ શબ્દનો અર્થ હોઈ શકે નહિ; કારણ કે અહંકાર વગેરે ક્ષણિક તત્ત્વોને ‘હું બધું જણું છું’ એવું જ્ઞાન કેમ થઈ શકે ? ।। ૨૯૪ ।।
જે અહંકાર વગેરેનો પણ સાક્ષી (જોનાર) છે, એ જ ‘હું’ શબ્દનો અર્થ (આત્મા ) છે; કારણ કે સુષુપ્તિ અવસ્થામાં પણ નિત્ય એની હયાતી હોય છે. વેદ પોતે પણ એને ‘अजो नित्यः शाश्वतोयम्- જેનો જન્મ જ નથી, જે અનાદિ કાળથી છે તથા નિત્ય છે’ એમ કહે છે; માટે અંતરાત્મા કાર્ય તથા કારણથી જુદો છે. ।। ૨૯૫ ।।
એ આત્મા, વિકારી વસ્તુના સર્વ વિકારને જાણનાર, નિત્ય અને વિકાર વગરનો હોવો જોઈએ. આ શરીર તથા અહંકાર બન્ને મનના વિચારો વખતે, સ્વપ્નમાં અને સુષુપ્તિના વખતે વારંવાર સ્પષ્ટ દેખાતા જ નથી, (એથી એને આત્મા કેમ કહેવાય ? ) ।। ૨૯૬ ।।
માટે માંસના પિંડારૂપ આ શરીર વિષે તથા એના અભિમાની બુદ્ધિકલ્પિત અહંકાર વગેરે ઉપર ‘હું’પણાનું અભિમાન તું છોડી દે; અને પોતાના આત્માને (ભૂત, વર્તમાન તથા ભવિષ્ય) ત્રણે કાળમાં રહેનાર અને અખંડ જ્ઞાનસ્વરૂપ સમજી શાંતિ પામ. ।। ૨૯૭ ।।
Page – 80
કુળ, ગોત્ર, નામ, રૂપ અને આશ્રમ – એ બધાંનું અભિમાન તું છોડી દે, કારણ કે એ તો તરતના મુડદા જેવા શરીરને જ આધારે રહેલાં છે; તેમ જ કર્તાપણું અને ભોક્તાપણું વગેરે જે લિંગશરીરના ધર્મો છે એને પણ છોડીને અખંડ સુખસ્વરૂપ થા. ।। ૨૯૮ ।।
અહંકાર સંસારનું મૂળ છે – Page – 80
માણસને સંસારનાં કારણ। બીજાં અનેક બંધનો જોવામાં આવ્યાં છે, એ બધાંનું એક મૂળ પહેલો વિકાર અહંકાર જ છે (કારણ કે ‘હુંપણું’ આવવાથી જ અજ્ઞાનનું જોર વધે છે. ) ।। ૨૯૯ ।।
જ્યાં સુધી દુષ્ટ અહંકારનો આત્માને સંબંધ છે, ત્યાં સુધી મુક્તિની અદભુત વાત લેશમાત્ર પણ સંભવતી નથી. ।। ૩૦૦ ।।
આત્મારૂપી ચંદ્રને અહંકારરૂપી રાહુએ ઘેરી લીધો છે; એનાથી છૂટ્યા પછી તે, ચંદ્રની જેમ નિર્મળ, પરિપૂર્ણ, નિત્ય, આનંદસ્વરૂપ અને સ્વયંપ્રકાશ થઈ પોતાનું સ્વરૂપ પામે છે. ।। ૩૦૧ ।।
Page – 81
તમોગુણથી અતિ મૂઢ બનેલી બુદ્ધિએ જ કલ્પેલું ‘હુપણું’ આ શરીર પર જણાય છે; અને એ જ અહંકાર છે; તેનો સંપૂર્ણ નાશ થાય, ત્યારે જ ‘બ્રહ્મ એ આત્મા જ છે’ એમ અખંડ જ્ઞાન થાય છે. ।। ૩૦૨ ।।
બ્રહ્મનો આનંદ એ એક ખજાનો છે, પણ મહાબળવાન અને ભયંકર અહંકારરૂપી સર્પ, ત્રણ ગુણરૂપી ઉગ્ર પોતાનાં મસ્તકો વડે એ ખજાનાને વીંટાઈ વળીને પોતામાં રાખી બેઠો છે; પણ જ્યારે ધીર પુરૂષ અનુભવજ્ઞારૂપી મોટી તીક્ષ્ણ તલવારથી એ ત્રણેય માથાંને કાપી નાખી એ સાપનો નાશ કરે છે, ત્યારે જ પરમ સુખકારક એ ધનભંડારને ભોગવી શકે છે. ।। ૩૦૩ ।।
જ્યાં સુધી શરીરમાં થોડું પણ ઝેર રહી ગયું હોય ત્યાં સુધી આરોગ્ય કેવી રીતે થાય ? એમ થોડો પણ અહંકાર રહી ગયો હોય, ત્યાં સુધી યોગીની મુક્તિ કેમ થાય ? ।। ૩૦૪ ।।
Page – 82
અહંકાર અત્યંત દૂર થાય, ત્યારે જ એનાથી ઊપજેલા અનેક તર્કવિતર્કો નાશ પામે છે; અને પછી આત્મતત્વનું જ્ઞાન થવાથી ‘ આ આત્મા તે જ હું છું ’ એમ તત્વ સમજે છે. ।। ૩૦૫ ।।
અહંબાવ કરનાર, વિકારરૂપ, આત્માના પ્રતિબિંબવાળો અને આત્માનું સ્વરૂપ ચોરી લેનારા આ અહંકાર ઉપરની ‘ હું ’ પણાની બુદ્ધિને તરત તું તજી દે; કેમ કે એ ઉપરના ‘ હું ’ પણાના ભ્રમથી જ તને જન્મ-મરણ અને ઘડપણનાં દુઃખથી ભરેલો આ સંસાર પ્રાપ્ત થયો છે; કારણ કે તું તો ચૈતન્યમૂર્તિ આનંદરૂપ અંતરાત્મા જ છે. ।। ૩૦૬ ।।
જો એ અહંકાર ઉપરનો અહંભાવરૂપ ભ્રમ ન હોય તો સદા એકરૂપ, ચેતન, બધે ઠેકાણે રહેનાર, આનંદરૂપ, નિર્દોષ કીર્તિવાળા અને અવિકારી તને-આત્માને સંસાર કદી હોય જ નહિ. ।। ૩૦૭ ।।
માટે જમવા બેઠેલા માણસના ગળામાં જેમ કાંટો ખટકે તેમ ખટકતા આ અહંકારરૂપી પોતાના શત્રુને અનુભવરૂપી મોટી તલવારથી કાપી નાખી આત્માના સામ્રાજ્યનું ખુલ્લું સુખ તું ઈચ્છા પ્રમાણે ભોગવ. ।। ૩૦૮ ।।
Page – 83
પછી અહંકાર વગેરેની ( કર્તાપણું-ભોગવનારપણું ) વગેરે વૃત્તિઓને દૂર કરી, બ્રહ્મજ્ઞાનરૂપ પરમ વસ્તુનો લાભ થવાથી વિષયોની પ્રીતિ તજીને, આત્મસુખના અનુભવથી તર્ક વિતર્ક ચોડી મૌન રહીને પૂર્ણ સ્વરૂપે બ્રહ્મમાં જ સ્થિતિ કર. ।। ૩૦૯ ।।
આ મહાન અહંકાર મૂળમાંથી ઊખડી ગયો હોય, તોપણ ચિત્ત દ્વારા જો ક્ષણવાર પણ પ્રેરણા પામે, તો ફરી જીવતો થઈને જેમ ચોમાસામાં પવનથી પ્રેરણા પામેલાં વાદળાં અનેક જાતનું નુકસાન કરે છે, તેમ સેંકડો વિક્ષેપ કરે છે-સાધકને અનેક પ્રકારે ભમાવી દે છે. ।। ૩૧૦ ।।
માટે એ અહંકારરૂપ શત્રુને બરાબર વશ કર્યા પછી ફરી વિષયોના ચિંતન દ્વારા કદી એને તક જ ન આપવી; કારણ કે જેમ સુકાઈ ગયેલા બિજોરાના ઝાડને પાણી ફરી તાજું કરે છે, તેમ એ રીતે આપેલી તક જ આપણને ફરી તાજો કરે છે. ।। ૩૧૧ ।।
ક્રિયા, વિષયચિંતન અને વાસનાનો ત્યાગ – Page – 83
જે માણસ દેહને જ આત્મા માની બેઠો છે, એને જ અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે; પણ જેને દેહની સાથે સંબંધ જ ન હોય, તેને વિષયની ઈચ્છા કેમ થાય ? (આત્મા સિવાય બીજી વસ્તુઓ પણ જગતમાં છે, એવી ) ભેદબુદ્ધિથી જ વિષયનું ચિંતન થાય છે અને એ જ સંસારબંધનનું કારણ છે. ।। ૩૧૨ ।।
Page – 84
કાર્યોને વધાર્યે જવાથી જ તેનાં બીજની પણ વૃદ્ધિ દેખાય છે; ( જેમ વૃક્ષોનો વધારો થાય તેમ તેનાં બીજ પણ વધે જ ) અને કાર્યોનો નાશ કરવાથી તેઓનાં બીજ પણ નાશ પામે છે; માટે ( સૌની પહેલાં ) કાર્યો જ બંધ કરી દેવાં. ।। ૩૧૩ ।।
વળી વાસના વધવાથી જ કાર્યો વધે છે અને કાર્યો વધવાથી વાસના વધે છે; આમ થતાં મનુષ્યનો સંસાર સર્વ પ્રકારે વધે જ છે; પણ અટકતો નથી. ।। ૩૧૪ ।।
માટે સંયમી માણસે સંસારરૂપી બંધનને કાપવા માટે વાસના અને કાર્ય એ બન્નેને બાળી નાખવાં જોઈએ; કેમ કે મનના વિચાર અને બહારની ક્રિયા, એ બન્નેથી જ ( વિષયોની ) વાસના વધે છે. ।। ૩૧૫ ।।
( એમ ) એ બન્નેથી વધતી તે વાસના આત્માને સંસાર ઉત્પન્ન કરે છે, માટે હરકોઈ અવસ્થામાં ( વિષયવાસના, વિષયોનો વિચાર અને વિષયો માટેની બહારની ક્રિયા ) એ ત્રણેનો નાશ કરવાનો આ ઉપાય હમેશાં કરવો જોઈએ. દરેક ઠેકાણે, દરેક રીતે, માત્ર બ્રહ્મરૂપે જોવું, એ બ્રહ્મવાસના છે; એ બ્રહ્મવાસના દ્રઢ થવાથી ઉપર જણાવેલી ત્રણે વસ્તુ નાશ પામે છે. ।। ૩૧૬ ।। ।। ૩૧૭ ।।
Page – 85
ક્રિયાઓનો નાશ થયાં વિષયના ચિંતનનો નાશ થાય છે અને એ વિષયચિંતનનો નાશ થતાં વાસના પણ નાશ પામે છે, એમ વાસનાનો જે નાશ, એ જ મોક્ષ છે; અને એ જ જીવનમુક્તિ કહેવાય છે. ।। ૩૧૮ ।।
અરૂણનું અજવાળું થતાં જ જેમ રત્ન વિના ઘોર અંધારી રાતનો સારી રીતે નાશ થાય છે, તેમ બ્રહ્મવાસના પ્રકટ થતાં જ મોટામાં મોટી પણ અહંકાર વગેરેની વાસના નાશ પામે છે. ।। ૩૧૯ ।।
જેમ સૂર્ય ઊગ્યા પછી અંધારૂં કે અંધારામાં થતા ‘ચોરી’ વગેરે અનર્થ દેખાતા જ નથી, તેમ અદ્વૈતઆત્માના આનંદનો રસ અનુભવ્યા પછી સંસારરૂપ બંધન કે દુઃખની ગંધ પણ રહેતાં નથી જ. ।। ૩૨૦ ।।
તારૂં પ્રારબ્ધ ( કરેલાં ) કર્મરૂપ બંધન હજી જો બાકી હોય તો દેખાતા આ જગતને બ્રહ્મની અંદર સમાવવાનો પ્રયત્ન કર; તથા બહાર અને ચિત્તની અંદર સાવધાન રહી પોતાના આનંદમય સ્વરૂપનું ચિંતન કરતો સમય વિતાવ. ।। ૩૨૧ ।।
પ્રમાદના ત્યાગની જરૂર – Page – 86
બ્રહ્મ વિષે સ્થિતિ કરવામાં ક્યારેય ભૂલ ન કરવી; કારણ કે બ્રહ્માના પુત્ર ભગવાન સનત્કુમારે કહ્યું છે કે, ‘ભૂલ એ મરણ જ છે.’ ।। ૩૨૨ ।।
સમજુ માણસે બ્રહ્મચિંતનમાં ભૂલ કરવી; એનાથી બીજું કોઈ નુકસાન નથી; કારણ કે એથી મોહ ઊપજે છે; મોહથી બુદ્ધિ અહંકારયુક્ત થાય છે; તેથી બંધન અને તેથી દુઃખ થાય છે. ।। ૩૨૩ ।।
જેમ કોઈ કુલટા સ્ત્રી તેના જાર પુરૂષને બુદ્ધિના દોષને લીધે ભમાવી મૂકે છે, તેમ માણસ વિદ્વાન હોય, તોપણ જો વિષયોમાં જોડાય, તો તેને આત્માની વિસ્મૃતિ, બુદ્ધિના દોષોને લીધે ભમાવી મૂકે છે. ।। ૩૨૪ ।।
જેમ પાણી ઉપરની ઘણી શેવાળ ક્ષણ વાર પણ દૂર થતી નથી, પરંતુ પથરાઈને પાણીને ઢાંકી દે છે તેમ આત્માનો વિચાર ન કરનાર માણસ વિદ્વાન હોય તોપણ માયા એને ઘેરી લે છે. ।। ૩૨૫ ।।
Page – 87
જેમ હાથમાંથી છૂટી પડેલો રમવાનો દડો સીડી ઉપર પડતાં એક પછી એક પગથિયાં ઊતરતો ઠેઠ નીચે પડે છે, તેમ ચિત્ત પ્રમાદને લીધે આત્મચિંતનથી ચૂકીને લગાર પણ વિષયોમાં પડી જાય, તો ત્યાંથી પડતું પડતું છેક અધોગતિએ પહોંચે છે. ।। ૩૨૬ ।।
વિષયોમાં પેસતું ચિત્ત એના ગુણોનો જ વિચાર કરે છે; અને એમ નિરંતર ચિંતન કરવાથી એ વિષયોની ઈચ્છા કરે છે; અને પછી એ ઈચ્છા પૂરી કરવા માટે માણસ પ્રવૃત્તિ કરે છે. ।। ૩૨૭ ।।
પછી માણસ આત્માનું સ્વરૂપ ચૂકે છે અને એમ ચૂકેલો તે અધઃપતન પામે છે. એ રીતે પડેલા તે માણસનો નાશ થયા વિના ફરી તેનું ઉપર ચઢવું દેખાતું નથી; માટે દરેક અનર્થનું કારણ સંકલ્પ ( વિષયોના વિચાર ) નો ત્યાગ કરવો. ।। ૩૨૮ ।।
માટે વિવેકી અને બ્રહ્મજ્ઞાની માણસને આત્માના ચિંતનમાં પ્રમાદ ( આળસ – આત્મચિંતનનું વિસ્મરણ ) વિના બીજું કોઈ મરણ નથી – પ્રમાદ એ જ તેનું મરણ છે, ચિત્તને આત્મચિંતનમાં જોડનાર માણસ જ મુક્તિને પામે છે; માટે તું સાવધાન બની ચિત્તને આત્મામાં જ લગાડી દે. ।। ૩૨૯ ।।
ભેદદ્રષ્ટિનો ત્યાગ – Page – 88
જેની જીવતાં જ મુક્તિ થઈ હોય, તે જ દેહ પડ્યા પછી શુદ્ધ બ્રહ્મસ્વરૂપ થાય છે; માટે જીવતાં જે થોડો પણ બ્રહ્મ વિષે ભેદ ( બ્રહ્મ સિવાય પણ બીજું કાંઈ છે, એમ ) જુએ છે, તેને ફરી જન્મ – મરણનો ભય છે જ, એમ યજુર્વેદ કહે છે. ।। ૩૩૦ ।।
હરકોઈ સમયે એ જ્ઞાની અનંત બ્રહ્મમાં જરા પણ ભેદ જુએ છે, એટલે તે જ વખતે તેને સંસારનો ભય પ્રાપ્ત થાય જ છે; કારણ કે પ્રમાદથી ભેદદ્રષ્ટિ થવાને લીધે જ સંસારનો ભય દેખાય છે. ।। ૩૩૧ ।।
વેદ, સ્મૃતિ અને સેંકડો યુક્તિઓથી આ દેખાતું જગત મિથ્યા કહેવાયું છે; છતાં દેહ વગેરે પદાર્થો ઉપર જે આત્મબુદ્ધિ કરે છે, તે ન કરવાનું કરનાર ચોરની પેઠે ઉપરાઉપરી દુઃખો પામે છે. ।। ૩૩૨ ।।
જે માણસ સત્ય-બ્રહ્મનું જ ચિંતન કરે છે, એ મુક્ત થઈને સદાકાળની પોતાની મોટાઈને પામે છે; પણ જે મિથ્યા જગતનું જ ચિંતન કરે છે, તે નાશ પામે છે; આ વસ્તુ સજ્જન અને ચોરમાં દેખાય છે. ( સજ્જન માણસ સાચું જ વિચારે છે, બોલે છે અને આચરે છે; તેથી લોકમાં પ્રમાણિક મનાઈને આનંદ કરે છે; પણ ચોર ખોટું ને ખરાબ જ વિચારે છે, બોલે છે ને આચરે છે; તેથી જેલ ભેગો થઈ દુઃખી થાય છે. ) ।। ૩૩૩ ।।
Page – 89
માટે જીતેન્દ્રિય મનુષ્યે સંસારબંધનનું કારણ ખોટા સંકલ્પો અને ભેદદ્રષ્ટિ તજીને ‘ હું સાક્ષાત્ બ્રહ્મ જ છું ’ એમ આત્મદ્રષ્ટિ કરીને જ રહેવું જોઈએ; કરાણ કે પોતાના અનુભવથી થયેલો બ્રહ્મ વિષેનો પ્રેમ સુખ આપે છે અને માયાના પ્રપંચથી ઊપજેલાં જાણીતાં દુઃખ દૂર કરે છે. ।। ૩૩૪ ।।
દુનિયાના વિષયનું ચિંતન, દુષ્ટ વાસનારૂપ ફળને અધિકાધિક વધાર્યે જાય છે; માટે વિવેકજ્ઞાનથી આત્માનું સ્વરૂપ સમજીને દુનિયાના પદાર્થો છોડી હમેશાં પોતાના આત્માનું જ ધ્યાન કરવું. ।। ૩૩૫ ।।
બહારના વિષયો ત્યજતાં મન નિર્મળ થાય છે અને મન શુદ્ધ થતાં પરમાત્માનું દર્શન થાય છે; અને તે પરમાત્માનું દર્શન સારી રીતે થયા પછી સંસારરૂપ બંધન નાશ પામે છે; આમ બહારના વિષયો છોડવા એ જ મુક્તિનો માર્ગ છે. ।। ૩૩૬ ।।
Page – 90
કયો બુદ્ધિમાન સત્ – અસત્ પદાર્થોને સમજતો હોય, વેદનાં વચનોને માનતો હોય, પરમ સત્ય આત્મતત્ત્વને જોતો હોય અને મુક્તિને ઈચ્છતો હોય, છતાં જાણી જોઈને બાળકની પેઠે પોતાના પતન માટે મિથ્યા પદાર્થોમાં ફસાય ? ।। ૩૩૭ ।।
જેને દેહ વગેરે જડ પદાર્થો ઉપર મોહ હોય, તેની મુક્તિ થતી નથી; અને જે જીવતાં જ મુક્તિ પામ્યો હોય, તેની દેહ વગેરે પદાર્થો ઉપર ‘હું પણું’ થતું નથી; જેમ ઊંઘતા માણસને જાગ્રત અવસ્થાની ખબર હોતી નથી; અને જે જાગે છે, તેને સ્વપ્ન આવતાં નથી; કારણ કે એ બેય અવસ્થાઓ ( બંધ-મોક્ષ તથા સ્વપ્ન-જાગ્રત ) જુદા જુદા ગુણવાળી છે. ।। ૩૩૮ ।।
જીવનમુક્ત કોણ ? – Page – 90
સ્થાવર અને જંગમ દરેક પદાર્થમાં અંદર અને બહાર પોતાને જ જ્ઞાનસ્વરૂપે તથા આધારરૂપે રહેલો જે જુએ છે અને દરેક ઉપાધિ છોડી અખંડ અને પરિપૂર્ણ આત્મારૂપે જે રહ્યો હોય, એ જીવતાં જ મુક્ત છે. ।। ૩૩૯ ।।
આત્મપ્રેમ – Page – 90
દરેક ઉપર આત્મદ્રષ્ટિ કરવી, એ જ સંસારબંધનથી છૂટવામાં કારણ છે; આ સર્વત્મભાવથી બીજો કોઈ ઉપાય નથી; અને દરેક ઉપરની એ આત્મદ્રષ્ટિ દેખાતા પદાર્થોનું ગ્રહણ ન થાય; પણ હમેશાં આત્મામાં જ સ્થિતિ કરવામાં આવે ત્યારે થાય છે. ।। ૩૪૦ ।।
Page – 91
જે માણસ દેહને જ આત્મા માને અને દુનિયાના પદાર્થોનો અનુભવ કરવામાં જ આસક્ત મનવાળો રહી તે તે ક્રિયા કર્યા કરે, તેને ‘આ સંસાર છે જ નહિ’ એમ ક્યાંથી સમજાય ? માટે નિત્ય આનંદને ઈચ્છતા તત્ત્વવેત્તાઓએ દરેક ધર્મ., કર્મ અને વિષયોનો ત્યાગ કરી નિરંતર આત્મા ઉપર જ પ્રેમ કરવો અને આત્માની અંદર દેખાતું આ જગત યત્નથી ગ્રહણ ન કરવું. ।। ૩૪૧ ।।
જેણે વેદાંતશ્રવણ કર્યું હોય, એવા સંન્યાસીને દરેક ઉપર આત્મદ્રષ્ટિ થવા માટે વેદ આવી સમાધિ શીખવે છે. કે તેણે શમ, દમ અને ઉપરતિવાળા થવું. ( એટલે ચિત્તને શાંત કરવું, ઇંદ્રિયોને વિષયોથી રોકવી, ચિત્તની વૃત્તિને સ્થિર કરવી; તેમ જ સહન કરતાં શીખવું અને મનને સ્થિર કરી અંતઃકરણમાં જ આત્માને જોવો. ) ।। ૩૪૨ ।।
‘અહંકારનો ત્યાગ’ ઘણો જ મુશ્કેલ છે – Page – 91
જેની શક્તિ જામેલી છે, એવા અહંકારનો એકદમ નાશ કરવો તે પંડિતો માટે પણ શક્ય નથી; કેમ કે જેઓ નિર્વિકલ્પ સમાધિમાં નિશ્ચળ થયા હોય છે, તેવા પુરૂષોને પણ અનંત જન્મોની વાસનાઓ વચ્ચે વચ્ચે આવી જાય છે. ।। ૩૪૩ ।।
‘ વિક્ષેપશક્તિ ‘ નું બળ – Page – 92
રજોગુણની ‘વિક્ષેપ’ શક્તિ તમોગુણની ‘આવરણ’ શક્તિના બળથી માણસને મોહ પમાડનારી અહંકારબુદ્ધિ સાથે જોડી દઈ તેના ગુણોથી ભમાવે છે. ।। ૩૪૪ ।।
‘ આવરણશક્તિ ‘ નું બળ – Page – 92
‘આવરણ’ શક્તિને સંપૂર્ણ દૂર કર્યા વગર ‘વિક્ષેપ’ શક્તિને જીતવી કઠણ છે. જેમ દૂધ અને પાણી એ જુદી જુદી વસ્તુ છે, તેમ આત્મા અને જગત એ બંને જુદી જુદી વસ્તુ છે, એવું સ્પષ્ટ જ્ઞાન થયા પછી આત્મા ઉપર જામેલી ‘આવરણ’ શક્તિ પોતાની મેળે જ નાશ પામે છે. પછી જૂઠા સાંસારિક પદાર્થો ઉપર મોહ ન ઊપજે, તો અવશ્ય સંસારરૂપ બંધનથી રહિત થાય છે. ।। ૩૪૫ ।।
વિવેકથી મુક્તિ – Page – 93
આ આત્મા એ દ્રષ્ટા ( જગતને જોનાર ) છે અને આ જડ પદાર્થો એ દ્રશ્ય છે – આ વિભાગ કરી સ્પષ્ટ જ્ઞાનથી ઊપજેલો ઉત્તમ વિવેક માયાએ કરેલું મોહબંધન કાપી નાખે છે, જેથી મુક્ત થયેલા માણસને ફરી સંસાર પ્રાપ્ત થતો નથી. ।। ૩૪૬ ।।
સત્ય જ્ઞાન – Page – 93
બ્રહ્મ અને આત્મા એક જ છે, એ જ્ઞાનરૂપ અગ્નિ માયારૂપી વનને સંપૂર્ણ બાળી નાખે છે; પછી એ અદ્વૈત ( આત્મા અને બ્રહ્મની એકતા ) ભાવને પામેલા જીવમાં ફરી સંસારનું બીજ શું થાય છે ? ( નથી જ થતું. ) ।। ૩૪૭ ।।
આત્મારૂપ ઉત્તમ પદાર્થના દર્શનથી ( માયાનું ) આવરણ દૂર થાય છે, એથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે અને ‘વિક્ષેપ’ શક્તિથી ઊપજતું દુઃખ અટકી જાય છે. ।। ૩૪૮ ।।
માણસ જ્યારે સમજે છે કે, હું જેને સાપ માનતો હતો, તે સાપ ન હતો, પણ દોરડું જ હતું, ત્યારે દોરડાનું અજ્ઞાન ( આવરણ ), સર્પનો ભ્રમ ( મિથ્યાજ્ઞાન ) અને સર્પથી બીક ( વિક્ષેપ ) – એ ત્રણેનો નાશ દેખાય છે; માટે આ સંસારબંધનથી છૂટવા સારૂ વિદ્વાને આત્મવસ્તુના રહસ્યને જાણવું જોઈએ. ।। ૩૪૯ ।।
Page – 94
જેમ અગ્નિના સંબંધથી ( તપેલું ) લોઢું અગ્નિ જેવું જ દેખાય છે, તેમ આત્માના સંબંધથી જ બુદ્ધિ આત્માના ધર્મવાળી ( દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપે ) દેખાય છે; પણ ભ્રાંતિ, સ્વપ્ન અને મનના વિચારો વખતે બુદ્ધિનું જ્ઞાન ખોટું જ દેખાય છે, તેથી સાબિત થાય છે કે બુદ્ધિનું કાર્ય ( એ દ્રષ્ટા આદિ ત્રણે ) ખોટું છે. ।। ૩૫૦ ।।
માટે અહંકારથી માંડી દેહ સુધીના માયાના સર્વ વિકારો અને વિષયો ક્ષણે ક્ષણે બદલાતા હોવાથી જૂઠા છે અને આત્મા કદી બદલાતો નથી; માટે એ સત્ય છે. ।। ૩૫૧ ।।
‘હું’ એમ કહેવાથી જે સમજાય છે, એ આનંદ સ્વરૂપ પરમાત્મા તો સદા એક અખંડ, ચેતન એક જ રૂપવાળો, બુદ્ધિ વગેરેનો સાક્ષી, સત્-અસતથી જુદો, દરેકમાં વ્યાપ્ત અને સદા આનંદપૂર્ણ છે. ।। ૩૫૨ ।।
આમ વિદ્વાન માણસ સત્ અને અસતનો ભેદ સમજી પોતાની જ્ઞાનદ્રષ્ટિથી તત્વવસ્તુનો નિશ્ચય કરી પોતાના આત્માને અખંડ જ્ઞાનસ્વરૂપ જાણી માયાના પદાર્થોથી છૂટો થાય છે અને પોતાની મેળે જ શાંત થાય છે. ।। ૩૫૩ ।।
અજ્ઞાનનો નાશ ક્યારે ? – Page – 95
જ્યારે નિર્વિકલ્પ સમાધિથી અદ્વૈત આત્મસ્વરૂપનું દર્શન થાય છે, ત્યારે અજ્ઞાનરૂપી હ્રદયની ગાંઠનો સંપૂર્ણ નાશ થાય છે. ।। ૩૫૪ ।।
સમાધિની જરૂર – Page – 95
એક જ અને વિશેષ – નામરૂપ વગરના પરમાત્મામાં બુદ્ધિના દોષથી જ ‘હું, તું આ દુનિયા’ વગેરે કલ્પના થાય છે; પરંતુ એ સર્વ વિકલ્પ સમાધિમાં આત્મતત્વનો નિશ્ચય થવાથી નાશ પામે છે. ।। ૩૫૫ ।।
સંયમી પુરૂષ ચિત્તની શાંતિ રાખે છે, ઈંદ્રિયોને વશ કરે છે; વિષયોથી દૂર રહે છે, સૌની ઉપર ક્ષમા રાખે છે અને સમાધિનો નિરંતર અભ્યાસ કરે છે; તેથી ‘બધું આત્મારૂપ જ છે’ એમ સમજે છે અને તે દ્વારા માયાના અધકારથી ઊપજેલા તર્ક – વિતર્કને દૂર કરી ક્રિયારહિત અને સંશયરહિત થઈ સુખપૂર્વક બ્રહ્મરૂપે રહે છે. ।। ૩૫૬ ।।
Page – 96
જેઓ બહારની ઈંદ્રિયોને, ચિત્તને અને પોતાના અહંકારને ચેતન આત્માની અંદર સમાવી દઈ સમાધિમાં રહે છે, તેઓ જ સંસારરૂપ પાશના બંધનમાંથી છૂટી ગયેલા છે; પણ બીજા ઉપર ઉપરની વાતો જ કરનારા સંસારથી છૂટતા નથી. ।। ૩૫૭ ।।
અંતઃકરણ વગેરે ઉપાધિના ભેદથી જ આત્મામાં ભેદ જણાય છે; પણ ઉપાધિઓ દૂર થતાં પોતાની મેળે જ આત્મા એકલો થઈ રહે છે; માટે ઉપાધિઓનો નાશ કરવા સારૂ વિદ્વાને હમેશાં દરેક વિચાર છોડી ( નિર્વિકલ્પ ) સમાધિમાં જ રહેવું. ।। ૩૫૮ ।।
એકનિષ્ઠાથી હમેશાં બ્રહ્મનું જ ધ્યાન કરતો માણસ બ્રહ્મસ્વરૂપ થાય છે; જેમ કીડો ( પોતાને પકડીને મારી નાખનાર ) ભમરીનું ધ્યાન કરતો ભમરી બની જાય છે. ।। ૩૫૯ ।।
જેમ બીજી ક્રિયાઓ છોડી માત્ર ભમરીનું જ ધ્યાન કરતો કીડો ભમરી બની જાય છે, તેમ યોગી પરમાત્મારૂપ તત્ત્વનું ધ્યાન કરી તેમાં જ સ્થિતિ કરવાથી તેમને જ પામે છે. ।। ૩૬૦ ।।
Page – 97
પરમાત્મારૂપ તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે, તેથી સ્થૂળ બુદ્ધિથી તે સમજી શકાતું નથી; આથી અતિ પવિત્ર બુદ્ધિવાળા ઉત્તમ માણસોએ એ તત્ત્વને સમાધિ દ્વારા અતિશય સૂક્ષ્મ બુદ્ધિથી સમજવું જોઈએ. ।। ૩૬૧ ।।
જેમ કોડિયામાં નાખી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું કચરો દૂર કરી પોતાના મૂળ ગુણને પામે છે, તેમ મન પણ ધ્યાન દ્વારા તત્ત્વ, રજ અને તમરૂપી મેલને તજી આત્મતત્ત્વને પામે છે. ।। ૩૬૨ ।।
નિરંતરના અભ્યાસથી જ્યારે મન બ્રહ્મમાં જ લીન થાય છે, ત્યારે પોતાની મેળે જ બ્રહ્માનંદના રસનો અનુભવ કરાવનારી નિર્વિકલ્પ ( બીજા વિચારો વિનાની ) સમાધિ સિદ્ધ થાય છે. ।। ૩૬૩ ।।
એ નિર્વિકલ્પ સમાધિથી સર્વે વાસનારૂપ ગાંઠ છૂટી જાય છે અને બધાં કર્મોનો નાસ થાય છે. પચી બહાર અને અંદર – બધે વિના પ્રયત્ને સર્વદા આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. ।। ૩૬૪ ।।
વેદાન્તશાસ્ત્ર સાંભળવા કરતાં એનું મનન-ચિંતન સોગણું ઉત્તમ છે; અને તેના કરતાં પણ નિદિધ્યાસન ( આત્મભાવનાને ચિત્તમાં વારંવાર સ્થિર કરવી તે ) લાખગણું ઉત્તમ છે; અને એનાથી પણ નિર્વિકલ્પ ( કોઈ પણ જાતના વિચાર વિનાની ) સમાધિ અનંતગણી ઉત્તમ છે ( કારણ કે એ સમાધિ પ્રાપ્ત થતાં ચિત્ત કદી ચંચળ થતું નથી ). ।। ૩૬૫ ।।
Page – 98
નિર્વિકલ્પ સમાધિથી ચોક્કસ બ્રહ્મતત્ત્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે; બીજી કોઈ રીતે એવું જ્ઞાન થતું નથી; કારણ કે સમાધિ સિવાય બીજી અવસ્થામાં ચિત્તની ગતિ ચંચળ રહેવાથી તે બીજા વિચારોથી મિશ્ર રહે છે. ।। ૩૬૬ ।।
માટે નિરંતર ઈંદ્રિયોને વશ કરી, શાંત મનવાળો થઈ અંતરાત્મામાં ચિત્ત સ્થિર કર; અને બ્રહ્મમાં આત્માની એકતા જોઈને અનાદિ માયાથી ઊપજેલા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કર. ।। ૩૬૭ ।।
યોગનો પહેલો દરવાજો – Page – 98
વાણીને નિયમમાં રાખવી, કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો, આશારહિત થવું, સર્વ ઈચ્છાનો ત્યાગ કરવો અને હમેશાં એકાંતમાં રહેવું – એ યોગનું પહેલું દ્વાર છે. ।। ૩૬૮ ।।
Page – 99
એકાંતમાં રહેવું, તે ઈંદ્રિયો વશ થવામાં કારણ છે; તે વશ થવાથી મન વશ થાય છે; મન વશ થવાથી અહંકારની વાસના નાશ પામે છે અને વાસનાનો નાશ થતાં બ્રહ્માનંદના રસનો અચળ અનુભવ યોગીને સદા થાય છે; માટે મનનશીલ મનુષ્યે હમેશાં ચિત્તને વશ કરવામાં જ પ્રયત્ન કરવો. ।। ૩૬૯ ।।
તું વાણીને મનમાં, મનને બુદ્ધિમાં અને બુદ્ધિને તેના સાક્ષી આત્મામાં લીન કરી દે; અને પછી તેનો પણ નિર્વિકલ્પ બ્રહ્મમાં લય કરી પરમ શાંતિને પામ. ।। ૩૭૦ ।।
શરીર, પ્રાણ, ઈંદ્રિય, મન, બુદ્ધિ વગેરે જે જે ઉપાધિઓ સાથે ચિત્તની વૃત્તિ જોડાય છે, તે તે ભાવ યોગીને થાય છે ( તેથી આત્મસ્વરૂપનું વિસ્મરણ થાય છે. ) ।। ૩૭૧ ।।
માટે એ બધી ઉપાધિઓથી ચિત્તવૃત્તિને રોકવાથી જ યોગીને પૂર્ણ શાંતિનું સુખ બરાબર દેખાય છે અને સદા બ્રહ્માનંદના રસના અનુભવથી પોતે તરબોળ બને છે. ।। ૩૭૨ ।।
વૈરાગ્ય – Page – 99
જેને વૈરાગ્ય ઊપજ્યો હોય, તે જ અંદરના વિષયોની વાસનાઓનો અને બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગરે વિષયોનો ત્યાગ કરી શકે છે; કારણ કે એવો વિરક્ત જ મુક્તિની ઈચ્છાથી અંદરના તથા બહારના વિષયોનો સંગ તજે છે. ।। ૩૭૩ ।।
Page – 100
વળી બ્રહ્મમાં સ્થિર થયેલો વિરક્ત જ બહારના વિષયોનો અને અંદરના અહંકાર વગેરેનો સંગ તજવા સમર્થ થાય છે.
।। ૩૭૪ ।।
હે વિદ્વાન ! જેમ પક્ષીને બે પાંખો હોય છે, તેમ માણસને પણ વૈરાગ્ય અને જ્ઞાન બે પાંખો જેવાં તું જાણ; કારણ કે એ વિના બીજા કોઈ પણ સાધનથી મુક્તિરૂપી મહેલના છેક ઉપરના માળે ચઢવું બની શકતું નથી. ।। ૩૭૫ ।।
જેનો વૈરાગ્ય દ્રઢ – સ્થિર હોય, તેને જ સમાધિ થાય છે; જેને સમાધિ થતી હોય, તેને જ દ્રઢ જ્ઞાન થાય છે; જેણે એ જ્ઞાનથી તત્ત્વ જાણ્યું હોય, તે જ સંસારરૂપ બંધનમાંથી છૂટે છે; અને જે એ બંધનમાંથી છૂટ્યો હોય, તેને જ નિત્યસુખનો અનુભવ થાય છે. ।। ૩૭૬ ।।
જેણે મન જીત્યું હોય, તેને વૈરાગ્યથી બીજું સુખકારક હું દેખતો નથી; અને તે પણ અતિ શુદ્ધ આત્મજ્ઞાનવાળું જો થયું હોય, તો સ્વર્ગના સામ્રાજ્યનું સુખ આપે છે. મુક્તિરૂપી યુવતીનું બારણું આ જ છે; માટે હે વત્સ ! કલ્યાણ સારૂ તું બધે નિઃસ્પૃહ થઈ સદા સત્ – આત્મામાં જ બુદ્ધિ કર. ।। ૩૭૭ ।।
Page – 101
ઝેરના જેવા વિષયોની આશા તું છોડી દે; કારણ કે એ જ મૃત્યુનો માર્ગ છે; અને જાતિ, કુળ તથા આશ્રમ વગેરેનું અભિમાન છોડી દરેક ક્રિયાઓને અતિ દૂરથી જ તજી દે; દેહ વગેરે મિથ્યા પદાર્થો ઉપરની આત્મબુદ્ધિ દૂર કર અને આત્મામાં જ બુદ્ધિ કર; કારણ કે ખરી રીતે તું પોતે જ આ બધા પદાર્થોનો દ્રષ્ટા, નિર્મળ અને એક જ પરબ્રહ્મ છે. ।। ૩૭૮ ।।
ધ્યાનની રીત – 101
ચિત્તને બ્રહ્મરૂપ લક્ષ્યમાં જ અતિ દ્રઢ સ્થાપી, કર્મેંદ્રિયોને તેના વિષયોથી ખેંચી લઈ, પોતપોતાને ઠેકાણે જ સ્થિર કર; શરીરને સ્થિર રાખી એની સ્થિતિ તરફ ધ્યન ન દે; આમ બ્રહ્મ અને આત્માની એકતા પામીને નિરંતર તન્મય થઈ આત્મામાં જ અખંડ વૃ્ત્તિ વડે આનંદથી બ્રહ્મનો આનંદરસ પી; બીજી નકામી ભ્રમણાઓથી શું ફળ છે ? ।। ૩૭૯ ।।
Page – 102
જગતના વિષયોનું ચિંતન કરવું, એ જ દુઃખનું કારણ મોહ છે; માટે તેને તજી આનંદસ્વરૂપ આત્માનું ધ્યાન કર; કેમ કે એ જ મુક્તિનું કારણ બનશે. ।। ૩૮૦ ।।
આ સ્વયંપ્રકાશ અને સૌનો સાક્ષી આત્મા વિજ્ઞાનમય કોશમાં નિરંતર વિશેષ પ્રકાશે છે; તે અનિત્ય પદાર્થોથી જુદો છે; એને જ ધ્યાનનું લક્ષ્ય બનાવી અખંડ વૃત્તિથી આત્મારૂપે તું ચિંતવ. ।। ૩૮૧ ।।
બીજા બધા વિચારો વિનાની અખંડ વૃત્તિથી, એ એક જ આત્માનું ચિંતન કરતાં કરતાં, એને જ પોતાનું સ્પષ્ટ સ્વરૂપ સમજવું. ।। ૩૮૨ ।।
અહંકાર વગેરે ઉપર આત્મબુદ્ધિ તજી દઈ એ આત્મા ઉપર જ આત્મબુદ્ધિને સ્થિર કરી ઘડો, કપડાં વગેરે બીજા ( જડ ) પદાર્થોની જેમ એ અહંકાર વગેરે તરફ ઉદાસીનપણે રહેવું. ।। ૩૮૩ ।।
આત્મદ્રષ્ટિ – Page – 102
સાક્ષી અને જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ શુદ્ધ અંતઃકરણ લગાડીને ધીરે ધીરે સ્થિર કરી, છેવટે પોતાને જ પૂર્ણ સ્વરૂપે જોવો. ।। ૩૮૪ ।।
Page – 103
માત્ર અજ્ઞાનને લીધે જ જણાતા દેહ, ઈંદ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે બધી ઉપાધિઓથી રહિત, અખંડ અને પૂર્ણ આત્મતત્વને જ આકાશની પેઠે બધે રહેલું જોવું. ।। ૩૮૫ ।।
જેમ આકાશ લોટામાં, ઘડામાં, કોઠીમા, સોયના નાકામાં વગેરે દરેક ઠેકાણે રહ્યું છે, છતાં તે તે ઉપાધિઓથી રહિત હોઈ એક જ છે – તે અનેક પ્રકારનું થતું નથી જ, તેમ અહંકાર, દેહ વગેરે ઉપાધિઓથી રહિત શુદ્ધ આત્મા એક જ છે – તે અનેક પ્રકારનો કદી થતો જ નથી. ।। ૩૮૬ ।।
બ્રહ્માથી માંડી ઘાસના થૂમડા સુધીની દરેક ઉપાધિ ખોટી જ છે; માટે પોતાના આત્માને પૂર્ણ એક જ સ્વરૂપે રહેલો જોવો. ।। ૩૮૭ ।।
જે વસ્તુમાં ભ્રાંતિથી બીજી કલ્પિત વસ્તુ જણાઈ હોય તે મૂળ વસ્તુનું જ્ઞાન થતાં પેલી ભ્રમથી ઊપજેલી કલ્પિત વસ્તુ તેથી જુદી હતી જ નહિ – માત્ર મૂળ વસ્તુ જ હતી, એમ સમજાય છે. જેમ ભ્રાંતિ નાશ પામ્યા પછી દોરડામાં દેખાયેલો સર્પ માત્ર દોરડી રૂપે જ દેખાય છે, તેમ અજ્ઞાન નાશ પામ્યા પછી આત્માની અંદર દેખાયેલું કલ્પિત જગત માત્ર આત્મતત્વરૂપે જ જણાય છે. ।। ૩૮૮ ।।
Page – 104
પોતે જ બ્રહ્મા છે, પોતે જ વિષ્ણુ છે, પોતે જ ઈંદ્ર છે, પોતે જ શિવ છે, પોતે જ આખું વિશ્વ છે; પોતાથી જુદું કાંઈ છે જ નહિ. ।। ૩૮૯ ।।
પોતે જ અંદર છે, પોતે જ બહાર છે, પોતે જ આગળ છે, પોતે જ પાછળ છે; પોતે જ જમણી તરફ છે, પોતે જ ડાબી તરફ છે, પોતે જ ઊંચે છે અને પોતે જ નિચે છે. ।। ૩૯૦ ।।
જેમ પાણીનાં મોજાં, ફીણ, ( તેમાં પડતી ) ઘૂઘરી, પરપોટા વગેરે બધું સ્વરૂપે તો પાણી જ છે, તેમ દેહથી માંડી અહંકાર સુધીનું આ આખું જગત કેવળ ચેતનરૂપ રસવાળું શુદ્ધ ચેતનરૂપ રસવાળું શુદ્ધ ચેતન જ છે. ।। ૩૯૧ ।।
મન અને વાણીથી અનુભવાતું આ આખું જગત સત્ – સ્વરૂપ જ છે. જે મનુષ્ય માયાથી પર રહેલા આત્માના સ્વરૂપમાં જ સ્થિત થયો હોય, તેની દ્રષ્ટિએ સત્ સિવાય બીજું કંઈ છે જ નહિ. કલશ, ઘડો, કુંભ આદિ નામોથી જણાયેલું રૂપ માટીથી જુદું શું છે ? કંઈ જ નથી. જે મનુષ્ય માયારૂપી મદિરાથી ભમી ગયો હોય, તે જ ‘હું’ અને ‘તું’ એવી ( ભેદવાળી ) વાણી બોલે છે. ।। ૩૯૨ ।।
Page – 105
‘આ જગત’ અને ‘આ બ્રહ્મ’ એવો ભેદ છે જ નહિ – એ બન્ને એક જ છે. આ રીતે વેદ પોતે એ ખોટો ભ્રમ દૂર કરવા માટે વારંવાર કહે છે. ।। ૩૯૩ ।।
આકાશ જેવું નિર્મળ, કોઈ પણ જાતના ભેદ વગરનું, સીમા વગરનું, અચળ, વિકાર વગરનું, અંદર અને બહાર એવા ભાગ વગરનું, સર્વના આત્મારૂપ અને એક પોતે જ બ્રહ્મ છે; એથી બીજું શું જાણવા જેવું છે ? (કંઈ જ નથી.) ।। ૩૯૪ ।।
આ બાબતમાં વધારે શું કહેવાનું છે ? જીવ પોતે બ્રહ્મ જ છે, અને એ બ્રહ્મ જ જગતરૂપે ફેલાયેલું છે; કારણ કે વેદ પણ કહે છે કે, ‘બ્રહ્મ અદ્વિતીય છે’ – બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહિ. વળી આ ખુલ્લું છે કે, ‘હું બ્રહ્મ છું’ એવા જ્ઞાનને પામેલી બુદ્ધિવાળા પુરૂષો ઈંદ્રિયોના વિષયોને તજી બ્રહ્મરૂપ થઈને સદા – સત્ – ચિત્ – આનંદ – સ્વરૂપે જ રહે છે. ।। ૩૯૫ ।।
Page – 106
કચરાથી ભરેલા આ સ્થૂળ શરીર ઉપર અહંબુદ્ધિથી ઊપજેલી આશાને તું છોડી દે; પછી લગભગ વાયુ જેવા સૂક્ષ્મ શરીર ઉપરની પણ આશા તું છોડી દે; તે પછી વેદ પણ જેની કીર્તિ ગાય છે, એવું આનંદસ્વરૂપ બ્રહ્મ ‘હું પોતે જ છું’ એમ સમજીને બ્રહ્મરૂપે રહે. ।। ૩૯૬ ।।
વેદ પણ એ જ કહે છે કે, ‘ જ્યાં સુધી માણસ મુડદા જેવો પોતાના શરીરને મારૂં માની વળગી રહ્યો છે, ત્યાં સુધી એ અપવિત્ર છે; અને ત્યાં સુધી જન્મ, મરણ તથા રોગોનું ઘર બનેલા તેને બીજાઓથી દુઃખ થાય છે; પણ જ્યારે પોતાને કલ્યાણસ્વરૂપ, અચળ અને શુદ્ધ તરીકે ઓળખે છે, ત્યારે એ બધાંમાંથી છૂટે છે. ’।। ૩૯૭ ।।
પોતાના આત્મામાં માત્ર કલ્પનાથી જણાયેલા બધા આભાસરૂપ પદાર્થોને ત્યજવાથી જીવ પોતે જ એક, અક્રિય અને પરિપૂર્ણ બ્રહ્મ તરીકે રહે છે. ।। ૩૯૮ ।।
જગત છે જ નહિ – Page – 107
જો કોઈ જાતનો ભેદ છે જ નહિ એવા પરમાત્મા પરબ્રહ્મમાં ચિત્તની વૃત્તિ સ્થિર થાય, તો આ કલ્પનારૂપ મિથ્યા જગત દેખાતું જ નથી; અને પછી માત્ર બકવાદરૂપે જ બાકી રહે છે – ખોટું જણાય છે. ।। ૩૯૯ ।।
માત્ર એક જ વસ્તુ બ્રહ્મમાં આ આખું જગત મિથ્યા-કલ્પનારૂપ જ છે; કેમ કે વિકાર, આકાર તથા વિશેષણ વગરના બ્રહ્મમાં જગતરૂપ ભેદ ક્યાંથી હોઈ શકે ! ।। ૪૦૦ ।।
બ્રહ્મરૂપ એક જ વસ્તુ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય આદિ ભાવથી રહિત છે; તેમ જ વિકાર, આકાર અને વિશેષ ધર્મોથી પણ રહિત છે; તો તેમાં જગતરૂપ ભેદ હોય જ ક્યાંથી ? ।। ૪૦૧ ।।
પ્રલય વખતનો સમુદ્ર જેમ છલોછલ ભરેલો હોય છે, તેમ અત્યંત પરિપૂર્ણ એક જ વસ્તુરૂપ વિકાર, આકાર અને વિશેષ ધર્મોથી રહિત બ્રહ્મમાં જગતરૂપ ભેદ ક્યાંથી હોઈ શકે ? ।। ૪૦૨ ।।
જેમ તેજમાં અંધારૂં નાશ પામે છે, તેમ જ બ્રહ્મમાં ભ્રમનું કારણ – અજ્ઞાન નાશ પામે છે; એ એક જ વિશેષરહિત બ્રહ્મમાં જગતરૂપ ભેદ ક્યાંથી હોય ? ।। ૪૦૩ ।।
Page – 108
વિશેષરહિત એક જ પરમ તત્વમાં ભેદની વાત જ કેમ રહે ? માત્ર સુખરૂપ સુષુપ્તિ અવસ્થામાં ભેદ કોણે જોયો છે ? ( કોઈએ નહિ. ) ।। ૪૦૪ ।।
પરમ તત્વનું જ્ઞાન થયા પછી સત્ સ્વરૂપ અને નિર્વિકલ્પભેદરહિત પરબ્રહ્મમાં આ જગત છે જ નહિ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણે કાળે દોરડામાં કોઈએ સર્પ જોયો નથી; અને ઝાંઝવાના જળમાં પાણીનું ટીપું પણ હોતું જ નથી. ।। ૪૦૫ ।।
વેદ પણ કહે છે કે, આ દેખાતો જગતરૂપ ભેદ માત્ર માયા જ છે; ખરી રીતે અદ્વૈત-બ્રહ્મ જ છે. આ વસ્તુ સુષુપ્તિમાં સાક્ષાત્ અનુભવાય છે. ।। ૪૦૬ ।।
દોરડું અને સર્પ વગેરેમાં બુદ્ધિશાળી માણસોએ જોયું છે કે ભ્રાંતિથી દેખાયેલો સર્પ વગેરે દોરડાં વગેરેથી જુદા હોતા નથી ( આ જ રીતે બ્રહ્મમાં જણાતું જગત બ્રહ્મથી જુદું નથી જ ) ભેદનું જીવન ભ્રાંતિ જ છે – ભ્રમ વિના ભેદ ઊપજતો જ નથી. ।। ૪૦૭ ।।
આત્માનું ચિંતન – Page – 109
આ ભેદ દેખાય છે, તે ચિત્તને કારણે જ છે. ચિત્ત ન હોય તો કંઈ જ નથી; માટે પહેલાં ચિત્તને અંતરાત્મા બ્રહ્મમાં સ્થિર કર. ।। ૪૦૮ ।।
વિદ્વાન માણસ નિત્ય જ્ઞાનસ્વરૂપ, કેવળ આનંદરૂપ, ઉપમારહિત, કાળથી પણ નહિ મપાયેલ, સદામુક્ત, ક્રિયા વગરનું, આકાશની પેઠે સીમા વિનાનું, અવયવરહિત વિશેષ ( ભેદ ) રહિત અને પરિપૂર્ણ બ્રહ્મને સમાધિમાં હ્રદય વિષે અનુભવે છે. ।। ૪૦૯ ।।
પ્રકૃતિના વિકારોથી રહિત, કલ્પનાથી રહિત સ્વભાવવાળા, એકરસ, અખંડ, ઉપમારહિત, પ્રમાણો ના અવિષય, વેદનાં વચનોથી સાબિત થયેલ, નિત્ય અને ‘ હું ’ રૂપે પ્રસિદ્ધ પરિપૂર્ણ બ્રહ્મને વિદ્વાન માણસ સમાધિમાં હ્રદય વિષે અનુભવે છે. ।। ૪૧૦ ।।
Page – 110
અજર ( ઘડપણ વિનાનું ), અમર ( નાશરહિત ) આભાસ વસ્તુના જેવા સ્વરૂપ વિનાનું ( સત્ય ), અચળ સમુદ્ર જેવું, નામ – રૂપ વગરનું, ત્રણેય ગુણોના વિકાર વગરનું નિત્ય, શાંત અને એક જ પૂર્ણ બ્રહ્મને વિદ્વાન મનુષ્ય સમાધિમાં હ્રદય વિષે અનુભવે છે. ।। ૪૧૧ ।।
પોતાના સ્વરૂપમાં અંતઃકરણને સ્થિર કરી અખંડ વૈભવવાળા આત્માનો તું અનુભવ કર; સંસારની ગંધથી ગંધાતા બંધનને કાપી નાખ; અને પ્રયત્ન કરી મનુષ્યજન્મને સફળ કર. ।। ૪૧૨ ।।
દરેક ઉપાધિથી રહિત, એક જ, સચ્ચિદાનંદરૂપ અને પોતાના અંતરમાં જ રહેલા આત્માનું તું ચિંતન કર; તેથી ફરી સંસારના માર્ગમાં તું નહિ આવે. ।। ૪૧૩ ।।
દ્રષ્યનો ત્યાગ – Page – 110
આ શરીર પોતાની છાયા જેવું માત્ર આભાસરૂપે જ દેખાય છે; મહાત્મા પુરૂષ મુડદાની પેઠે એક વાર એને ત્યજીને ફરી તેનો વિચાર પણ કરતો નથી. ।। ૪૧૪ ।।
Page – 111
નિરંતર નિર્મળ જ્ઞાન અને આનંદસ્વરૂપ આત્માને સમજ્યા પછી મળરૂપ આ જડ ઉપાધિનો દૂરથી જ ત્યાગ કર અને ફરી એને યાદ પણ ન કર; કારણ કે ઓકી કાઢેલી વસ્તુ ફરી યાદ કરી હોય, તો તે નિંદાનું જ કારણ બને. ।। ૪૧૫ ।।
વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણાતો પુરૂષ આ જગતને એના મૂળ કારણ ( માયા ) સાથે નિર્વિકલ્પ સત્ સ્વરૂપ બ્રહ્મરૂપ અગ્નિમાં બાળી નાખીને પછી પોતે નિત્ય અને વિશુદ્ધ જ્ઞાનાનંદરૂપે રહે છે. ।। ૪૧૬ ।।
જેમ ગાય પોતાના ગળામાં પહેરાવેલી માળા રહે કે જાય તેના તરફ ધ્યાન દેતી નથી, તેમ આનંદરૂપ બ્રહ્મમાં મગ્ન વૃત્તિવાળો તત્વજ્ઞાની પ્રારબ્ધકર્મરૂપી દોરીમાં પરોવાયેલું આ શરીર રહે કે પડી જાય, એની ચિંતા ફરી કરતો નથી. ।। ૪૧૭ ।।
અખંડ આનંદરૂપ આત્માને એના મૂળ સ્વરૂપે સમજી લીધા પછી કઈ ઈચ્છાથી અથવા કયા કારણથી તત્વજ્ઞાની શરીરનું પોષણ કરે ? ।। ૪૧૮ ।।
આત્મજ્ઞાનનું ફળ – Page – 112
જીવનમુક્ત યોગીને સારી રીતે મળેલા આત્મજ્ઞાનનું ફળ આ છે, કે એ નિરંતર પોતાના આત્મામાં જ અંદર અને બહાર સદા આનંદરસનો સ્વાદ અનુભવ્યા કરે છે. ।। ૪૧૯ ।।
વૈરાગ્યનું ફળ જ્ઞાન છે; જ્ઞાનનું ફળ ઉપરતિ ( વિષયોથી અટકવું તે ) છે; અને ઉપરતિનું ફળ એ જ છે કે, આત્માનંદના અનુભવથી શાંતિ થાય. ।। ૪૨૦ ।।
ઉપર જણાવ્યા પ્રમાણે જો પછી પછીનું ન હોય, તો પૂર્વ પૂર્વનું નિષ્ફળ છે ( એટલે કે આત્મશાંતિ વિના ઉપરતિ, ઉપરતિ વિના જ્ઞાન અને જ્ઞાન વિના વૈરાગ્ય નિષ્ફળ છે ). વિષયોથી પોતે અટકવું એ જ પરમ તૃપ્તિ છે અને એ જ અનુપમ આનંદ છે. ।। ૪૨૧ ।।
( પ્રારબ્ધકર્મથી આવી પડેલાં ) દુષ્ટ દુઃખોથી હારી ન જવું, એ જ આત્મજ્ઞાનનું ચાલુ ફળ છે; કારણ કે ભ્રાંતિના સમયે જે અનેક પ્રકારનાં નિંદ્ય કર્મો કર્યાં હતાં, તેને જ્ઞાન થયા પછી પણ મનુષ્ય કરે, તે શું યોગ્ય છે ? ।। ૪૨૨ ।।
અસત્ – મિથ્યા પદાર્થોથી અટકવું, એ જ જ્ઞાનનું ફળ છે અને મિથ્યા પદાર્થો માટે પ્રવૃત્તિ કરવી, એ જ અજ્ઞાનનું ફળ છે. એ બંનેનાં ફળ જ્ઞાની અને અજ્ઞાનીને મળતાં સૌએ જોયાં છે : ઝાંઝવાના પાણીમાં જ્ઞાની ફસાતો નથી અને અજ્ઞાની ફસાય છે; એમ ઉપર કહેલું જ્ઞાનનું ફળ જો ન મળ્યું હોય, તો જ્ઞાનીને તેનું બીજું પ્રત્યક્ષ ફળ શું મળવાનું છે? ( સંસારનિવૃત્તિ વિના બીજું જ્ઞાનનું ફળ જ નથી. ) ।। ૪૨૩ ।।
Page – 113
હ્રદયની અજ્ઞાનરૂપી ગાંઠનો જો સંપૂર્ણ નાશ થયો હોય, તો વિષયોને નહિ ઈચ્છનાર એ માણસને વિષયો પોતે જ પોતામાં પ્રવૃત્તિ કરાવવાનું કારણ શું થાય ? ।। ૪૨૪ ।।
ભોગવવા જેવી વસ્તુને ભોગવવા માટે વાસના પણ ન થાય, એ વૈરાગ્યની છેલ્લી હદ છે; અને નાશ પામેલી ચિત્તની વૃત્તિઓ ફરી જન્મે નહિ, એ ઉપરતિની છેલ્લી હદ છે. ।। ૪૨૫ ।।
ધન્ય એ પુરૂષને ! – Page – 113
હમેશાં બ્રહ્મરૂપે જ રહેવાને લીધે જેની બુદ્ધિએ સંસારના વિષયો છોડ્યા હોય, અને જે ઊંઘમાં માણસની જેમ અથવા બાળકની જેમ બીજાએ આપેલી ચીજોનો જ ઉપભોગ કરે, અને કોઈ વેળા બુદ્ધિ વિષય તરફ વળે ત્યારે જ આ સંસારને સ્વપ્નમાં જોયેલા લોક જેવો જ જોતો રહે, એવો અનંત પુણ્યોના ફળને ભોગવનાર કોઈ જ્ઞાની ધન્ય છે અને તે જ પૃથ્વી પર માન આપવા યોગ્ય છે. ।। ૪૨૬ ।।
સ્થિતપ્રજ્ઞ કોણ ? – Page – 114
જે યોગી પરબ્રહ્મમાં ચિત્તને લગાડી દઈ વિકાર તથા કર્મોથી રહિત થઈને સદા આનંદ અનુભવે છે, એ ‘ સ્થિતપ્રજ્ઞ ’ કહેવાય છે. ।। ૪૨૭ ।।
સારી રીતે જાણેલા બ્રહ્મ અને આત્માના એકપણાને સમજનારી, તર્ક-વિતર્ક વગરની અને માત્ર ચૈતન્યરૂપ બનેલી વૃત્તિને ‘ પ્રજ્ઞા ’ કહેવાય છે; અને જેનામાં એ પ્રજ્ઞા સર્વકાળે રહી હોય, એ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।। ૪૨૮ ।।
જીવન્મુક્ત કોણ ? – Page – 114
જેની પ્રજ્ઞા સ્થિર હોય, જેને હમેશાં આત્માનંદનો અનુભવ હોય, અને આ જગતરૂપ પ્રપંચ જેને લગભગ ભુલાઈ ગયો હોય, એ ‘ જીવન્મુક્ત ’ કહેવાય છે. ।। ૪૨૯ ।।
જેની બુદ્ધિ બ્રહ્મમાં જ લીન હોય, છતાં જે જાગે છે – જાગતાની પેઠે બધું સમજે છે, પણ જાગ્રત અવસ્થાના ધર્મોથી રહિત હોય છે, અને જેનું જ્ઞાન વાસના વગરનું હોય છે, એ ‘ જીવન્મુક્ત ’ કહેવાય છે. ।। ૪૩૦ ।।
Page – 115
જેની સંસારની વાસના શમી ગઈ હોય, જે વ્યવહારમાં હોવાથી વિકારવાળો દેખાય, છતાં જેનામાં વિકાર નથી; અને જે ચિત્તવાળો હોવા છતાં પણ નિશ્ચિંત છે, એ ‘ જીવન્મુક્ત ’ મનાય છે. ।। ૪૩૧ ।।
( પ્રારબ્ધકર્મ હોય ત્યાં સુધી ) છાયાની જેમ પોતાની સાથે જ રહેતું શરીર હયાત છતાં જેને એના પર ‘ હું અને મારૂં ’ એવી ભાવના ન હોય, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ।। ૪૩૨ ।।
જે થઈ ગયું હોય એને યાદ ન કરવું, જે થવાનું હોય એની ચિંતા ન કરવી અને ( ચાલુ ) જે આવી મળ્યું હોય તે તરફ પણ ઉદાસીન રહેવું, એ જીવન્મુક્તનું લક્ષણ છે.।। ૪૩૩ ।।
ગુણ – દોષવાળા અને સ્વભાવથી જ વિલક્ષણ આ સંસારમાં સૌ ઉપર સમાન દ્રષ્ટિ રાખવી, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ।। ૪૩૪ ।।
Page – 116
પોતાને ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ મળે, તોપણ એ બંને ઉપર મનમાં સમાન ભાવ હોવાથી જેને વિકાર ન થાય, એ જીવન્મુક્તનું લક્ષણ છે. ।। ૪૩૫ ।।
બ્રહ્મના આનંદરસનો સ્વાદ લેવામાં જ ચિત્ત લાગેલું હોવાથી મનમાં કે બહાર કોઈ પણ વસ્તુ પર ધ્યાન ન જાય, એ જીવન્મુક્ત લક્ષણ છે. ।। ૪૩૬ ।।
દેહ, ઇંદ્રિયો વગેરે અને કરવાનાં કામકાજ ઉપર મમતા અને અહંકાર વિનાનો જે ઉદાસીન ભાવે જ રહે, એ જીવન્મુક્ત કહેવાય છે. ।। ૪૩૭ ।।
જેણે વેદના બળથી ‘ પોતાનો આત્મા બ્રહ્મ જ છે ’ એમ સમજી લીધું હોય અને જે સંસારરૂપ બંધનમાંથી છૂટી ગયો હોય, એ જીવન્મુક્ત છે. ।। ૪૩૮ ।।
જેને દેહ તથા ઈંદ્રિયો ઉપર ‘ હું ’ પણું હોતું નથી; તેમ જ દુનિયાના પદાર્થો પર જેને ‘ આ ’ પણું હોતું નથી, એ જીવન્મુક્ત મનાય છે. ।। ૪૩૯ ।।
જે પોતાના આત્મામાં અને બ્રહ્મમાં તથા બ્રહ્મમાં અને સંસારમાં બુદ્ધિથી કદી ભેદ જાણતો નથી, એ જીવન્મુક્ત છે. ।। ૪૪૦ ।।
Page – 117
આ શરીરનો સારા માણસો સત્કાર કરે અથવા દુર્જનો તેને દુઃખ દે, તોપણ જેને સૌ ઉપર સમાન ભાવ રહે, એ જીવન્મુક્ત મનાય છે. ।। ૪૪૧ ।।
જેમ નદીના પ્રવાહો સમુદ્રમાં ભળીને તે રૂપ બની જાય છે, તેમ જેમાં બીજા માણસો દ્વારા પ્રાપ્ત થયેલા વિષયો બ્રહ્મરૂપે જ લીન થઈ જાય છે, પણ વિકાર ઉત્પન્ન કરતા નથી, તે જિતેંદ્રિય પુરૂષ જીવન્મુક્ત છે. ।। ૪૪૨ ।।
જેણે બ્રહ્મનું તત્વ બરાબર જાણ્યું હોય તેની દ્રષ્ટિએ સંસાર પહેલાંના જેવો રહેતો જ નથી. છતાં જો એવો ને એવો રહે તો સમજવું કે એ સંસારી જ છે – એણે બ્રહ્મતત્વ જાણ્યું જ નથી. ।। ૪૪૩ ।।
કદાચ કોઈ કહે કે, પૂર્વની વાસનાના વેગથી એ સંસારનાં કામોમાં વર્તે છે, તો એ ખોટું છે; કારણ કે એક બ્રહ્મ જ સત્ય છે, એવું જ્ઞાન થયા પછી વાસના ઓછી થઈ જાય છે. ।। ૪૪૪ ।।
Page – 118
પુરૂષ ઘણો જ કામી હોય, છતાં તેની વૃત્તિ માતામાં ( વિષયભોગ માટે ) અટકે છે; તે જ પ્રમાણે પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન થયા પછી જ્ઞાનીની વૃત્તિ સંસારથી અટકે છે. ।। ૪૪૫ ।।
પ્રારબ્ધ – Page – 118
જે હમેશાં આત્માના ચિંતનમાં જ લાગ્યો રહે છે, તેને પણ ( ક્યારેક ) બહારના ( જગતના ) પદાર્થોનું ભાન થાય છે; એ રૂપી ફળ દેખવાથી વેદ કહે છે કે, ‘ એ એનું પ્રારબ્ધ છે. ’ ।। ૪૪૬ ।।
જ્યાં સુધી સુખ – દુઃખનો અનુભવ થાય છે, ત્યાં સુધી પ્રારબ્ધ માનવું પડે છે, કારણ કે હરકોઈ ફળની પ્રાપ્તિ પૂર્વના કર્મને લીધે જ થાય છે, કર્મ વગર ક્યાંય ફળ ઊપજે નહિ. ।। ૪૪૭ ।।
ઊંઘમાંથી જાગ્યા પછી સ્વપ્નની ક્રિયા જેમ નાશ પામે છે, તેમ ‘ હું બ્રહ્મ છું ’ એવું જ્ઞાન થવાથી કરોડો કલ્પોનાં સંચિત કર્મો નાશ પામે છે. ।। ૪૪૮ ।।
સ્વપ્ન વખતે જે મોટામાં મોટાં પુણ્ય કે પાપ કર્યાં હોય, તેનું ફળ ( જાગ્યા પછી ) સ્વર્ગ કે નરકરૂપે શું મળે છે ? ( નથી જ મળતું; એવી જ રીતે અજ્ઞાન અવસ્થામાં કરેલાં કર્મોનું ફળ જ્ઞાન થયા પછી ભોગવવું પડતું નથી. ) ।। ૪૪૯ ।।
Page – 119
પોતાના આત્માને આકાશની જેમ સંગ વગરનો તથા સૌથી અળગો જાણીને જિતેંદ્રિય મનુષ્ય ભવિષ્યનાં કર્મથી પણ કદી લેપાતો નથી. ।। ૪૫૦ ।।
જેમ આકાશ ઘડાથી કે ઘડામાં રહેલા દારૂની ગંધથી લેપાતું જ નથી, તેમ આત્મા ઉપાધિનો સંબંધ હોય, છતાં તેના ધર્મોથી લેપાતો જ નથી. ।। ૪૫૧ ।।
જ્ઞાન થયા પહેલાં કરેલાં ( પ્રારબ્ધ ) કર્મ જ્ઞાન થયા પછી પણ નાશ પામતાં નથી.
જેમ નિશાન તરફ બરાબર ફેંકેલું બાણ નિશાન વીંધ્યા વિના રહેતું નથી. તેમ એ પ્રારબ્ધકર્મ પણ ફળ આપ્યા વિના રહેતાં નથી. જેમ સામે વાઘ ઊભો છે, એમ ધારીને છોડેલું બાણ તેને છોડ્યા પછી ‘ એ તો ગાય છે ’ એમ પાછળથી જણાયા છતાં અટકતું નથી; પણ વેગથી નિશીનને સંપૂર્ણ વીંધે જ છે ( તેમ પ્રારબ્ધકર્મ પણ જ્ઞાન થયા છતાં ફળ આપે જ છે. ) ।। ૪૫૨ ।। ।। ૪૫૩ ।।
Page – 120
જ્ઞાનીઓનાં પ્રારબ્ધકર્મ વધારે બળવાન હોય છે; એનાં ફળ ભોગવ્યાથી જ એનો નાશ થાય છે; પણ પૂર્વનાં સંચિત કર્મો અને ભવિષ્યનાં કર્મોનો તે તત્વજ્ઞાનરૂપ અગ્નિથી સંપૂર્ણ નાશ થાય જ છે. જેઓ બ્રહ્મ અને આત્મા એક જ છે એમ સમજીને બ્રહ્મરૂપે જ રહે છે, તેઓની દ્રષ્ટિએ તો ( પ્રારબ્ધ, સંચિત અને ભવિષ્યનાં ) ત્રણેય પ્રકારનાં કર્મ કદી છે જ નહિ; તેઓ તો નિર્ગુણ ( માયાના ગુણરહિત ) બ્રહ્મ જ થયા છે. ।। ૪૫૪ ।।
જે મનનશીલ પુરૂષ ઉપાધિમાં આત્મબુદ્ધિ ત્યજીને કેવળ બ્રહ્મસ્વરૂપે આત્મામાં જ સ્થિર થયો હોય, તેને માટે સ્વપ્નમાં જોયેલા પદાર્થના સંબંધની વાત જેમ જાગતા માણસને ઘટે નહિ, તેમ પ્રારબ્ધકર્મની હયાતિની વાત ( પણ ) ઘટતી જ નથી. ।। ૪૫૫ ।।
ઊંઘમાંથી જાગેલો માણસ સ્વપ્નમાં જોયેલાં ખોટાં શરીર ઉપર તથા દેહને ઉપયોગી બીજા પદાર્થો ઉપર અહંતામમતા ( શરીર ઉપર ‘ હું ’ પણું અને બીજી ચીજો ઉપર ‘ મારા ’ પણું ) કરતો નથી, પણ ( એ બધું મિથ્યા માની ) જાગ્રત અવસ્થામાં જ રહે છે. ।। ૪૫૬ ।।
Page – 121
જાગેલા તેને સ્વપ્નાની બધી ચીજો ખોટી હતી, એમ સાબિત કરવાની ઈચ્છા પણ થતી નથી. ( કારણ કે એ મિથ્યા જ છે; એને સાબિત કરવાની જરૂર જ ક્યાં છે ? ) વળી સ્વપ્નમાં જોયેલા મિથ્યા જગતનો સંગ્રહ પણ એની પાસે દેખાતો નથી. છતાં એ મિથ્યા પદાર્થો ઉપર એનો મોહ હજી રહ્યો હોય, તો જરૂર સમજવું કે હજી એની ઊંઘ બરાબર ઊડી નથી. ।। ૪૫૭ ।।
એવી જ રીતે સદા પરબ્રહ્મમાં રહેતો પુરૂષ સદા આત્મારૂપે જ રહે છે; તે બીજું જોતો નથી. જેમ સ્વપ્નામાં જોયેલા પદાર્થોનું સ્મરણ રહે છે, તેમ બ્રહ્મજ્ઞાનીને પણ ખાવા – પીવાની અને લેવા – મૂકવાની ક્રિયાઓનું સ્મરણ તો રહે જ છે. ।। ૪૫૮ ।।
દેહ કર્મને કારણે જ બન્યો છે, માટે પ્રારબ્ધ પણ એનું જ સમજવું જોઈએ, પણ અનાદિ આત્માનું માનવું તે ઠીક નથી, કારણ કે આત્મા કર્મોથી બનેલો નથી. ।। ૪૫૯ ।।
‘ अजो नित्यः- આત્મા જન્મતો નથી; એ તો અનાદિ અને નિત્ય છે ’ એમ સત્ય વાણીવાળો કહે છે; માટે આત્મસ્વરૂપે જ રહેનાર એ માણસનું પ્રારબ્ધકર્મ બાકી હોય, એમ કલ્પના પણ ક્યાંથી થાય ? ।। ૪૬૦ ।।
Page – 122
જો દેહરૂપે સ્થિતિ હોય, તો જ પ્રારબ્ધકર્મ સિદ્ધ થાય; પણ દેહને આત્મા માનવો, એ જ્ઞાનીને તો ઈષ્ટ જ નથી; માટે પ્રારબ્ધનું અસ્તિત્વ છોડવું જ જોઈએ. ।। ૪૬૧ ।।
ખરી રીતે દેહનાં પ્રારબ્ધકર્મો માનવાં એ પણ ભ્રમ જ છે; કારણ કે દેહ પોતે જ ભ્રમથી કલ્પાયેલો છે, તો તેની હયાતી જ ક્યાં છે ? અને જેની હયાતી જ નથી, એનો જન્મ પણ ક્યાંથી હોય ? અને જે જન્મ્યો જ નથી, એનો નાશ પણ કેવી રીતે થાય ? આમ દેહ છે જ નહિ; તેથી એનું પ્રારબ્ધ પણ ક્યાંથી હોય ? ।। ૪૬૨ ।।
કોઈ જડ માણસોને એવી શંકા થાય કે, ‘ જો જ્ઞાનથી અજ્ઞાન અને તેના કાર્યનો સમૂળગો નાશ થતો હોય, તો માણસને જ્ઞાન ઊપજ્યા પછી અજ્ઞાનનું કાર્ય આ દેહ કેમ રહે છે ? ’ આવી શંકા કરનારાઓનું સમાધાન કરવા માટે વેદ ‘ પ્રારબ્ધ દેહનું કારણ છે ’ એમ ઉપલક દ્રષ્ટિથી બતાવે છે, પણ સમજુ માણસોને ‘ દેહ વગેરે સત્ય છે ’ એમ જણાવવા વેદે એવું કહ્યું નથી; કરાણ કે સત્ય એક પરબ્રહ્મનું જ વર્ણન કરવાનો વેદનો અભિપ્રાય છે. ।। ૪૬૩ ।। ।। ૪૬૪ ।।
ભેદનો નિષેધ – Page – 123
વેદ કહે છે કે, ‘ દરેક ઠેકાણે પરિપૂર્ણ, અનાદિ, અંતવગરનું, સમજી ન શકાય એવું અને વિકાર વગરનું એક જ અદ્વૈત બ્રહ્મ છે; એ બ્રહ્મમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ’ ।। ૪૬૫ ।।
જે કેવળ સત્, ચિત્ અને આનંદમય છે, એ નિત્ય ક્રિયા વગરનું અને એક જ બ્રહ્મ છે; એ બ્રહ્મમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૬ ।।
જે અંતરાત્મા એકરસ, પરિપૂર્ણ, અનંત અને સર્વવ્યાપક છે, તે એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૭ ।।
જે તજી શકાય કે લઈ શકાય એવું નથી, જે ગ્રહણ કરાતું નથી અને આશ્રય વિનાનું છે, તે એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૮ ।।
જે ગુણ અને વિભાગ વગરનું છે; સૂક્ષ્મ ( ઝીણામાં ઝીણું ), નિર્વિકલ્પ ( ભેદ વગરનું ) તથા નિર્મળ છે, એવું એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૬૯ ।।
Page – 124
જે સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી, જેને મન અને વાણી પહોંચી શકતાં નથી, એવું એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૭૦ ।।
જે સત્ય, વૈભવવાળું, પોતાની મેળે જ સિદ્ધ, શુદ્ધ, જ્ઞાનસ્વરૂપ તથા ઉપમા વિનાનું છે. તે એક જ અદ્વૈત બ્રહ્મ છે; એમાં જુદું જુદું કંઈ છે જ નહિ. ।। ૪૭૧ ।।
આત્મજ્ઞાનથી શાંતિ – Page – 124
જે મહાન યોગીઓ મોહ અને ભોગો તજી શાંત અને જિતેંદ્રિય થયા હોય છે, તેઓ છેવટે આત્મા સાથેના સંબંધથી જ એ પરમ તત્વને જાણી પરમ શાંતિ પામ્યા છે. ।। ૪૭૨ ।।
આત્મજ્ઞાનનો ઉપદેશ – Page – 124
માટે તું પણ આત્માના સ્વરૂપને પરમ તત્વરૂપ અને આનંદપૂર્ણ વિચારીને પોતાના મનથી કલ્પેલો મોહ છોડી દઈ મુક્ત થા અને ઉત્તમ પ્રકારે બોધ પામી કૃતાર્થ થા. ।। ૪૭૩ ।।
Page – 125
સમાધિથી ચિત્તને સારી રીતે સ્થિર કરી સ્પષ્ટ જ્ઞાનચક્ષુથી આત્મતત્વને જો; કારણ કે સાંભળેલી વસ્તુને સારી રીતે શંકા વગર નજરે જોઈ હોય, તો જ ફરી એમાં સંદેહ થતો નથી. ।। ૪૭૪ ।।
પોતાના અજ્ઞાનરૂપ બંધનનો સંબંધ છૂટી જવાથી સત્ – ચિત્ – આનંદરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે; તેમાં શાસ્ત્રયુક્તિ અને ગુરૂનું વાક્ય પ્રમાણ છે; તેમ જ અંતરથી નક્કી કરેલો પોતાનો અનુભવ પ્રમાણ છે. ।। ૪૭૫ ।।
બંધન, મોક્ષ, સંતોષ, ચિંતા, તંદુરસ્તી, ભૂખ અને તરસ વગેરેને પોતે જ જાણી શકે છે; બીજાને તો અનુમાનથી જ તેની ખબર પડે છે. ।। ૪૭૬ ।।
વેદની જેમ ગુરૂઓ પણ માત્ર તટસ્થ રહીને જ જ્ઞાન આપે છે; માટે સમજુ માણસે ઈશ્વરે કૃપા કરેલી બુદ્ધિથી જ ( આત્મતત્વનો અનુભવ કરી ) સંસારસાગર તરી જવો. ।। ૪૭૭ ।।
પોતાના અનુભવથી પોતાની મેળે જ પોતાને અખંડ આત્મસ્વરૂપ સમજી પૂર્ણતા પામેલો માણસ નિઃસંશય સ્વરૂપે આત્મામાં જ સ્થિતિ કરે. ।। ૪૭૮ ।।
Page – 126
વેદાંતનું સિદ્ધાંતરૂપે કહેવું આ છે કે, ‘ જીવ અને આ આખું જગત બ્રહ્મ જ છે; અને બ્રહ્મમાં અખંડ – એકરૂપે રહેવું એ જ મોક્ષ છે. ’ બ્રહ્મ એક જ છે, એ બાબતમાં વેદના મંત્રો પ્રમાણ છે. ।। ૪૭૯ ।।
જ્ઞાનની પ્રાપ્તિ – Page – 126
એ પ્રમાણે વેદના પ્રમાણવાળાં ગુરૂનાં વચનથી અને પોતાના અનુભવથી પરમાત્મતત્વને સમજીને એ શિષ્ય ચિત્તને એકાગ્ર અને ઈંદ્રિયોને શાંત કરી કોઈ સ્થળે વૃત્તિથી ( રહી ) આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળો થયો. ।। ૪૮૦ ।।
એમ કેટલાક કાળ સુધી પરબ્રહ્મમાં ચિત્તને એકાગ્ર કર્યા પછી સમાધિમાંથી ઊઠી પરમ આનંદથી આ પ્રમાણે એ કહેવા લાગ્યોઃ ।। ૪૮૧ ।।
અહો ! બ્રહ્મ અને આત્મા એક જ છે, એવું જાણ્યા પછી મારી બુદ્ધિ ( ની વૃત્તિ ) તો એકદમ નાશ જ પામી ગઈ અને પ્રવૃત્તિ જતી રહી. હવે હું ‘ આ પદાર્થ છે ’ એમ જાણતો નથી કે ‘ આ પદાર્થ નથી ’ એમ પણ જાણતો નથી; આ બ્રહ્મસુખ કેવું ને કેટલું અપાર છે ? ।। ૪૮૨ ।।
Page – 127
જેમ ચોમાસાના કરા સમુદ્રમાં પડી ગળી જઈ તદ્રુપ થાય છે, એમ મારૂં મન પણ બ્રહ્માનંદરૂપી અમૃતના સમુદ્રમાં તેના એક અંશના પણ અંશમાં ડૂબી તદ્રુપ બની લીન થયું છે; અને હવે આનંદસ્વરૂપ થઈ શાંતિ પામ્યું છે. એ આત્માનંદના અમૃતના પૂરથી ભરેલો પરબ્રહ્મરૂપી સમુદ્રનો વૈભવ વાણીથી કહેવો અશક્ય છે અને મનથી વિચારી શકાતો પણ નથી. ।। ૪૮૩ ।।
પેલો સંસાર ક્યાં ગયો ? તેને કોણ લઈ ગયું ? એ ક્યાં ડૂબી ગયો ? અહો ! મોટું આશ્ચર્ય કે, જે સંસારને મેં હમણાં જ જોયો હતો, એ શું નથી ? ।। ૪૮૪ ।।
અખંડ આનંદરૂપ અમૃતથી ભરેલા બ્રહ્મસમુદ્રમાં કઈ વસ્તુ લેવા જેવી અને કઈ છોડવા જેવી છે ? કઈ ચીજ જુદી છે અને કઈ જુદા લક્ષણવાળી છે ? ( કોઈ જ નહિ. ) ।। ૪૮૫ ।।
અહીં બ્રહ્મ સિવાય હું કાંઈ જોતો નથી, સાંભળતો નથી કે જાણતો નથી. હું તો પોતાના આત્મારૂપે જ નિત્ય આનંદસ્વરૂપ બની પહેલાં કરતાં જુદો જ બની ગયો છું. ।। ૪૮૬ ।।
Page – 128
જેમના કટાક્ષરૂપી ઘાટી ચાંદની પડતાં જ સંસારનો બધો સંતાપ દૂર થવાથી મને ક્ષણવારમાં અખંડ સંપત્તિ અને આનંદરૂપ અવિનાશી આત્મપદ મળ્યું છે, એ સંગરહિત, સંતોમાં ઉત્તમ, નિત્ય, એક જ, આનંદરસ-સ્વરૂપ, અતિ મોટા તથા સદા અપાર દયાના સાગર મહાત્મા ગુરૂદેવને વારંવાર નમસ્કાર હો ! ।। ૪૮૭ ।। ।। ૪૮૮ ।।
મને ધન્ય છે; મારાં દરેક કામ પૂરાં થયાં છે; એ શ્રી ગુરૂદેવની કૃપાથી સંસારરૂપ કેદખાનામાંથી હું છૂટ્યો છું, અને નિત્ય આનંદરૂપ તથા પરિપૂર્ણ થયો છું. ।। ૪૮૯ ।।
હું સંગ વગરનો, શરીર વગરનો, ચિહ્ન વિનાનો, અવિનાશી, અત્યંત શાંત, અનંત ( અંતવગરનો ) ક્રિયા વિનાનો તથા નિર્વિકાર છું. ।। ૪૯૦ ।।
હું અકર્તા ( કોઈ પણ કાર્ય નહિ કરનારો ) છું; અભોક્તા ( કોઈ પણ જાતના ભોગ ભોગવનારો ) નથી; અવિકારી – વિકાર વિનાનો, ક્રિયા વગરનો, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ, એક જ અને સદા કલ્યાણરૂપ છું. ।। ૪૯૧ ।।
Page – 129
જોનાર, સાંભળનાર, બોલનાર, કરનાર અને ભોગવનાર એ બધાથી હું જુદો જ છું. હું તો નિત્ય, અંતર વિનાનો, ક્રિયા વિનાનો, હદ વગરનો, સંગ વિનાનો અને પૂર્ણ જ્ઞાનરૂપ છું. ।। ૪૯૨ ।।
હું આ નથી કે પેલું નથી; પણ એ બંને ( સ્થૂળ અને સૂક્ષ્મ ) ને પ્રકાશ આપનાર, અંદર અને બહાર એવા ભેદ વિનાનો, પૂર્ણ, એક જ અને શુદ્ધ પરબ્રહ્મ છું. ।। ૪૯૩ ।।
ઉપમારહિત જે અનાદિ તત્વ છે, અને જે ‘ તું, હું, આ, તે ’ વગેરે કલ્પનાથી દૂર, નિત્ય આનંદના જ રસરૂપ, સત્ય અને એક જ છે, તે બ્રહ્મ હું છું. ।। ૪૯૪ ।।
નરકાસુરને મારનાર નારાયણ હું છું; ત્રિપુરાસુરનો નાશ કરનાર શંકર હું છું; હું પરમ પુરૂષ છું અને હું જ ઈશ્વર છું. હું અખંડ જ્ઞાનસ્વરૂપ, સૌનો સાક્ષી, સ્વતંત્ર અને અહંતા-મમતા વગરનો છું. ।। ૪૯૫ ।।
હું જ આશ્રયરૂપ હોઈ દરેક પ્રાણીમાં અંદર અને બહાર રહેલો છું; પહેલાં જે જે પદાર્થો જુદા જુદા રૂપે દેખાતા હતા. એ સર્વરૂપે હું પોતે જ છું. હું જ ભોગવનાર અને ભોગવવાના પદાર્થરૂપ છું. ।। ૪૯૬ ।।
અખંડ સુખના સમુદ્ર મારામાં માયારૂપી વાયુના ભમવાથી જગતરૂપી અનેક જાતના તરંગો ઊછળે છે અને શમે છે. ।। ૪૯૭ ।।
Page – 130
જેમ અવયવો અને કલ્પના વગરના કાળમાં ખરી રીતે કલ્પ, વર્ષ, અયન, ઋતુ, માસ, દિવસ વગેરે વિભાગની કલ્પના સાચી નથી, એમ મારામાં માણસોએ માત્ર ભ્રમને કારણે જ સ્થુલ, સૂક્ષ્મ વગેરે ભાવો માત્ર આભાસરૂપે જ કલ્પેલા છે. ।। ૪૯૮ ।।
બુદ્ધિના દોષથી દૂષિત અજ્ઞાની માણસોએ કોઈ વસ્તુંમાં કોઈ વસ્તુનો આરોપ કર્યો હોય ( માત્ર માની જ લીધી હોય ), તો તેથી તે મૂળ વસ્તુ દોષિત ઠરતી નથી જેમ ઝાંઝવાનાં પાણીનો મોટો પ્રવાહ ત્યાંની ખારી જમીનના ભાગને ભીની કરતો નથી. ।। ૪૯૯ ।।
હું આકાશની જેમ નિર્લેપ છું, સૂર્યની જેમ પ્રકાશ કરાતી વસ્તુઓથી જુદો છું, પર્વતની જેમ સદા અચળ છું; અને સમુદ્રની જેમ પાર વગરનો છું. ।। ૫૦૦ ।।
Page – 131
જેમ આકાશને વાદળાંનો સંબંધ નથી, તેમ મારે શરીર સાથે સંબંધ નથી, આથી એ શરીરના જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વગેરે ધર્મો મારામાં ક્યાંથી હોય ? ।। ૫૦૧ ।।
ઉપાધિ જ આવે છે અને જાય છે; તેમ જ કર્મો કરે છે અને તેનાં ફળ પણ એ જ ભોગવે છે; વળી એ જ ઘડપણ આવતાં મરે છે. હું તો મોટા પર્વતની જેમ સદા અચળ જ રહું છું. ।। ૫૦૨ ।।
હું તો સદા એકરસ અને અવયવો વિનાનો છું, તેથી હું કોઈ કામ શરૂ કરતો નથી કે છોડી દેતો નથી. અરે ! જે હમેશાં એક જ વ્યાપક અને આકાશની જેમ દરેક ઠેકાણે ખીચોખીચ ભરેલો છે, તે કોઈ જાતની ક્રિયા કેવી રીતે કરે ? ।। ૫૦૩ ।।
હું તો ઈંદ્રિય, ચિત્ત, વિકાર અને આકાર વગરનો છું; તેમ જ મારૂં સ્વરૂપ અખંડ આનંદરૂપ છે; તો મને પાપ અને પુણ્ય કેમ હોઈ શકે ? વેદ પણ ‘ આત્માને પુણ્ય કે પાપ સાથે સંબંધ નથી ’ એમ જ કહે છે. ।। ૫૦૪ ।।
Page – 132
માણસનો પડછાયો ઊની-ટાઢી, સારી-નરસી કોઈ પણ ચીજને અડી જાય, તેથી માણસને પોતાને તેનો જરા પણ સ્પર્શ થતો નથી; કારણ કે માણસ પોતે પડછાયાથી જુદો જ છે અને વિલક્ષણ સાક્ષીને સાક્ષ્ય દેહાદિથી ધર્મો સ્પર્શ કરતા નથી, જેમ ઘરના ધર્મો દીવાને અડતા નથી. તેમ શરીર, ઈંદ્રિયો અને મનના ધર્મો આત્માને અડતા નથી; કારણ કે આત્મા એ પદાર્થોથી અલગ અને વિકાર વગરનો છે. ।। ૫૦૫ ।। ।। ૫૦૬ ।।
જેમ સૂર્ય કર્મનો સાક્ષી છે, લોઢામાં અગ્નિનું જ દાહકપણું છે અને દોરીને કલ્પિત સાપ વગેરેનો જેવો સંબંધ છે; તેમ જ મારા અવિકારી ચેતન આત્માનો વિષયો સાથે કલ્પિત સંબંધ છે. ।। ૫૦૭ ।।
હું કામ કરનાર કે કરાવનાર નથી, ભોગવનાર કે ભોગવાવનાર પણ નથી અને જોનાર કે બતાવનાર પણ નથી. હું તો તેવા ધર્મોથી રહિત સ્વયંપ્રકાશ આત્મા છું. ।। ૫૦૮ ।।
જેવી રીતે પાણી વગેરેના ચાલવા કે ધ્રુજવાથી તેમાં પડેલું સૂર્ય વગેરેનું બિંબ ( ઓછાયો ) પણ ચાલે છે, તેથી મૂઢ બુદ્ધિવાળાઓ માને છે કે, સૂર્ય વગેરે ચાલે છે કે ધ્રુજે છે, એ રીતે સૂર્યની પેઠે ક્રિયા વગરના આત્માને ‘ હું કરનાર છું, હું ભોગવનાર છું; અરે ! હું મરી જાઉં છું ’ એમ અજ્ઞાનીઓ જ માને છે. ।। ૫૦૯ ।।
Page – 133
જેમ ઘડાના ધર્મથી આકાશ લેપાતું નથી, તેમ આ જડ દેહ પાણીમાં કે જમીન ઉપર ગમે ત્યાં આળોટે, તોપણ હું તેના ધર્મથી લેપાતો નથી. ।। ૫૧૦ ।।
કર્તાપણું, ભોક્તાપણું, દુષ્તતા, ગાંડપણ, મૂર્ખતા, બંધન, મોક્ષ વગેરે બુદ્ધિની જ કલ્પનાઓ છે – ખરી રીતે માયાથી રહિત આત્મામાં એ કંઈ છે જ નહિ; કારણ કે એ તો એક જ માત્ર બ્રહ્મસ્વરૂપ જ છે. ।। ૫૧૧ ।।
માયાના દસ જાતના, સો જાતના કે હજાર જાતના વિકારો ભલે થાય; પણ મને-અસંગ ચેતન આત્માને એનો શો સંબંધ છે ? વાદળાં આકાશને ક્યાંય અડી શક્તાં નથી. ।। ૫૧૨ ।।
માયાથી માંડી સ્થૂળ દેહ સુધીનું આ આખું જગત જેની અંદર માત્ર ખોટા દેખાવરૂપે જ ભાસે છે, એ આકાશ જેવું સૂક્ષ્મ તથા આદિ-અંત વગરનું જે બ્રહ્મ છે, તે જ હું છું. ।। ૫૧૩ ।।
Page – 134
સૌનો આધાર, દરેક વસ્તુને પ્રકાશ આપનાર, સર્વરૂપ, બધે ઠેકાણે રહેનાર, દરેક વસ્તુથી અળગું, નિત્ય, શુદ્ધ, અચળ અને ભેદ વગરનું જે એક જ બ્રહ્મ છે, તે જ હું છું. ।। ૫૧૪ ।।
જેમાંથી માયાના દરેક ભેદો દૂર થાય છે, જે અંતરાત્મારૂપ બુદ્ધિથી સમજી ન શકાય એવું સત્યસ્વરૂપ, અનંત, એક અને આનંદરૂપ છે, તે જ બ્રહ્મ હું છું. ।। ૫૧૫ ।।
હું ક્રિયા વગરનો, વિકાર વગરનો, વિભાગ વગરનો, આકાર વગરનો, ભેદ વગરનો, નિત્ય, આશ્રમ વિનાનો અને એક જ છું. ।। ૫૧૬ ।।
હું સૌનો આત્મા, સર્વરૂપ, સૌથી જુદો અને એક જ છું તેમ જ હું માત્ર અખંડ જ્ઞાનરૂપ, સદા આનંદરૂપ અને અંતર વિનાનો છું. ।। ૫૧૭ ।।
હે ગુરૂદેવ ! આપની તથા ઈશ્વરની કૃપાથી મને આ સ્વરાજ્ય અને સામ્રાજ્યની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આપ મહાત્માને મારા વારંવાર નમસ્કાર હો ! ।। ૫૧૮ ।।
Page – 135
હું માયાએ કરેલાં જન્મ, ઘડપણ અને મરણથી અત્યંત બિહામણા મોટા સ્વપ્નમાં ભટકીને અનેક પ્રકારનાં દુઃખથી હમેશાં હેરાન થતો હતો તથા અહંકારરૂપી વાઘથી બહુ જ ત્રાસ પામ્યો હતો; હે ગુરૂદેવ ! આપે મને-દીનને મોટી ઊંઘમાંથી જગાડી સારી રીતે બચાવ્યો છે. ।। ૫૧૯ ।।
હે ગુરૂરાજ ! આપના એ અવર્ણ્ય તેજને હું નમસ્કાર કરૂં છું, જે સતરૂપ તથા એક જ છે; છતાં આ વિશ્વરૂપે શોભી રહ્યું છે. ।। ૫૨૦ ।।
છેવટનો ઉપદેશ – Page – 135
એમ આત્માનું સુખ તથા તત્વનું જ્ઞાન પામેલા એ ઉત્તમ શિષ્યને પ્રણામ કરતો જોઈ તે મહાત્મા ગુરૂદેવે અત્યંત હર્ષિત હ્રદયથી ફરી આ શ્રેષ્ઠ વચન કહ્યું : ।। ૫૨૧ ।।
તું આત્મા ઉપર જ દ્રષ્ટિ રાખી અત્યંત શાંત મનથી દરેક અવસ્થામાં સંસારને માત્ર બ્રહ્મજ્ઞાનનો જ પ્રવાહ માન; અને બધું સત્યરૂપ બ્રહ્મમાં જ છે, એમ જો. આંખવાળાઓને રૂપ સિવાય બીજી કઈ વસ્તુ જોયેલી દેખાય છે ? એવી જ રીતે બ્રહ્મજ્ઞાનીની બુદ્ધિને બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ વિહારનું સ્થાન છે ? ।। ૫૨૨ ।।
Page – 136
એ પરમ આનંદરસના અનુભવને તજી કયો સમજુ માણસ બીજી શૂન્ય વસ્તુઓમાં આનંદ પામે ? અત્યંત આનંદ દેનાર ચંદ્ર પ્રકાશતો હોય, ત્યારે કયો માણસ ચિત્રમાં ચીતરેલા ચંદ્રને જોવા ઈચ્છે ? ।। ૫૨૩ ।।
અસત્-મિથ્યા પદાર્થોના અનુભવ વડે જરા પણ તૃપ્તિ થતી નથી અને દુઃખનો નાશ પણ થતો નથી; માટે તું એ એક જ બ્રહ્મના આનંદરસનો અનુભવ કરી તૃપ્ત થઈને સદા આત્મામાં જ સ્થિતિ કરી સુખી રહે. ।। ૫૨૪ ।।
હે મહાબુદ્ધિમાન ! ચારેય તરફ તું પોતાને જ જોતો, પોતાને જ એક જ માનતો અને પોતાના જ આનંદને ભોગવતો સમય વિતાવ. ।। ૫૨૫ ।।
અખંડ જ્ઞાનરૂપ અને ભેદ વિનાના આત્મામાં કોઈ પણ જાતનો ભેદ કલ્પવો એ આકાશમાં શહેરની કલ્પના કરવા જેવી વાત છે. માટે એક આનંદમય આત્મા વડે સદા પરમ શાંતિ પામીને મૌન સેવ. ।। ૫૨૬ ।।
Page – 137
જૂઠા તર્ક-વિતર્ક કરનાર બુદ્ધિની જે મૌન સ્થિતિ એ પરમ શાંતિ છે; જેમાં બ્રહ્મજ્ઞાની મહાત્માને નિરંતર બ્રહ્મરૂપે અદ્વૈત-આનંદસુખનો અનુભવ થાય છે. ।। ૫૨૭ ।।
જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે અને આત્માનંદનો રસ અનુભવ્યો છે, તેને માટે વાસનારહિત મૌનાવસ્થા સિવાય બીજું કંઈ પણ સુખકારક અને ઉત્તમ નથી. ।। ૫૨૮ ।।
વિચારશીલ વિદ્વાને ચાલતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં, સૂતાં કે જાગતાં, ઈચ્છા પ્રમાણે સદા આત્મામાં રમણ કરતા રહેવું. ।। ૫૨૯ ।।
જેની વૃત્તિ હમેશાં આત્મસ્વરૂપમાં જ લાગી રહેતી હોય અને જેણે આત્મતત્વ બરાબર સમજી લીધું હોય, એવા મહાપુરૂષને દેશ, કાળ, આસન, દિશા, યમ, નિયમ વગેરે અથવા કોઈ લક્ષ્ય વગેરેની જરૂર નથી; કારણ કે આત્મસ્વરૂપને સમજી લીધા પછી નિયમ વગેરેની શી જરૂર છે ? ।। ૫૩૦ ।।
આ ઘડો છે એમ સમજવા માટે જેનાથી પદાર્થનું જ્ઞાન થાય છે, એવાં ઉત્તમ પ્રમાણ સિવાય કયા નિયમની જરૂર રહે છે ? ।। ૫૩૧ ।।
Page – 138
એ રીતે પ્રમાણ હોય, તો આ નિત્યસિદ્ધ આત્મા જાણી શકાય છે. તે દેશ, કાળ કે શુદ્ધિની જરૂર ધરાવતો નથી. ।। ૫૩૨ ।।
જેમ ‘ હું દેવદત્ત છું ’ એમ સમજવા માટે કોઈની જરૂર નથી, તેમ બ્રહ્મજ્ઞાનીને ‘ હું બ્રહ્મ છું ’ એમ સમજવા માટે પણ કશાની જરૂર નથી. ।। ૫૩૩ ।।
જેમ સૂર્યથી સર્વ જગત પ્રકાશે છે, તેમ જેના પ્રકાશથી જડ, જૂઠું અને તુચ્છ છતાં બધું પ્રકાશે છે, એને પ્રકાશ કરનાર ( એના પોતાના સિવાય ) બીજું શું હોઈ શકે ? ।। ૫૩૪ ।।
વેદ, શાસ્ત્ર, પુરાણ અને દરેક ભૂત ( પૃથ્વી, તેજ, પાણી, વાયું, આકાશ ) એ બધાં જેને લીધે જ સાર્થક છે; એ સંપૂર્ણ જાણનાર પરમાત્માને બીજું કોણ પ્રકાશિત કરે ? ।। ૫૩૫ ।।
આ આત્મા સ્વયંપ્રકાશ ( પોતાની મેળે જ પ્રકાશનાર ) અનંત શક્તિવાળો, માપી ન શકાય એવો અને સૌના અનુભવમાં આવી શકે એવો છે; એને જ બરાબર જાણી લઈ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બનેલો આ પુરૂષ સંસારરૂપ બંધનમાંથી છૂટી જઈ સર્વોત્કૃષ્ટ બને છે. ।। ૫૩૬ ।।
Page – 139
એ મહાત્મા વિષયોથી આનંદ પામતો નથી કે ખેદ પામતો નથી; તેઓમાં આસક્ત થતો નથી કે તેઓથી કંટાળતો નથી; એ તો હમેશાં આત્મામાં જ રમે છે, આનંદ પામે છે અને નિરંતર આનંદરસથી તૃપ્ત રહે છે. ।। ૫૩૭ ।।
જેમ બાળક ભૂખ અને શરીરનું દુઃખ ભૂલી જઈ રમવાની વસ્તુમાં રમે છે, એમ જ્ઞાની અહંકાર અને મમતાથી રહિત તથા સુખી થઈને આત્મામાં જ રમણ કરે છે. ।। ૫૩૮ ।।
બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન ચિંતા અને દીનતા વગરનું ભિક્ષાનું અન્ન જ હોય છે; તેઓ નદીઓનાં પાણી પીએ છે, સ્વતંત્ર રીતે કોઈની રોકટોક વિના ગમે ત્યાં રહે છે; એમને કોઈ પણ જાતની બીક હોતી નથી; જંગલમાં કે સ્મશાનમાં તેઓ ઊંઘે છે; તેઓનાં કપડાં ધોવા-સૂકવવાની જરૂર વિનાનાં ઝાડની છાલો જ હોય છે, દિશાઓ એમનું ઘર છે, જમીન શય્યા છે, વેદાંતરૂપી ગલીઓમાં તેઓ ફરે છે અને માત્ર પરબ્રહ્મમાં જ તેઓની રમત હોય છે. ।। ૫૩૯ ।।
જે આત્મજ્ઞાની હોય, તે અભિમાનરહિત શરીરનો આશ્રય કરી બાળકની જેમ બીજાઓની ઈચ્છાથી મળેલા વિષયોને ભોગવે છે; એનાં કોઈ જાતના પ્રકટ ચિહનો હોતાં નથી અને બહારના પદાર્થો ઉપર તે આસક્ત હોતો નથી. ।। ૫૪૦ ।।
Page – 140
ચેતનરૂપ વસ્ત્રને જ ધારણ કરતો એ પુરૂષ ( કોઈ વેળા ) દિગંબર, વસ્ત્રધારી અથવા વલ્કલધારી પણ હોય; એ તો ઉન્મત્તની પેઠે અથવા બાળકની પેઠે અથવા ભુત-પ્રેતની પેઠે પૃથ્વી પર ફરે છે. ।। ૫૪૧ ।।
સર્વના આત્મારૂપે રહેલો તે મુનિ સદા પોતાના આત્માથી જ સંતોષી રહી પોતે એકલો ફરે છે અને નિષ્કામ સ્વરૂપે વિષયોને ભોગવે છે. ।। ૫૪૨ ।।
એ બ્રહ્મજ્ઞાની ક્યારેક મૂર્ખ, ક્યારેક વિદ્વાન, ક્યારેક મહારાજાના ઠાઠવાળો, ક્યારેક ભ્રાંતિવાળો, ક્યારેક શાંત, ક્યારેક અજગર જેવા આચારવાળો, ક્યારેક પાત્ર જેવો જણાતો, ક્યારેક અપમાન પામેલો અને ક્યારેક અજાણ્યો રહે છે. એમ નિત્ય પરમ આનંદથી સુખી થઈ ફર્યા કરે છે. ।। ૫૪૩ ।।
એ મહાત્મા નિર્ધન હોય તોપણ સદા સંતોષી હોય છે; સહાય વિનાનો હોય છતાં મહાબળવાન હોય છે; જમે નહિ છતાં નિત્ય તૃપ્ત રહે છે અને પોતે અતુલ્ય હોય-સર્વથી શ્રેષ્ઠ હોય છતાં સૌ ઉપર સમાન દ્રષ્ટિવાળો હોય છે. ।। ૫૪૪ ।।
Page – 141
એ બધાં કામો કરે છતાં કાંઈ કરતો નથી; અનેક જાતનાં ફળ ભોગવે છતાં ભોકતા ( ભોગવનાર ) નથી; શરીરધારી હોય છતાં શરીર વગરનો છે; અને થોડી જગ્યામાં રહે છતાં દરેક ઠેકાણે રહેનાર છે. ।। ૫૪૫ ।।
હમેશાં શરીરના અભિમાન વિનાના એ ઉત્તમ બ્રહ્મજ્ઞાનીને પ્રિય કે અપ્રિયનો તથા શુભ કે અશુભનો ક્યાંય સંબંધ થતો જ નથી. ।। ૫૪૬ ।।
જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનો સંબંધ હોય અને તેના પર હુંપણાનું અભિમાન હોય, એને જ સુખ-દુઃખ અને શુભ કે અશુભ જણાય છે; પણ જેનાં દેહબંધન નાશ પામ્યાં હોય, અને જે સદા આત્મારૂપે સ્થિતિ કરતો હોય એવા મુનિને શુભ કે અશુભ ફળ શાથી જણાય ? ।। ૫૪૭ ।।
વસ્તુસ્વરૂપ નહિ સમજીને જેમ માણસો ભ્રાંતિથી જ રાહુએ નહિ ગળેલા સૂર્યને પણ ગળેલો કહે છે; તેમ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુરૂષ દેહાદિના બંધનથી મુક્ત જ થયો હોય, તોપણ તેના માત્ર આભાસરૂપ શરીરને જોવાથી અજ્ઞાનીઓ એને દેહધારી જેવો જુએ છે. ।। ૫૪૮ ।। ।। ૫૪૯ ।।
Page – 142
જેમ સાપ કાંચળી ઉતારીને અલગ રહે છે, તેમ બ્રહ્મજ્ઞાની પણ પોતાના શરીર ઉપરની અહંતા-મમતા તજીને તેથી અલગ રહે છે. માત્ર તેનું શરીર પ્રાણવાયુથી આમતેમ લગાર હરતુંફરતું જણાય છે. ।। ૫૫૦ ।।
જેમ પાણીનો પ્રવાહ લાકડાને ઊંચે-નીચે ઠેકાણે લઈ જાય છે, એમ તે જ્ઞાનીના શરીરને દૈવ જ વખતસર ખાવુ-પીવું વગેરે ભોગો તરફ લઈ જાય છે. ।। ૫૫૧ ।।
ઉપરના અહંભાવથી મુક્ત થયેલો તે પુરૂષ પ્રારબ્ધકર્મથી કલ્પાયેલી વાસનાઓથી સંસારી પુરૂષની જેમ અનેક ભોગો ભોગવે છે; છતાં એ સિદ્ધ પુરૂષ ચાકડાના મૂળની પેઠે પોતે વિતર્ક વગરનો થઈ સાક્ષીની પેઠે ચૂપચાપ આ લોકમાં રહે છે. ।। ૫૫૨ ।।
Page – 143
એ બ્રહ્મજ્ઞાની, આત્માનંદના ઘાટા રસનું પાન કરવાથી જાણે અતિ મદયુક્ત ચિત્તવાળો હોય એવો બની સાક્ષીના જેવાં લક્ષણોમાં રહી ઈંદ્રિયોને વિષયોમાં જોડતો નથી; તેમ જ વિષયોથી તેમને રોકતો નથી. વળી તે પોતાના કર્મનાં ફળ તરફ તો લેશમાત્ર પણ જોતો જ નથી. ।। ૫૫૩ ।।
જણાતી અને નહિ જણાતી વસ્તુનો વિચાર છોડી દઈ જે માત્ર આત્મારૂપે જ રહે છે, એ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે; અને તે સાક્ષાત્ શિવ પોતે જ છે. ।। ૫૫૪ ।।
એવો ઉત્તમ બ્રહ્મજ્ઞાની જીવતાં જ સદા મુક્ત છે; એણે પોતાનાં બધાં કામ પૂરાં કર્યાં છે; અને શરીર નાશ પામ્યા પછી પણ એ બ્રહ્મરૂપે જ થઈને અદ્વૈત બ્રહ્મમાં મળી જાય છે. ।। ૫૫૫ ।।
જેમ નટ વેશ પહેર્યો હોય કે ન પહેર્યો હોય તોપણ માત્ર માણસ જ છે, તે જ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પણ ઉપાધિવાળો હોય કે ન હોય તોપણ સદા બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી. ।। ૫૫૬ ।।
બ્રહ્મરૂપ થયેલા યોગીનું શરીર ઝાડનાં ખરી પડેલાં પાંદડાંની પેઠે ગમે ત્યાં પડે તેની તેને પરવા નથી; કારણ કે એ શરીર તો અગાઉથી જ ચેતનરૂપ અગ્નિમાં બળેલું હોય છે. ।। ૫૫૭ ।।
Page – 144
આત્મારૂપ બ્રહ્મમાં હમેશાં પૂર્ણ અને અદ્વૈત આનંદ રસરૂપે જ રહેતા એ મહાત્માને ચામડી, માંસ અને મળમૂત્રના પિંડા જેવું આ શરીર છોડવા માટે યોગ્ય દેશકાળની રાહ જોવાની જરૂર નથી. ।। ૫૫૮ ।।
કારણ કે હ્રદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી જાય, એ જ મોક્ષ છે; શરીર કે દંડ-કમંડળનો ત્યાગ એ મોક્ષ નથી. ।। ૫૫૯ ।।
ઝાડનું પાન નદીમાં, નાળાંમાં, મંદિરમાં કે ચૌટામાં પડે તેથી ઝાડને કયો લાભ કે નુકસાન છે ? ।। ૫૬૦ ।।
જેમ ઝાડનાં પાન, ફૂલ અને ફળ ખરી પડે છે, તેમ જીવનાં દેહ, ઈંદ્રિયો, પ્રાણ અને બુદ્ધિ વગેરેનો નાશ થાય છે; પણ સદા આનંદરૂપ આત્માનો પોતાનો ક્યારેય નાશ થતો જ નથી. એ તો ઝાડની પેઠે નાશ નહિ પામેલો જ રહે છે. ।। ૫૬૧ ।।
આત્મા જ્ઞાનરૂપ છે, એ જ એનું અવિનાશીપણું સૂચવતું લક્ષણ છે; એમ કહીને જ્ઞાનીઓ ઉપાધિવાળી વસ્તુનો જ નાશ જણાવે છે. ।। ૫૬૨ ।।
Page – 145
‘ અરે ! આ આત્મા અવિનાશી છે ’ આમ કહીને વેદ જણાવે છે કે, વિકારવાળા પદાર્થો નાશ પામે છે તોપણ આત્મા ( અવિકારી હોવાથી ) નાશ પામતો નથી. ।। ૫૬૩ ।।
જેમ પથ્થર, ઝાડ, ઘાસ, અનાજ, સાદડી અને કપડાં વગેરે બળી જાય તો તેની માટી ( રાખ ) જ થાય છે ; તેમ દેહ, ઈંદ્રિય, પ્રાણ અને મન વગેરે દરેક દ્રશ્ય પદાર્થો, જ્ઞાનરૂપી અગ્નિથી બાળીને પરમાત્મારૂપ જ બની જાય છે. ।। ૫૬૪ ।।
જેમ સૂર્યનો પ્રકાશ થતાં એનાથી ઊલટા સ્વભાવનું અંધારૂં એમાં જ લય પામે છે ( જાણે એમાં ડૂબી ગયું હોય એમ લાગે છે ), તેમ ( જ્ઞાન થયા પછી ) આ આખું દ્રશ્ય જગત બ્રહ્મમાં જ લય પામે છે-તે સ્વરૂપ જણાઈ અદ્રશ્ય થાય છે. ।। ૫૬૫ ।।
જેમ ઘડો ફૂટી જતાં એમાં રહેલું આકાશ મોટા આકાશરૂપ જ થઈ જાય છે, તેમ શરીરરૂપ ઊપાધિનો નાશ થતાં બ્રહ્મવેત્તા પુરૂષ પોતાની મેળે જ બ્રહ્મરૂપ થઈ જાય છે. ।। ૫૬૬ ।।
Page – 146
જેમ દૂધમાં નાખેલું દૂધ, તેલમાં નાખેલું તેલ અને પાણીમાં નાખેલું પાણી મળીને એક થઈ જાય છે, તેમ બ્રહ્મજ્ઞાની મહાત્મા આત્મામાં મળીને એકરૂપ થઈ જાય છે. ।। ૫૬૭ ।।
એમ કેવળ અખંડ બ્રહ્મરૂપે જ થવું એ ‘ વિદેહ કૈવલ્ય – વિદેહમુક્તિ – દેહત્યાગ પછીની મુક્તિ ’ છે એ રીતે બ્રહ્મપણાને પામીને યોગી ફરી સંસારમાં પાછો આવતો નથી. ।। ૫૬૮ ।।
‘ બ્રહ્મ અને આત્મા એક જ છે ’ એવા જ્ઞાનરૂપ અગ્નિથી અવિદ્યા આદિના કારણે ઊપજેલી શરીરરૂપ ઉપાધિ જેની બળી ગઈ હોય છે એવો બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ જ થયો હોય છે; તેથી એ બ્રહ્મનો જન્મ ક્યાંથી હોય ? ।। ૫૬૯ ।।
માયાથી કલ્પાયેલાં બંધન અને મોક્ષ ખરી રીતે આત્મામાં છે જ નહિ – જેમ ક્રિયા વગરના દોરડામાં ( ભ્રમથી ) સાપનું દેખાવું અને નહિ દેખાવું છે જ નહિ. ।। ૫૭૦ ।।
જ્યાં સુધી આવરણશક્તિ હોય ત્યાં સુધી સંસારનું બંધન છે એને જ્યારે એ શક્તિ જ્ઞાનથી નાશ પામે ત્યારે મોક્ષ થાય છે, એમ કહી શકાય; પણ બ્રહ્મને તો કોઈ આવરણ ( ઢાંકનાર ) છે જ નહિ; કારણ કે બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી તેથી બ્રહ્મ, કોઈ બીજી વસ્તુથી ઢંકાઈ જતું નથી; છતાં તેને આવરણ છે એમ માનીએ તો ‘ બ્રહ્મ એક જ છે ’ એમ તેનું અદ્વૈતપણું સાબિત થતું નથી; અને વેદ તો દ્વૈત વસ્તુ સહન કરતો જ નથી, અર્થાત્ બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી એમ વેદ કહે છે. ।। ૫૭૧ ।।
Page – 147
બંધન અને મોક્ષ એ બુદ્ધિના જ ગુણ છે; તેને અજ્ઞાનીઓ આત્મારૂપ વસ્તુમાં ખોટા જ કલ્પી લે છે. – જેમ વાદળાં આપણી જ નજરને ઢાંકે છે, છતાં અણસમજુ લોકો માને છે કે, ‘ સૂર્ય ઢંકાઈ ગયો. ’ ( પણ એવું માનવું ભૂલભરેલું છે; કારણ કે ) બ્રહ્મ તો અદ્વૈત, અસંગ, ચૈતન્યરૂપ, એક અવિનાશી છે. ।। ૫૭૨ ।।
કોઈ વસ્તુમાં ‘ તે છે અને નથી ’ એવું જે સમજાય છે, તે બુદ્ધિના જ ગુણ છે, નિત્ય વસ્તુ ( આત્મા ) ના ગુણ નથી. ।। ૫૭૩ ।।
માટે બંધ અને મોક્ષ એ બંને માયાથી જ કલ્પાય છે, ( પણ ) આત્મામાં છે જ નહિ; કારણ કે આકાશની જેમ અવયવ વગરના, ક્રિયાવગરના, શાંત, નિર્મળ, નિર્લેપ અને એક જ પરમ તત્વમાં એની કલ્પના ક્યાંથી થાય ? ।। ૫૭૪ ।।
Page – 148
માટે ખરી વાત તો એ જ છે કે કોઈ ચીજનો નાશ કે ઉત્પત્તિ નથી, કોઈ બંધાતું નથી કે કોઈ સાધક નથી, કોઈ મુક્તિની ઈચ્છાવાળું નથી કે કોઈ મુક્ત નથી. ।। ૫૭૫ ।।
( હે વત્સ ! ) તને કલિયુગના દોષ વગરનો વિષયોની ઈચ્છારહિત બુદ્ધિવાળો અને મુક્તિની ઈચ્છાવાળો જાણી પોતાના પુત્ર જેવો માનીને મેં દરેક ઉપનિષદોના રહસ્ય ( સિદ્ધાંત ) રૂપ આ અતિ ગુપ્ત જ્ઞાન આજે તને વારંવાર બતાવ્યું છે. ।। ૫૭૬ ।।
શિષ્યની વિદાય – Page – 148
શ્રી ગુરૂદેવનાં એ વચન સાંભળી શિષ્યે શ્રી ગુરૂદેવના ચરણોમાં વિનયથી પ્રણામ કર્યા; અને સંસારના બંધનમાંથી છૂટી તેમની આજ્ઞા મેળવી ત્યાંથી તે ચાલ્યો ગયો. ।। ૫૭૭ ।।
અને ગુરૂદેવ પણ હમેશાં એમ સત્ – ચિત્ – આનંદના સમુદ્રમાં મગ્ન મનવાળા થઈ આખી પૃથ્વીને પવિત્ર કરતા ફરવા લાગ્યા. ।। ૫૭૮ ।।
Page – 149
એમ ગુરૂ અને શિષ્યના સંવાદરૂપે મુમુક્ષુઓને સહેલાઈથી જ્ઞાન થવા માટે આત્મજ્ઞાન જણાવ્યું છે. ।। ૫૭૯ ।।
વેદોક્ત કર્મો કરવાથી જેમના ચિત્તના બધા દોષ દૂર થયા હોય, જેઓ સંસારનાં સુખથી અટક્યા હોય, શાંત ચિત્તવાળા હોય, વેદના ઉપદેશમાં રસ લેતા હોય અને મોક્ષને ઈચ્છતા હોય, તેવા સંયમી મનુષ્યો આ હિતકારક ઉપદેશને સ્વીકારો. ।। ૫૮૦ ।।
સંસારરૂપી માર્ગમાં ( આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણ ) તાપરૂપી સૂર્યનાં કિરણોથી ઊપજતા દાહની પીડાથી ગભરાઈને થાકને લીધે નિર્જળ ( જ્ઞાનરૂપ જળ વિનાના પ્રદેશમાં ) પાણીની ઈચ્છાથી ભટકતાં માણસો માટે અદ્વૈત બ્રહ્મરૂપી અત્યંત આનંદ દેનાર, અતિ નજીકમાં અમૃતનો સમુદ્ર બતાવતી શ્રીસંકરાચાર્યની આ પરમ શાંતિ આપનારી વાણી સર્વોત્કૃષ્ટ છે. ।। ૫૮૧ ।।

………………………………………………………………………………………………

શ્રીમત્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીગોવિંદ ભગવાનના શિષ્ય શ્રીમતશંકરાચાર્ય ભગવાને રચેલું ‘ વિવેકચૂડામણિ ’ સમાપ્ત.

……………………………………………………………………………………………………….
નિદિધ્યાસન ( આત્મભાવનાને ચિત્તમાં વારંવાર સ્થિર કરવી તે ) લાખગણું ઉત્તમ છે; અને એનાથી પણ
નિર્વિકલ્પ ( કોઈ પણ જાતના વિચાર વિનાની ) સમાધિ અનંતગણી ઉત્તમ છે.
ઉપરતિ ( વિષયોથી અટકવું તે )
જે યોગી પરબ્રહ્મમાં ચિત્તને લગાડી દઈ વિકાર તથા કર્મોથી રહિત થઈને સદા આનંદ અનુભવે છે, એ ‘ સ્થિતપ્રજ્ઞ ’ કહેવાય છે.
સારી રીતે જાણેલા બ્રહ્મ અને આત્માના એકપણાને સમજનારી, તર્ક-વિતર્ક વગરની અને માત્ર ચૈતન્યરૂપ બનેલી વૃત્તિને ‘ પ્રજ્ઞા ’ કહેવાય છે; અને જેનામાં એ પ્રજ્ઞા સર્વકાળે રહી હોય, એ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

……………………………………………………………………………………………………….

साम्यसूत्र-वृत्तिः

September 26, 2008 by kantilal1929

 

साम्यसूत्र-वृत्तिः

 

अध्याय १

 

(१) अभिधेयं परम-सामय्म् – 5

(१)   अथ गीतानुशासनम्

(२)   दीपस्तंभवत्

(३)   रामायण-भारतयोर् वैशिष्ट्यम्

(४)   व्यासमुनेर् मननसारः

   (५)   कृष्णत्रयी

(२)   संबंधेन — 5

  (६)   अर्जुनस्य भूमिका

(७)   वीरवृत्तिः

(८)   अहिंसकवत् भाषते एब

(९)   मोहांध-न्यायाधीशवत्

(१०) प्रज्ञावादः

(3) प्रयोजनवत्वात् – 5

(११) अर्जुनस्य संन्यासो न स्वधर्मः

(१२) परधर्मः श्रेष्ठ ईति न ग्राह्यः

(१३) सुकर ईति न स्वीकार्यः

(१४) भगवान भक्त-सापेक्षः

(१५) मोहमोचनमेव प्रयोजनम्  

(४) ऋजुबुद्धेस्तु — 1

(१६) ऋजुबुद्धिरर्जुनः

 

अध्याय २

 

(५) छंदसि बहुलम् – 3

(१)   अर्जुनं निमित्तीकृत्य

(२)   नित्यनूतन-परिभाषा

(३)   ‘द’ करार्थवत्

(६) देहेन स्वधर्मः – 2

(४)   स्वधर्मः सहणः सुकरः

(५)   देहबुद्धया तु दुष्करो भवति

(७) मुक्तात्मा –7

(६)   तत्वज्ञानं प्रथमावश्यकम्

(७)   नाहं देहः

(८)   देहो वस्त्रवत्

(९)   मरणशब्दमपि न सहते पामरः

(१०) आत्म-विस्तारः कर्तव्यः

(११) आत्मा मोचनोत्सुकः

(१२) सारांशत्रयी

(८) युक्त्या समन्वयः – 3

(१३) फलाशा त्यक्तव्या

(१४) समत्वं कुशलो गुणः

(१५) कर्मण्येवानंदनिर्झरः

(९) भक्त-जनेषु – 4

(१६) तुकारामस्य दृष्टान्तः

(१७) पुंडलीकस्य च

(१८) ‘अपि’ सिद्धन्तः

(१९) साधनैकपरता

(१०) ततः प्रज्ञालाभः – 5

(२०) स्थितप्रज्ञलक्षणानि

(२१) नित्यं पठितव्यानि

(२२) संयममूर्तिः

(२३) मत्परः

(२४) जीवनशास्त्रं संपूर्णम्

 

अध्याय ३

 

(११) कर्मयोगोनंतफलः – 7

(१)   अकामिनं कांक्षते लक्ष्मीः

(२)   अहो भारभृतां त्यागः

(३)   मंत्रितं कर्म

(४)   गुरूदक्षिणातुल्यम्

(५)   गंगास्नानादि-सदृशम्

(६)   भावनाभेदादंतरम्

(७)   विश्वेन सामरस्यम्

(१२) बहुविध-प्रेरणैः – 3

(८)   स्व-पर-यात्रार्थम्

(९)   चित्तस्यशुद्धये

(१०) आदर्श-स्थापनाय च

(१३) जितांतरायस्य – 2

(११) प्रसादसेवनमानुषंगिकम्

(१२) अंतरायजयः

 

अध्याय ४

 

(१४) विकर्मणा संधानम् – 3

(१)   निष्कामता-सिद्धये चित्तं शोधयेत्

(२)   एतदर्थं विकर्म-योजना

(३)   निष्कामकर्मणि विशेषणं वरीयः

(१५) ततः स्फोटः – 6

(४)   मंत्रेण तंत्रे शक्तिः

(५)   भावेन सेवा सार्द्रा

(६)   विकर्मणा कर्मणि चैतन्यम्

(७)   रामेक्षणमिव

(८)   निरूपद्रवं भस्म

(९)   न भारो न श्रमः

(१६) सच्छरणस्य – 3

(१०) विकर्मकला सत्संगेन

(११) ज्ञानं निर्ग्रंथम्

(१२) अति-श्रुतस्य बुद्धिर् भ्रांता

 

अध्याय ५

 

(१७) कर्ममातृकमकर्म – 6

(१)   गृहे वने संसारः समानः

(२)   राक्षसवत् यथेष्टाकारः

(३)   तज्जयाय विकर्मापेक्षा

(४)   कर्मणोप्युपकारः

(५)   गुहासीनस्य चित्तं क्षीणम्

(६)   अकर्मदर्शनमुभयसंयोगेन

(१८) द्विरूपं तु – 5

(७)   अकलान्तमेकम्

(८)   स्वेनाज्ञातम्

(९)   अगणितम्

(१०) प्रेरकमपरम्

(११) सहजधर्मरूपम्

(१९) व्यक्तलिंगमेकम् – 3

(१२) अकरणमपि कर्मप्रकारः

(१३) सुवर्णमंजूषान्यायेन

(१४) कर्मसातत्ये नैष्कर्म्यम्

(२०) अव्यक्तलिंगमपरम् – 2

(१५) संन्यासो गूढशक्तिः

(१६) आसीनो दूरं व्रजति

(२१) अतिर्वचनीयमुभयम् – 3

(१७) उभयकथा रम्या

(१८) सद्भिः सदा सेव्या

(१९) उदात्ता काव्यमयी

(२२) बिंदु-देवतादिवत् – 4

(२०) दृष्टान्ता अपूर्णाः

(२१) अमूर्तस्य भावनं मूर्तौ

(२२) यथा भूमिति-शास्त्रे

(२३) यथा च मीमांसा-दर्शने

(२३) शुकजनकयोरेकः पंथाः – 4

(२४) एकैव गुरू-परंपरा

(२५) शुकस्य ज्ञाननिष्ठा

(२६) ज्ञानिनोस्तित्वमेव स्फूर्तिः

(२७) वेगचालितं यंत्रं स्थिरं भासते

(२४) वैशेष्यं तु – 5

(२८) सौकर्येण विशिष्यते कर्मयोगः

(२९) सगुणोपासनवत्

(३०) प्रयत्नावकाशात्

(३१) अनिखित-पठनं तु संन्यासः

(३२) केवलं निष्ठैव

 

अध्याय ६

 

(२५) आरोढुमिच्छेत्

(१)   अथ विवरणारंभः

(२)   गीता व्यवहार-शोधनाय

(३)   उच्चाकांक्षायामेव ध्यानादि-प्रयोजनम्

(२६) एकाग्रतया – 4

(४)   एकाग्रता प्राथमिकी

(५)   रणांगणेपि

(६)   न ज्ञातं शल्यमुद्धृतम्

(७)   वृद्धोपि तरूणायते 

(२७) साभीष्टा शुद्धिपूर्विका – 5

(८)   अंतश्चक्रं निवर्तयेत्

(९)   क्षुद्र-विषयेषु ज्ञानशक्तिं न क्षपयेत्

(१०) शून्यमनेकं च वर्जयेत्

(११)जीवनं शोधयेत्

(१२) परदोषं न पश्येत

(२८) गणितं सहकारि – 3

(१३) युक्तं जीवेत्

(१४) आवृत्तचक्षुः

(१५) नातिमात्रं तु भुंजीत

(२९) साम्येन मंगलम् – 7

(१६) मंगलायतनं हरिः

(१७) विश्वं तद् भद्रं यदवन्ति देवाः

(१८) रामदासयोर् मतभेदः !

(१९) सृष्टिर् मातृसमा

(२०) अतिष्ठन्तीनामनिवेशनानाम्

(२१) हिमालयो ह्रदि स्थितः

(२२) समुद्रादूर्मिर् मधुमानुदारत्

(३०) बालवत् – 2

(२३) बलवान् बालः

(२४) श्रद्धामूरतिः

(३१) श्रद्धयोपेतस्य – 4

(२५) धनर्णयोगेन परिपूर्णता

(२६) रसतमास्वादने नीरसमन्यत्

(२७) योगसंस्कारो न नश्यति

(२८) ज्ञानदेव-कथने विशदम्

 

अध्याय ७

 

(३२) मायिनो ग्रहणेन – 4

(१)   नूतनागारम्

(२)   द्विविधा प्रकृतिः

(३)   परमात्मा ग्रहीतव्यः

(४)   प्रपत्ति-योगेन

(३३) भक्तिरसं लब्ध्वा – 4

(५)   भक्तिर् वास्तविको रसः

(६)   अन्ये रसा आभासिकाः

(७)   आनंदाभासं निर्मिमीते निरानंदः

(८)   रामरसं को जानाति ?

(३४) काम्यं क्षम्यं हरिस्परशात् – 4

(९)   अश्रुपूर्णो नामदेवः

(१०) व्रतपरायणा महिलाः

(११) युधिष्ठिरस्य कुक्कुरः

(१२) भाविको यात्रिकः

(३५) निष्कामाश्चतुर्विद्याः – 4

(१३) आर्तः साधकः

(१४) जिज्ञासुः शोधकः

(१५) हितार्थी सेवकः

(१६) ज्ञानी परिपूर्णः

 

अध्याय ८

 

(३६) शुभं शनैः संचिनुयात् – 3

(१)   संस्कारसंचयो जीवनम्

(२)   तच्छेषोल्पः

(३)   अंत्यस्मृतिर् बलीयसी

(३७) मृति-स्मृतिः शुद्धये – 8

(४)   अंत्यस्मृत्यनुसारि पुनर्जन्म

(५)   एकनाथेन सूचितम्

(६)   पास्कलस्य प्रतिभा

(७)   कालापसारिणो विद्यार्थिनः

(८)   सुक्राताय समर्पणम्

(९)   सर्वेषार्मानवार्यम्

(१०) अद्यप्रभृत्येव चिंतनीयम्

(११) पितामह्याः स्मृतितंत्रम्

(३८) तद्भावभावितः – 3

(१२) सदासावधानेन भाव्यम्

(१३) दैनिककर्तव्य-पूर्तिः

(१४) सत्-संस्कार-धारा

(३९) संनद्धश्च – 3

(१५) अखंडभगवत्स्मृतिः

(१६) निरंतरं युद्ध-प्रसंगः

(१७) निराशा नैव

(४०) आप्रायणात् – 3

(१८) प्रयाणसाधनारूपकम्

(१९) रूपक-विवेचनम्

(२०) तच्चिंतनं पुनः पुनः

 

अध्याय ९

 

(४१) प्रात्क्षिकी – 3

(१)   प्रवचने जपभावना

(२)   नवमाध्यायमहिमा

(३)   पारत्रिकं को जानाति ?

(४२) सुसुखं कर्तुम् – 5

(४)   वेदसारामृतं गीता

(५)   वेदविचारो गहनः

(६)   अयं तु मुक्तमार्गः

(७)   न स्खलैन्नपतैदिह

(८)   हरिरेव जगत् जगदेव हरिः

(४३) अधिकार-सामान्यात् – 3 

(९)   पापयोनीनामप्यधिकारः

(१०) व्यासस्य संमतम्

(११) वधिकोदाहरणमात्यंतिकम्

(४४) समर्पणेन योगः – 5

(१२) सहानुभूति-रसायनम्

(१३) अपात्रं पात्रीभवति भावनेन

(१४) पात्रापात्रविवेकः सुबोधः

(१५) कामक्रोधी समर्पितौ

(१६) ईंद्रियाणि साधनानि

(४५) क्रियाविशेषानपेक्षः – 3

(१७) यशोदावत् बालसंगोपनम्

(१८) कृषकस्य वृषभसेवा

(१९) पाकयज्ञो गृहलक्ष्म्याः

(४६) व्यापकत्वात् – 9

(२०) पुरूषसूक्तेन स्नानम्

(२१) वस्त्रेव भद्रा सुकृता

(२२) पांथिको नारायणः

(२३) वाल्मीकि-परिवर्तनम्

(२४) वस्तुतो न कश्चित् दुष्टो नाम

(२५) मातृकथिता कृष्णार्पणकथा

(२६) विठ्ठल-मिश्रितं स्वादु

(२७) मधुरेणोत्थापयेत्

(२८) गुरूशिष्यावन्योन्यदेवते

(४७) अकुतोभयम् – 2

(२९) पापं बिभेति हरिनाम्नः

(३०) बालोपि श्मशाने निर्भयः

(४८) स्वल्पेनापि – 2

(३१) भावनायामूल्यम्

(३२) ईश्वरार्पितमुप्तमिव

 

अध्याय १०

 

(४९) क्रमेण प्रतिपत्तिः – 4

(१)   अभितो ब्रह्मनिर्वाणम्

(२)   ध्यान-प्रपत्ति-सातत्यम्

(३)   राजविद्या राजगुह्यम्

(४)   बुभुक्षमाणो रूद्ररूपः

(५०) स्थूलात् सूक्ष्म प्रपद्ये – 2

(५)   स्थूल-सूक्ष्म-सरल-कठिन-क्रमेण

(६)   सरलं न रोचते कठिनं न पच्यते

(५१) मानुषं सौम्यम् – 2

(७)   मातृपित्रादिषु सौम्यम्

(८)   बालकेषु च

(५२) सृष्टौ रम्यम् – 6

(९)   प्रदर्शनं पश्येम

(१०) आविर्कर् भुवनं विश्वमुषाः

(११) सूर्य आत्मा जगतस् तस्थुषश्च

(१२) भगवती भागीरथी दृश्यते 

(१३) द्वाविमौ वातौ वातः

(१४) अग्निमीळे पुरोहितम्

(५३) प्राणिषु चित्रम् – 9

(१५) वाश्रा ईव धेनवः स्यंदमानाः

(१६) प्रामाणिकः स्वामिनिष्ठोश्वः

(१७) अक्रूरः कृतज्ञः सिंहः

(१८) व्याजिग्रतीति व्याघ्रः

(१९) सत्संनिधौ निर्वैरः सर्पः

(२०) रामदूता वानराः

(२१) षड्जं रौति मयूरः

(२२) महिलानां कोकिलाव्रतम्

(२३) गोस्वामि-पूजितः काकः

(५४) दुरात्मसु चिंत्यं तदेव – 1

(२४) स्तेनानां पतये नमो नमः

 

अध्याय ११

 

(५५) कृत्स्नं न कामयेत – 5

(१)   किं नाम विश्वरूपम् ?

(२)   अनंतं ब्रह्मांडम्

(३)   निरवधिः कालश्च

(४)   सखैतत् द्रष्टुमिच्छति

(५)   तस्मै दिव्यदृष्टिर् दत्ता

(५६) अंशेपि समावेशात् – 4

(६)   बिंदु-सिंधु-नाययेन

(७)   मूर्तिपूजा-रहस्यम्

(८)   उपमारूपकादि-स्वारस्यम्

(९)   उपमान-विस्तार

(५७) अनधिकृतत्वाच्च – 4

(१०) दिव्यदृष्टिरपि भीतः

(११) कालविस्मरणं तारकम्

(१२) सामीप्ये नाधिकारः

(१३) चरम-सेवा पर्याप्ता

(५८) मत्कर्मादौ तात्पर्यम् – 3 

(१४) विश्वगीतं गेयम्

(१५) सव्यसाचि-कार्यम्

(१६) सर्वसारं सेव्यम्

 

अध्याय १२

 

(५९) एकाग्रं च समग्रं च – 2

(१)   ईदं तु धर्म्यामृतम्

(२)   ध्यानादि-दर्शनान्तं विवृतम्

(६०) तुल्यं तु — 5

(३)   ईदानीं कः प्रियतर ति पृच्छा

(४)   मातृ-ह्रदयं किं वदेत्?

(५)   तथैव स्थितिरभूत् भगवतः

(६)   योगि-संन्यासि-सदृशम्

(७)   सौलभ्येन समाधानम्

(६१) सगुणं साधकं देहभृतः — 5

(८)   मार्गः साधको बाधको दृष्टिसापेक्षः

(९)   सगुणं सेवामयं सुलभम्

(१०) निर्गुणं चिंतामयं कठिनम्

(११) ज्ञानमक्षमं सूक्ष्म-शोधनाय

(१२) प्रायेण परोक्षं बौद्धिकं तत्

(६२) बाधकं तदप्यमर्यादम् – 4

(१३) सगुणमपि सदोषममर्यादं चेत् 

(१४) तत्वनिष्ठया व्यक्तिनिष्ठा सुरक्षिता

(१५) एतद्रथं शरणत्रयी कल्पिता

(१६) अत्याचारः परिवर्जनीयः

(६३) बोध्यं रामानुजयोर् दृष्टान्तेन – 7

(१७) अन्योन्यशोभा

(१८) लक्ष्मण-भरतयोः

(१९) सख्युः सखा लक्ष्मणः

(२०) ध्वजायै दंडवत्

(२१) रामकार्यदर्शी भरतः

(२२) महातपस्वी

(२३) पादुकाश्रयमपेक्षते

(६४) कृष्णसखायोश्च – 4

(२४) भक्तिरनासक्तिरेकैव

(२५) उद्धवार्जुनयोः

(२६) उद्धवो निर्गुणान्त

(२७) अर्जुनः सगुणान्तः

(६५) आत्मप्रतीतेरभेदः – 1

(२८) स्वानुभवकथनम्

(६६) अमृतं पर्युपास्यम् – 4

(२९) स्यात् शिलामयार्चनं निर्गुणम्

(३०) स्यात् शिलामयार्चनं सगुणम्

(३१) उभे परस्परपूरके

(३२) लक्षणान्यभ्यस्यनीयानि

 

अध्याय १३

 

(६७) शरीरात् प्रवृहेत् – 4

(१)   व्यासः समासो गीतायाम्

(२)   आचारशुद्दिर् विचारेण

(३)   फलवासना प्रेरकशक्तिर् मन्यते

(४)   तन्निरसनाय देहात्मपृथक्करणम्

(६८) अन्यथा संस्कारासंभवः – 5

(५)   देहपूजा व्यर्था

(६)   देहनिंदापि व्यर्थैव

(७)   आत्माधारं शिक्षणशास्त्रम्

(८)   ‘अहं’ सर्वथा निर्मलः

(९)   साक्षित्वेन संस्कारः संभवेत्

(६९) क्लिष्ट-जीवितं च – 4

(१०) रक्ष्याणां भक्षणम्

(११) भैषज्यातिरेकः

(१२) पिंडपोषणवृत्तिः

(१३) कृत्रिम-वेषभूषा

(७०) महावाक्यमनुचिंतयेत् – 3

(१४) तत्वमसि-सूत्रम्

(१५) तन्निदिध्यासेन देहस्वाम्यम्

(१६) वस्त्रवत् धरयेत् जह्याच्च

(७१) ततः शासनमुक्तिः – 3

(१७) ‘अश्नामि’-राक्षसः

(१८) हुतात्म-परंपरा

(१९) अजरामरः सुक्रातः

(७२) आत्मशक्तेर् भानात् – 2

(२०) किमाश्वस्तो निद्राति ?

(२१) विश्वशक्तिमाश्वस्तः

(७३) आविः संनिहिततरम् – 8

(२२) द्रष्टृ-भूमिका प्रथमा

(२३) नैतिकी द्वितीया

(२४) नैतिक्यामनुमन्ता

(२५) श्रांता तृतीया

(२६) श्रांतस्य सख्याय भर्ता

(२७) भोक्तृ-भूमिका चतुर्थी

(२८) माहेश्वरी पंचमी

(२९) एवं परमात्मशक्तेराविष्कारः

(७४) विंशत्या – 3

(३०) ख्रिस्तबलिदानमत्र मननीयम्

(३१) सद्गुण-संवर्धनमेव ज्ञानम्

(३२) ज्ञानदेवेनाविष्कृतम्

 

अध्याय १४

 

(७५) प्रकृतिः सोध्या – 3

(१)   शृंखला भेदनीया

(२)   विवेकवैराग्याभ्याम्

(३)   त्रिधातुका शोधनीया

(७६) श्रम-संजात-वारिणा – 5

(४)   शरीरस्थो महारिपुः

(५)   पादं प्रविष्टः कलिः

(६)   समाजश् छिन्नभिन्नः

(७)   रूंडमुंड-वर्गभेदेन

(८)   श्रमनिष्ठा रामबाणः

(७७) यन्ति प्रमादमतंद्राः – 4

(९)   गाढनिद्रा सुदुर्लभा

(१०) चक्री न सुखं शेते

(११) विस्मृतिर् व्याधिः

(१२) प्रमादो मृत्युः

(७८) वेगस्य शमनं स्वधर्मेण – 4

(१३) तमःप्रतीपं रजः

(१४) रजोलक्षणं वेगः

(१५) सततं भ्रामयति

(१६) रजोमारणं स्वधर्मेण

(७९) स्वाभाविकत्वात् — 4

(१७) स्वधर्मः स्वभावनियतः

(१८) जन्म-जातः

(१९) प्रवाह-प्राप्तः

(२०) चांचल्य-मोचन

(८०) सत्वस्य सत्वेन — 6

(२१) सत्वं जयेत् सावधानः

(२२) सातत्येन

(२३) निरहंकारेण

(२४) कारूण्यासक्ति-वर्जनेन

(२५) कीर्ति-परिहारेण

(२६) अंतिमफलत्यागेन

(८१) भक्तैव तु निस्तारः — 2

(२७) अखंड-जागरस् तारणः

(२८) हरिकृपा च

 

अध्याय १५

 

(८२) पुरूषकारात् भक्तिरभिन्ना — 5 

(१)   पूर्णयोगः

(२)   वृक्षरूपकम्

(३)   त्रैगुण्य-रामायणम्

(४)   निस्त्रैगुम्ये कमलवत्

(५)   यत्नवीरं कामयन्ते वेदाः

(८३) तया स सुकरः — 2

(६)   ज्ञानकर्मप्रेम्णस् त्रिपदी

(७)   प्रेमणा तपः शीतलम्

(८४) त्रैतं सेवार्थम् — 5

(८)   सेव्य-सेवक-साधन-त्रिपुटी

(९)   सेव्य-सेवकौ-सनातनौ

(१०) साधनरूपता सृष्टिर् नित्यनूतनी

(११) चंद्रकला सुमनमाला

(१२) नवनव-प्रसवा

(८५) सैव भक्तिरनहंकृता चेत् – 2

(१३) दैनंदिनी सेवा

(१४) निरहंकृता भक्तिरूपा

(८६) ज्ञानं समर्सम् – 6

(१५) जीवनं ज्ञानेन संस्कार्यम्

(१६) उपकरण-पूजा

(१७) जीव-शीव-सृष्टेरैक्यम्

(१८) देवालय- दृष्टान्तः

(१९) खंडशर्करासेवनवत

(२०) समरसं रमणीयम्

(८७) अत्र वेदार्थः परिसमाप्तः – 4

(२१) वेदः सृष्टौ प्रकाशते

(२२) श्रमिकस्य कराग्रे च

(२३) अहमेव वेद-फलितम्

(२४) वेदविदव्यंगः

 

अध्याय १६

 

(८८) एषा दिवो दुहिता — 3

(१)   पुरूषोत्तमयोगोन्तिमः

(२)   पंचवादातीतो निर्विवादः

(३)   पूर्व-प्रभा दैवी संपत्

(८९) सदसती पस्पृघाते — 4

(४)   अंतःसंग्रामो मूलम्

(५)   बहिर् दृष्यते प्रतिबिंबम्

(६)   अभयादि-नम्रतान्ता दैवी

(७)   दंभाद्यज्ञानान्तासुरी

(९०) चतुषपर्वाण्युत्तरोत्तरम् — 5

(८)   अहिंसाविकासपर्वाणि 

(९)   परशुरामस्य प्रथमम्

(१०) विश्वामित्रादीनां द्वितीयम्

(११) महतां सतां तृतीयम्

(१२) अस्माकं चतुर्थम्

(९१) अपूर्वं मानवस्य — 2

(१३) पश्वादीनामभयदानम्

(१४) भारतीयप्रयोगविशेषः

(९२) स्वाम्यादि परिहरेत् — 6

(१५) त्रिविध-महत्वाकांक्षा 

(१६) संस्कृतिर् धार्मिकी मे

(१७) संस्कृतिर् वांशिकी मे

(१८) धनं मे

(१९) प्रभुत्वं मे

(२०) ‘मे’-मुक्तं भावी-युगम्

(९३) शास्त्रीय संयमेन — 4

(२१) विस्तीर्णो नरकपंथाः

(२२) वंशवृद्धि-चिंतां मा कुरू

(२३) संयम-चिंतां कुरू

(२४) तीरानंदो भव

 

अध्याय १७  

 

(९४) संयतेन स्वैरम् — 3 

(१)   कार्यक्रमयोगः 

(२)   तेनैव निश्चिंतता

(३)   संस्थात्रयाधारितं जन्म

(९५) तदर्थं त्रिविधिः — 6

(४)   क्षतिपूरणो यज्ञः

(५)   ऋणमोचनं दानम्

(६)   दोषाशोधनं तपः

(७)   एतैः संस्थात्रये साम्यं स्थापयेत्

(८)   आहारसेवनं तदर्थीयम्

(९)   मूलभूता श्रद्धा

(९६) सात्विकं संपादयेत् — 5

(१०) सात्विकमेव समर्पणीयम्

(११) सेवा-साधना-सामरस्यम्

(१२) कामनामुक्तं साफल्ययुक्तं च

(१३) सौंदर्यं प्रतिबिंबम्

(१४) मंत्रेण पुष्टिः

(९७) आहारशुद्धौ — 4

(१५) मिताहारस्य महत्वम्

(१६) निरामिषं पूर्वज-पुण्यम्

(१७) मत्स्याशनत्यागः प्रयोगविषयः

(१८) पूर्वज-पुण्यं न हापयेत्

(९८) सर्वेषामविरोधेन — 4

(१९) अविरोधि-जीवनयोजना

(२०) द्वौ चैतन्यवादौ

(२१) विरोधः काल्पनिकः

(२२) देहांगवदद्वैतम्

(९९) नाम्ना सादगुण्यम् — 4

(२३) नामामृतं सेवनीयम्

(२४) गुण-भाव्यानि नामानि

(२५) ओंतत्सदित्यस्य विवरणम्

(२६) ब्रह्मार्पणमस्तु

(१००) तद्दि पापापहारि — 2

(२७) पापापहारि हरिनाम

(२८) सदसतोः समानाधिकारः

 

अध्याय १८

 

(१०१) अथातस्त्यागमीमांसा — 2

(१)   अंतिमं प्रवचनम्

(२)   अर्जुनस्यांतिमः प्रश्नः

(१०२) निकषः सार्वभौमः — 4

(३)   फलत्यागो निकषः

(४)   काम्य-निषिद्धानि वर्जनीयानि

(५)   कर्ममात्रं सदोषम्

(६)   कर्मसंकोचो निरर्थकः

(१०३) क्रियोपरमे विर्यवत्तरम् — 6

(७)   सेंद्राय तक्षकायेति न कुर्यात्

(८)   गोरक्ष-दृष्टान्तेन बोधव्यम्

(९)   देहदहनाय प्रवृत्तो मूर्खः

(१०) अमंगलमिति न वक्तव्यम्

(११) क्रियाकर्मणोर् भेदः

(१२) दांभिक-पोपवत् साधकस्य

(१०४) अनेन स्वधर्मो विवृतः — 4

(१३) ओघप्राप्तं सदोषमपि न त्यजेत्

(१४) अप्राप्तं गुणवदपि न ग्राह्यम्

(१५) प्रतिव्यक्ति भिन्नं स्वत्वम्

(१६) स्वधर्मः स्थिरः परिवर्तनीयश्च

(१०५) अष्टकं भावयेत् — 2

(१७) त्यागाष्टकम्

(१८) प्रकृतिः प्रवाहिनी

(१०६) काष्ठैव निष्ठा — 4

(१९) फलत्यागश्चिंतामणिः

(२०) मोक्षस्य नाकांक्षा

(२१) भक्ति-साधना पर्याप्ता

(२२) मार्गे नैव विश्रमः

(१०७) तुरीयं त्रिकोणम् — 9

(२३) अंतिमावस्था परमोदात्ता रमणीया

(२४) अतिनैतिकी

(२५) अवर्णनीया

(२६) भावावस्था वामदेववत्

(२७) ‘चमे चमे’

(२८) नरसिंह-कथनम्

(२९) क्रियावस्था सात्विकी

(३०) ज्ञानावस्था त्रिभुवन-दहनी

(३१) शिवोहं नेदं शवः

(१०८) अहंमुक्तिः शब्दात् अहंमुक्तिः शब्दात् – 1

(३२) त्वमेव त्वमेव त्वमेव

 

અધ્યાય અઢારમો

September 22, 2008 by kantilal1929

     
અધ્યાય અઢારમો

ઉપસંહાર – ફળત્યાગની પૂર્ણતાઃ ઈશ્વરપ્રસાદ
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ -૨૫૯ – ૨૭૬
૧૦૧. અર્જુનનો છેવટનો સવાલ ૨૫૯
Page – 259 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૧ – અર્જુનનો છેવટનો સવાલ

 (૧૦૧.) ઈશ્વરની કૃપાથી  આજે અઢારમો અધ્યાય આપણે જોવા પામીએ છીએ. ક્ષણે ક્ષણે પલટાતી જતી આ દુનિયામાં કોઈ પણ સંકલ્પને પાર પાડવાનું ઈશ્વરના હાથમાં છે. તેમાં વળી જેલમાં તો ડગલે ને પગલે અનિશ્ચિતતાનો અનુભવ થયા કરે છે. અહીં આપણે એકાદ કામ શરૂ કરીએ તે પૂરૂં થયેલું જોવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. આપણી આ ગીતા પૂરી થશે એવી અપેક્ષા શરૂ કરતી વખતે નહોતી. પણ ઈશ્વરની એવી ઈચ્છા હતી એટલે આજે આપણે છેવાડે આવી પહોંચ્યા છીએ.  1.
 2. ચૌદમા અધ્યાયમાં સાત્વિક, રાજસ અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડયા હતા. તે પૈકી રાજસને અને તામસને છોડી સાત્વિકનો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું. ત્યાર બાદ સત્તરમા અધ્યાયમાં તે જ વાત આપણે જુદી રીતે જોઈ.
Page – 260 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૧ – અર્જુનનો છેવટનો સવાલ

 યજ્ઞ, દાન ને તપ અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય તો યજ્ઞ એ જીવનનો સાર છે. યજ્ઞને જરૂરી આહાર વગેરે જે કર્મો છે તે બધાંને પણ સાત્વિક તેમ જ યજ્ઞરૂપ જ કરી નાખવાનાં છે. યજ્ઞરૂપ અને સાત્વિક હોય તેટલાં જ કર્મો સ્વીકારવાં અને બાકીનાં છોડવાં એવો ધ્વનિ સત્તરમા અધ્યાયમાંથી ઊઠે છે તે આપણે સાંભળ્યો. ૐ तत् सत् એ મંત્રનું સ્મરણ શા સારૂ રાખવું તે પણ આપણે જોયું. ૐ એટલે સાતત્ય, तत् એટલે અલિપ્તતા, અને सत् એટલે સાત્વિકતા. આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવાં જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે કેટલાંક કર્મો ટાળવાનાં હોય છે, કેટલાંક કરવાનાં હોય છે.
 ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. કર્મના ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું અને ફળનો ત્યાગ કરવો એ જે ગીતાની શીખ છે તે બધે જોવાની મળે છે. પણ આ એક બાજુ થઈ. બીજી બાજુ એવી માલુમ પડે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢારમા અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો, “ કોઈ પણ કર્મ ફળત્યાગપૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી, કેટલાંક કર્મો ખસુસ કરીને છોડવાં અને કેટલાંક કરવાં એ બીજી બાજુ થઈ. એ બે વાતનો મેળ કેમ બેસાડવો ? ” જીવનની દિશા સ્પષ્ટ જાણવાની મળે તેટલા સારૂ આ સવાલ છે. ફળત્યાગનો મર્મ ધ્યાનમાં બેસે તેટલા માટે આ સવાલ ચે. જેને શાસ્ત્ર સંન્યાસ કહે છે તેમાં કર્મ સ્વરૂપતઃ છોડવાનું હોય છે. કર્મનું જે સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. ફલત્યાગમાં કર્મનો ફલતઃ એટલે કે ફળથી ત્યાગ કરવાનો હોય છે. ગીતાના ફળત્યાગમાં પ્રત્યક્ષ કર્મનો ત્યાગ કરવાની જરૂર કરી ? આ સવાલ છે. ફળત્યાગની કસોટીમાં સંન્યાસનો ઉપયોગ છે ખરો ? સંન્યાસની મર્યાદા ક્યાં સુધીની ? સંન્યાસ અને ફળત્યાગ એ બંનેની મર્યાદા કઈ કઈ અને કેટલી ? આવો આ અર્જુનનો સવાલ છે.
૧૦૨. ફળત્યાગ, સાર્વભૌમ કસોટી ૨૬૧
Page–261 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી 

 (૧૦૨.) જવાબ આપતાં ભગવાને એક વાત સાફ કહી દીધી છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગનું તત્વ બધે લાગુ પાડી શકાય એમ છે. સર્વ કર્મોનાં ફળનો ત્યાગ કરવાની વાતનો રાજસ અને તામસ કર્મોનો ત્યાગ કરવાની વાત સાથે વિરોધ નથી. કેટલાંક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરવાવેંત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. ફળત્યાગપૂર્વક કર્મ કરવાની વાતમાં કેટલાંક કર્મોનો પ્રત્યક્ષ ત્યાગ આવી જ જાય છે. 3.
4. આ વાતનો આપણે જરા ઊંડી દ્રષ્ટિથી વિચાર કરીએ. જે કામ્ય કર્મો છે, જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે ખખડી પડે છે. ફળત્યાગની સામે કામ્ય તેમ જ નિષિદ્ધ કર્મો ઊભાં જ રહી શક્તાં નથી. ફળત્યાગપૂર્વક કર્મો કરવાં એ કેવળ કૃત્રિમ, યાંત્રિક, તાંત્રિક ક્રિયા નથી. આ કસોટીથી કયાં કર્મ કરવાં અને કયાં કર્મો કરવાં નહીં એ વાતનો આપમેળે નિકાલ થાય છે. કેટલાક લોકો કહો છે કે, “ ગીતા ફળત્યાગપૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે, કયાં કર્મો કરવાં તે સૂચવતી નથી. ” આવો ભાસ થાય છે ખરો, પણ વસ્તુતઃ એ સાચું નથી. કારણકે ફળત્યાગપૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ કયું કરવુ અને કયું ન કરવું તે સમજાઈ જાય છે. હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીનાં કર્મો, ને એવાં બધાં કર્મો ફળત્યાગપૂર્વક કરી શકાતાં જ નથી. ફળત્યાગની કસોટી લગાડતાંની સાથે એ કર્મો ખરી પડે છે. સૂર્યનું અજવાળું ફેલાતાંની સાથે બધી ચીજો ઊજળી દેખાવા માંડે છે, પણ અંધારૂં ઊજળું દેખાય છે ખરૂં કે ? તે નાશ પામે છે. તેવી જ નિષિદ્ધ તેમ જ કામ્ય કર્મોની સ્થિતિ છે. કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. જે કર્મ હું કરવા ધારૂં છું તે અનાસક્તિપૂર્વક, ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાકતાં હું કરી શકીશ ખરો કે ? એ પહેલું જોઈ લેવું. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.  કસોટી પ્રમાણે કામ્ય કર્મો આપોઆપ ત્યાજ્ય ઠરે છે. તેમનો સંન્યાસ જ યોગ્ય થાય.
Page–262 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી 

 હવે રહ્યાં શુદ્ધ સાત્વિક કર્મો. તે અનાસક્ત રીતે અહંકાર છોડીને કરવાનાં છે. કામ્ય કર્મોનો ત્યાગ કરવો એ પણ એક કર્મ થયું. ફળત્યાગની કાતર તેના ઉપર પણ ચલાવવી જોઈએ. અને કામ્ય કર્મોનો ત્યાગ પણ સહજ રીતે થવો જોઈએ.
 આમ આપણે ત્રણ વાતો જોઈ. પહેલી વાત એ કે જે કર્મો કરવનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો, નિષિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી, આટલો ત્યાગ મેં કર્યો એવો અહંકાર પેદા થવા ન દેવો.
 5. રાજસ અને તામસ કર્મો ત્યાજ્ય શાથી ? કારણકે તે શુદ્ધ નથી. શુદ્ધ ન હોવાથી કરનારના ચિત્ત પર તે કર્મો લેપ કરે છે. પણ વધારે વિચાર કરતાં એમ જણાય છે કે સાત્વિક કર્મો પણ સદોષ હોય છે. જે જે કર્મ છે તેમાં કંઈ ને કંઈ દોષ હોય જ છે. ખેતીના સ્વધર્મનો વિચાર કરીએ તો તે શુદ્ધ સાત્વિક ક્રિયા છે. પણ આ યજ્ઞમય સ્વધર્મરૂપ ખેતીમાં પણ હિંસા થાય છે. ખેડ વગેરે કરતાં કેટલાંયે જીવજંતુ મરી જાય છે. કૂવા પાસે કાદવ ન થાય તે માટે પથ્થર બેસાડવા જઈએ ત્યાંયે જીવો મરે છે. સવારે સૂરજનું અજવાળું ઘરમાં પેસે છે તેની સાથે અસંખ્ય જીવો મરી જાય છે. જેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ તે મારણક્રિયા થવા બેસે છે. સારાંશ કે સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે. ત્યારે કરવું કેમ ?
 6. મેં પહેલાં કહ્યું હતું કે બધા ગુણોનો પૂરો વિકાસ થવો હજી બાકી છે. જ્ઞાન, સેવા, અહિંસા એ બધાંનો બિંદુમાત્ર અનુભવ થયો છે. અત્યાર પહેલાં બધો અનુભવ થઈ ચૂક્યો છે એવું નથી. અનુભવ કરતી કરતી દુનિયા આગળ ચાલે છે. મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું. તેમણે વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે. અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી.
 Page–263– અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી 

 આવી રીતે કર્મસંકોચ કરતો કરતો માણસ વર્તે તો છેવટે આત્મનાશ વહોરી લે. કર્મમાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકે ને કોઈકે ખેતી નહીં કરવી પડે કે ? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી કે ? કપાસ પકવવો એ જો પાપ છે તો નીપજેલો કપાસ વેચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે માટે તે કર્મ છોડી દેવાનું સૂઝે એ બુદ્ધિની ખામી છે. બધાં કર્મોનો બહિષ્કાર કરવો, આ કર્મ ન જોઈએ, પેલું કર્મ ન જોઈએ, કંઈ જ કરવું ન જોઈએ એ રીતે જોનારી દ્રષ્ટિમાં સાચો દયાભાવ રહ્યો નથી પણ મરી ગયો છે એમ જાણવું. ઝાડને ફૂટેલો નવો પાલો ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી ઊલટું ફાલે છે. ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે.
૧૦૩. ક્રિયામાંથી છૂટવાની સાચી રીત ૨૬૩
Page–263–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 (૧૦૩.) તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ ન છોડી દેવી ? આનો જવાબ પહેલાં એક વાર આપ્યો છે. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે. એ વિચાર મોહક છે. પણ આ અસંખ્ય કર્મોને છોડવાં શી રીતે ? રાજસ તેમ જ તામસ કર્મો છોડવાની જે રીત છે તે જ સાત્વિક કર્મો છોડવાની બાબતમાં અખત્યાર કરવાની છે ? સદોષ એવાં જે સાત્વિક કર્મો તેમને કેવી રીતે ટાળવાં ? વાતની ખૂબી એવી છે કે ईन्द्राय तक्षकाय स्वाहा એવું દુનિયામાં માણસ કરવા બેસે છે ત્યારે ઈંદ્ર અમર હોવાથી નથી મરતો તે નથી જ મરતો, પરંતુ તક્ષક પણ મરતો નથી ને તે ઊલટો જબરો થઈ જાય છે. સાત્વિક કર્મમાં પુણ્ય છે અને થોડો દોષ છે. પણ થોડો દોષ છે માટે દોષની સાથે પુણ્યની પણ આહુતિ આપવા જશો તો પુણ્યક્રિયા ચવડ હોવાથી નહીં જ મરે, પણ દોષક્રિયા માત્ર વધતી જશે. આવા ભેળસેળિયા વિવેકહીન ત્યાગથી પુણ્યરૂપી ઈંદ્ર તો નથી જ મરતો, પરંતુ દોષરૂપી તક્ષક મરે એમ હતું તે પણ મરતો નથી. તો પછી તેમના ત્યાગની રીત કઈ ? બિલાડી હિંસા કરે છે માટે તેનો ત્યાગ કરશો તો પચી ઉંદર હિંસા કરશે. સાપ હિંસા કરે છે તેને દૂર કરશો તો સેંકડો જીવો ખેતીની હિંસા કરશે. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ થવાથી હજારો માણસો મરશે. આથી ત્યાગ વિવેકયુક્ત હોવો જોઈએ. 7.
Page–264–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 8. ગોરખનાથને મછંદરનાથે કહ્યું, ‘ આ છોકરાને ધોઈ લાવ. ’ ગોરકનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો ને તેને વાડ પર સૂકવવા નાખ્યો. મછંદરનાથે કહ્યું, ‘ છોકરાને ધોઈ આણ્યો કે ? ’ ગોરખનાથ બોલ્યા, ‘ તેને ઝીંકીને ધોઈને સૂકવવા નાખ્યો છે. ’ છોકરાને ધોવાની આ રીત કે ? કપડાં દોવાની ને માણસોને ધોવાની રીત એક નથી. તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ અને સાત્વિક કર્મોનો ત્યાગ એ બેમાં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે.
 વિવેકહીન વર્તનથી કંઈક નવું જ ईदं तृतीयं થઈ જાય છે. તુકારામે કહ્યું છે ને કે –
त्यागे भोग माझ्या येतील अंतरा । मग मी दातारा काय करूं ।।
 – ત્યાગથી જો મારા અંતરમાં ભોગ પ્રગટે તો હે દાતાર, મારે કરવું શું ? નાનોસરખો ત્યાગ કરવા જઈએ તો મોટો ભોગ છાતી પર ચડી બેસે છે. એટલે તે નાનો સરખો ત્યાગ પણ એળે જાય છે. જરા અમસ્તા ત્યાગને માટે મોટાં મોટાં ઈન્દ્રભવન ઊભાં કરવાં તેને બદલે પેલી છાપરી સી ખોટી હતી ? તે જ પૂરતી છે. લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઊભો કરવો તેને બદલે પહેરણ ને બંડી પહેરવાં વધારે સારાં. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે તેની રીત જુદી બતાવી છે. તે બધાં સાત્વિક કર્મો કરવાનાં ખરાં પણ તેમનાં ફળને તોડી નાખવાનાં છે. કેટલાંક કર્મો સમૂળગાં છોડી દેવાનાં હોય છે, કેટલાંક ફળ તોડી નાખવાનાં હોય છે. શરીર પર બહારથી ડાઘ પડે તો ધોઈ કઢાય. પણ કુદરતે આપેલી ચામડીનો રંગ કાળો હોય તો તેને ચુનો લગાડયે શું થાય ? તે કાળા રંગને છે તેવો જ રહેવા દે તેના તરફ જોવાનું જ માંડી વાળ. તેને અમંગળ કહીશ મા.
 9. એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામડે જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો.
Page–265–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, અહીંથી મર્યા વગર હવે છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે હોળી સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “ અલ્યા, કેમ આપઘાત કરે છે ? ” પેલાએ કહ્યું, “ આ દુનિયા અમંગળ છે તેથી. ” પેલા ગૃહસ્થે કહ્યું, “ તારૂં આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી, એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે ! અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું ? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગંધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગંદ મારશે તેનો તો કંઈ વિચાર કર ! ” પેલા માણસે ત્રાસીને કહ્યું, “ આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ ? ”
 10. સારાંશ કે અમંગળ, કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ, બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરૂદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે એને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.
 11. ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. દાખલા તરીકે ધારો કે એકાદ ઠેકાણે ખૂબ ઘોંઘાટ થાય છે અને તેને બંધ પાડવો છે. ત્યાં એકાદ સિપાઈ આવે છે અને બૂમાબૂમ બંધ કરવાને માટે પોતે મોટેથી બૂમો પાડવા માંડે છે.
Page–266–અધ્યાય– ૧૮ – પ્રકરણ – ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત 

 ત્યાં થતી બોલચાલ બંધ કરવાને મોટેથી બોલવાનું તીવ્ર કર્મ તેને કરવું પડયું. બીજો કોઈક આવશે તે આવીને માત્ર ઊભો રહેશે ને આંગળી ઊંચી કરશે. તેટલાથી જ લોકો ચૂપ બેસી જશે. ત્રીજો એકાદ માત્ર ત્યાં હાજર હશે તેટલાથી જ બધા શાંત બેસી જશે. એકને તીવ્ર ક્રિયા કરવી પડી, બીજાની ક્રિયા કંઈક સૌમ્ય હતી અને ત્રીજાની સૂક્ષ્મ થઈ. ક્રિયા ઓછી થતી ગઈ પણ લોકોને શાતં પાડવાનું જે કામ તે સમાન થયું. જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઈષ્ટતમ હોય તે કર્મ. કર્મની પહેલી, બીજી વિભક્તિ હોય છે અને ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે.
 કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે એ વાત બરાબર સમજી લો. કોઈક માણસ ગુસ્સે થાય છે તો ખૂબ બોલીને અગર બિલકુલ ન બોલીને પોતાનો ગુસ્સો બતાવે છે. જ્ઞાની પુરૂષ લેશમાત્ર ક્રિયા કરતો નથી. પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતી જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. તે જ્ઞાની પુરૂષનું અસ્તિત્વ હોય એટલે થયું. તેના હાથપગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજી વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે એટલે ક્રિયા શૂન્યરૂપ થઈ જાય છે અને અનંત કર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલાં તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સુક્ષ્મમાંથી શૂન્ય એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. પણ પછી અનંત કર્મ આપોઆપ થતું રહેશે.
 12. ઉપર ઉપરથી કર્મ દૂર કરવાથી તે દૂર થતું નથી. નિષ્કામતાપૂર્વક કર્મ કરતાં કરતાં ધીરે ધીરે તેનો અનુભવ થતો જશે. બ્રાઉનિંગ નામના અંગ્રેજ કવિએ ‘ ઢોંગી પોપ ’ નામની એક કવિતા લખી છે. તે પોપને એક માણસે પૂછયું, “ તું વેશ શું કામ કરે છે ? આ બધા ઝભ્ભા શાને સારૂ ? આ ઉપરનો ડોળ શા માટે ? આ ગંભીર મુદ્રા શા સારૂ ? ” ત્યારે તેણે કહ્યું, “ આવું બધું હું શું કામ કરૂં છું તે જાણવું છે ? તો સાંભળ. આ નાટક કરતાં કરતાં શ્રદ્ધાનો સ્પર્શ ખબર ન પડે એ રીતે થઈ જવાનો સંભવ છે. ” તેથી નિષ્કામ ક્રિયા કરતા રહેવું. ધીમે ધીમે નિષ્ક્રિયત્વ પચતું જશે.
૧૦૪. સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ ૨૬૭
Page–267–અધ્યાય–૧૮–પ્રકરણ–૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ  

 (૧૦૪.) સારાંશ, રાજસ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં ; અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે, પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. ભલે એ દોષ થતો. એ દોષ તું ટાળવા જશે તો બીજા અસંખ્ય દોષ ગળે વળગશે. તારૂં નાક ચીબું છે તેવું જ રહેવા દે. તે કાપીને રૂપાળું કરવા જઈશ તો વધારે બિહામણું અને કારમું દેખાશે. તે જેવું છે તેવું જ સારૂં છે. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાનાં નથી. તે કરવાનાં, પણ તેમનાં ફળનો ત્યાગ કરવાનો છે. 13.  
 14. બીજી એક વાત કહેવાની છે. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય તે આપણે સારૂં કરી શકીશું, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરીશ મા. આપમેળે આવી મળે તેટલું જ કર. દોડધામ કરી બીજું નવું વહોરી લઈશ મા. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે, તે ગમે તેટલું સારૂં હોય તોયે તેને આઘું રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપ્રાપ્ત આવી મળેલું કર્મ છે તેની બાબતમાં જ ફળત્યાગ સંભવે છે. આ કર્મ સારૂં છે, પેલું કર્મ સારૂં છે, એવા લોભમાં પડીને માણસ ચારેકોર દોડાદોડ કરે તો ફળત્યાગની વાત કેવી ? જીવનનો ચૂંથાડો થઈ જશે. ફળની આશાએ જ તે આ પરધર્મરૂપ કર્મો કરવા તાકશે અને ફળ પણ હાથ નહીં લાગે. જીવનમાં ક્યાંયે સ્થિરતા નહીં મળે. તે કર્મોની આસક્તિ ચિત્તને વળગી જશે. સાત્વિક કર્મોનો લોભ થાય તો તે લોભ પણ દૂર કરવો જોઈએ. પેલાં નાના પ્રકારનાં સાત્વિક કર્મો કરવા જઈશ તો તેમાં રાજસપણું ને તામસપણું દાખલ થશે. તેથી તને તારો જે પ્રવાહપ્રાપ્ત સાત્વિક સ્વધર્મ આવી મળ્યો હોય તેનું જ તું આચરણ કર.
Page–268–અધ્યાય–૧૮–પ્રકરણ–૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ  

 15. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સ્વકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે, કયું કર્તવ્ય મને આવી મળેલું છે, એ બધું સ્વધર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જ જાય છે. તમારામાં तमेपणुं જેવું કંઈક છે અને તેથી તમે तमे છો. હરેક જણની કંઈક ને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં જ છે. બકરી રહીને જ તેણે પોતાનો વિકાસ કરવો જોઈએ. બકરી કહે કે ‘ હું ગાય થઈશ ’ તો તે બને એવું નથી. આપમેળે આવી મળેલા બકરીપણાનો ત્યાગ તેનાથી થઈ શકે એવો નથી. તે માટે તેને પોતાને મળેલું શરીર છોડવું પડે; નવો ધર્મ, નવો જન્મ લેવો પડે. પરંતુ આ જન્મે પેલું બકરીપણું છે તે જ પવિત્ર છે. પેલી બળદ અને દેડકીની વાર્તા છે ને ? દેડકી વધી વધીને કેટલું વધે ? તેના શરીરના વધવાને પણ હદ હોય છે. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી એ યોગ્ય નથી. તેથી પરધર્મને ભયાવહ કહ્યો છે.
 16. વળી સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય એવો ભાગ અને બીજો ન બદલાય એવો ભાગ છે. આજનો હું કાલે નથી. કાલનો હું પરમ દિવસે નથી. હું હંમેશ બદલાતો રહું છું. નાનું બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ સંવર્ધન છે. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજસેવા કરીશ. પૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ પલટાવાવાળો છે તો બીજો કેટલોક પલટાવાવાળો નથી. આ જ વાતને પહેલાંની શાસ્ત્રીય સંજ્ઞાઓ આપીને કહેવી હોય તો આપણે એમ કહીશું કે, “ માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણદર્મ બદલાતો નથી. આશ્રમધર્મો બદલાય છે. ”
 આશ્રમધર્મ બદલાય છે તેનો અર્થ એ કે હું બ્રહ્મચારીપદ સાર્થક કરી ગૃહસ્થ બનું છું, ગૃહસ્થનો વાનપ્રસ્થ થાઉં છું અને વાનપ્રસ્થનો સંન્યાસી થાઉં છું. આશ્રમ બદલાય છે તો પણ વર્ણધર્મ બદલી શકાતો નથી.
Page–269–અધ્યાય–૧૮–પ્રકરણ–૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ  

મારી નૈસર્ગિક મર્યાદા મારાથી છોડી શકાય નહીં. તે પ્રયત્ન ફોગટ છે. તમારામાંનું ‘ तमे ’ પણું તમારાથી ટાળી શકાય એવું નથી, એ ક્લપના પર વર્ણધર્મની યોજના થયેલી છે. વર્ણધર્મનો ખ્યાલ સુંદર છે. વર્ણધર્મ તદ્દન અટળ છે કે ? બકરીનું જેવું બકરીપણું, ગાયનું જેવું ગાયપણું, તેવું જ શું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ છે કે ? વર્ણધર્મ એટલો પાકો નથી એ વાત હું સ્વીકારૂં છું. પણ એ વાતનો સાર પકડવાનો છે. વર્ણધર્મ સામાજિક વ્યવસ્થાને માટે એક યુક્તિ તરીકે વપરાય છે ત્યારે તેમાં અપવાદ રહેવાનો જ. એવો અપવાદ ગૃહીત કરવો જ પડે. એ અપવાદ ગીતાએ પણ ગૃહીત માનેલો છે. સારાંશ કે આ બે પ્રકારના ધર્મ ઓળખી બીજા ધર્મ રૂડા તેમ જ મનમોહક લાગે તો પણ તેમને ટાળજો.
૧૦૫. ફળત્યાગનો એકંદર ફલિતાર્થ ૨૬૯
Page–269– અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ   

 (૧૦૫.) ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેનો અર્થ નીકળે છે –
1. રાજસ અને તામસ કર્મોનો સમૂળગો ત્યાગ.
2. એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.
3. સાત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.
4. સાત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.
5. સતત ફળત્યાગપૂર્વક એ સાત્વિક કર્મો કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં ક્રિયામાત્ર ખરી જશે.
6. ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.
7. સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજપ્રાપ્ત નથી તે ગમે તેટલું સારૂં લાગે તો પણ આઘું રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.
8. સહજપ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે. 17.
Page–270 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ   
 18. પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. માણસ પહેલાં કુટુંબનો સ્વીકાર કરે છે. પોતાના વિકાસને માટે તે પોતાને કુટુંબના બંધનમાં નાંખે છે. ત્યાં તે ઘણી જાતના અનુભવ લે છે. પણ કુટુંબના બંધનમાં પેઠા પછી કાયમનો તેમાં જકડાઈ રહેશે તો તેનો વિનાશ થશે. કુટુંબમાં રહેવાનું જે પહેલાં ધર્મરૂપ હતું તે જ અધર્મરૂપ થશે. કારણકે તે ધર્મ બંદન કરવાવાળો થયો. બદલાનારો ધર્મ આસક્તિ રાખી છોડશે નહીં તો સ્થિતિ ભયાનક થશે. સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસાંમાં ક્ષયનાં જંતુ અજાણતા દાખલ થઈ જશે તો પણ આખા જીવનને કોરી ખાશે. સાત્વિક કર્મમાં જો આસક્તિનાં જંતુ બેસાવધપણે પેસવા દઈએ તો સ્વધર્મ સડવા માંડશે. એ સાત્વિક સ્વધર્મમાંથી પમ રાજસ તેમ જ તામસ બદબો છૂટશે. કુટુંબ એ બદલાનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. તેવું જ રાષ્ટ્રધર્મનું સમજવું. રાષ્ટ્રદર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. એથી આત્મવિકાસ અટકી જશે. ચિત્તમાં આસક્તિ ઘર કરી જશે અને સરવાળે અધઃપાત થશે.
૧૦૬. સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ ૨૭૧
Page – 270 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૬ –
સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

 (૧૦૬.) સારાંશ કે જીવનનું ફલિત હાથમાં આવે એમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. ફળત્યાગનું તત્વ પોતાની મર્યાદાઓ પણ બતાવે છે. એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, કયું છોડવું, અને કયું ક્યારે બદલવું એ બધું બરાબર સમજાશે. 19.
 20. પણ વિચાર કરવાને હવે બીજો જ એક વિષય લઈએ. ક્રિયાઓ પૂરેપૂરી ખરી પડેલી હોય એવી જે છેવટની સ્થિતિ છે તેના તરફ સાધકે ધ્યાન રાખવું કે ? ક્રિયા થતી ન હોય છતાં જ્ઞાનીને હાથે કર્મ થતું રહે એવી જે જ્ઞાની પુરૂષની સ્થિતિ છે તેના તરફ સાધકે નજર રાખવી ખરી કે ?
 ના. આમાં પણ ફળત્યાગની કસોટી જ વાપરવી. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે આપણને જે જોઈએ છે તે, તે તરફ નજર ન રાખીએ તોયે આવી મળે છે.
Page – 271 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૬ –
સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

 જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્માવસ્થા, તેનો પણ લાભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે તને આવી મળશે. સંન્યાસ વસ્તુ એવી નથી કે એકાએક બે ઉપર પાંચ મિનિટ થાય એટલે આવીને ઊભી રહે; સંન્યાસ એ વસ્તુ યાંત્રિક નથી. એ તારા જીવનમાં કેમ વિકાસ પામતી જશે તેની તને ખબર પણ નહીં પડે. તેથી મોક્ષની ફિકર છોડી દે.
 21. ભક્ત ઈશ્વરને હંમેશ આમ જ કહે છે કે, “ આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ, પેલું અંતિમ ફળ મારે નથી જોઈતું. મુક્તિ એટલે એક જાતની ભુક્તિ જ નથી કે ? મોક્ષ એ પણ એક ભોગ છે, એક ફળ છે. આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળત્યાગની કાતર ચલાવ. પણ એમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી. કાતર તૂટી જશે ને ફળ વધારે મજબૂત થશે. મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતો શોધતો તારી સામે આવીને ખડો થાય. સાધકે સાધનામાં જ રંગાઈ જવું. मा ते संगोस्त्वकर्मणि — ‘ મા હો રાગ અકર્મમાં, ’ અકર્મદશાની,મોક્ષની આસક્તિ રાખ મા, એમ ભગવાને પહેલાં જ કહ્યું હતું. હવે ફરીથી છેવટે ભગવાન કહે છે,
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।
‘ હું તને સર્વ પાપોથી છોડાવાશ, નચિંત થા ’
 મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર રાખ. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે. મોક્ષનિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો હોય છે તેના ગળામાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે છે.
 22. જ્યાં સાધનાની પરાકાષ્ઠા થાય છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઊભી રહે છે. જેને ઘેરે પહોંચવું છે તે ‘ ઘર, ઘર ’ એવા જાપ જપતો ઝાડ નીચે બેસી રહેશે તો ઘર આઘું રહેશે ને તેને જંગલમાં પડી રહેવાનો વારો આવશે.
Page – 272 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૬ –
સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

 ઘરનું રટણ કરતાં કરતાં રસ્તામાં આરામ લેવા થોભશે તો છેવટના આરામથી અળગો રહેશે. મારે ચાલવાનું કામ ચાલુ રાખવું જોઈએ. પછી ઘર એકદમ સામે આવશે. મોક્ષના આળસુ સ્મરણથી મારી મહેનતમાં, મારી સાધનામાં સિથિલતા પેદા થશે અને મોક્ષ આઘો જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને સતત સાધનામાં મંડયા રહેવું એ જ મોક્ષને પાસે લાવવાનો ઈલાજ છે. અકર્મસ્થિતિ, આરામ વગેરેની ઈચ્છા ન રાખો, માત્ર સાધના પર પ્રેમ રાખશો તો મોક્ષ અચૂક સધાશે. જવાબ જવાબની બૂમો માર્યા કરવાથી દાખલાનો જવાબ આવતો નથી. મને જે રીતે આવડતી હશે તે જ એક પછી એક પગલું લેતા લેતા જવાબ લાવી આપશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ ઊભો છે. સમાપ્તિના પહેલાં સમાપ્તિ કેવી રીતે થાય ? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે ? સાધકની અવસ્થામાં સિદ્ધાવસ્થા કેવી ? પાણીમાં ડૂબકાં ખાતાં ખાતાં સામી પારની મોજ નજર સામે રાખ્યે કેમ ચાલશે ? તે વખતે એક પછી એક વામિયાં નાખતાં નાખતાં આગળ જવામાં જ બધું ધ્યાન પરોવવું જોઈએ. બધી શક્તિ રોકવી જોઈએ. સાધના પૂરી કર. દરિયો ઓળંગી જા. મોક્ષ આપોઆપ આવી મળશે.
૧૦૭. સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા ૨૭૨
Page– 272 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

(૧૦૭.) જ્ઞાની પુરૂષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે, શૂન્યરૂપ થાય છે. છતાં એનો અર્થ એવો પણ નથી કે તે અંતિમ અવસ્થામાં ક્રિયા ન જ થાય. તેને હાથે ક્રિયા થાય અગર નયે થાય. આ છેવટની દશા બહુ રમણીય તેમ જ ઉદાત્ત છે. તે અવસ્થામાં જે જે કંઈ થાય છે, તેની ફિકર તેને હોતી નથી. જે જે કંઈ થશે, બનશે તે બધુંયે શુભ જ હશે, રૂડું જ હશે. સાધનાની પરાકાષ્ઠાની દશા પર તે ઊભો છે. ત્યાં રહી સર્વ કર્મ કરતો છતો તે કશું કરતો નથી. સંહાર કરતો છતો સંહાર કરતો નથી. કલ્યાણ કરવા છતાં કલ્યાણ કરતો નથી. 23.
Page– 273 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 24. આ અંતિમ મોક્ષાવસ્થા સાધકની સાધનાની પરાકાષ્ઠા છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા છે. હું કંઈક કરૂં છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. અથવા આ દશાને હું સાધકની સાધનાની અનૈતિકતા કહીશ. સિદ્ધાવસ્થા નૈતિક અવસ્થા નથી. નાનું છોકરૂં સાચું બોલે છે. પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કેમકે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ થયું. સિદ્ધાવસ્થામાં અસત્યની વાત જ હોતી નથી. ત્યાં સત્ય જ છે, તેથી ત્યાં નીતિ નથી. જે નિષિદ્ધ છે તે ત્યાં નામનુંયે ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું જ નથી. જે જોવાનું નથી તેને આંખો જોતી જ નથી. જે થવું જોઈએ તે હાથથી થઈને ઊભું રહે છે, કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધનાની સહજાવસ્થા અથવા અનૈતિકતા અથવા અતિનૈતિકતા કહો, તે અતિનૈતિકતામાં નિતિનો પરમોત્કર્ષ છે. અતિનૈતિકતા શબ્દ મને સારો સૂઝ્યો. અથવા આ દશાને સાત્વિક સાધનાની નિઃસત્વતા પણ કહી શકાશે.
 25. આ દશાનું વર્ણન શી રીતે કરવું ? જેમ ગ્રહણનો આગળથી વેધ લાગે છે તેમ દેહ કરી પડયા પછીની જે મોક્ષદશા છે તેના અભાવા દેહ પડે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. દેહની સ્થિતિમાં જ ભાવિ મોક્ષસ્થિતિના અનુભવો થવા માંડે છે. આવી આ જે સ્થિતિ છે તેનું વર્ણન કરતાં વાણી અટકી પડે છે. તે ગમે તેટલી હિંસા કરે તોયે તે કંઈ કરતો નથી. તેની ક્રિયાને હવે કયું માપ લગાડવું ? જે થશે તે બધું કેવળ સાત્વિક કર્મ થશે. ક્રિયા માત્ર ખરી જશે છતાં આખાયે વિશ્વનો તે લોકસંગ્રહ કરતો હશે. કઈ ભાષા વાપરવી તે સમજાતું નથી.
 26. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા. તેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને કે, “ આ વિશ્વમાં જે જે કંઈ છે તે હું છું. ”
Page– 274 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 જ્ઞાની પુરૂષ નિરહંકાર થાય છે. તેનું દેહાભિમાન ખરી પડે છે. ક્રિયા બધી ખરી પડે છે. એવે વખતે તેને એક ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. તે અવસ્થા એક દેહમાં સમાઈ શક્તી નથી. ભાવાવસ્થા એ ક્રિયાવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતાની અવસ્થા છે. આ ભાવાવસ્થાને નાના સરખા પ્રમાણમાં આપણે સૌ અનુભવીએ છીએ. બાળકના દોષથી મા દોષિત થાય છે, તેના ગુણથી ગુણી બને છે. દીકરાના દુઃખે તે દુઃખી થાય છે અને તેના સુખથી સુખી થાય છે. માની આ ભાવાવસ્થા પોતાના દીકરા પૂરતી હોય છે. દીકરાનો દોષ પોતે ન કરેલો હોવા છતાં તે ઓઢી લે છે. જ્ઞાની પુરૂષ પણ ભાવનાની ઉત્કટતાને લીધે આખાયે જગતના દોષ પોતાને માથે લે છે. ત્રણે ભુવનનાં પાપથી તે પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે. અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ-પુણ્યથી જરા સરખો સ્પર્શાતો નથી.
 27. પેલા રૂદ્રસૂક્તમાં ઋષિ કહે છે ને કે यवाश्च मे तिलाश्च मे गोधूमाश्च मे. ‘ મને જવ આપો, તલ આપો, ઘઉં આપો, ’ એમ તે માગ માગ કર્યા જ કરે છે. એ ઋષિનું પેટ છે કેવડું ? પણ તે માગનારો સાડાત્રણ હાથના દેહમાં રહેવાવાળો નહોતો. તેનો ત્મા વિશ્વાકાર થઈને બોલે છે. આને હું वैदिक विश्वात्मभाव કહું છું. વેદમાં આ ભાવનાનો પરમોત્કર્ષ થયેલો દેખાય છે.
‘ બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારૂં નિદ્રા આવે ? ’
 28. ગુજરાતનો સંત નરસી મહેતો કીર્તન કરતાં ગાય છે ને કે –
 હે ઈશ્વર, એવું કયું પાપ મેં કર્યું છે કે કીર્તન કરતાં મને ઊંઘ આવે છે ? હવે, ઊંઘ શું નરસી મહેતાને આવતી હતી ? ઊંઘ કીર્તન સાંભળનારા શ્રોતાઓને આવતી હતી. પણ શ્રોતાઓ સાથે એકરૂપ થઈને નરસી મહેતો આ સવાલ પૂછે છે. નરસી મહેતાની એ ભાવાવસ્થા છે. જ્ઞાની પુરૂષની આવી આ ભાવાવસ્થા હોય છે. આ ભાવાવસ્થામાં બધાં પાપપુણ્યો તેને હાથે થાય છે એમ તમને દેખાશે. તે પોતે પણ એવું કહેશે. પેલો ઋષિ કહે છે ને કે, ‘ કરવી ન જોઈ એવી કેટલીક વાતો મેં કરી, કરૂં છું અને કરીશ. ’ આ ભાવાવસ્થા પ્રાપ્ત થયા પછી આત્મા પંખીની માફક ઊડવા માંડે છે. તે પાર્થિવતાની પેલી પાર જાય છે.
Page– 275 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 29. આ ભાવાવસ્થાની માફક જ્ઞાની પુરૂષની એક ક્રિયાવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરૂષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે. તો પણ તેનો આખોયે દેહ, તેની બધીયે ઈન્દ્રિયો, એ બધાં સાત્વિક થયેલાં હોવાથી તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. વહેવારની બાજુથી જોશો તો સાત્વિકતાની પરિસીમા તેના વર્તનમાં દેખાશે. વિશ્વાત્મભાવની દ્રષ્ટિથી જોશો તો આખાયે ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો જાણે તે કરે છે. અને આમ છતાં તે અલિપ્ત રહે છે. કારણ આત્માને વળગેલો આ દેહ તેણે ઊંચકીને ફેંકી દીધો હોય છે. ક્ષુદ્ર દેહને ફેંકી દેશે ત્યારે જ તે વિશ્વાત્મરૂપ થશે.
 30. ભાવાવસ્થા અને ક્રિયાવસ્થા ઉપરાંત જ્ઞાની પુરૂષની ત્રીજી એક સ્થિતિ છે. તે ચે જ્ઞાનાવસ્થા. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને સળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી. તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરૂષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં, સંભવે છે.
 31. આ જે અક્રિયાવસ્થા છે, છેવટની દશા છે તેને પોતાની કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. હું કેવળ નિમિત્તમાત્ર છું, કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી એમ મનન કરવું. આ અકર્તૃત્વવાદની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. પણ એથી બધુંયે કર્તૃત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આસ્તે આસ્તે આ ભાવનાનો વિકાસ થતો જશે. પહેલાં હું કેવળ તુચ્છ છું, તેના હાથમાંનું ઢીંગલું છું, તે મને નચાવે છે, એવું તારા મનને લાગવા દે. તે પછી બધુંયે કરવા છતાં તે આ દેહનું છે, મને તેનો સ્પર્શ નથી, આ બધીયે ક્રિયા આ મડદાની છે, પણ હું મડદું નથી, હું શવ નથી, પણ શિવ છું; એવી ભાવના કરતાં કરતાં દેહના લેપથી લેશમાત્ર લેપાઈશ મા.
Page– 276 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

 આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે. એ અવસ્થામાં પાછી ઉપર કહેલી ત્રણ અવસ્થા હશે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમ જ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો હું કરૂં છું એમ તે અનુભવશે પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા; એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં. બધાંયે કર્મોને ભસ્મસાત્ કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરૂષનું વર્ણન કરી શકાશે.
૧૦૮. तुही……तुही……तुही ૨૭૬
Page– 276 – અધ્યાય – ૧૮ – પ્રકરણ – ૧૦૮ – तुही……तुही……तुही ..

 (૧૦૮.) આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી. ભગવદ્ગીતાની આ વિશેષતા છે. પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી. આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું. “ અર્જુન, તારી ઈચ્છા, તારી સાધના, બધું ફેંકી દે, અને મારે શરણે આવ. ” પોતાને શરણે આવવાનું કહી, આપેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું. એનો અર્થ એટલો જ કે “ તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દઈશ મા. પોતાની ઈચ્છા ચલાવવાની નથી, તેની જ ચલાવવાની છે, એવું થવા દે. ” આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે. હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ‘ में में में ’ કર્યા કરે છે, ‘ हुं हुं हुं ’ કહ્યા કરે છે. પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, “ તુહી, તુહી, તુહી, ” ‘તું જ, તું જ, તું જ, ’ એવું બોલે છે. હવે બધુંયે ‘ तुही… तुही… तुही…’ 32.   
 
 
       

અધ્યાય સત્તરમો

September 17, 2008 by kantilal1929

     

અધ્યાય સત્તરમો
૯૪. સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે ૨૪૧
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ -૨૪૧ – ૨૫૯
Page – 241 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૪ –
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

 (૯૪.) આપણે ધીરે ધીરે છેડે પહોંચતા જઈએ છીએ. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. સોળમા અધ્યાયમાં એક પરિશિષ્ટ જોયું. માણસના મનમાં અને તેના મનનું પ્રતિબિંબ એવો જે સમાજ છે તે સમાજમાં બે વૃત્તિઓનો અથવા બે સંસ્કૃતિઓનો, અથવા બે સંપત્તિઓનો ઝઘડો ચાલી રહેલો છે. તે પૈકી દૈવી સંપત્તિનો વિકાસ કરવાની શીખ સોળમા અધ્યાયના પરિશિષ્ટમાં આપણને મળી. આજે સત્તરમા અધ્યાયમાં બીજું પરિશિષ્ટ જોવાનું છે. આ અધ્યાયમાં કાર્યક્રમ-યોગ બતાવ્યો છે એમ એક રીતે કહી શકાશે. ગીતા આ અધ્યાયમાં રોજને માટે કાર્યક્રમ સૂચવે છે. નિત્ય ક્રિયાઓ આજના અધ્યાયમાં આપણે જોવાની છે. 1.  
 2. આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ તેનો પ્રવાહ બંધાયેલો છે. બંધાયેલો ન હોય તો તે મોકળાપણું, તેની સ્વતંત્રતા એળે જાય. જ્ઞાની પુરૂષના દાખલા પર આપણે નજર નાખી જઈએ. સૂર્ય જ્ઞાની પુરૂષોનો આચાર્ય છે. ભગવાને સૌથી પહેલાં કર્મયોગ સૂરજને શીખવ્યો, પછી સૂર્ય પાસેથી મનુને એટલે વિચાર કરવાવાળા એવા માણસને મળ્યો. સૂર્ય સ્વતંત્ર અને મોકળો છે. તે નિયમિત છે એ હકીકતમાં જ તેની સ્વતંત્રતાનો સાર છે. ઠરાવેલે ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ એ આપણા અનુભવની વાત છે. ફરવાને માટે આપણે રોજ નવો નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા તરફ રોકવું પડે છે. મનને પછી છૂટ રહેતી નથી. સારાંશ, જીવન બોજારૂપ ન લાગતાં જીવનમાં આનંદ લાગે તેટલા સારૂ આપણે આપમા વહેવારને બાંધી લેવો જોઈએ.
Page – 242 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૪ –
પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ

 3. આને સારૂ આ ધ્યાયમાં ભગવાન કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણે જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસનાં આપણાં આડોશીપાડોશી એ ત્રીજી સંસ્થા છે. આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે તે આપણે અદા કરવું જોઈએ.
 આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો પણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમ જ મોકળું રહે.
૯૫. તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ ૨૪૩
Page – 243 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 (૯૫.) આ અર્થ સમજવાને સારૂ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ-સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સો માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે ? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, ‘ પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ. તેમાં ખેડ કર. સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.’ પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધીકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડયો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારૂ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાની છે તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારૂ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.  4.
Page – 244 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 5. બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરૂ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું રૂણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે, દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરૂં તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.
 6. આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે. તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.
 7. આમ સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણ સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો મારો સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે.
Page – 245 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ નહીં રહે. આ ત્રણે સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક પણે પણ જો કહી શકીએ કે “ હે ઈશ્વર ! તેં મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો. એ તારી ચાદર બરાબર તપાસી લે, ” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
 યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરૂં જોતાં ભેદ નથી. કારણકે સૃષ્ટિ, સમાજ અને શરીર એ પણ તદ્દન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. ગીતાએ ચોથા અધ્યાયમાં દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ વગેરે યજ્ઞો કહ્યા છે. ગીતાએ યજ્ઞનો વિશાળ અર્થ કર્યો છે.
 આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં, કેમકે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે. આમ આ ત્રણ સંસ્થાઓમાં સામય્વસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ છે. એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જશે.
 8. આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે. ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતાએ आहार કહ્યો છે. આ શરીરરૂપી યંત્રને ખોરાકરૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે. એ આહાર પોતે યજ્ઞ નહીં હોય, તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ છે. તેથી उदरभरण नोहे जाणिजे यज्ञकर्म – ‘ આ ખાલી પેટ ભરવાપણું નથી, એને યજ્ઞકર્મ જાણ ’ એમ આપણે કહીએ છીએ.
Page – 246 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૫ – તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ

 બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યાં તે પૂજા થઈ. પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી છે તે પણ પૂજા જ છે. યજ્ઞ પૂરો પાર પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી છે તે એક પ્રકારની પૂજા જ છે. દેહને આહાર આપીએ તો જ તે કામ આપે. યજ્ઞનાં સાધનરૂપ થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે. ગીતા એ કર્મને तदर्थीय कर्म, યથાર્થ કર્મ એવું નામ આપે છે. આ શરીર સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે તેને હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે. સેવાર્થે કરેલો હાર પવિત્ર છે.
 9. આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ. સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે એવો ભાવ જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવામયતા આવી શકતી નથી. ઈશ્વરાર્પણતાની આ પ્રધાન વસ્તુને વીસર્યે ચાલે એમ નથી.
૯૬. સાધનાનું સાત્ત્વિકીકરણ ૨૪૬
Page – 246 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 (૯૬.) પણ આપણી ક્રિયાઓ આપણે ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક થાય ત્યારે. આપણાં બધાં કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને ર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાત્વિક થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણે ચૌદમા અધ્યાયમાં જોયું. આ અધ્યાયમાં ગીતા તે તત્વનો અમલ શી રીતે કરવો તે બતાવે છે. 10.
 11. આ સાત્વિકતાની યજના કરવામાં ગીતાનો બેવડો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ-દાન-તપની મારી જે વિશ્વસેવા ચાલે છે તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. સૃષ્ટિની સેવા અને સાધના એ બંનેને માટે બે જુદા જુદા કાર્યક્રમની જરૂર નથી. સાધના અને સેવા મૂળમાં બે જુદી જુદી વસ્તુઓ જ નથી. બંનેને માટે ક જ પ્રયત્ન, એક જ કર્મ છે. એવું જે કર્મ કર્યું હોય તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. સેવા+સાધના+ઈશ્વરાર્પણતા એ યોગ ક જ ક્રિયાથી સધાવો જોઈએ.
Page – 247 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 12. યજ્ઞ સાત્વિક થાય તે માટે બે વસ્તુની જરૂર છે. નિષ્ફળતાપણાનો અભાવ અને સકામપણાનો અભાવ એ બે બાબતો યજ્ઞમાં હોવી જોઈએ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય. નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય.
 સૂતર કાંતવું એ યજ્ઞ છે કાંતતાં કાંતતાં તેમાં આત્મા રેડયો ન હોય, ચિત્તની એકાગ્રતા ન હોય તો તે સૂત્રયજ્ઞ બોજારૂપ થશે. બહારથી કામ ચાલતું હોય ત્યારે અંદરથી મનનો મેળ ન હોય તો તે આખી ક્રિયા વિધિહીન થાય. વિધિહીન કર્મ બોજારૂપ થાય છે. વિધિહીન ક્રિયામાં તમોગુણ દાખલ થાય છે. તે ક્રિયા સારામાં સારી પેદાશ આપી શકાતી નથી. તેમાંથી ફળ નીપજતું નથી. યજ્ઞમાં સકામપણું ન હોય પણ તેમાંથી કારામાં સારૂં ફળ મળવું જોઈએ. કર્મમાં મન ન હોય, તેમાં આત્મા ન હોય તો તે બોજારૂપ થાય છે. પછી તેમાંથી સારામાં સારૂં ફળ મેળવવાની વાત કેવી ? બહારનું કામ બગડયું તો અંદર મનનો મેળ નહોતો એમ ચોક્કસ જાણવું. કર્મમાં આત્મા રેડો. અંદરથી મેળ રાખો. સૃષ્ટિ-સંસ્થાનું ઋણ ફેડવાને માટે આપણે ફળની સારામાં સારી પેદાશ કરવી જોઈએ. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારૂ આંતરિક મેળનું આ વિધિયુક્તપણું હોવું જોઈએ.
 13. આ રીતે નિષ્કામતા કેળવાશે એટલે આપણે હાથે વિધિયુક્ત સફળ કર્મ થશે અને ત્યારે જ ચિત્તશુદ્ધિ થવા માંડશે. ચિત્તશુદ્ધિની કસોટી શી છે ? બહારનું કામ તપાસી જોવું. તે નિર્મળ અને સુંદર નહીં હોય તો ચિત્તને મલિન માનવામાં વાંધો નથી. કર્મમાં સૌંદર્ય ક્યારે ઉત્પન્ન થાય ? ચિત્તશુદ્ધિપૂર્વક અને પરિશ્રમપૂર્વક કરેલા કર્મ પર પરમેશ્વર પોતાની પસંદગીની, પોતાની પ્રસન્નતાની મહોર મારે; પ્રસન્ન પરમેશ્વર કર્મના વાંસા પર પ્રેમથી હાથ ફેરવે, એટલે તેમાં સૌંદર્ય ઉત્પન્ન થાય છે. સૌંદર્ય એટલે પવિત્ર પરિશ્રમને મળેલો ઈશ્વરી પ્રસાદ. મૂર્તિ ઘડનારા શિલ્પીને એવો અનુભવ થવા માંડે છે કે આ સુંદર મૂર્તિ મારે હાથે બની નથી. મૂર્તિનો આકાર ઘડતાં ઘડતાં છેવટની ઘડીએ, છેલ્લી ક્ષણે ક્યાંકથી આપોઆપ સૌંદર્ય તેમાં આવીને ઊભું રહે છે.
 ચિત્તશુદ્ધિ વગર આ ઈશ્વરી કળા પ્રગટ થાય ખરી કે ? મૂર્તિનું બધુંયે સ્વારસ્ય જ એ છે કે આપણા અંતઃકરણમાં રહેલું સૌંદર્ય તેમાં રેડાયેલું હોય છે. મૂર્તિ આપણા ચિત્તની પ્રતિમા છે. આપણાં બધાંયે કર્મો આપણા મનની મૂર્તિઓ હોય છે. મન સુંદર હશે તો એ કર્મમય મૂર્તિઓ પણ સુંદર થશે. બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો.
Page – 248 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૬ – સાધનાનું સાત્ત્વિકીકરણ

 14. હજી એક વાત કહેવાની રહી છે. તે આ છે. આ બધાંયે કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહીન કર્મ વ્યર્થ છે. સૂતર કાંતતી વખતે આ સૂતર વડે હું ગરીબ જનતાની સાથે જોડાઉં છું એ મંત્ર અંદર હોવો જોઈએ. આ મંત્ર હ્રદયમાં ન હોય ને કલાકોના કલાકો સુધી ક્રિયા કરી હોય છતાં તે વ્યર્થ છે. એ ક્રિયા ચિત્તને શુદ્ધ નહીં કરે. પેલી રૂની પૂણીમાં રહેલો અવ્યક્ત પરમાત્મા સૂતરને રૂપે પ્રગટ થાય છે એવો મંત્ર તે ક્રિયામાં રેડીને તે ક્રિયા તરફ જુઓ. એ ક્રિયા અત્યંત સાત્વિક અને સુંદર થશે. તે ક્રિયા પૂજા થશે, યજ્ઞરૂપ સેવા બનશે. એ નાનકડા કાચા સૂતરને તાંતણે તમે સમાજ સાથે, જનતાની સાથે અને ખુદ જગદીશ્વર સાથે બંધાશો. બાળકૃષ્ણના નાનકડા મોઢામાં જસોદામાને આખું વિશ્વ દેખાયું. તમારા એ મંત્રમય સૂતરના દોરામાં પણ તમને વિશાળ વિશ્વ દેખાવા માંડશે.
૯૭. આહારશુદ્ધિ ૨૪૮
Page – 248 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 (૯૭.) આવી સેવા આપણે હાથે થાય માટે આહારશુદ્ધિ પણ જોઈએ. જેવો આહાર તેવું મન. આહાર પરિમિત, માપસરનો હોવો જોઈએ. આહાર કયો અને કેવો હોવો જોઈએ તેના કરતાંયે તે કેટલો હોવો જોઈએ એ વાત વધારે મહત્વની છે. ખોરાકની પસંદગીની વાત મહત્વની નથી એવું નથી. પણ આપણે જે ખોરાક લઈએ તે પ્રમાણમાં લઈએ છીએ કે નહીં એ સવાલ વધારે મહત્વનો છે. 15.
 16. આપણે જે કંઈ ખીએ છીએ તેની અસર થયા વગર રહેતી નથી. આપણે શા સારૂ ખાઈએ છીએ ? આપણે હાથે સારામાં સારી સેવા થાય તે માટે. આહાર પણ યજ્ઞનું અંગ છે.
Page – 249 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 સેવારૂપ યજ્ઞ ફળદાયી થાય માટે આહાર છે. આહાર તરફ આવી ભાવનાથી જોવાનું રાખો. તે સ્વચ્છ અને શુદ્ધ હોવો જોઈએ. વ્યક્તિ પોતાના જીવનમાં આહારશુદ્ધિ કેટલી કરે એ વાતને મર્યાદા જ નથી આપણા સમાજે આહારશુદ્ધિને માટે તપસ્યા કરેલી છે. આહારશુદ્ધિને માટે હિંદુસ્તાનમાં બહોળા પ્રયત્ન થયા છે. એ પ્રયોગમાં હજારો વર્ષ ગયાં. એ અખતરાઓમાં કેટલી તપસ્યા થઈ હશે તે કહેવું મુશ્કેલ છે. દુનિયાના પડ પર એક હિંદુસ્તાન દેશ જ એવો છે કે જ્યાં આખી જાતિની જાતિઓ માંસાહારમુક્ત છે. જે જાતિઓ માંસાહાર કરે છે તેમના આહારમાં પણ માંસનો ખોરાક હંમેશનો મુખ્ય હોય છે એવું નથી. અને જે માંસ ખાય છે તેમને પણ પોતે કંઈ બહુ સારૂં કરે છે એમ લાગતું નથી. મનથી તેમણે માંસ છોડી દીધું હોય છે. માંસાશન પર અંકુશ મૂકવાને ખાતર યજ્ઞ રૂઢ થયો. અને તેટલા જ ખાતર યજ્ઞ બંધ પણ થયો. શ્રીકૃષ્ણ ભગવાને તો યજ્ઞની વ્યાખ્યા જ પલટી નાખી. કૃષ્ણે દૂધનો મહિમા વધાર્યો. કૃષ્ણે અસામાન્ય વાતો કંઈ ઓછી કરી બતાવી નથી. પણ હિંદી પ્રજાને કયા કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું ? ‘ ગોપાળકૃષ્ણ, ગોપાળકૃષ્ણ ’ એ જ નામ હિંદી જનતાને વહાલું છે. પેલો કૃષ્ણ, તેની પાસે બેઠેલી પેલી ગાય, પેલી અધર પર વિરાજતી મોરલી, એવા  ગાયની સેવા કરવાવાળા ગોપાળકૃષ્ણને જ નાનાં બાળકોથી માંડીને ઘરડાં સુધી સૌ ઓળખે છે. ગૌરક્ષાનો મોટામાં મોટો ઉપયોગ માંસાહાર બંધ પાડવામાં થયો. ગાયના દૂધનો મહિમા વધ્યો અને માંસાશન ઓછું થયું.
 17. તો પણ આહારશુદ્ધિ પૂરેપૂરી થઈ ગઈ છે એવું ન સમજશો. આપણે તેને આગળ લઈ જવાની છે. બંગાળી લોકો મચ્છી ખાય છે તેની કેટલાક લોકોને નવાઈ લાગે છે. પણ તે માટે તેમનો વાંક કાઢવો બરાબર નથી. બંગાળમાં ખોરાકમાં એકલો ભાત હોય છે. તેનાથી શરીરને પૂરેપૂરૂં પોષણ મળતું નથી. એને માટે પ્રયોગો કરવા પડશે. મચ્છી ન ખાતાં કઈ વનસ્પતિ ખાવાથી તેવી ને તેટલી પુષ્ટિ મળે એ બાબતનો વિચાર શરૂ થશે.
Page – 250 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 અસામાન્ય ત્યાગ કરવાવાળી વ્યક્તિઓ નીકળશે અને આવા એક પછી એક અખતરા થતા જશે. આવી વ્યક્તિઓ જ સમાજને આગળ લઈ જાય છે. સૂર્ય જાતે બળે છે. ત્યારે માંડ જીવવા પૂરતી અઠ્ઠાણુ ડિગ્રી ગરમી આપણા શરીરમાં રહે છે. સમાજમાં વૈરાગ્યના ધગધગતા સૂર્ય જ્યારે નિર્માણ થાય છે, શ્રદ્ધાથી પરિસ્થિતિને હઠાવી દઈ વગર પાંખે તેઓ ધ્યેયાકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે, ત્યારે માંડ સંસારને ઉપયોગી એવો થોડો સરખો વૈરાગ્ય આપણામાં આવે છે. માંસાહાર બંધ કરવાને ઋષિઓને કેટકેટલી તપસ્યા કરવી પડી હશે, કેવાં કેવાં પ્રાણાર્પણ કરવા પડયાં હશે તેનો આવે વખતે મને વિચાર આવે છે.
 18. સારાંશ કે આજે આપણી સામુદાયિક આહારશુદ્ધિ આટલે સુધી થઈ છે. અનંત ત્યાગ કરી પૂર્વજોએ કરેલી એ કમાણી ગુમાવશો મા. ભારતીય સંસ્કૃતિમાં રહેલી આ વસ્તુ ડુબાવી મારશો મા. આપણે ફાવે તેમ જીવવું નથી. જેને ફાવે તેમ જીવવું છે તેનું કામ સહેલું છે. પશુઓ પણ ફાવે તેમ તો જીવે છે. પણ જેવા પશું તેવા જ શું આપણે છીએ ? જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિવર્ધન કહે છે. આપણા રાષ્ટ્રે માંસાહારત્યાગનો મોટો અખતરો કરી બતાવ્યો. તેને આગળ વધારો. કંઈ નહીં તો જે ભૂમિકા પર છો ત્યાંથી પાછા હઠશો મા.
 આ સૂચના કરવાનું કારણ છે. હમણાં હમણાં કેટલાક લોકોને માંસાહારમાં ઈષ્ટતા દેખાવા માંડી છે, માંસાહાર કરવો જોઈએ એવું લાગવા માંડયું છે. આજે પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પરસ્પર અસર પડે છે. એમાંથી છેવટે ભલું જ થવાનું છે એવી મને શ્રદ્ધા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરથી આપણામાં રહેલી જડ શ્રદ્ધા ડગવા માંડી છે. અંધશ્રદ્ધા ડગી જાય તેથી કશુંયે નુકસાન નથી. સારૂં હશે તે ટકશે. ખરાબ બળી જશે. પણ અંધશ્રદ્ધા જાય તેની જગ્યાએ અંધ અશ્રદ્ધા પેદા થાય તે ન ચાલે. એકલી શ્રદ્ધા આંધળી હોય છે એવું ન માનશો. અંધ વિશેષણનો ઈજારો એકલી શ્રદ્ધાએ રાખ્યો નથી. અશ્રદ્ધા પણ આંધળી હોઈ શકે.
Page – 251 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૭ – આહારશુદ્ધિ

 માંસાહરાની બાબતમાં આજે ફરી વિચાર શરૂ થયો છે. એ જે હોય તે ખરું, પરંતુ  કોઈ પણ નવો વિચાર નીકળે છે એટલે મને આનંદ થાય છે. લોકો જાગતા છે, જૂની વાતોને ધક્કો દેતા થયા છે એટલું એથી ખસૂસ જણાય છે. જાગ્રૃતિનાં લક્ષણ જોવાનાં મળે તેથી સારૂં લાગે છે. પણ જાગ્યા પછી આંખ ચોળતા ચોળતા ચાલવા જઈશું તો પડી જવાય એવો સંભવ છે. તેથી પૂરેપૂરી જાગૃતિ આવે ત્યાં સુધી, પૂરૂં ચોખ્ખું દેખાય એટલા જાગતા થાઓ ત્યાં સુધી હાથપગને મર્યાદામાં રાખવા સારા. ખૂબ વિચાર કરો, વાંકાચૂકા ચારે બાજુથી વિચાર કરો. ધર્મ પર વિચારની કાતર ચલાવો. આ વિચાર રૂપ કાતરથી જેટલો ધર્મ કપાઈ જશે તે નકામો હતો એમ સમજવું જોઈએ. જે ટુકડા એમ તૂટી પડે તેને જવા દો. તારી કાતરથી જે તૂટે નહીં, ઊલટું તારી કાતર જ જ્યાં તૂટી જાય તે જ ધર્મ ખરો. ધર્મને વિચારનો ડર નથી. વિચાર જરૂર કરો પણ કૃતિ એકદમ કરશો મા. અરધીપરધી જાગૃતિમાં કૃતિ કરવા જશો તો અથડાઈ પડશો. વિચારો જોરથી ભલે ચાલે પણ હાલ તુરત આચાર સંભાળો, કૃતિ પર સંયમ રાખો. પહેલાંની પુણ્યની કમાણી ગુમાવી બેસશો મા.
૯૮. અવિરોધી જીવનની ગીતાની યોજના ૨૫૧
Page – 251 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 (૯૮.) આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં સંતોષ ફેલાશે. જે સમાજમાં યજ્ઞ-દાન-તપની ક્રિયાઓ વિધિયુક્ત તેમ જ મંત્રસહિત ચાલે છે તે સમાજમાં વિરોધ જોવાનો નહીં મળે. જેમ અરીસા સામસામે મૂક્યા હોય તો આમાંનું તેમાં દેખાય છે અને તેમાંનું આમાં દેખાય છે, તેમ વ્યક્તિ અને સમાજ એ બંનેમાં બિંબ-પ્રતિબિંબ-ન્યાયે સંતોષ પ્રગટ થશે. મારો સંતોષ તે સમાજનો અને સમાજનો તે મારો છે. બંને સંતોષનો તાળો મેળવી શકાશે અને તે બંને એકરૂપ છે એવું દેખાઈ આવશે. સર્વત્ર અદ્વૈતનો અનુભવ થશે. દ્વૈત અને દ્રોહ આથમી જશે. જેનાથી આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. આપણો રોજેરોજનો કાર્યક્રમ ગીતાની યોજના પ્રમાણે આપણે રચીએ તો કેવું સારૂં ! 19.
Page – 252 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 20. પણ આજે વ્યક્તિનું જીવન અને સામાજિક જીવન એ બંને વચ્ચે ઝઘડો છે. આ ઝઘડો કેમ ટાળી શકાય એની ચર્ચા આજે બધે ચાલી રહેલી છે. વ્યક્તિ અને સમાજ એમની મર્યાદા કઈ કઈ ? વ્યક્તિ ગૌણ કે સમાજ ગૌણ ? ચડિયાતું કોણ ? વ્યક્તિવાદના કોઈ કોઈ હિમાયતી સમાજને જડ માને છે. સેનાપતિની પાસે એકાદ સિપાઈ આવે છે ત્યારે તેની સાથે વાત કરવામાં સેનાપતિ સૌમ્ય ભાષા વાપરે છે. તેને ‘ તું ’ કારથી બોલાવવાને બદલે ‘ તમે ’ કહીને વાત કરે છે. પણ લશ્કર પર તે ફાવે તેવા હુકમો છોડશે. લશ્કર અચેતન, જાણે પથરો જ! તેને આમથી તેમ ને તેમથી આમ ગબડાવી શકાય. વ્યક્તિ ચૈતન્યમય છે. સમાજ જડ છે. એ વાતનો અનુભવ અહીં પણ થાય છે. મારી સામે બસો ત્રણસો લોકો છે, પણ તેમને ગમે કે ન ગમે તોયે હું બોલ્યા કરૂં છું. મને જ સૂઝે તે હું કહેતો જાઉં છું. જાણે તમે બધા જડ ન હો ! પણ મારી સામે એક વ્યક્તિ આવે તો તે વ્યક્તિનું મારે સાંભળવું પડે અને તેને વિચારપૂર્વક જવાબ આપવો પડે. અહીં જો કે તમને કલાક – કલાક થોભાવી રાખ્યા છે.
 સમાજ જડ છે અને વ્યક્તિ ચૈતન્યમય છે એવા વ્યક્તિ-ચૈતન્યવાદનું કોઈ કોઈ પ્રતિપાદન કરે છે, તો બીજા વળી સમુદાયને મહત્વ આપે છે. મારા વાળ ખરી જાય, હાથ તૂટી જાય, એક આંખ જાય, દાંત પડી જાય એટલું જ નહીં, એક ફેફસું પણ જતું રહે તોયે હું જીવતો રહું છું. એક એક છૂટો અવયવ જડ છે. તેમાંના એકાદ અવયવના નાશથી સર્વનાશ થતો નથી, સામુદાયિક શરીર ચાલ્યા કરે છે. આવી આ બે પરસ્પર વિરૂદ્ધ વિચારસરણી છે. જેવી દ્રષ્ટિથી તમે જોશો તેવું અનુમાન કાઢશો. જે રંગનાં ચશ્માં તે રંગની સૃષ્ટિ દેખાય છે.
 21. કોઈ વ્યક્તિને મહત્વ આપે છે, કોઈ સમાજને આપે છે. આનું કારણ એ છે કે સમાજમાં જીવનને માટેના કલહનો ખ્યાલ ફેલાયેલો છે. પણ જીવન શું કલહને માટે છે ?
Page – 253 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 
 
 તેના કરતાં મરી કેમ નથી જતા ? કલહ એ મરવાને માટે છે. એથી જ સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આપણે ભેદ પાડીએ છીએ. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે ભેદ છે એ ખ્યાલ જે માણસે પહેલવહેલો ઊભો કર્યો તેની બલિહારી છે ! જે ચીજની મૂળમાં હયાતી જ નથી, તેની હયાતીનો ભાસ ઊભો કરવાનું સામર્થ્ય જેની અક્કલમાં હતું  તેની કદર કરવાનું મન થાય છે. જે ભેદ નથી તે તેણે ઊભો કર્યો અને જનતાને શીખવ્યો એ વાતની ખરેખર નવાઈ થાય છે. ચીનની પેલી જાણીતી દીવાલના જેવી આ વાત થઈ. ક્ષિતિજની હદ બાંધી લેવી અને તેની પેલી પાર કશું નથી એમ માનવું તેના જેવી એ વાત થઈ. એ બધાનું કારણ આજે યજ્ઞમય જીવનનો અભાવ છે તે છે. તેને લીધે વ્યક્તિ અને સમાજ વચ્ચે ભેદ પડયા છે.
 વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. એકાદ ઓરડીના બે ભાગ કરવાને પડદો ટાંગ્યો હોય અને તે પડદો પવનથી આઘોપાછો થાય તેથી કોઈક વાર આ ભાગ મોટો ને કોઈક વાર પેલો મોટો એવું લાગે છે. પવનની લહેર પર તે ઓરડીના ભાગનાં કદ આધાર રાખે છે. તે ભાગ પાકા નથી. ગીતા આ ઝઘડા જાણતી નથી. એ કાલ્પનિક ઝઘડા છે. અંતઃશુદ્ધિનો કાનૂન પાળો એમ ગીતા કહે છે. પછી વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય, એકબીજાના હિતને બાધા નહીં આવે. આ બાધા દૂર કરવામાં, આ વિરોધ દૂર કરવામાં તો ગીતાની ખૂબી છે. ગીતાનો આ કાનૂન અમલમાં મૂકનારી એક વ્યક્તિ પણ નીકળે તો તેને લીધે રાષ્ટ્ર સંપન્ન થાય. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રમાંની વ્યક્તિઓ. જે રાષ્ટ્રમાં આવી જ્ઞાનસંપન્ન તેમજ આચારસંપન્ન વ્યક્તિઓ નથી તેને રાષ્ટ્ર કેવી રીતે માનવું ? હિંદુસ્તાન એટલે શું ? હિંદુસ્તાન એટલે રવીન્દ્રનાથ, હિંદુસ્તાન એટલે ગાંધીજી અથવા એવાં જ બીજાં પાંચદસ નામો. બહારની દુનિયા હિંદુસ્તાનનો ખ્યાલ આ પાંચદસ વ્યક્તિ પરથી જ બાંધે છે. પ્રાચીન જમાનાની બેચાર, મધ્યકાળમાંની ચારપાંચ આજની વ્યક્તિ લીધી અને તેમાં હિમાલય અને ગંગાને ઉમેરી આપ્યાં એટલે થયું હિંદુસ્તાન.
Page – 254 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 આ હિંદુસ્તાનની વ્યાખ્યા થઈ. બાકી બધું આ વ્યાખ્યા પરનું ભાષ્ય છે. ભાષ્ય એટલે સૂત્રનો વિસ્તાર. દૂધનું દહીં, અને દહીંના છાશ-માખણ. દૂધ, દહીં, છાશ, માખણ એમની વચ્ચે ઝઘડો નથી. દૂધનો કસ તેમાં માખણ જેટલું હોય તેના પરથી કાઢે છે. તે જ પ્રમાણે સમાજનો કસ વ્યક્તિ પરથી મપાય છે. વ્યક્તિ અને સમાજ એ બે વિરોધ નથી. વિરોધ હોય ક્યાંથી ? વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ વિરોધ ન હોવો જોઈએ. એક વ્યક્તિના કરતાં બીજી વ્યક્તિ વધારે સંપન્ન હોય તોયે બગડયું શું ? કોઈ પણ વિપન્ન અવસ્થામાં ન હોય અને સંપત્તિવાનની સંપત્તિ સમાજને માટે વપરાય એટલે થયું. તેથી મારા જમણા ખીસામાં પૈસા હોય તોયે શું ને ડાબા ખીસામાં હોય તોયે શું, બંને ખીસાં મારાં જ છે. કોઈ પણ વ્યક્તિ સંપન્ન થાય એટલે તેને લીધે હું સંપન્ન થાઉં, રાષ્ટ્ર સંપન્ન થાય એવી યુક્તિ સાધી શકાય છે.
 પણ આપણે ભેદ કરીએ છીએ. ધડ ને માથાં જુદાં થશે તો બંને મરશે. વ્યક્તિ અને સમાજ એ બે વચ્ચે ભેદ ન કરશો. એક જ ક્રિયાને સ્વાર્થ તેમ જ પરમાર્થને અવિરોધી કેમ કરવી તે ગીતા શીખવે છે. મારી ઓરડીમાંની હવા અને બહારની અનંત હવા એ બે વચ્ચે વિરોધ નથી. વિરોધ કલ્પીને ઓરડી બંધ રાખીશ તો હું માત્ર ગૂંગળાઈને મરી જઈશ. અવિરોધ કલ્પીને હું ઓરડી ખુલ્લી મૂકીશ એટલે અનંત હવા અંદર આવશે. જે ક્ષણે હું પોતાની જમીન, પોતાનો ઘરનો ટુકડો જુદો કરૂં છું તે જ ક્ષણે હું અનંત સંપત્તિથી અળગો થાઉં છું. મારૂં પેલું નાનું સરખું ઘર બળી જાય, પડી જાય એટલે મારૂં સર્વસ્વ ગયું એમ કહીને હું રડવા બેસું છું. પણ એમ કહેવું શા સારૂ ને રડવું શા સારૂ ? સાંકડી કલ્પના કરવી ને પછી રડવું ! આ પાંચસો રૂપિયા મેં મારા કહ્યા એટલે સૃષ્ટિમાંની પાર વગરની સંપત્તિથી હું અળગો થયો. આ બે ભાઈ મારા એવો ખ્યાલ કર્યો કે અસંખ્ય ભાઈઓ દૂર ગયા, એ વાતનું આપણને ભાન રહેતું નથી. માણસ આ પોતાનો કેટલો બધો સંકોચ કરે છે ! માણસનો સ્વાર્થ તે જ પરાર્થ હોવો જોઈએ. વ્યક્તિ અને સમાજ વચ્ચે જેનાથી ઉત્તમ સહકાર સધાય એવો સાદો સુંદર રસ્તો ગીતા બતાવે છે.
Page – 255 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૮ –
અવિરોધી જીવનની ગીતાની યોજના 

 22. જીભ અને પેટ વચ્ચે શું વિરોધ છે ? પેટને જોઈએ તેટલો જ ખોરાક જીભે આપવો જોઈએ. પેટ બસ કહે એટલે જીભે બંધ કરવું જોઈએ. પેટ એક સંસ્થા છે, જીભ એક સંસ્થા છે. એ બધી સંસ્થાઓનો હું સમ્રાટ છું. એ સર્વ સંસ્થાઓમાં અદ્વૈત જ છે. ક્યાંથી આણ્યો છે આ અક્કરમી વિરોધ ! એક જ દેહમાંની આ સંસ્થાઓ વચ્ચે જેમ વાસ્તવિક વિરોધ ન હોઈ સહકાર છે તેવું જ સમાજનું છે. સમાજમાં એ સહકાર વધે તેટલા માટે ગીતા ચિત્તશુદ્ધિપૂર્વક યજ્ઞ-દાન-તપ-ક્રિયા બતાવે છે. એવા કર્મથી વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ સાધી શકાશે.
 જેનું જીવન યજ્ઞમય હોય છે તે સર્વનો થાય છે. માનો પ્રેમ મારા પર છે એમ તેના હરેક દીકરાને લાગે છે. તે પ્રમાણે આવો પુરૂષ સૌ કોઈને પોતીકો લાગે ચે. આખી દુનિયાને તે જોઈતો હોય છે. આવો પુરૂષ આપણો પ્રાણ છે, મિત્ર છે, સખા છે એમ સૌ કોઈને લાગે છે.
ऐसा पुरूष तो पहावा । जनांस वाटे हा असावा ।।
 – આવા પુરૂષનાં દર્શન કરવાં. લોકોને થાય છે કે આ હોવો જોઈએ. એમ સમર્થે કહ્યું છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે.
૯૯. સમર્પણનો મંત્ર ૨૫૫
Page – 255 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 (૯૯.) યજ્ઞમય જીવન કરી તે પાછું આખુંયે ઈશ્વરાર્પણ કરવું એવું ગીતા વધારામાં કહે છે. જીવન સેવામય હોય પછી વળી ઈશ્વરાર્પણતા શાને સારૂ ? આખુંયે જીવન સેવામય થાય એ વાત ઝટ લઈને આપણે બોલી નાખીએ છીએ ખરા પણ થવી બહુ કઠણ છે. અનેક જન્મ પછી એ થોડુંઘણું સધાય. વળી, બધાંયે કર્મ સેવામય, અક્ષરશઃ સેવામય થાય તોયે તે પૂજામય થાય જ એવું નથી. તેથી ‘ ૐ तत् सत् ’ એ મંત્રથી બધું કર્મ ઈશ્વરાર્પણ કરવું.
 સેવાકર્મ પૂરેપૂરૂં સેવામય થવું કઠણ છે. પરાર્થમાં સ્વાર્થ પેઠા વગર રહેતો નથી. કેવળ પરાર્થ સંભવતો નથી. લેશમાત્ર પણ મારો સ્વાર્થ જેમાં ન હોય એવું કામ કરી જ શકાતું નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિઃસ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઈચ્છતા જવું. સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઈશ્વરાર્પણ કરો.
Page – 256 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 જ્ઞાનદેવે કહ્યું છે —
नामामृत गोडी वैष्णवां लाधली । योगियां साधली जीवनकळा ।।
 – ‘ નામામૃતની મીઠાશ વૈષ્ણવોને મળી અને યોગીઓએ જીવનની કળા હાથ કરી. ’ નામામૃતમાં રહેલી મીઠાશ અને જીવનકળા એ બે જુદાં નથી. નામનો આંતરિક ઘોષ, તેનું અંતરમાં ચાલતું રટણ અને બહારની જીવનકળા, બંને વચ્ચે મેળ છે. યોગી અને વૈષ્ણવ એટલે કે ભક્ત એક જ છે. ક્રિયામાત્ર પરમેશ્વરને અર્પવાથી સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એ ત્રણે એકરૂપ થશે. પહેલાં હું ને તમે અલગ અલગ છીએ તેમને એકરૂપ કરવા. तमे અને हुं મળીને आपणे થાય. હવે आपणे અને ते એ બંનેને એક કરવાના છે. પહેલો મારો સૃષ્ટિ સાથે મેળ બેસાડવાનો છે. અને પછી પરમાત્માની સાથે બેસાડવાનો છે. એવું ‘  ૐ तत् सत् ’ એ મંત્રથી સૂચવ્યું છે. 23,
 24. પરમાત્માનાં પાર વગરનાં નામો છે. તેનાં નામોનું વ્યાસે વિષ્ણુસહસ્રનામ રચ્યું. જે જે નામ કલ્પો તે તેનું નામ છે. જે નામ મનમાં ધારીએ તેના અર્થ પ્રમાણે સૃષ્ટિમાં નીરખવું અને તેને અનુરૂપ જીવન રચવું. પરમેશ્વરના નામની મનમાં ભાવના કરવી, તેને સૃષ્ટિમાં જોવું અને આપણે તેવા થવું એને હું ત્રિપદા ગાયત્રી કહું છું. દાખલા તરીકે પરમેશ્વરનું दयामयનામ લીધું, તે રહીમ છે એમ માન્યું એટલે તે દયાળુ ઈશ્વરને હવે આંખો ઉઘાડી રાકી આ સૃષ્ટિમાં જોવાનો છે. પરમેશ્વરે દરેકેદરેક બચ્ચાને તેની સેવાને માટે માતા આપેલી છે, તેને જીવવાને માટે હવા આપેલી છે. આમ તે દયામયની સૃષ્ટિમાં વ્યાપેલી દયાની યોજના નીરખવી અને આપણું જીવન પણ દયામય કરવું. ભગવદગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે તેણે સૂચવ્યું છે. એ નામ ‘  ૐ तत् सत् ’ છે.
Page – 257 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર

 25. ૐ એટલે हा. પરમાત્મા છે, આ વીસમી સદીમાં પણ પરમેશ્વર છે. स एव अद्य स उ श्वः, તે જ આજે છે, તે જ કાલે હતો, તે જ આવતી કાલે હશે. તે કાયમનો છે, સૃષ્ટિ કાયમની છે, અને કમર કસીને સાધના કરવાને હું પણ તૈયાર છું. હું સાધક છું, પેલો ઈશ્વર છે અને આ સૃષ્ટિ પૂજાદ્રવ્ય, પૂજાનું સાધન છે. આવી ભાવના મારા હ્રદયમાં ઉભરાશે ત્યારે ૐ એ અક્ષર ગળે ઊતર્યો જાણવો. તે છે, હું છું અને મારી સાધના પણ છે. આવો આ ઓંકારભાવ અંતરમાં પચવો જોઈએ, સાધનામાં ઊતરવો જોઈએ. સૂર્યને ગમે ત્યારે નિહાળો, તે કિરણો સાથે હોય છે. કિરણો અળગાં રાખી તે કદી હોતો નથી. તે કિરણોને વીસરતો નથી. તે મુજબ સાધના કોઈ પણ ઘડીએ જુઓ તોયે આપણામાં દેખાવી જોઈએ. એવું થાય ત્યારે જ ૐ અક્ષર આપણે પચાવ્યો છે એમ કહી શકાશે.
 પછી सत्. પરમેશ્વર सत् છે, એટલે કે શુભ છે, મંગળ છે. આ ભાવના મનમાં આણી તેનું માંગલ્ય સૃષ્ટિમાં અનુભવો. પેલી પાણીની સપાટી જોઈ છે ? પાણીમાંથી એક પોરો ભરી લો. ત્યાં પડેલી ખાધ જોતજોતામાં ભરાઈ જાય છે. કેવું માંગલ્ય ! કેટલી બધી પ્રીતિ ! નદી ખાડા, ખાધ સહન કરતી નથી. ખાડા ભરવાને ધસી જાય છે. नदी वेगेन शुद्ध्यति. સૃષ્ટિરૂપી નદી વેગથી શુદ્ધ થાય છે. તેથી આખીયે સૃષ્ટિ શુભ અને મંગળ છે. મારૂં કર્મ પણ તેવું જ થાઓ. પરમેશ્વરનું આ सत् નામ પચાવવાને આપણી બધી ક્રિયાઓ નિર્મળ તેમ જ ભક્તિમય હોવી જોઈએ. સોમરસને જેમ પવિત્રકો વડે ગાળી લેતા તે પ્રમાણે બધાંયે કર્મોનું, આપણી સાધનાનું હમેશ પરીક્ષણ કરતા રહી તેમાંના બધા દોષ કાઢી નાખવા.
 રહ્યું तत्. तत् એટલે તે, કંઈ જુદું, આ સૃષ્ટિથી અલિપ્ત. પરમાત્મા આ સૃષ્ટિથી નિરાળો છે, એટલે કે અલિપ્ત છે. સૂર્ય ઊગે છે એટલે કમળો ખીલે છે, પંખીઓ ઊડવા માંડે છે, અંધારૂં જતું રહે છે. પણ પેલો સૂર્ય ક્યાંયે દૂર હોય છે. તે બધાંયે પરિણામોથી તે વેગળો રહે છે. આપણાં કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ એટલે પેલું तत् નામ જીવનમાં ઊતર્યું જાણવું.
Page – 258 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૯૯ – સમર્પણનો મંત્ર
 26. આમ ૐ तत् सत् એ વૈદિક નામ લઈ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરવાનો વિચાર નવમા અધ્યાયમાં આવ્યો છે. यत्करो, यदश्नासि એ શ્લોકમાં એ જ કહ્યું છે. તે જ વાતનું સત્તરમા અધ્યાયમાં વિવરણ કર્યું છે. પરમેશ્વરને અર્પણ કરવાની ક્રિયા સાત્વિક હોવી જોઈએ, અને તો જ તે પરમેશ્વરને અર્પણ કરી શકાય, એ અહીં વિશેષતઃ કહ્યું છે.
૧૦૦. પાપાપહારી હરિનામ ૨૫૮
Page – 258 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૧૦૦ – પાપાપહારી હરિનામ

 (૧૦૦.) આ બધું તો ખરૂં. પણ એક સવાલ છે. ૐ तत् सत् એ નામ પવિત્ર પુરૂષને પચે. પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં. ૐ तत् सत् નામમાં એ શક્તિ પણ છે. ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે. પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે. જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ. પરમાત્મા જરૂર મદદ કરશે, તારી નિર્બળતામાં તે હાથ પકડશે. 27.
 28. એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજી બાજુ પાપમય પણ નમ્ર જીવન, એ બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોયે અંતઃકરણમાં કહીશ, “ જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું. ” પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ આવે તે જ જીવન લે એમ મારૂં મન કહેશે. આનો અર્થ એવો ન કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરૂં છું. પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે.
बहु भितों जाणपणा । आड न यो नारायणा ।।
 – ‘ જાણપણાથી, પુણ્યના ભાનથી હું બહુ ડરૂં છું. રખેને તે ક્યાંક મારી ને નારાયણની વચ્ચે આવે ’ – એમ તુકારામ મહારાજે કહ્યું છે. પેલી મોટાઈ મારે નથી જોઈતી. તેના કરતાં પાપી, દુઃખી હોઉં તોયે સારો.
Page – 259 – અધ્યાય – ૧૭ – પ્રકરણ – ૧૦૦ – પાપાપહારી હરિનામ

जाणतें लेंकरूं । माता लागे दूरी धरूं ।।
 – ભાનવાળાં, જાણકાર થયેલા બાળકને મા દૂર રાખે છે, પણ અજાણ બાળકને મા છાતીએ વળગાડે છે. સ્વવલંબી પુણ્યવાન થવાનું મારે નથી જોઈતું. પરમેશ્વરાલંબી પાપી હોવું એ જ મને પ્રિય છે. પરમાત્માની પવિત્રતા મારા પાપને પહોંચી વળીને વધે તેવી છે. પાપોને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તે ટાળવાનું નહીં બને તો હ્રદય રડશે, મન તરફડશે અને પછી પરમેશ્વરની યાદ આવશે. તે કૌતુક જોતો ઊભો છે. તેને કહો, “ હું પાપી છું અને તેથી તારે બારણે આવ્યો છું. ” પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે કેમકે તે પાપી છે.

     

અધ્યાય સોળમો

September 6, 2008 by kantilal1929

     

અધ્યાય સોળમો
પરિશિષ્ટ ૧ – દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો -૨૨૫ – ૨૪૦
૮૮. પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ ૨૨૫
Page – 225 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 (૮૮.) ગીતાના પહેલા અધ્યાયમાં જીવનની એકંદર યોજના કેવી છે ને આપણો જન્મ કેમ સફળ થાય તે આપણે જોયું. ત્યાર બાદ છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી આપણે ભક્તિનો જુદી જુદી રીતે વિચાર કર્યો. અગિયારમા અધ્યાયમાં આપણને ભક્તિનું દર્શન થયું. બારમા અધ્યાયમાં સગુણભક્તિ અને નિર્ગુણભક્તિ એ બંનેની તુલના કરી ભક્તનાં મહાન લક્ષણ આપણે જોયાં. બારમા અધ્યાયના અંત સુધીમાં કર્મ અને ભક્તિ એ બે તત્વો તપાસાઈ ગયાં. ત્રિજો જ્ઞાનનો વિભાગ બાકી રહ્યો હતો તે આપણે તેરમા, ચૌદમા અને પંદરમા અધ્યાયમાં જોયો. આત્માને દેહથી જુદો પાડવો, તેમ કરવાને ત્રણે ગુણોને જીતી લેવાના છે અને છેવટે પ્રભુને જોવાનો છે. પંદરમા અધ્યાયમાં આપણે જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર જોયું. પુરૂષોત્તમયોગમાં જીવનની પરિપૂર્ણતા થાય છે. તે પછી કશું બાકી રહેતું નથી.  1.
Page – 226 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 2. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાંથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોટું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઉતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોંમાં મૂકું છું તે જ ક્ષણે એકી વખતે તેનો આકાર હું ખાઉં છું, તેનું વજન પણ હું પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ હું ચાખું છું. ત્રણે ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફક્ત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકેએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યાંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરૂષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારૂ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમદશાને પુરૂષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.
Page – 227 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૮ –
પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ

 3. હવે આજે આ સોળમા અધ્યાયમાં શું કહ્યું છે ? સૂર્યોદય થવાનો હોય છે ને જેમ પહેલાં તેની પ્રભા ફેલાય છે તેમ જીવનમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેથી પૂર્ણ એવો પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા માંડે છે. પરિપૂર્ણ જીવનની આગળથી આવનારી આ જે પ્રભા છે તેનું વર્ણન આ સોળમા અધ્યાયમાં કર્યું છે. જે અંધારાની સામે ઝઘડીને એ પ્રભા પ્રગટ થાય છે તે અંધારાનું વર્ણન પણ અહીં કર્યું છે. કોઈક વાતની સાબિતીને માટે કંઈક વસ્તુ પ્રત્યક્ષ પુરાવા તરીકે આપણે જોવાને માગીએ છીએ. સેવા, ભક્તિ અને જ્ઞાન જીવનમાં ઊતર્યાં છે એ શેના પરથી જાણવું ? આપણે ખેતરમાં મહેનત કરીએ છીએ અને છેવટે અનાજનો ઢગલો તોળી લઈએ છીએ. તેવી રીતે આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી આપણને શો અનુભવ થયો, સદ્વૃત્તિ કેટલી ઊંડી ઊતરી, કેટલા સદ્ગુણ આપણામાં કેળવાયા, જીવન ખરેખર સેવામય કેટલું બન્યું, તે બધું તપાસી જવાને આ અધ્યાય કહે છે. જીવનની કળા કેટલી ખીલી તે જોવાનું આ અધ્યાય કહે છે. જીવનની આ ચડતી કળાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે. એની વિરૂદ્ધની જે વૃત્તિઓ છે તેમને આસુરી કહીને ઓળખાવી છે. સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો જઘડો વર્ણવી બતાવ્યો છે.
૮૯. અહિંસાની અને હિંસાની સેના ૨૨૭
Page–227–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 (૮૯.) પહેલા અધ્યાયમાં જેમ એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામસામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદ્ગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને અહીં સામસામાં ખડાં કર્યાં છે. માનવી મનમાં સત્ પ્રવૃત્તિઓનો અને અસત્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડયો છે. વેદમાં ઈંદ્ર ને વૃત્રનો, પુરાણમાં દેવ ને દાનવનો, તે જ પ્રમાણે રામ ને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં આહુરમઝદ ને અહરિમાનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ ને સેતાનનો, મુસલમાની ધર્મમાં પરમેશ્વર ને ઈબ્લિસનો, એવી જાતના ઝઘડા બધા ધર્મોમાં છે. કવિતામાં સ્થૂળ વિષયોનું વર્ણન સૂક્ષ્મ વસ્તુઓનાં રૂપકથી કરવામાં આવે છે તો ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને ભરાઉ, સ્થૂળ રૂપ આપીને વર્ણવે છે.
Page–228–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 કાવ્યમાં સ્થૂળનું સૂક્ષ્મ વર્ણન તો અહીં સૂક્ષ્મનું સ્થૂળ વર્ણન થાય છે. આમ કહીને એવું સૂચવવાનો આશય નથી કે ગીતાની શરૂઆતમાં જે યુદ્ધનું વર્ણન છે તે કેવળ કાલ્પનિક છે. તે ઈતિહાસમાં બનેલી ઘટના હોય પણ ખરી; પરંતુ કવિ એ ઘટનાનો પોતાના ઈષ્ટ હેતુને ખાતર ઉપયોગ કરી લે છે. કર્તવ્યની બાબતમાં મોહ થાય ત્યારે કેમ વર્તવું એ વાત યુદ્ધનું રૂપક આપીને રજૂ કરી છે. આ સોળમા અધ્યાયમાં સારાનો ને નરસાનો ઝઘડો બતાવ્યો છે. ગીતામાં યુદ્ધનું રૂપક પણ છે. 4. 5. કુરૂક્ષેત્ર બહાર છે અને આપણા મનમાં પણ છે. સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે જે ઝઘડો અંદર મનમાં ચાલે છે તે જ આપણને બહાર મૂર્તિમંત થયેલો જોવાનો મળે છે. બહાર જે શત્રુ ઊભો છે તે મારા જ મનમાં રહેલો વિકાર સાકાર થઈ ખડો થયો છે. આરસીમાં જેમ મારૂં પોતાનું સારૂં કે નરસું પ્રતિબિંબ દેખાય છે તેમ મારા મનમાં ઊઠતા સારાનરસા વિચાર મને બહાર શત્રુ કે મિત્રરૂપે દેખાય છે. જેમ હું જાગૃતિમાંનું સ્વપ્નામાં જોઉં છું તેમ મનમાંનું બહાર જોઉં છું. અંદરનું યુદ્ધ અને બહારનું યુદ્ધ એ બંનેની વચ્ચે જરાયે ફેર નથી. જે ખરું યુદ્ધ છે, તે અંદર જ છે.
 6. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ ને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંનેએ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદ્ગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે – अभय. આ અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપ્યું છે. આ વાત અમસ્તી, સહેજે બની નથી. હેતુપુરઃસર અભય શબ્દ પહેલો યોજ્યો હોવો જોઈએ. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદ્ગુણની કિંમત નથી. અને ખરાપણાને નિર્ભયતાની જરૂર રહે છે. ભયભીત વાતાવરણમાં સદ્ગુણો ખીલતા નથી. ભયભીત વાતાવરણમાં સદ્ગુણ પણ દુર્ગુણ બની બેસે છે, સત્ પ્રવૃત્તિ પણ દૂબળી પડી જાય છે. નિર્ભયતા સર્વ સદ્ગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે.
Page–229–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

  સીધો હુમલો સામેથી આવે છે પણ પાછલી બાજુથી છૂપો હુમલો થવાનો સંભવ રહે છે. સદ્ગુણોને આગળને મોખરે निर्भयता પોતાનું થાણું જમાવી ખડી છે અને પાછળનો મોરચો नम्रता સાચવે છે. આવી આ બહુ સુંદર રચના કરેલી છે. એકંદરે બધા મળીને છવ્વીસ ગુણો અહીં ગણાવ્યા છે. એમાંના પચ્ચીસ ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય પણ તે વાતનો અહંકાર વળગ્યો તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ नम्रता એ સદ્ગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હારમાં ક્યારે પલટાઈ જાય છે તેની ખબર સરખી પડતી નથી. આમ આગળ निर्भयता અને પાછળ नम्रता રાખી બધા સદ્ગુણોનો વિકાસ કરી શકાય છે. આ બે ગુણોની વચ્ચે જે ચોવીસ ગુણો છે તે ઘણુંખરૂં અહિંસાના જ પર્યાય છે એમ કહીએ તો પણ ચાલશે. ભૂતદયા, માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અહિંસા, અદ્રોહ, એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. અહિંસા ને સત્ય એ બે ગુણોમાં બધા ગુણ સમાઈ જાય છે. સર્વ સદ્ગુણનો સંક્ષેપ કરીએ તો છેવટે અહિંસા અને સત્ય બે જ વસ્તુ રહેશે. તે બંનેના પેટમાં બાકીના બધા સદ્ગુણો આવી જાય છે. પણ નિર્ભયતા અને નમ્રતા એ બેની વાત જુદી છે. નિર્ભયતાથી પ્રગતિ થઈ શકે છે, અને નમ્રતાથી બચાવ થાય છે. સત્ય અને અહિંસા એ બે ગુણોની મૂડી બાંધીને નિર્ભયપણે આગળ વધવું જોઈએ. જીવન વિશાળ છે. તેમાં અનિરૂદ્ધ, અટક્યા વગર આગળ સંચાર કરતા રહેવું જોઈએ. પગલું ચૂકી ન જવાય તેટલા ખાતર સાથમાં નમ્રતા હોય એટલે થયું. પછી સત્ય-અહિંસાના પ્રયોગો કરતાં કરતાં નિર્ભયપણે ખુશીથી આગળ ચાલો. તાત્પર્ય કે સત્ય ને અહિંસાનો વિકાસ નિર્ભયતા ને નમ્રતા એ બે વડે થાય છે.
 7. એક બાજુ સદ્ગુણોની સેના ઊભી છે તેવી જ અહીં દુર્ગુણોની ફોજ પણ ઊભી છે. દંભ, અજ્ઞાન વગેરે દુર્ગુણોની બાબતમાં ઝાઝું કહેવાની જરૂર નથી. એ વાતો આપણા પરિચયની ક્યાં નથી ? દંભ તો જાણે આપણામાં પચી ગયો છે.
Page–230–અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૮૯ – અહિંસાની અને હિંસાની સેના

 આખુંયે જીવન દંભ પર ઊભું કર્યું હોય એવું થઈ ગયું છે. અજ્ઞાનની બાબતમાં કહેવાનું હોય તો એટલું કે એક રૂડારૂપાળા બહાના તરીકે આપણે અજ્ઞાનને હંમેશ ડગલે ને પગલે આગળ કરીએ છીએ. કેમ જાણે અજ્ઞાન એ કોઈ મોટો ગુનો જ નથી ! પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પાપ છે. ” સૉક્રેટિસે એથી ઊલટું કહ્યું છે. પોતાની સામે ચલાવવામાં આવેલા મુકદ્દમા વખતે તેણે કહ્યું હતું કે, “ જેને તમે પાપ સમજો છો તે અજ્ઞાન છે, અને અજ્ઞાન ક્ષમ્ય છે. અજ્ઞાન વગર પાપ સંભવે કેવી રીતે ? અને અજ્ઞાનને માટે સજા કેવી રીતે થાય ? ” પણ ભગવાન કહે છે, “ અજ્ઞાન એ પણ પાપ જ છે. ” કાયદાના અજ્ઞાનની વાત બચાવને માટે આગળ ધરી ન શકાય એમ કાયદામાં કહે છે. ઈશ્વરના કાનૂનનું અજ્ઞાન પણ બહુ મોટો ગુનો છે. ભગવાનનું જે કહેવું છે અને સૉક્રેટિસનું જે કહેવું છે તે બંનેનો ભાવાર્થ એક જ છે. પોતાના અજ્ઞાન તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે ભગવાને બતાવ્યું છે અને બીજાના પાપ તરફ કેવી દ્રષ્ટિથી જોવું તે સૉક્રેટિસે કહ્યું છે. બીજાના પાપને માટે ક્ષમા કરવી. પણ પોતાના અજ્ઞાનને ક્ષમા કરવામાંયે પાપ છે. પોતાનું અજ્ઞાન બાકી રહેવા દેવાય જ નહીં.
Page – 230 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

૯૦. અહિંસાના વિકાસના ચાર તબક્કા ૨૩૦

 ( ૯૦.) આમ એક બાજુ દૈવી સંપત્તિ અને બીજી બાજુ આસુરી સંપત્તિ એવાં બે લશ્કર ઊભાં છે. તેમાંની આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. સત્ય અહિંસા વગેરે દૈવી ગુણોનો વિકાસ અનાદિ કાળથી થયા કરે છે. વચગાળામાં જે વખત ગયો તેમાં પણ ઘણો વિકાસ થયો છે. તોયે હજી વિકાસની મર્યાદા આવી ગઈ છે એવું નથી. જ્યાં સુધી આપણને સામાજીક શરીર છે ત્યાં સુધી વિકાસને પાર વગરનો અવકાશ છે. વ્યક્તિગત વિકાસ થયો હશે પણ સામાજિક, રાષ્ટ્રીય અને જાગતિક વિકાસ થવો બાકી છે. વ્યક્તિએ પોતાના વિકાસનું ખાતર પૂરી પછી સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સમાતી લાખો વ્યક્તિઓના વિકાસની શરૂઆત કરવાની છે. દાખલા તરીકે માણસ અહિંસાનો વિકાસ અનાદિ કાળથી કરતો આવ્યો છે છતાં આજે પણ તે વિકાસ ચાલુ છે. 8.
Page – 231 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 9. અહિંસાનો વિકાસ કેમ થતો ગયો તે જોવા જેવું છે. તે પરથી પારમાર્થિક જીવનનો વિકાસ ઉત્તરોત્તર કેમ થતો જાય છે અને તેને હજી પૂરેપૂરો અવકાશ કઈ રીતે છે એ વાત સમજાશે. હિંસકોના હુમલાઓ સામે બચાવ કેવી રીતે કરવો એ બાબતનો અહિંસક માણસે વિચાર કરવા માંડ્યો. પહેલાં સમાજના રક્ષણને સારૂ ક્ષત્રિયવર્ગ રાખ્યો પણ પછી તે જ સમાજનું ભક્ષણ કરવા લાગ્યો. વાડે ચીભડાં ગળવા માંડ્યાં. ત્યારે હવે આ ઉન્મત્ત ક્ષત્રિયોથી સમાજનો બચાવ કેમ કરવો તેનો અહિંસક બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા. પરશુરામે જાતે અહિંસક હોવા છતાં હિંસાનો આધાર લીધો અને તે જાતે હિંસક બન્યો. આ પ્રયોગ અહિંસાનો હતો પમ તે સફળ ન થયો. એકવીસ એકવીસ વખત શ્રત્રિયોનો સંહાર કરવા છતાં તે બાકી રહ્યા જ. કારણ એ કે આ અખતરો મૂળમાં જ ભૂલભરેલો હતો. જે ક્ષત્રિયોનો સમૂળગો નાશ કરવાને ખાતર મેં તેમનામાં ઉમેરો કર્યો તે ક્ષત્રિયવર્ગનો નાશ થાય ક્યાંથી ? હું જાતે જ હિંસક ક્ષત્રિય બન્યો. એ બીજ કાયમ રહ્યું. બી રહેવા દઈને ઝાડો તોડી પાડનારને ફરી ફરી ઝાડ પેદા થયેલાં દેખાયા વગર કેમ રહે ? પરશુરામ સારો માણસ હતો. પણ પ્રયોગ ઘણો વિચિત્ર નીવડ્યો. પોતે ક્ષત્રિય બનીને તે પૃથ્વી નક્ષત્રિય કરવા માગતો હતો. ખરૂં જોતાં પોતાની જાતથી જ તેણે અખતરાની શરૂઆત કરવી જોઈતી હતી. પોતાનું માથું તેણે પહેલું ઉડાવવું જોઈતું હતું. પરશુરામના કરતાં હું ડાહ્યો છું એટલે તેની ભૂલ બતાવું છું એમ ન માનશો. હું બાળક છું, પણ તેના ખભા પર ઊભો છું. તેથી કુદરતી રીતે મને વધારે દેખાય છે. પરશુરામના પ્રયોગનો પાયો જ મૂળમાં ભૂલભરેલો હતો. હિંસામય થઈને હિંસાને દૂર કરવાનું બને નહીં. ઊલટું તેથી હિંસકોની સંખ્યામાં માત્ર વધારો થાય છે. પણ તે વખતે એ વસ્તુ ધ્યાનમાં ન આવી. તે જમાનાના ભલા માણસોએ, તે વખતની મહાન અહિંસામય વ્યક્તિઓએ જે વિચાર સૂઝ્યો તે પ્રમાણે પ્રયોગ કર્યા. પરશુરામ તે જમાનાનો મોટો અહિંસાવાદી હતો. હિંસાના ઉદ્દેશથી તેણે હિંસા કરી નહોતી. અહિંસાની સ્થાપનાને માટે એ હિંસા હતી.
Page – 232 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 10. એ અખતરો એળે ગયો. પછી રામનો જમાનો આવ્યો. તે વખતે ફરીથી બ્રાહ્મણોએ વિચાર શરૂ કર્યો. તેમણે હિંસા છોડી દીધી હતી. પોતે હિંસા ન જ કરવી એવું તેમણે નક્કી કર્યું હતું. પણ રાક્ષસોના હુમલા પાછા કેમ વાળવા ? તેમણે જોયું કે ક્ષત્રિયો તો હિંસા કરવાવાળા જ છે. તેમની પાસે બારોબાર રાક્ષસોનો સંહાર કરાવવો. કાંટાથી કાંટો કાઢવો. પોતે જાતે એમાંથી તદ્દન અળગા રહેવું. વિશ્વામિત્રે યજ્ઞના બચાવને સારૂ રામલક્ષ્મણને લઈ જઈ તેમને હાથે રાક્ષસોનો સંહાર કરાવ્યો. ‘ જે અહિંસા સ્વસંરક્ષિત નથી, જે અહિંસાને પોતાના પગ નથી, એવી લૂલી-પાંગળી અહિંસા ઊભી કેવી રીતે રહે ? ’ આવો વિચાર આજે આપણે કરીએ છીએ. પણ વસિષ્ઠ-વિશ્વામિત્ર સરખાને ક્ષત્રિયોના જોર પર પોતાનો બચાવ કરવામાં નાનમ લાગી નહોતી. પરંતુ રામ જેવો ક્ષત્રિય ન મળ્યો હોત તો ? તો વિશ્વામિત્ર કહેત કે, “ હું મરી જઈશ પણ હિંસા નહીં કરૂં. ” હિંસક બનીને હિંસા દૂર કરવાનો પ્રયોગ થઈ ચૂક્યો હતો. હવે પોતાની અહિંસા તો ન જ છોડાય ટલું નક્કી થઈ ગયું હતું. ક્ષત્રિય ન મળ્યો તો અહિંસક મરી જશે પણ હિંસા નહીં કરે એવી હવેની ભૂમિકા હતી. અરણ્યકાંડમાં એક પ્રસંગ છે. વિશ્વામિત્રની સાથે રામ જતા હતા. રામે પૂછ્યું, “ આ બધા ઢગલા શાના ? ” વિશ્વામિત્રે જવાબ આપ્યો, “ એ બ્રાહ્મણોનાં હાડકાંના ઢગલા છે. અહિંસ બ્રાહ્મણોએ પોતાના પર હલ્લો કરનારા હિંસક રાક્ષસોનો સામનો ન કર્યો. તે મરી ગયા. તેમનાં હાડકાંના એ ઢગલા છે. ” બ્રાહ્મણોની આ અહિંસામાં ત્યાગ હતો ને બીજા પાસે બચાવ કરાવવાની અપેક્ષા પણ હતી. આવી લાચારીથી અહિંસાની પૂર્ણતા ન થાય.
 11. સંતોએ પછી ત્રીજો અખતરો કર્યો. સંતોએ નક્કી કર્યું કે “ બીજાની મદદ માગવી જ નહીં. મારી અહિંસા જ મારો બચાવ કરશે. એમાં જે બચાવ થશે તે જ સાચો બચાવ છે.”
Page – 233 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 સંતોનો આ પ્રયોગ વ્યક્તિનિષ્ઠ હતો. આ વ્યક્તિગત પ્રયોગને તેઓ પૂર્ણત્વ સુધી લઈ ગયા. પણ એ પ્રયોગમાં વ્યક્તિગતપણું રહી ગયું. સમાજ પર હિંસકોનો હુમલો થયો હોત અને સમાજે આવીને સંતોને પૂછ્યું હોત કે “ અમારે શું કરવું ? ” તો એ સવાલનો ચોક્કસ જવાબ કદાચ સંતો ન આપી શક્યા હોત. વ્યક્તિગત જીવનમાં પરિપૂર્ણ અહિંસા ઉતરનારા સંતોએ સમાજને સલાહ આપતાં કહ્યું હોત કે “ અમે લાચાર છીએ. ” સંતોની હું ભૂલ કાઢવા બેઠો છું એ મારૂં બાળસાહસ છે. પણ હું તેમના ખભા પર ઊભો છું તેથી જે દેખાય છે તે કહું છું. તેઓ મને ક્ષમા કરશે. અને કેમ નહીં કરે ? તેમની ક્ષમા મોટી છે. અહિંસાના સાધન વડે સામુદાયિક અખતરાઓ કરવાનું સંતોને સૂઝ્યું નહીં હોય એવું નથી. પણ પરિસ્થિતિ તેમને એટલી અનુકૂળ ન લાગી. તેમને જાત પૂરતા છૂટા છૂટા પ્રયોગ કર્યા, પણ આમ છૂટા છૂટા થયેલા પ્રયોગોમાંથી જ શાસ્ત્ર રચાય છે. સંમિલિત અનુભવમાંથી શાસ્ત્ર બને છે.
 12. સંતોના પ્રયોગ પછીનો ચોથો પ્રયોગ આજે આપણે કરીએ છીએ. આખાયે સમાજે અહિંસાત્મક સાધનો વડે હિંસાનો પ્રતિકાર કરવાનો આજનો પ્રયોગ આપણે ચલાવીએ છીએ. આ રીતે ચાર અખતરાઓ આપણે જોયા. દરેક પ્રયોગમાં અપૂર્ણતા હતી અને છે. વિકાસક્રમમાં આ વાત અપરિહાર્ય છે. પણ તે તે જમાનામાં તે તે પ્રયોગો પૂર્ણ હતા એમ જ કહેવું જોઈએ. બીજાં દસ હજાર વરસ જશે પછી આજના આપણા અહિંસક યુદ્ધમાં પણ શોધનારને ઘણી હિંસા જડશે. શુદ્ધ અહિંસાના પ્રયોગ હજીયે બીજા થતા જશે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેનો જ નહીં, બધા સદ્ગુણોનો વિકાસ થઈ રહેલો છે. એક જ વસ્તુ પૂર્ણ છે. અને તે પરમાત્મા. ભગવદ્ ગીતામાં બતાવેલો પુરૂષોત્તમયોગ પૂર્ણ છે. પણ વ્યક્તિ અને સમુદાય એ બંનેના જીવનમાં તેનો પૂર્ણ વિકાસ હજી બાકી છે. વચનોનો પણ વિકાસ થાય છે. ઋષિઓને મંત્રના દ્રષ્ટા માનવામાં આવ્યા છે તે તેના કર્તા નથી. કેમકે તેમને મંત્રનો અર્થ દેખાયો. પણ તે જ એનો અર્થ છે એવું નથી.
Page – 234 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૦ –
અહિંસાના વિકાસના ચાર તબક્કા

 ઋષિઓને એક દર્શન થયું. હવે પછી આપણને તેનો વધારે ખીલેલો અર્થ દેખાય એમ બને. તેમના કરતાં આપણને વધારે દેખાય છે એ કંઈ આપણી વિશેષતા નથી. તેમને જ આધારે આપણે આગળ જઈએ છીએ. હું અહીં એકલી અહિંસાના વિકાસ પર બોલું છું કેમકે બધા સદ્ગુણોનો સાર કાઢશો તો અહિંસા એ જ નીકળશે. અને તે યુદ્ધમાં આજે આપણે ઝુકાવ્યું છે યે ખરૂં. તેથી આ તત્વનો કેમ વિકાસ થતો જાય છે તે આપણે જોયું.
Page – 234 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૧ –
અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

૯૧. અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ ૨૩૪

 (૯૧.) હિંસકોનો હુમલો થાય ત્યારે અહિંસકોએ બચાવ કેમ કરવો એ અહિંસાનું એક પાસું આપણે જોયું. માણસ માણસ વચ્ચેના ઝઘડામાં અહિંસાનો વિકાસ કેવી રીતે થતો ગયો એ આપણે જોયું. પરંતુ માણસોનો અને જાનવરોનો ઝઘડો પણ છે. માણસે હજી પોતાના અંદરઅંદરના ઝઘડા શમાવ્યા નથી અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસીને તે જીવે છે. માણસને હજી પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથીયે દૂબળાં જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું નથી. હજારો વર્ષથી તે જીવતો આવ્યો છે પણ કેમ જીવવું જોઈએ તેનો વિચાર તેણે હજી કર્યો નથી. માણસને માણસની માફક જીવતાં આવડતું નથી. પણ આ વસ્તુઓનો વિકાસ થયા કરે છે. આદિમાનવ ઘણુંખરૂં કંદમૂલફલાહારી જ હશે. પરંતુ આગળ જતાં દુર્મતિવશ માનવસમાજનો મોટો ભાગ માંસાહારી બન્યો. ડાહ્યા ઉત્તમ માણસોને એ વાત ખપી નહીં. માંસ ખાવાનું જ થાય તો યજ્ઞમાં હલાલ કરેલાં પશુનું જ ખાવું એવું તેમણે બંધન મૂક્યું. આ બંધનનો હેતુ હિંસા પર અંકુશ મૂકવાનો હતો. કેટલાક લોકોએ તો માંસનો પૂરેપૂરો ત્યાગ કર્યો. પણ જેમનાથી પૂરેપૂરો ત્યાગ થઈ શકે એમ નહોતું તેમને યજ્ઞમાં પરમેશ્વરને અર્પણ કરી, કંઈક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી મળી. યજ્ઞમાં જ માંસ ખાજો એમ કહેવાથી હિંસા પર અંકુશ આવશે એમ લાગતું હતું. પણ પછી તો યજ્ઞ પણ સામાન્ય વાત બની ગઈ.
Page – 235 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૧ –
અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ

 જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડ્યું. એટલે ભગવાન બુદ્ધ આગળ આવ્યા. તેમણે કહ્યું, “ માંસ ખાવું હોય તો ભલે ખાઓ, પણ કંઈ નહીં તો ઈશ્વરને નામે ન ખાશો. ” એ બંને વચનોનો હેતુ એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડું ગમે ત્યાંથી આખરે સંયમને રસ્તે ચડે. યજ્ઞયાગ કરો અગર ન કરો, બંનેમાંથી આપણે માંસ ખાવાનું છોડવાનું જ શીખ્યા છીએ. આમ ધીમે ધીમે આપણે માંસ ખાવાનું છોડતા ગયા. 13.
 14. જગતના ઈતિહાસમાં એકલા ભારતવર્ષમાં આ મોટો પ્રયોગ થયો. કરોડો લોકોએ માંસ ખાવાનું છોડયું. અને આજે આપણે માંસ ખાતા નથી એમાં આપણે ઝાઝું ફુલાવાનું નથી. પૂર્વજોના પુણ્યને પરિણામે આપણું વલણ એવું બંધાયું છે. પણ પહેલાંના ઋષિઓ માંસ ખાતા હતા એમ આપણે કહીએ કે વાંચીએ છીએ ત્યારે આપણને નવાઈ થાય છે ખરી. ઋષિ માંસ ખાય ? છટછટ, કંઈ ભળતી જ વાત છે ! પણ માંસાશન કરતાં કરતાં સંયમથી તેમણે તેનો ત્યાગ કર્યો એનું શ્રેય તેમને આપવું જોઈએ. એ મહેનત આપણે કરવી પડતી નથી. તેમનું પુણ્ય આપણને મફતમાં મળ્યું છે. પહેલાં એ લોકો માંસ ખાતા અને આજે આપણે ખાતા નથી એટલે તેમના કરતાં આપણે મોટા થઈ ગયા એવો અર્થ નથી. તેમના અનુભવોનો ફાયદો આપણને મફતમાં મળ્યો. તેમના અનુભવનો હવે આપણે આગળ વિકાસ કરવો જોઈએ. દૂધ છેક છોડી દેવાના પ્રયોગો પણ કરવા જોઈએ. માણસ બીજાં જાનવરોનું દૂધ પીએ એ વાત પણ ઊતરતા દરજ્જાની છે. દસ હજાર વરસ બાદ આવનારા લોકો આપણે વિષે કહેશે, “ શું એ લોકોને દૂધ ન પીવાનું પણ વ્રત લેવું પડતું હતું ? અરે બાપરે ! એ લોકો દૂધ કેવી રીતે પીતા હશે ? એવા કેવા જંગલી ! ” સારાંશ કે નિર્ભયતાથી અને નમ્રતાથી આપણે પ્રયોગ કરતાં કરતાં કાયમ આગળ વધવું જોઈએ. સત્યની ક્ષિતિજ આપણે વિશાળ કરતા જવું જોઈએ. વિકાસને માટે હજી ઘણો અવકાશ છે. કોઈ પણ ગુણનો પૂરેપૂરો વિકાસ હજી થયો નથી.
Page – 236 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ
૯૨. આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ૨૩૬
 (૯૨.) દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. આઘા રહી શકાય તેટલા ખાતર એ આસુરી સંપત્તિનું ભગવાન વર્ણન કરે છે.એ આસુરી સંપત્તિના વર્ણનમાં ત્રણ જ બાબતો મુખ્ય છે.અસુરોના ચરિત્રનો સાર ‘ સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ ’ એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે.પોતાની જ સંસ્કૃતિ સૌથી ચડિયાતી છે અને તે જ આખી દુનિયા પર લદાય એવી તેમની મહત્વાકાંક્ષા છે. પોતાની સંસ્કૃતિ જ શા સારૂ આખી દુનિયા પર લદાવી જોઈએ ? તો કહે છે તે સારી છે. તે સારી સાથી ? તો કહે છે તે અમારી છે માટે. આસુરી વ્યક્તિ શું કે એવી વ્યક્તિઓનાં બનેલાં સામ્રાજ્યો શું, તેમને આ ત્રણ ચીજો જોઈએ છે. 15.  
 16. બ્રાહ્મણોને લાગે છે ને કે અમારી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે ! તે લોકો માને છે કે બધુંયે જ્ઞાન અમારા વેદોમાં છે. વૈદિક સંસ્કૃતિનો વિજય દુનિયાભરમાં થવો જોઈએ.
अग्रश्चतुरो वेदान् पृष्ठतःसशरं धनुः
– આગળ ચાર વેદો ચાલે ને તેમની પાછળ બાણ ચડાવેલું ધનુષ ચાલે. એમ કરી આખી પૃથ્વી પર અમારે અમારી સંસ્કૃતિનો ઝંડો ફરકાવવો છે. પણ પાછળ सशरं धनुः, બાણ ; ચડાવેલું ધનુષ ચાલતું હોય ત્યાં આગળ ચાલનારા બિચારા વેદોનો નિકાલ થઈ ગયો જાણવો. મુસલમાનોને એમ લાગે છે કે કુરાનમાં જે કંઈ છે તેટલું જ સાચું. ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓને પણ એવું જ લાગે છે. બીજા ધર્મનો માણસ ગમે તેટલો ઊંચો ચડયો હોય, પણ ઈશુ પર ભરોસો ન હોય તો તેને સ્વર્ગ ન મળે ! ઈશ્વરના ઘરને તેમણે એક જ બારણું મૂક્યું છે, અને તે છે ખ્રિસ્તનું ! લોકો પોતપોતાનાં ઘરોને ઘણાં બારણાં ને બારી મુકાવે છે. પણ બિચારા ઈશ્વરના ઘરને એક જ બારણું રાખે છે.
Page – 237 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

 17. आढ्योभिजनवानस्मि कोन्योस्ति सदशो मया — ‘ હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના, ’ એમ એ સૌ કોઈને લાગે છે. કહે છે, હું ભારદ્વાજ કુળમાંનો ! મારી એ પરંપરા અખંડ ઊતરી આવી છે. પશ્ચિમના લોકોમાં પણ એવું જ છે. કહે છે, અમારી નસોમાં નૉર્મન સરદારોનું લોહી વહે છે ! આપણા તરફ ગુરૂપરંપરા હોય છે ને ? મૂળ આદિ ગુરૂ એટલે શંકર. પછી બ્રહ્મદેવ અથવા એવા બીજા કોઈકને પકડવાનો. પછી નારદ, પછી વ્યાસ, પછી વળી એકાદો ઋષિ, પછી વળી વચ્ચે પાંચદસ લોકોને ઘુસાડી દેવાના, પછી પોતાના ગુરૂ ને પછી હું – એવી પરંપરા બતાવવામાં આવે છે. અમે મોટા, અમારી સંસ્કૃતિ સૌથી ચડિયાતી એવું બધું વંશાવળી આપીને સાબિત કરવામાં આવે છે. અલ્યા, તારી સંસ્કૃતિ ઉત્તમ હોય તો તે તારા કામોમાં દેખાવા દે ને ! તેની પ્રભા તારા આચરમમાં પ્રગટ થવા દે ને ! પણ એ નહીં. જે સંસ્કૃતિ પોતાના જીવનમાં નથી, પોતાના ઘરમાં નથી, તે દુનિયાભરમાં ફેલાવવાની હોંશ રાખવી એ વિચારસરણીને આસુરી કહે છે.
 18. જેમ મારી સંસ્કૃતિ સુંદર છે તેમ દુનિયામાંની બધીયે સંપત્તિ મેળવવાને લાયક પણ હું જ છું. બધીયે સંપત્તિ મારે જોઈએ અને હું તે મેળવીશ જ. એ બધી સંપત્તિ શા સારૂ મેળવવાની ? તો કહે છે બરાબર સરખી વહેંચણી કરવાને સારૂ ! એટલા માટે પોતાની જાતને સંપત્તિમાં દાટી દેવી એમ ને ? પેલો અકબર કહેતો હતો ને કે “ હજી રજપૂતો મારા સામ્રાજ્યમાં દાખલ કેમ થતા નથી ? એક સામ્રાજ્ય થશે ને બસ શાંતિ શાંતિ થઈ રહેશે ! ” અકબરને આમ પ્રમાણિકપણે લાગતું હતું. અત્યારના અસુરોને પણ એમ જ થાય છે કે બધી સંપત્તિ એક ઠેકાણે એકઠી કરવી. કેમ ? તો કહે છે, તેને ફરી પાછી વહેંચવા માટે.
 19. એ માટે મારે સત્તા જોઈએ. બધી સત્તા એક હાતમાં કેંદ્રિત થવી જોઈએ. આ તમામ દુનિયા મારા તંત્ર નીચે રહેવી જોઈએ; સ્વ-તંત્ર, મારા તંત્ર પ્રમાણે ચાલવી જોઈએ. મારા તાબામાં જે હશે, મારા તંત્ર પ્રમાણે જે ચાલશે તે જ સ્વતંત્ર. આમ સંસ્કૃતિ, સત્તા અને સંપત્તિ એ મુખ્ય ત્રણ બાબતો પર આસુરી સંપત્તિમાં ભાર દેવામાં આવે છે.
Page – 238 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૨ –
આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ

 20. એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “ હું શીખવનાર બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરૂ કોણ ? ” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા. “ આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ, ” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “ પીઠ પર મારજો પણ પેટ પર મારશો મા, ” એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું. “ આ ધન મારૂં છે, અને પેલું પણ મારૂં થશે, ” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને કે “ સ્વરાજ્ય જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો. ” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે; જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.

૯૩. કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ ૨૩૮
Page – 238 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 (૯૩.) આસુરી સંપત્તિને આઘી રાખવાની કોશિશ કરવી જોઈએ. આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ ને લોભ.આખાયે જગતને આ કામ-ક્રોધ-લોભ નચાવે છે. આ નાચ હવે બહુ થયા. એ છોડવા જ જોઈએ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે એટલે લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. આ ત્રણેથી આઘા રહેજો એવું ગીતામાં ડગલે ને પગલે કહ્યું છે. સોળમા અધ્યાયને છેડે પણ એ જ કહ્યું. કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ ભવ્ય દરવાજા છે. એ દરવાજામાંથી પાર વગરની અવરજવર ચાલ્યા કરે છે. નરકનો રસ્તો ખાસો પહોળો છે. તેના પરથી મોટરો દોડે છે. રસ્તામાં ઘણા સોબતીઓ પણ મળી જાય છે. પણ સત્યનો રસ્તો સાંકડો છે.  21. 
Page – 239 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 22. આવા આ કામ-ક્રોધની સામે બચાવ કેવી રીતે કરવો ? સંયમનો માર્ગ સ્વીકારીને. શાસ્ત્રીય સંયમનો આધાર લેવો જોઈએ. સંતોનો જે અનુભવ છેતે જ શાસ્ત્ર છે. પ્રયોગો કરી કરીને સંતોને જે સિદ્ધાંતો જડ્યા તેમનું શાસ્ત્ર બને છે. આ સંયમના સિદ્ધાંતોનો આશરો લો. નાહકની શંકાઓ ઊભી કરવાનું છોડી દો. કામ-ક્રોધ જગતમાંથી જતા રહે તો જગતનું શું થશે, દુનિયા ચાલવી તો જોઈએ, થોડા પ્રમાણમાં પણ કામ-ક્રોધ રાખવા ન જોઈએ કે ? એવી એવી શંકા મહેરબાની કરી કાઢશો મા. કામ-ક્રોધ ભરપૂર છે, તમારે જોઈએ તેના કરતાંયે વધારે છે. નાહક બુદ્ધિભેદ શા સારૂ ઊભો કરો છો ? કામ-ક્રોધ-લોભ તમારી ઈચ્છા કરતાં થોડા વધારે જ છે. કામ મરી જાય તો સંતતિ કેમ પેદા થશે એવી ફિકર કરશો મા. ગમે તેટલી સંતતિ તમે પેદા કરો તો પણ એક દિવસ એવો ઊગવાનો છે કે જ્યારે માણસનું નામનિશાન પૃથ્વી પરથી સાફ ભૂંસાઈ જવાનું છે. વૈજ્ઞાનિકો આ વાત કહે છે. પૃથ્વી આસ્તે આસ્તે ઢંડી પડતી જાય છે. એક વખતે પૃથ્વી ખૂબ ઉષ્ણ હતી ત્યારે તેના પર જીવ નહોતો. એક કાળ એવો આવશે જ્યારે પૃથ્વી છેક ટાઢી પડી જશે અને બધી જીવસૃષ્ટિ લય પામશે. આને લાખો વરસો લાગશે. તમે સંતતિ ગમે તેટલી વધારો પણ છેવટે આ પ્રલય થયા વગર રહેવાનો નથી એ ચોક્કસ જાણજો. પરમેશ્વર અવતાર લે છે તે ધર્મના રક્ષણને સારૂ લે છે, સંખ્યાના રક્ષણને સારૂ નથી લેતો. ધર્મપરાયણ એવો એક પણ માણસ જ્યાં સુધી મોજૂદ હશે, જ્યાં સુધી એક પણ પાપભીરૂ તેમ જ સ્તયનિષ્ઠ માણસ હયાત હશે ત્યાં સુધી કશી ફિકર ન રાખશો. ઈશ્વરની તેના પર નજર રહેશે. જેમનો ધર્મ મરી પરવાર્યો છે એવા હજારો લોકો હોય તોયે શું ને ન હોય તોયે શું, બધું સરખું છે.
 23. આ બધી વાતો બરાબર ધ્યાનમાં લઈ આ સૃષ્ટિમાં મર્યાદા સાચવીને રહો, સંયમપૂર્વક વર્તો. ફાવે તેમ બેફામ વર્તશો મા.
Page – 240 – અધ્યાય – ૧૬ – પ્રકરણ – ૯૩ –
કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમ માર્ગ

 લોકસંગ્રહ કરવો એનો અર્થ લોકો કહે તેમ ચાલવું એવો નથી. માણસોના સંઘ વધારવા, સંપત્તિના ઢગલા એકઠા કરવા એ સુધારો નથી. વિકાસ સંખ્યા પર આધાર રાખતો નથી. વસ્તી બેસુમાર વધશે તો માણસો એકબીજાનાં ખૂન કરશે. પહેલાં પશુપક્ષીઓને ખાઈને માણસોનો સમાજ માતશે. પછી પોતાનાં છૈયાંછોકરાંને કરડીને ખાવાનો વારો આવશે. કામ-ક્રોધમાં સાર છે એ કહેવું સ્વીકારીને ચાલીએ તો છેવટે માણસ માણસને ફાડીને ખાવા માંડશે એ બાબતમાં તલભાર શંકા ન રાખશો. એટલે સુંદર તેમ જ વિશુદ્ધ નીતિનો માર્ગ લોકોને બતાવવો તે. કામ-ક્રોધમાંથી મુક્ત થવાથી પૃથ્વી પરનો માણસ નાશ પામશે તો મંગળ પર ઉત્પન્ન થશે. એટલે તે વાતની ફિકર કરશો નહીં. અવ્યસ્ત પરમાત્મા સર્વત્ર વ્યાપેલો છે. તે તમારી સંભાળ રાખશે. પહેલો તું મુક્ત થા. આગળનું ઝાઝું જોવાની જરૂર નથી. સૃષ્ટિ અને માણસજાતની ફિકર કરવાની રહેવા દે. તારી નૈતિક શક્તિ વધાર. કામ-ક્રોધને ઝાડીને ખંખેરી નાખ. ‘ आपुला तुं गळाधेई उगबूनि ’ – ‘ પોતાની ગરદન તું પહેલી ઉગારી લે, તારૂં ગળું પકડાયું છે તેને પહેલું બચાવી લે. ’ આટલું કરશે તોયે બહુ થયું.
 24. સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઊભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. જે સમુદ્રમાં ડૂબકાં ખાય છે, જેના નાકમાં ને મોંમાં પાણી ભરાય છે, તેને સમુદ્રના આનંદનો અનુભવ ક્યાંથી મળે ? સંતો સમુદ્રને તીરે ઊભા રહી આનંદ લૂંટે છે. સંસારના સમુદ્રથી અલિપ્ત રહેવાની આ જે સંતોની વૃત્તિ છે તે બરાબર કેળવાઈને પચે નહીં ત્યાં સુધી આનંદ નથી. કમળના પાંદડાની માફક અલિપ્ત રહે. બુદ્ધે કહ્યું છે, “ સંતો ઊંચે પર્વતનાં શિખરો પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે. પછી એ સંસાર તેમને ક્ષુદ્ર દેખાય છે. ” તમે પણ ઉપર ચડીને જોતાં શીખો એટલે આ અફાટ ફેલાવો ક્ષુદ્ર લાગશે. પછી સંસારમાં ચિત્ત ચોંટશે નહીં.
 સારાંશ કે આસુરી સંપત્તિ દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું આ અધ્યાયમાં ભગવાને ઊંડી લાગણીથી કહ્યું છે. તે પ્રમાણે યત્ન કરવો.

     

અધ્યાય પંદરમો

August 6, 2008 by kantilal1929

     
અધ્યાય પંદરમો
 પૂર્ણયોગ : સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન
Page – 209 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી
અધ્યાય પંદરમો : પૂર્ણયોગ—સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન -૨૦૯ – ૨૨૫
૮૨. પ્રયત્નોથી ભક્તિ જુદી નથી ૨૦૯

 (૮૨.) આજે એક રીતે આપણે ગીતાને છેડે આવી પહોંચ્યા છીએ. પંદરમા અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂરિણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપ છે અને અઢારમો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર એવું નામ આપ્યું છે.
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानध
અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું
 – એમ ભગવાન છેવટે કહે છે. આ છેવટનો અધ્યાય છે તેથી ભગવાને એમ કહ્યું છે એવું નથી, પણ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા તેમની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે તેથી કહ્યું છે.
Page – 210 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

 આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે. તે આ અધ્યાયમાં છે અને તેથી ‘વેદોનો સાર ’ એવી ગૌરવભરી પદવી એને મળી છે.
 તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. રજોગુણ અને તમોગુણનો નિગ્રહથી ત્યાગ કરવો, સત્વગુણનો વિકાસ કરી, તેની આસક્તિને જીતી લઈ, તેના ફળનો ત્યાગ કરવો, એ રીતે પ્રયત્ન ચલાવવા. એ પ્રયત્નો સંપૂર્ણપણે ફળદાયી થાય તેટલા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે, એમ છેવટે કહ્યું. આત્મજ્ઞાન ભક્તિ વિના શક્ય નથી. 1. 2. પણ ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી એ વાત સૂચવવાને આ પંદરમા અધ્યાયની શરૂઆતમાં જ સંસારને એક મહાન વૃક્ષની ઉપમા આપી છે. ત્રિગુણ વડે પોષાયેલી મોટી મોટી ડાળીઓ એ વૃક્ષને ફૂટેલી છે. અનાસક્તિ અને વૈરાગ્ય એ શસ્ત્ર વડે આ ઝાડને છેદી નાખવું એમ શરૂઆતમાં જ કહ્યું છે. પાછલા અધ્યાયમાં જે સાધનમાર્ગ બતાવ્યો તે જ અહીં આરંભમાં ફરીને કહ્યો છે એ સ્પષ્ટ છે. રજ-તમને મારવાના છે અને સત્વગુણનું પોષણ કરી તેની ખીલવણી કરવાની છે. એક વિનાશક અને બીજું વિધાયક કામ છે. બંને મળીને એક જ માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે. તેવું જ  છે.
 3. રામાણમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણ ભાઈઓ છે. કુંભકર્ણ તમોગુણ છે, રાવણ રજોગુણ ચે અને વિભીષણ સત્વગુણ છે. આપણા શરીરમાં એ ત્રણનું રામાયણ રચાયા કરે છે. એ રામાયણમાં રાવણ-કુંભકર્ણનો નાશ જ વિહિત છે. ફક્ત વિભીષણતત્વ જો તે હરિશરણ થાય તો ઉન્નતિસાધક અને તેને પોષક થઈ શકે એવું હોવાથી સંઘરવા લાયક છે. ચૌદમા અધ્યાયમાં આપણે આ વાત જોઈ ગયા છીએ.
Page – 211 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૨ – પ્રયત્નમાર્ગથી ભક્તિ જુદી નથી

 આ પંદરમા અધ્યાયના આરંભમાં ફરીને તે જ વાત કરવામાં આવી છે. સત્વ-રજ-તમથી ભરેલો સંસાર અસંગ શસ્ત્રથી છેદી નાખો. રજતમનો વિરોધ કરો. સત્વગુણનો વિકાસ કરી પવિત્ર થાઓ અને તેની આસક્તિને પણ જીતી લઈ અલિપ્ત રહો એવો કમળનો આદર્શ ભગવદગીતા રજૂ કરે છે.
 4. ભારતીય સંસ્કૃતિમાં જીવનમાંની આદર્શ વસ્તુઓને, ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને કમળની ઉપમા આપેલી છે. કમળ ભરતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્તમમાં ઉત્તમ વિચાર પ્રગટ કરવાનું ચિહ્ન કમળ છે. કમળ સ્વચ્છ અને પવિત્ર હોય છે અને અલિપ્ત રહે છે. પવિત્રતાની અને અલિપ્તતાની એવી બેવડી શક્તિ કમળમાં રહેલી છે. ભગવાનના જુદા જુદા અવયવોને કમળની ઉપમા અપાય છે. જેમકે નેત્ર-કમળ, પદ-કમળ, કર-કમળ, મુખ-કમળ, નાભિ-કમળ, હ્રદય-કમળ, શિર-કમળ; બધેયે સૌંદર્ય અને પવિત્રતા છે, છતાં અલિપ્તતા પણ છે એ આ ઉપમાઓથી બતાવાય છે અને આપણા મન પર ઠસાવવામાં આવે છે.
 5. પાછલા અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણતા કરવાને સારૂ આ અધ્યાય છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે એટલે આ પૂર્ણતા આવે છે. પ્રયત્નમાર્ગનો જ ભક્તિ પણ એક ભાગ છે. આત્મજ્ઞાન, ભક્તિ એ તે જ સાદનાનાં અંગો છે. વેદમાં ઋષિ કહે છે –
यो जागार तं ऋचः कामयन्ते
यो जागार तमु सामानि यान्ति
 – જે જાગ્રત હોય છે તેમના પર વેદો પ્રેમ રાખે છે; તેમને મળવાને તેઓ આવે છે. ’ એટલે કે જે જાગૃત છે તેના તરફ વેદનારાયણ આવે છે. તેની પાસે ભક્તિ આવે છે, જ્ઞાન આવે છે. પ્રયત્નમાર્ગથી ભક્તિ અને જ્ઞાન જુદાં નથી. પ્રયત્નમાં જ મીઠાશ પૂરનારાં એ તત્વો છે એવું આ અધ્યાયમાં કહેવાનું છે. એકાગ્ર ચિત્તથી ભક્તિ-જ્ઞાનનું એ સ્વરૂપ શ્રવણ કરો.
Page –212–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે
૮૩. ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે ૨૧૨
 
 (૮૩.) જીવનના કકડા હું કરી શકતો નથી. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને મારાથી જુદાં પાડી શકાતાં નથી અને તે ત્રણે જુદાં પણ નથી. દાખલા તરીકે આ જેલમાંનું રસોઈનું કામ જુઓ. પાંચસોથી સાતસો માણસો માટેની રસોઈનું કામ આપણામાંથી થોડા લોકો મળીને પાર પાડે છે. જેને રસોઈનું પાકું જ્ઞાન નથી એવો માણસ આ કામમાં હશે તો રસોઈ બગાડી નાખશે. રોટલા કાચા રહેશે, નહીં તો બળીને રાખ થઈ જશે. પણ રસોઈનું બરાબર પાકું જ્ઞાન છે એમ માનીને આપણે ચાલીએ. એમ છતાં  માણસના દિલમાં તે કર્મને માટે પ્રેમ નહીં હોય, ભક્તિની ભાવના નહીં હોય, આ રોટલા મારા ભાઈઓને, એટલે કે નારાયણને ખાવાને માટે છે તે સારૂ તે મારે બરાબર કરવા જોઈએ, આ પ્રભુની સેવા છે, એવી ભાવના તેના દિલમાં નહીં હોય તો જ્ઞાન હોવા છતાં પણ તે માણસ એ કામને માટે લાયક ઠરતો નથી. એ રસોઈના કામમાં જ્ઞાન જોઈએ અને તે જ પ્રમાણે પ્રેમ પણ જોઈએ. ભક્તિતત્વનો રસ હ્રદયમા નહીં હોય તો રસોઈ સુરસ નહીં થાય. એથી તો મા વગર એ કામ થતું નથી. મા વગર  કામ પૂરી આસ્થાથી અને પૂરા પ્રેમથી કોણ કરશે ? વળી, એ કામને માટે તપસ્યા પણ જોઈએ. તાપ વેઠ્યા વગર, મહેનત કર્યા વગર, એ કામ થાય કેવી રીતે ? એટલે એક જ કાર્યમાં પ્રેમ, જ્ઞાન અને કર્મ એ ત્રણે ચીજોની જરૂર છે એમ સાફ દેખાઈ આવે છે. જીવનમાં થનારાં બધાંયે કર્મો આ ત્રણ ગુણ પર ઊભાં છે. ત્રિપાઈનો એક જ પાયો તૂટી જાય તો પણ તે ઊભી રહેતી નથી. ત્રણે પાયા જોઈએ. તેના નામમાં જ તેનું સ્વરૂપ સ્પષ્ટ થયેલું છે. જીવનનું પણ એવું જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એટલે શ્રમસાતત્ય એ જીવનના ત્રણ પાયા છે. એ ત્રણ થાંભલા પર જીવનની દ્વારકા ઊભી કરવાની છે. એ ત્રણે પાયા મળીને એક જ ચીજ બને છે. ત્રિપાઈનો દાખલો અક્ષરશઃ લાગુ પડે છે. તર્કથી તમે ભક્તિ, જ્ઞાન અને કર્મને ભલે એકબીજાથી અલગ માનો પણ પ્રત્યક્ષ તેમને અલગ પાડવાનું બને એવું નથી. ત્રણે મળીને એક જ વિશાળ વસ્તુ બને છે. 6.
Page –213–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે

 7. આમ હોવા છતાં ભક્તિનો વિશેષ એવો ગુણ નથી એવું નથી. કોઈ પણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે ? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે.ગમે તેટલું કામ કરો તોયે કર્યા જેવું લાગતું નથી. ભગવાન ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, ‘ તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો તારો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે એવું દેખાય તે ન ચાલે. ’ ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય. આપણે કહીએ છીએ ને કે શૂરો દેશભક્ત હસતો હસતો ફાંસીએ ચડયો. સુધન્વા ઊકળતા તેલની કડાઈમાં હસતો હતો. મોઢેથી કૃષ્ણ, વિષ્ણુ, હરિ, ગોવિંદ બોલતો હતો. આમ કહેવાનો અર્થ એટલો જ છે કે પાર વગરની પીડા થવા છતાં ભક્તિને લીધે તે તેને વરતાઈ નહોતી. પાણી પર તરતી હોડી ખેંચવી કઠણ નથી. પણ તેને જમીન પરથી, ખડક પરથી, પથરાળી ભોંય પરથી ખેંચીને લઈ જવાની હોય તો કેટલી બધી મહેનત પડે છે તે જોજો ! હોડીની નીચે પાણી હોય તો સહજતાથી આપણે તરી જઈએ છીએ. તે જ પ્રમાણે આપણી જીવનનૌકાની નીચે ભક્તિનું પાણી હશે તો તે હોડી આનંદથી હલેસાં મારીને આગળ લઈ જવાશે. પણ જીવન લૂખું હશે, સૂકું હશે, રસ્તામાં રણવગડો હશે, પથરા ને ખડક હશે, ખાંચા ને ખાડાટેકરા હશે તો એ હોડીને ખેંચીને લઈ જવાનું કામ ઘણું વિકટ થઈ જશે. ભક્તિતત્વ જીવનનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે.
 ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે પણ આત્મજ્ઞાન વગર ત્રિગુણોની પેલી પાર કાયમનું જવાય એવી આશા નથી. તો પછી આત્મજ્ઞાનને માટે સાધન કયું ?
Page –214–અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૩ – ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે

 સત્વ-સાતત્યથી, સત્વગુણ પચાવી તેનો અહંકાર અને તેના ફળની આસક્તિને જીતી લેવાનો ભક્તિરૂપી પ્રયત્ન એ જ સાધન છે. આ સાધન વડે સતત અને અખંડ પ્રયત્ન કરતાં કરતાં એક દિવસ આત્મદર્શન થશે. ત્યાં સુધી પ્રયત્નને છેડો નથી. પરમપુરૂષાર્થની આ વાત છે. આત્મદર્શન એ બે ઘડી મૉજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, ‘ હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં. ’ પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી,
तुम कारन तप संयम किरिया, कहो कहांलौ कीजे !
 – ‘ હે ઈશ્વર, ક્યાં સુધી તારે અર્થે આ તપસ્યા કરૂં ? ’ એવા ઉદ્ગાર નીકળી જાય છે. પણ એ ઉદ્ગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાદના કરૂં ? આ વચન ભક્તિમાં શોભતું નથી. અધીરાઈ, નિરાશાની ભાવના એ બધું ભક્તિ કદી ઉત્પન્ન થવા નહીં દે. આવો કંટાળો કદી ન આવે, ભક્તિમાં ઉત્તરોત્તર, વધારે ને વધારે ઉલ્લાસ ને ઉત્સાહ આવે તે માટે ઘણો મજાનો વિચાર આ અધ્યાયમાં રજૂ કર્યો છે.
Page – 214 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

૮૪. સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન ૨૧૪

 (૮૪.) આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તોના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર તરફ જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું, તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે.
Page – 215 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –

સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આ બંને વાતો તેની સામે હમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાનાં સાધનો છે. ફૂલ, ચંદન, ધૂપદીપ, એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા ને સેવાનાં સાધનો માટે આ સૃષ્ટિ. આ શીખ આ અધ્યાયમાં છે. પણ એકાદો, મૂર્તિની સેવાપૂજા કરવાવાળો જે સેવક છે તેને સૃષ્ટિમાંની બધી ચીજો પૂજાનાં સાધન લાગતી નથી. તે બગીચામાંથી ચારપાંચ ફૂલો તોડી લાવે છે, ક્યાંકથી ધૂપસળી લાવે છે, અને કંઈક ને કંઈક નૈવેદ્ય ધરાવે છે. તેને પસંદગી કરી કંઈ લેવાનું ને કંઈ છોડી દેવાનું મન થાય છે. પણ પંદરમા અધ્યાયમાં જે ઉદ્દાત્ત શીખ છે તેમાં પસંદગીની, કંઈ લેવાની ને કંઈ છોડી દેવાની વાત નથી. જે જે કંઈ તપસ્યાનાં સાધનો છે, કર્મનાં સાધનો છે, તે બધાંયે પરમેશ્વરની સેવાનાં સાધનો છે. તેમાંનાં થોડાંને નૈવેદ્ય ગણીને ચાલીશું. આમ યચ્ચયાવત્ એટલે કે જે છે તેટલાં બધાં કર્મોને પૂજાદ્રવ્યો બનાવવાં એવી  દ્રષ્ટિ છે. જગતમાં ફક્ત ત્રણ ચીજ છે. જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમાંનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે.     8.
 9. આશ્રમમાં કોઈક એક જણને માથે ખૂબ કામ આવે છે ત્યારે ‘ મારે માથે જ વધારે કામ કેમ આવ્યું ? ’ એવો વિચાર તેના મનમાં ફરકતો નથી એ વાતનો ઊંડો સાર છે. પૂજા કરવાવાળાને બે કલાકને બદલે ચાર કલાક પૂજા કરવાની મળે તો ‘ અરે આ શું ? ’ આજે ચાર ચાર કલાક પૂજા કરવી પડશે ! ’ એવું કંટાળીને તે કહેશે ખરો કે ? ઊલટું, તેને એથી વધારે આનંદ થશે. આશ્રમમાં અમને આવો અનુભવ થાય છે. એવો અનુભવ આખાયે જીવનમાં બધે થવો જોઈએ. જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરૂષોત્તમ છે તેની સેવાને માટે હમેશ ખડો રહેનારો હું અક્ષર પુરૂષ છું. અક્ષર પુરૂષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક. જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની ખબર સરખી નથી. હનુમાનની માફક ચિરંજીવ એવો આ સેવક ખડો છે. 
Page – 216 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આવો આજન્મ સેવક તે જ અક્ષર પુરૂષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે છે કે હું સેવા કરતો થાકું છું એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરૂષ છે. પેલો પુરૂષોત્તમ સ્વામી અને હું તેનો સેવક, તેનો બંદો એવી ભાવના કાયમ હ્રદયમાં રાખવાની છે. અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાનાં સાધનો, સેવાનાં સાધનો બનાવવાનાં છે. એકેએક ક્રિયા પુરૂષોત્તમની પૂજા છે.
 10. સેવ્ય આ પરમાત્મા પુરૂષોત્તમ અને સેવક જીવ  અક્ષર પુરૂષ છે. પણ આ સાધનરૂપ સૃષ્ટિ ક્ષર છે. તે ક્ષર હોવામાં ભારે અર્થ સમાયેલો છે. સૃષ્ટિનું એ દૂષણ નથી પણ ભૂષણ છે. તેને લીધે સૃષ્ટિમાં નિત્ય નવીનતા છે. ગઈ કાલનાં ફૂલો આજે કામ નહીં આવે. તે નિર્માલ્ય બન્યાં. સૃષ્ટિ નાશવંત છે એ માણસનું મોટું ભાગ્ય છે, એ સેવાનો વૈભવ છે. સેવાને માટે રોજ નવાં, તાજાં ફૂલ જોઈએ. તે જ પ્રમાણે આ શરીર પણ નવું નવું ધારણ કરી હું પરમેશ્વરની સેવા કરીશ. મારાં સાધનોને હું રોજ નવું સ્વરૂપ આપીશ અને તેમનાથી તેની પૂજા કરીશ. નાશવંતપણાને લીધે સૌંદર્ય છે.
 11. ચંદ્રની કળા આજે હોય છે તે કાલે હોતી નથી. ચંદ્રનું લાવણ્ય રોજ જુદું. બીજનો પેલો પાછળથી વધતો જનારો ચંદ્ર જોઈને કેટલો બધો આનંદ થાય છે ! શંકરના ભાલપ્રદેશ પર એ બીજની ચંદ્રશોભા પ્રગટ થયેલી છે. આઠમના ચંદ્રનું સૌંદર્ય વળી વિશેષ હોય છે.
Page – 217 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 આઠમના આકાશમાં વીણેલાં મોતી જોવાનાં મળે છે. પૂનમના ચંદ્રના તેજમાં તારા દેખાતા જ નથી. પૂર્ણિમાએ પરમેશ્વરના મુખચંદ્રનું દર્શન થાય છે. અમાસનો આનંદ વળી જુદો ને ઘણો ગંભીર હોય છે. અમાવાસ્યાની રાતે કેટલી બધી નિઃસ્તબ્ધ શાંતિ હોય છે ! ચંદ્રનો જુલમી પ્રકાશ ન હોવાથી નાનામોટા અગણિત તારાઓ પૂરી છૂટથી ચમકે છે. અમાસે સ્વતંત્રતાનો પૂરેપૂરો વિલાસ જોવાને મળે છે. પોતાના અજવાળાનો દમામ બતાવનારો ચંદ્ર આજે આકાશમાં નતી. પોતાને પ્રકાશ પનારા સૂર્યની સાથે આજે તે એકરૂપ થયેલો છે, પરમેશ્વરમાં સમાઈ ગયેલો હોય છે. જીવે સ્વાત્માર્પણ કરી પોતાને કારણે જગતને જરા સરખોયે ત્રાસ ન થવા દેવો એવું જાણે કે તે દિવસે તે બતાવી રહેલો છે. ચંદ્રનું સ્વરૂપ ક્ષર છે, બદલાયા કરે છે. પણ તે નિત્ય નવો આનંદ આપે છે.
 12. સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. એ રૂપગંગા વહેતી ન રહે તો તેનું ખાબોચિયું થઈ જાય. નદીનું પાણી એકધારૂં વહ્યા કરે છે. પાણી કાયમ બદલાયા કરે છે. આ એક ટીપું ગયું, પેલું બીજું આવ્યું ! એમ તે પાણી જીવતું રહે છે. વસ્તુમાંનો આનંદ નવીનતાને લીધે વરતાય છે. ઉનાળાની મોસમમાં ઈશ્વરને અમુક ફૂલ ચડાવવાનાં હોય છે. ચોમાસામાં પેલી લીલીછમ દરોઈ ચડાવવાની હોય છે. શરદઋતુમાં પેલાં રમણીય કમળો ચડાવવાનાં હોય છે. તત્ તત્ ઋતુકાલોદ્ભવ ફળફૂલો વડે ઈશ્વરની પૂજા કરવાની છે. એથી એ પૂજા તાજી, નિત્ય નવી લાગે છે અને તેનો કંટાળો આવતો નથી. નાનાં છોકરાંને પાટી પર ‘ ક ’ કાડી આપીને પછી આપણે કહીએ છીએ, “ આને ઘૂંટીને જાડો કર. ” એ ‘ ક ’ ચીતરવાની માથાફોડથી બાળકને કંટાળો આવે છે. અક્ષર ઘૂંટીને જાડો શા માટે કરવો તે તેને સમજાતું નથી. પેન આડી પકડીને તે ઝટઝટ અક્ષરને જાડો કરવાનું પતાવે છે. પણ પછી આગળ ઉપર તે નવા અક્ષરો જુએ છે, અક્ષરોના સમુદાય જુએ છે. નવાં નવાં પુસ્તકો તે વાંચતો થાય છે. સાહિત્યમાં નિર્માણ થયેલી જાતજાતની સુમનમાળાનો તે અનુભવ લેતો થાય છે. થી તેને અપાર આનંદ થાય છે. તેવું જ સેવાના ક્ષેત્રમાં છે. નવાં નવાં સાધનોને લીધે સેવા માટેની હોંશ વધ્યા કરે છે. અને સેવાવૃત્તિનો વિકાસ થાય છે.
Page – 218 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

 સૃષ્ટિનું નાશવંતપણું રોજરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. ગામની પાસે સ્મશાન છે તેથી ગામ રળિયામણું છે. જૂનાં માણસો જાય છે ને નવાં બાળકો જન્મે છે. નવી સૃષ્ટિ વધતી જાય છે. બહારના પેલા મસાણનો નાશ કરશો તો તે ઘરમાં આવી અડ્ડો જમાવશે. તેનાં તે માણસોને કાયમ જોવાં પડશે એટલે તમે કંટાળી જશો. ઉનાળામાં ગરમી હોય છે. પૃથ્વી તપી જાય છે. પણ તેથી અકળાશો મા. એ રૂપ પલટાયા વગર રહેવાનું નથી. વરસાદનું સુખ અનુભવવાને માટે પહેલાં તાપ ખમવો જોઈએ. જમીન બરાબર તપી નહીં હોય તો વરસાદ પડતાંની સાથે એકલો કાદવ કાદવ થઈ રહેશે. જમીન ઘાસ અને ધાન્યની કૂંપળોથી છવાઈ નહીં જાય. એક વખત ઉનાળામાં હું ફરતો હતો. માથું તપતું હતું. તેથી મને આનંદ થતો હતો. મને એક મિત્રે કહ્યું, “ માથું તપી જશે, ઉકળાટ થશે. ” મેં કહ્યું, “ આ નીચેની માટી તપે છે. તો આ માટીના ગોળાને પણ થોડો તપવા દીધેલો સારો. ” માથું તપેલું હોય ને તેના પર પેલી વરસાદની ધાર પડે એટલે શું આનંદ થાય છે ! પણ જે તડકામાં બહાર નીકળી તપતો નથી, તે વરસાદ આવશે તોયે ચોપડીમાં માથું ઘાલીને બેઠો રહેશે. ઘરની ઓરડીમાં, એક કબરમાં પુરાઈ રહેશે. બહારના આ વિશાળ અભિષેકપાત્ર નીચે ઊભા રહી નાચવાનું તેના નસીબમાં નથી. પણ પેલો આપણો મહર્ષિ મનુ બહુ રસિક અને સૃષ્ટિપ્રેમી હતો. સ્મૃતિમાં તે લખે છે કે, “ વરસાદ પડવા માંડે એટલે રજા પાડવી. ” વરસાદ પડતો હોય ને આશ્રમમાં પાઠ ગોખતાં ગોંધાઈ રહેવાનું હોય ખરૂં કે ? વરસાદમાં નાચવું, ગાવું અને સૃષ્ટિ સાથે એકરૂપ થવું. ચોમાસામાં જમીન અને આસમાન એકબીજાને ભેટે છે. તે ભવ્ય દેખાવ કેવો આનંદ પનારો હોય છે ! સૃષ્ટિ જાતે આપણને કેળવણી આપી રહેલી છે.
 સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે સાધનોની નવીનતા છે. એવી નવી નવી ચીજોને જન્મ આપનારી અને નવ નવાં સાધનો પૂરાં પાડનારી આ સૃષ્ટિ, કમર કસીને સેવાને માટે ખડો પેલો સનાતન સેવક, અને પેલો સેવ્ય પરમાત્મા ત્રણે સામે મોજૂદ છે.
Page – 219 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૪ –
સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન

  હવે ચાલવા દો આખો ખેલ. પેલો પરમપુરૂષ પુરૂષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. તરેહતરેહનાં સાધન આપીને તે મને રમાડી રહેલો છે. મારી પાસેથી તે જુદા જુદા પ્રયોગ કરાવે છે. આવી વૃત્તિ જીવનમાં કેળવાય તો કેટલો બધો આનંદ મળે ! 
Page – 219 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

૮૫. અહંશૂન્ય સેવા તે જ ભક્તિ ૨૧૯

 (૮૫.) આપણી એકેએક કૃતિ ભક્તિમય થાય વી ગીતાની ઈચ્છા છે. ઘડી અધઘડી પરમેશ્વરની પૂજા કરો છો તે સારૂં છે. સવારે ને સાંજે સૂર્યની સુંદર પ્રભા ફેલાયેલી હોય ત્યારે ચિત્ત સ્થિર કરી, કલાક અરધો કલાક સંસારને વિસારે પાડી અનંતનું ચિંતન કરવું એ વિચાર ઘણો સારો છે. એ સદાચાર આપણે કદી ન છોડીએ. પણ ગીતાને એટલાથી સંતોષ નથી. સવારથી માંડીને તે સાંજ સુધી જે જે બધી ક્રિયાઓ આપણે હાથે થાય તે બધીયે ભગવાનની પૂજાને નિમિત્તે થવી જોઈએ. સ્નાન કરતી વખતે, જમતી વખતે, કચરો વાળતી વખતે એમ હરેક વખતે તેનું સ્મરણ રહેવું જોઈએ. કચરો વાળતી વખતે આપણને એમ થવું જોઈએ કે હું મારા પ્રભુનું, મારા જીવન-રાજનું આંગણું વાળું છુ. બધાં કર્મો આ રીતે પૂજાનાં કર્મો થવાં જોઈએ. આ દ્રષ્ટિ આપણામાં કેળવાય તો આપણા વર્તનમાં કેવો ફરક પડી જાય છે તે જોજો. પૂજાને માટે આપણે કેટલી કાળજીથી ફૂલ વીણીએ છીએ, તેમને છાબડીમાં કેવાં બરાબર ગોઠવીએ છીએ, તે બધાં દબાઈને બગડી ન જાય તેની કેવી સંભાળ રાખીએ છીએ, તે મેલાં ન થાય તેટલા ખાતર નાકે લગાડી સૂંઘતા સુદ્ધાં નથી. તે જ પ્રમાણે જીવનમાં રોજેરોજ કરવાનાં કર્મોમાં પણ તેવી જ દ્રષ્ટિ રહેવી જોઈએ. આ મારૂં ગામ છે અને અહીં પડોશીના રૂપમાં મારો નારાયણ રહે છે. એ ગામને હું સ્વચ્છ કરીશ, નિર્મળ રાખીશ. ગીતા આપણામાં આવી દ્રષ્ટિ કેળવવા માગે છે. પ્રત્યેક કર્મ પ્રભુની પૂજા છે એવી ભાવના સૌ કોઈની થાય એવી ગીતાને હોંશ છે. ગીતા જેવા ગ્રંથરાજને ઘડી અધઘડીની પૂજાથી સમાધાન નથી. સમગ્ર જીવન હરિમય થાય, પૂજારૂપ થાય એવી ગીતાની ઉત્કટ ઈચ્છા છે. 13.
Page– 220 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૫ – અહંશૂન્ય સેવા તે જ ભક્તિ

 14. પુરૂષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરૂષોત્તમ, હું તેનો સેવક ને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ? તુકારામ કહી રહ્યા છે,
झालिया दर्शन करीन मी सेवा । आणिक कांहीं देवा न लगे दुजें ।।
 – ‘ આવું દર્શન થયું એટલે તે મુજબ હું સેવા કરીશ; એ સિવાય હે ઈશ્વર, મારે બીજું કંઈ જોઈતું નથી. ’
 પછી આપણે હાથે અખંડ સેવા થતી રહેશે. ‘ હું ’ જેવું કંઈ રહેશે નહીં. હું-પણું, મારા-પણું, ભૂંસાઈ જશે. બધુંયે તે ભગવાનને સારૂ છે, એવી વૃત્તિ થશે. પરાર્થે ઘસાઈ જવા સિવાય બીજું કશું જ રહેશે નહીં. ‘ હું ’ કાઢી નાખી મારે મારૂં જીવન હરિપરાયણ કરવું, ભક્તિમય કરવું, એમ ગીતા ફરીફરીને કહે છે. સેવ્ય પરમાત્મા, હું સેવક અને સાધનરૂપ આ સૃષ્ટિ છે. આમ પરિગ્રહનું નામ સુદ્ધાં ભૂંસી નાખ્યું છે. પછી જીવનમાં બીજા કશાનીયે ફિકર જ રહેતી નથી.
Page – 220 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

૮૬. જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ ૨૨૦

 (૮૬.) આ રીતે કર્મમાં ભક્તિને ભેળવવાની છે એ આપણે અત્યાર લગી જોયું. પરંતુ તેમાં જ્ઞાન પણ જોઈએ. એ વગર ગીતાને સમાધાન નથી. પણ આ વાતનો અર્થ એવો નથી કે એ બધી ચીજો જુદી જુદી છે. બોલવામાં આપણે જુદી જુદી ભાષાનો પ્રયોગ કરીએ છીએ એટલો જ એનો અર્થ છે. કર્મ એટલે જ ભક્તિ છે. ભક્તિ કંઈક જુદી વસ્તુ છે અને તેને કર્મમાં ભેળવવાની છે એવું નથી. એવી જ વાત જ્ઞાનની છે. એ જ્ઞાન કેમ મળે ? ગીતા કહે છે, ‘ સર્વત્ર પુરૂષ-દર્શનથી  જ્ઞાન મળશે. ’ તું સેવા કરનારો જે સનાતન સેવક છે તે તું સેવા-પુરૂષ છે; પેલો જે પુરૂષોત્તમ છે તે સેવ્ય-પુરૂષ છે; અને નાના રૂપ ધારણ કરવાવાળી, વિવિધ પ્રકારનાં સાધનો પૂરાં પાડનારી આ નિત્ય વહેતી સૃષ્ટિ તે પણ પુરૂષ છે. 15.
Page – 221 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 16. આ દ્રષ્ટિ રાખવી એટલે શું કરવું ? બધે ઠેકાણે અવ્યંગ એટલે ખામી વગરનો પૂરેપૂરો સેવાભાવ રાખવો. તારા પગમાંની ચંપલ ચમચમ અવાજ કરે છે; તેને થોડું તેલ ચોપડ. ત્યાં પરમાત્માનો જ અંશ છે. એ ચંપલને બરાબર રાખ. પેલો સેવાનું સાધન એવો રેંટિયો છે. તેમાં તેલ પૂર. તે બૂમ પાડે છે, ‘ नेति नेति ’ – ‘ હું સૂતર કાંતવાનો નથી. ’ એ રેંટિયો, એ સેવાનું સાધન, એ પણ પુરૂષ જ છે. તેની માળ, તેની જનોઈ, તેને પણ બરાબર રાખ. આખી સૃષ્ટિને ચૈતન્યમય માન. તેને જડ ગણીશ મા. ૐકારનું સુંદર ગીત ગાનારો એ રેંટિયો શું જડ છે ? તે ખુદ પરમાત્માની મૂર્તિ છે. શ્રાવણની અમાસે આપણે पोळाનો ઉત્સવ ઉજવીએ છીએ. તે દિવસે અહંકાર છોડી આપણે બળદની પૂજા કરીએ છીએ. આ બહુ મોટી વાત છે. પોળાનો ખ્યાલ રોજ મનમાં રાખી, બળદની બરાબર માવજત કરી, તેની પાસેથી જે લાયક હોય તે કામ લો. પોળાને દિવસે જે ભક્તિ આપણે બતાવીએ છીએ તે, તે દહાડે જ પૂરી થઈ જાય એવું ન થવા દો. બળદ પણ પરમાત્માની જ મૂર્તિ છે. પેલું હળ, પેલાં ખેતીનાં બીજાં ઓજારો, એ બધાંને પણ બરાબર સંભાળો, સેવાનાં બધાંયે સાધનો પવિત્ર છે. આ દ્રષ્ટિ કેટલી વિશાળ છે તેનો ખ્યાલ કરો ! પૂજા કરવી એટલે ગુલાલ, કંકુ, ગંધ, ચોખા અને ફૂલો ચડાવવાં એટલું જ નથી. પેલાં વાસણોને માંજીને અરીસા જેવાં ચકચકતાં રાખવાં એ વાસણોની પૂજા થઈ. ફાનસને બરાબર લૂછીને સાફ રાખવું એ તેની પૂજા છે. દાતરડાની ધાર કાઢી ખેતીના કામને માટે હમેશ તૈયાર રાખવું એ તેની પૂજા છે. બારણાનું મિજાગરૂં કાટ ખાઈ ગયું છે. તેને તેલ મૂકીને સંતોષવું એ તેની પૂજા છે. જીવનમાં બધે આ દ્રષ્ટિ લાવવી, કેળવવી. સેવાદ્રવ્યને ઉત્તમ સ્થિતિમાં અને ચોખ્ખું, નિર્મળ રાખવું. ટૂંકમાં, હું અક્ષર પુરૂષ, પેલો પુરૂષોત્તમ અને આ સાધનરૂપ સૃષ્ટિ બધાંયે પુરૂષ છે, પરમાત્મા છે. સર્વત્ર, એક જ ચૈતન્ય ખેલી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું.
Page – 222 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 17. કર્મમાં ભક્તિ રેડી, અને હવે જ્ઞાન પણ રેડ્યું અને અપૂર્વ એવું જીવનનું દિવ્ય રસાયણ બનાવ્યું. છેવટે ગીતાએ અદ્વૈતમય સેવાના માર્ગ પર આપણને લાવી મૂક્યા. આખી સૃષ્ટિમાં ત્રણ પુરૂષો ઊભા છે. એક જ પુરૂષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરૂષ છે. કેવળ અદ્વૈત છે. ગીતાએ ઊંચામાં ઊંચા, પરમોચ્ચ શિખર પર અહીં આણીને આપણને મૂકી દીધા. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેમાં કશો વિરોધ ન રહ્યો.
 18. જ્ઞાનદેવે अमृतानुभवમાં મહારાષ્ટ્રને ગમતો દાખલો આપ્યો છે,
देव देऊळ परिवारु । कीजे कोरूनि डोंगरु ।
तैसा भक्तिचा वेव्हारु । कां न होआवा ।।
 – ‘ દેવ, મંદિર અને પરિવાર, એ બધાંને ડુંગર કોરીને બનાવ્યાં. ભક્તિનો એવો વહેવાર કેમ ન થાય ? ’ એક જ પથ્થરને કોર્યો, ત્યાં પથ્થરનું જ મંદિર, તે મંદિરમાં પથ્થરમાંથી જ કોરી કાઢેલો દેવ બેસાડ્યો, અને દેવની સામે પથ્થરનો જ એક ભક્ત, અને તેની પાસે પથ્થરમાંથી જ કોરી કાઢેલાં ફૂલો. આ બધો શણગાર જેમ પેલા એક જ પથ્થરના ખડકમાંથી બનાવે છે, એક જ અખંડ પથ્થર ત્યાં બધાં રૂપોમાં જુદા જુદા વેશ લઈને ઊભો હોય છે, તેવું ભક્તિના વહેવારમાં પણ કેમ ન થાય ? સ્વામી-સેવક સંબંધ કાયમ રહે છતાં એકતા કેમ ન થાય ? આ બાહ્યસૃષ્ટિ, આ પૂજાદ્રવ્ય અલગ હોવા છતાં પણ આત્મરૂપ શા સારૂ ન બને ? ત્રણે પુરૂષ એક જ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણે મળીને એક વિશાળ જીવન-પ્રવાહ નિર્માણ કરવાનો છે. આવો આ પરિપૂર્ણ પુરૂષોત્તમયોગ છે. સેવક, સ્વામી અને સેવાદ્રવ્ય એકરૂપ હોઈ ને ભક્તિ-પ્રેમની રમત રમવાની છે.
 19. આવો આ પુરૂષોત્તમયોગ જેના હ્રદયમાં પાકો ઠસી ગયો છે તે જ સાચી ભક્તિ કરે છે.
स सर्वविद् भजति मां सर्वभावे भारत
‘ તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મને ભજે ’
 – આવો પુરૂષ જ્ઞાની હોવા છતાં સંપૂર્ણ ભક્ત હોય છે. જેનામાં જ્ઞાન છે તેનામાં પ્રેમ પણ છે જ.
Page – 223 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૬ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 પરમેશ્વરનું જ્ઞાન અને પરમેશ્વરનો પ્રેમ એ બે જુદી ચીજો નથી. ‘ કારેલું કડવું ’ એવું જ્ઞાન ઉત્પન્ન થાય તો પ્રેમ ઉત્પન્ન થતો નથી. કોઈક અપવાદ હોય એમ બને. પણ કડવાશ જણાઈ કે તેનો અણગમો થયા વગર રહેતો નથી. પણ સાકરનું જ્ઞાન થતાંની સાથે તે ઓગળવા માંડે છે. એકદમ પ્રેમનો ઝરો ઉત્પન્ન થાય છે. પરમેશ્વરની બાબતમાં જ્ઞાન થવું અને પ્રેમ ઉત્પન્ન થવો  એ બંને વાતો એકરૂપ છે. પરમેશ્વરના રૂપની જે મીઠાશ છે તેને શું આ રદ્દી સાકરની ઉપમા આપવી ? તે મધુર પરમાત્માનું જ્ઞાન થતાંની સાથે તાબડતોબ પ્રેમભાવ પણ ઉત્પન્ન થશે. જ્ઞાન થવું અને પ્રેમ થવો એ બે ક્રિયા જાણે કે ભિન્ન ક્રિયા જ રહેતી નથી. અદ્વૈતમાં ભક્તિ છે કે નથી એ વાદાવાદ છોડો. જ્ઞાનદેવે કહ્યું છે કે,
हें चि भक्ति हें चि ज्ञान । एक विठ्ठल चि जाण ।।
 – ‘ એ જ ભક્તિ, એ જ જ્ઞાન, એક વિઠ્ઠલને જ જાણ. ’ ભક્તિ અને જ્ઞાન એક જ ચીજનાં બે નામ છે.
 20. પરમભક્તિ જીવનમાં આવે એટલે તે પછી થતું કર્મ, ભક્તિ તેમ જ જ્ઞાનથી જુદું હોતું નથી. કર્મ, ભક્તિ અને જ્ઞાન મળીને એક જ રમણીય, રૂડું રૂપાળું રૂપ બને છે. આ રમણીય રૂપમાંથી અદભૂત પ્રેમમય, જ્ઞાનમય સેવા સહેજે નિર્માણ થાય છે. મા પર મારો પ્રેમ છે પણ તે પ્રેમ કર્મમાં પ્રગટ થવો જોઈએ. પ્રેમ હંમેશાં મહેનત કરે છે, સેવામાં પ્રગટ થાય છે. પ્રેમનું બાહ્ય રૂપ તે જ સેવા છે. પ્રેમ અનંત સ્વા કર્મોનો વેશ લી નાચે છે. પ્રેમ હોય ત્યાં જ્ઞાન પણ આવે છે. જેની સેવા કરવાની છે તેને કઈ સેવા ગમશે એ વાતનું મને જ્ઞાન હોવું જોઈએ. નહીં તો સેવા કુસેવા ગણાશે. સેવ્ય વસ્તુનું જ્ઞાન પ્રેમને હોવું જોઈએ. પ્રેમનો પ્રભાવ કાર્ય મારફતે ફેલાય તેટલા ખાતર જ્ઞાનની જરૂર છે. પણ મૂળમાં પ્રેમ જોઈએ. તે ન હોય તો જ્ઞાન નિરૂપયોગી છે. પ્રેમથી થનારૂં કર્મ સાદા કર્મથી જુદું હોય છે. ખેતરમાં કામ કરી ઘેર આવેલા દીકરા તરફ ઘરડી મા પ્રેમથી જુએ છે અને ‘ થાક્યો છે બેટા ! ’ એમ કહે છે. પણ એ નાના સરખા કર્મમાં કેટલું બધું સામર્થ્ય હોય છે ! જીવનનાં સર્વ કર્મોમાં જ્ઞાન અને ભક્તિ રેડો. એને જ પુરૂષોત્તમયોગ કહે છે.
Page – 224 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૭ –
સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે

૮૭. સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે ૨૨૪

 (૮૭.) આ સર્વ વેદનો સાર છે. વેદ અનંત છે. પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરૂષોત્તમયોગ છે. આ વેદ ક્યાં છે ? વેદની બડી ખૂબી છે. વેદનો સાર ક્યાં છે ? અધ્યાયના આરંભમાં જ કહ્યું છે,
“ छंदांसि यस्य पर्णानि ” — “ શ્રુતિઓ પાંદડાં કહ્યાં. ”
 અરે, એ વેદ આ સંસાર વૃક્ષને પાંદડે પાંદડે ભરેલો છે. વેદ પેલી સંહિતામાં, તારી પોથીમાં લપાયેલો નથી. તે વિશ્વમાં બધે ફેલાયેલો છે. પેલો અંગ્રેજ કવિ શેકસપિયર કહી રહ્યો છે કે, ‘ વહેતાં ઝરણાંઓમાં સદગ્રંથ મળે છે, પથ્થરોમાંથી પ્રવચનો સંભળાય છે. ’ ટુંકમાં વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી. તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે. 21.
 22. प्रभाते करदर्शनम् । સવારે ઊઠતાંની સાથે પહેલી આપણી હથેળી જોવી. બધા વેદ એ હાથમાં છે. “ સેવા કર ” એમ તે વેદ તને કહે છે. ગઈ કાલે હાથ થાક્યા હતા કે નહીં, આજે મહેનત કરીને થાકવાને તૈયાર છે કે નથી, તેને આંટણ પડ્યાં છે કે નથી એ જુઓ. સેવા કરતાં કરતાં હાથ ઘસાય છે ત્યારે બ્રહ્મલિખિત ખુલ્લું થાય છે એવો प्रभाते करदर्शनम् । નો અર્થ છે.
 23. કહે છે, વેદ ક્યાં છે ? અરે, તે તારી પાસે જ છે ! તમને ને અમને, આ વેદ જન્મથી જ આવી મળેલો છે. હું જ જીવંત વેદ છું. અત્યાર સુધીની આખીયે પરંપરા મને પચી ગઈ છે. હું તે પરંપરાનું ફળ છું.  વેદબીજનું જે ફળ તે જ હું છું. મારા એ ફળમાં અનંત વેદોનું બીજ મેં સંઘરેલું છે. મારા પેટમાં વેદ પાંચપચાસગણો મોટો થયો છે.
 24. ટૂંકમાં વેદનો સાર આપણા હાથમાં છે. સેવા, પ્રેમ અને જ્ઞાન પર જીવનની રચના કરવાની છે. એટલું કરો કે વેદ હાથમાં જ છે. હું જે અર્થ કરીશ તે જ વેદ છે. વેદ ક્યાંયે બહાર નથી. वेदांचा तो अर्थ आम्हांस्त्री च ठावा – વેદના તે અર્થને અમે જ જાણીએ છીએ એમ સેવામૂર્તિ સંતો કહે છે.
Page – 225 – અધ્યાય – ૧૫ – પ્રકરણ – ૮૭ –
જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ

 “ સર્વ વેદો મને જ એકને જાણે છે, ઓળખે છે. હું જ બધા વેદનો સાર પુરૂષોત્તમ છું.” એમ ભગવાન કહી રહ્યા છે. આવો આ વેદનો સાર, આ પુરૂષોત્તમયોગ આપણે જીવનમાં પચાવી શકીએ તો કેટલો બધો આનંદ ઊપજે ! પછી તે પુરૂષ જે જે કંઈ કરે છે, તેમાથી વેદ પ્રગટ થાય છે એમ ગીતા સૂચવી રહી છે. આ અધ્યાયમાં આખીયે ગીતાનો સાર છે. ગીતાની શીખ અહીં પૂર્ણપણે પ્રગટ થઈ છે. તેને જીવનમાં ઉતારવાને સારૂ સૌ કોઈએ રાત ને દિવસ મથ્યા કરવું, બીજું શું ?

     

અધ્યાય ચૌદમો

August 2, 2008 by kantilal1929

Page – 201 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો
૭૯. સ્વધર્મ  કેવી રીતે નક્કી કરવો ૨૦૧

 (૭૯.) આ સ્વધર્મ નક્કી કેવી રીતે કરવો એવો કોઈ સવાલ કરે તો તેનો જવાબ એટલો એક જ છે કે, ‘ તે સ્વાભાવિક હોય છે. ’ સ્વધર્મ સહજ હોય છે. તેને શોધવાનો ખ્યાલ જ વિચિત્ર લાગે છે. માણસ જન્મે છે તે જ વખતે તેની સાથે તેનો સ્વધર્મ પણ જન્મે છે. છોકરાને મા જેમ શોધવી પડતી નથી તે જ પ્રમાણે સ્વધર્મ પણ શોધવાનો રહેતો નથી. તે આગળથી આવી મળેલો હોય છે. આપણા જન્મ પહેલાં આ દુનિયા હતી, અને આપણી પાછળ પણ રહેવાની છે. આપણી પાછળ મોટો પ્રવાહ હતો. આગળ પણ તે જ વહે છે. આવા ચાલુ પ્રવાહમાં આપણે જન્મ લઈએ છીએ. જે માબાપને પેટે જન્મ થયો તેમની સેવા, જે આડોશી-પાડોશીની વચ્ચે જન્મ્યો તેમની સેવા, એ વાતો કુદરતી રીતે જ મને આવી મળેલ છે. વળી, મારી પોતાની વૃત્તિઓ તો મારા અનુભવની જ છે ને ? મને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એટલે ભૂખ્યાંને ખવડાવવું, તરસ્યાંને પાણી પાવું એ ધર્મ મને સ્વાભાવિક રીતે ચાલુ પ્રવાહમાંથી આવી મળ્યો છે. આવી જાતનો આ સેવારૂપ, ભૂતદયારૂપ સ્વધર્મ આપણે શોધવો પડતો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું.
 સેવકને સેવા ઢૂંઢવી પડતી નથી, તે તેની મેળે તેની પાસે આવીને ઊભી રહે છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનાયાસે આવી મળેલું કર્મ હમેશ ધર્મ્ય જ હોય છે એવું નથી. કોઈક ખેડૂત રાતના આવીને મને કહે કે, ‘ ચાલો, પેલી વાડ આપણે ચારપાંચ હાથ આગળ ખસેડીએ. મારૂં ખેતર એટલું વધશે. વગર ધાંધલે ચૂપચાપ કામ થઈ જશે. ’ આવું કામ પડોશી મને બતાવે છે, તે કુદરતી રીતે મને આવી મળતું દેખાય છે તો પણ અસત્ય, ખોટું હોવાથી મારૂં કર્તવ્ય બનતું નથી. 17.
 18. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા મને રૂડી લાગે છે તેનું કારણ એ છે કે તેમાં સ્વાભાવિકતા અને ધર્મ છે. એ સ્વધર્મ ટાળ્યે ચાલે એવું નથી. જે માબાપ મને મળ્યાં તે જ મારાં માબાપ છે. તે મને ગમતાં નથી એમ કહ્યે કેમ ચાલશે ? માબાપનો ધંધો સ્વભાવથી જ છોકરાને પ્રાપ્ત થાય છે.
Page – 202 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

  જે ધંધો પરાપૂર્વથી ચાલતો આવેલો છે તે નીતિવિરૂદ્ધ ન હોય તો કરવો, તે જ ઉદ્યોગ આગળ ચાલુ રાખવો એ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થામાં રહેલી એક મોટી વિશેષતા છે. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા જે બગડી ગઈ છે, તેનો અમલ કરવો અઘરો થઈ ગયો છે. પણ તેની વ્યવસ્થા બરાબર ઊભી કરી શકાય, તેની ગડી બરાબર બેસાડી શકાય તો બહુ સારું થાય એમ છે.નહી તો આજે માણસનાં શરૂઆતનાં પચ્ચીસ ત્રીસ વરસ નવો ધંધો શીખવામાં જાય છે. ધંધો શીખી લીધા પછી માણસ સેવાનાં, કર્મનાં ક્ષેત્ર ઢૂંઢવા નીકળે છે. આમ તે જિંદગીનાં શરૂઆતનાં પચ્ચીસ વરસ શીખતો જ રહે છે. આ શીખવાની વાતનો જીવન સાથે જરાયે સંબંધ નથી. કહે છે, આગળ જીવવા માટેની તે તૈયારી કરે છે ! એટલે સરવાળે શીખે છે ત્યારે જીવતો નથી હોતો એમ ને ? જીવવાનું પછી એમ ને ? કહે છે,પહેલાં એક વાર બધું બરાબર શીખી લેવું. તે પછી જીવવું. જીવવાનું અને શીખવાનું એ બે વાતો જાણે કે જુદી પાડી નાખવામાં આવી છે ! પણ જ્યાં જીવવાની વાતનો સંબંધ નથી તે મરણ કે બીજું કંઈ ? હિંદુસ્તાનમાં માણસની સરેરાશ આવરદા તેવીસ વરસ ગણાય છે. અને આ તો પચ્ચીસ વરસ તૈયારી કરવામાંથી પરવારતો નથી ! આમ પહેલાં નવો ધંધો શીખવામાં દિવસો નીકળી જાય છે. પછી ક્યાંક ધંધો શરૂ કરવાની વાત ! આને લીધે ઉમેદનાં, મહત્વનાં વરસો ફોગટ જાય છે. જે ઉત્સાહ, જે ઉમેદ, જે હોંસ જનસેવામાં ખરચી આ દેહનું સાર્થક કરવાનું છે તે બધાં આમ નકામાં જાય છે. જીવન એ કંઈ રમત નથી; પણ જીવનને માટે ધંધો ઢૂંઢવામાં જ શરૂઆતનું કીમતી આયુષ્ય વહી જાય છે એ દુઃખની વાત છે. હિંદુધર્મે આટલા જ ખાતર વર્ણધર્મની વ્યવસ્થાની યુક્તિ કાઢી હતી.
 19. પણ ચાતુર્વર્ણ્યની કલ્પના એક વાર બાજુએ રાખીએ તોયે બધાં રાષ્ટ્રોમાં બધે ઠેકાણે, જ્યાં ચાતુર્વર્ણ્ય નથી ત્યાં પણ સ્વધર્મ સૌ કોઈને પ્રાપ્ત થયેલો છે. આપણે સૌ એક પ્રવાહમાં કોઈક એક પરિસ્થિતિ સાથે લઈને જન્મ્યા હોવાથી સ્વધર્માચરણરૂપ કર્તવ્ય આપણને સૌને આપોઆપ પ્રાપ્ત થયેલું હોય છે.
Page – 203 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

તેથી દૂરનાં કર્તવ્યો, જેમને નામનાં જ કર્તવ્ય કહી શકાય, તે ગમે તેટલાં રૂડાંરૂપાળાં દેખાતાં હોય તો પણ માથે લેવાં એ બરાબર નથી. ઘણી વાર આઘેનું સારૂં દેખાય છે. ડુંગરા દૂરથી રળિયામણા. માણસ આઘેનું જોઈને ભુલાવામાં પડે છે. માણસ ઊભો હોય છે ત્યાં પણ ધૂમસ ઘાડું હોય છે. પણ પાસેનું તેને દેખાતું નથી અને તે આઘે આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ત્યાં આઘે જે માણસ ઊભો હોય છે તે આના તરફ આંગળી બતાવીને કહે છે, ‘ ત્યાં પણે ધૂમસ ઘાડું છે. ’ ધૂમસ તો બધે છે. પણ પાસેનું નજરમાં આવતું નથી. માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે. પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે ! પણ એ મોહ છે. એને ટાળવો જ જોઈએ. પ્રાપ્ત એટલે કે આવી મળેલો સ્વધર્મ સાદો હોય, ઓછો લાગે, નીરસ ભાસે, તોયે મને જે સહેજે આવી મળ્યો છે તે જ સારો, તે જ સુંદર છે. દરિયામાં ડૂબતા માણસને ધારો કે એકાદ ગડગૂમડિયો લાકડાનો ટોલો મળ્યો; પાલીસ કરેલો, સુંવાળો, સુંદર નહીં હોય તો પણ તે જ તેને તારશે. સુથારના કારખાનામાં ઘણા સફાઈદાર, સુંવાળા, નકસીદાર લાકડાના ટોલા પડયા હશે. પણ તે બધા રહ્યા કારખાનામાં ને આ તો અહીં દરિયામાં ડૂબવા બેઠો છે. એને માટે પેલો ગડગૂમડિયો ટોલો જેમ તારનારો નીવડે છે, તેને જ તેણે વળગવું જોઈએ, તેમ જે સેવા મને પ્રાપ્ત થઈ છે તે ઊતરતી લાગતી હોય તો પણ તે જ મારે સારૂ ઉપયોગી છે. તેમાં જ મશગૂલ થઈ રહેવાનું મને શોભે. તેમાં જ મારો ઉદ્ધાર છે. બીજી સેવા ઢૂંઢવા નીકળું તો આ હાથમાં છે તે જાય અને પેલી પણ જાય. આમ કરવા જતાં સેવાવૃત્તિને જ હું ગુમાવી બેસું છું. એથી માણસે સ્વધર્મરૂપી કર્તવ્યમાં મશગૂલ રહેવું જોઈએ.
 20. સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે કારણકે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંક ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે.
 Page – 204 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૭૯ –
સ્વધર્મ કેવી રીતે નક્કી કરવો

 નદી શાંત અને ઊંડી હોય તો ગમે તેટલું પાણી આવે તેને પોતાના ઉદરમાં સમાવી લે છે. સ્વધર્મની નદી માણસનું બધુંયે બળ, તેનો બધોયે વેગ, તેની બધી શક્તિ પોતાનામાં સમાવી શકે છે. સ્વધર્મમાં જેટલી શક્તિ ખરચો તેટલી ઓછી છે. સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે. ચંચળપણું ચાલ્યું જશે. આ રીતે રજોગુણને જીતવો જોઈએ.
Page – 204 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ
૮૦. સત્વગુણ અને તેનો ઈલાજ ૨૦૪

 (૮૦) હવે રહ્યો સત્વગુણ. એની સાથે સાવધ રહીને કામ લેવું જોઈએ. એનાથી આત્માને અળગો કેવી રીતે પાડવો ? આ વાત સૂક્ષ્મ વિચારની છે. સત્વગુણનો છેક નિકાલ લાવવાનો નથી. રજ-તમનો છેક ઉચ્છેદ કરવો પડે છે. પણ સત્વગુણની ભૂમિકા જરા જુદી છે. માણસોનું મોટું ટોળું એકઠું મળ્યું હોય અને તેને વિખેરી નાખવું હોય તો ‘ કમ્મપની ઉપર ગોળી ન છોડતાં નીચે પગ તરફ ગોળી છોડો, ’ એવો હુકમ સિપાઈઓને આપવામાં આવે છે. એથી માણસ મરતો નથી પણ ઘાયલ થાય છે. તે પ્રમાણે સત્વગુણને ઘાયલ કરવાનો છે, ઠાર મારવાનો નથી. રજોગુણ અને તમોગુણ જતા રહ્યા પછી શુદ્ધ સત્વગુણ બાકી રહે છે. શરીર છે ત્યાં સુધી કોઈ ને કોઈ ભૂમિકા પર રહેવું જ પડે છે. રજ-તમ જતા રહે પછી જે સત્વગુણ રહે છે તેનાથી અળગા થવું એટલે શું ?
 સત્વગુણનું અભિમાન ઘર કરી જાય છે. તે અભિમાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપ પરથી નીચો પાડે છે. ધારો કે ફાનસ બળે છે. તેની જ્યોતનું અજવાળું સ્વચ્છ, ચોખ્ખું  બહાર પડે તેટલા ખાતર અંદરની મેસ બરાબર લૂછીને સાફ કરવી પડે છે. અંદરથી મેસ તો લૂછી કાઢી પણ કાચની ચીમની પર બહાર ધૂળ લાગી હોય તેને પણ લૂછી નાખવી પડે છે. તેવી જ રીતે આત્માની પ્રભાની ફરતે તમોગુણની જે મેસ ચડી હોય તેને ઘસીને લૂછી સાફ કરવી જ જોઈએ. પછી રજોગુણની ધૂળ પણ બરાબર લૂછી નાખવી જોઈએ. તમોગુણને ધોઈ કાઢયો અને રજોગુણને સાફ કર્યો. હવે શુદ્ધ સત્વગુમની ચીમની રહી. એ સત્વગુણને પણ દૂર કરવો જોઈએ. એટલે શું પેલી કાચની ચીમની પણ ફોડી નાખવી ? ના.
Page – 205 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 ચીમની ફોડી નાખવાથી દીવાનું કામ થતું નથી. જ્યોતનું અજવાળું ફેલાય તે માટે ચીમનીની જરૂર રહે જ છે. એ શુદ્ધ, ચકચકતા કાચને ફોડી ન નાખતાં આંખ તેને લીધે અંજાઈ ન જાય તેટલા ખાતર નાનોસરખો કાગળનો કકડો આડો રાખવો. આંખને અંજાવા દેવી નથી. સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે. પણ સાવધ રહીને, યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. 21.
 22. સત્વગુણના આ અહંકારને કેવી રીતે જીતવો ? એ માટે એક ઉપાય છે. સત્વગુણને આપણામાં સ્થિર કરવો. સત્વગુણનું અભિમાન સાતત્યથી જાય છે. સત્વગુણનાં કર્મો એકધારાં કરતા રહી તેને આપણો સ્વભાવ બનાવવો. સત્વગુણ જાણે ઘડીભર આપણે ત્યાં પરોણો આવ્યો હોય એવી સ્થિતિ રહેવા ન દેતાં, તેને આપણા ઘરનો બનાવી દેવો. જે ક્રિયા કોઈ કોઈ વાર આપણે હાથે થાય છે તેનું આપમને અભિમાન આવે છે.પણે રોજ ઊંઘીએ છીએ તેની વાત બીજાને કહેવા દોડતા નથી. પણ કોઈ માંદા માણસને પંદર દહાડા સુધી ઊંઘ ન વી હોય અને પછી જો થોડી આવી ગઈ તો તે સૌ કોઈને કહેતો ફરે છે કે, ‘ કાલ તો ભાઈ થોડી ઊંઘ આવી ! ’ તેને તે વાત ઘણી મહત્વની લાગે છે અથવા  એથીયે વધારે સારો દાખલો લેવો હોય તો શ્વાસોચ્છવાસનો લઈ શકાય. ચોવીસ કલાક એકધારો શ્વાસોચ્છવાસ ચાલ્યા કરે છે. પણ આપણે આવતા જતા સૌને તેની વાત કહેવા બેસતા નથી. ‘ હું શ્વાસોચ્છવાસ કરનારો મહાન જીવ છું, ’ એવી બડાઈ કોઈ મારતું નથી. હરિદ્વાર આગળ ગંગામાં છોડી દીધેલી સળી કલકત્તા સુધી પંદરસો માઈલ વહેતી વહેતી જાય છે પણ તે તેની બડાઈ મારવા બેસતી નથી. તે સહેજે પ્રવાહની સાથે વહેતી વહેતી આવે છે. પણ કોઈ માણસ ભર રેલમાં પાણીના પ્રવાહની સામે દસ હાથ તરીને જાય તો કેવી બડાઈ મારશે ? સારાંશ કે જે સ્વાભાવિક વસ્તુ છે તેનો અહંકાર થતો નથી.
Page – 206 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 23. એકાદું સારૂં કામ આપણે હાથે થાય છે તો તેનું આપણને અભિમાન ચડે છે. શાથી ? કારણ તે વાત સહેજે બની નથી, તેથી. છોકરાને હાથે કંઈક એકાદ સારૂં કામ થાય છે ત્યારે મા તેના વાંસા પર હાથ ફેરવે છે. નહીં તો સાધારણ રીતે તેની પીઠ પર માની સોટી જ ફરતી હોય છે. રાતના ઘાડા અંધારામાં એકાદ આગિયો ચમકારા મારતો હશે તો તેની એંટ કેવી હોય તે પૂછશો મા. પોતાનો બધો ચમકારો તે એકી વખતે બતાવી દેતો નથી. વચ્ચે ટમટમે છે ને પાછો અટકી જાય છે. વળી ટમટમે છે. અજવાળાની તે ઉઘાડઢાંક કર્યા કરે છે. તેનો પ્રકાશ એકધારો રહે તો તેનું તેને અભિમાન નહીં રહે. સાતત્યમાં ખાસ લાગવાપણું રહેતું નથી. તે જ પ્રમાણે સત્વગુણ આપણી ક્રિયાઓમાં સતત પ્રગટ થતો રહેતો હોય તો પછી તે આપણો સ્વભાવ બની જશે. સિંહને શૌર્યનું અભિમાન હોતું નથી, તેનું તેને ભાન સરખું હોતું નથી. તે પ્રમાણે સાત્વિક વૃત્તિ એટલી સહજ થવા દો કે આપણે સાત્વિક છીએ એનું આપણને સ્મરણ સરખું ન રહે. અજવાળું આપવાની સૂરજની નૈસર્ગિક ક્રિયા છે. તેનું તેને અભિમાન થતું નથી. એ માટે સૂર્યને માનપત્ર આપવા જશો તો તે કહેશે, ‘ હું પ્રકાશ આપું છું એટલે શું કરૂં છું ? પ્રકાશ આપવો એ જ મારી હયાતી છે. અજવાળું ન આપું તો હું મરી જાઉં. મને એ સિવાય બીજી વાતની ખબર જ નથી. ’ આ જેવું સૂર્યનું છે, તેવું સાત્વિક માણસનું થવું જોઈએ. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં ચડે. સત્વગુણને ફીકો પાડવાની, તેને જીતવાની આ એક યુક્તિ થઈ.
 24. હવે બીજી યુક્તિ સત્વગુણની આસક્તિ સુદ્ધાં છોડી દેવી તે છે.અહંકાર અને આસક્તિ એ બંને જુદી જુદી ચીજો છે. આ થોડો સૂક્ષ્મ વિચાર છે. દાખલાથી ઝટ સમજાશે. સત્વગુણનો અહંકાર ગયો હોવા છતાં આસક્તિ રહી જાય છે. શ્વાસોચ્છવાસનો જ દાખલો લઈએ. શ્વાસોચ્છવાસનું આપણને અભિમાન થતું નથી, પણ તેમાં આસક્તિ ઘણી હોય છે.
Page – 207 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 પાંચ મિનિટ શ્વસોચ્છવાસ ચલાવશો નહીં એમ કોઈ કહે તો તે બની શકતું નથી. નાકને શ્વાસોચ્છવાસનું અભિમાન નહીં હોય પણ હવા તે એકધારી લેતું રહે છે. પેલી સૉક્રેટિસની મજાક જાણો છો ને ? સૉક્રેટિસનું નાક હતું ચીબું. લોકો તેને હસતા. પણ રમૂજી સૉક્રેટિસ કહેતો, ‘ મારૂં જ નાક સુંદર છે. મોટાં નસકોરાંવાળું નાક અંદર ભરપૂર હવા ખેંચે છે માટે તે જ સુંદર છે. તાત્પર્ય કે નાકને શ્વાસોચ્છવાસનો અહંકાર નથી પણ આસક્તિ છે. સત્વગુણની પણ એવી જ આસક્તિ થાય છે. દાખલા તરીકે ભૂતદયાની વાત લો. આ ગુણ અત્યંત ઉપયોગી છે. પણ તેની આસક્તિથીયે અળગા થતાં આવડવું જોઈએ. ભૂતદયા જોઈએ પણ આસક્તિ ન જોઈએ.
 સંતો સત્વગુણને લીધે બીજાં લોકોને માર્ગદર્શક થાય છે. તેમનો દેહ ભૂતદયાને લીધે સાર્વજનિક બને છે. માખીઓ જેમ ગોળને ઢાંકી દે છે તેમ આખી દુનિયા સંતોને પ્રેમના આવરણમાં વીંટી લે છે. સંતોમાં પ્રેમનો એટલો બધો પ્રકર્ષ થાય છે કે આખુંયે વિશ્વ તેમના પર પ્રેમ રાખે છે. સંતો પોતાના દેહની આસક્તિ છોડી દે છે. પણ આખા જગતની આસક્તિ તેમને વળગે છે. આખું જગત તેમનો દેહ સંભાળવા મંડે છે. પરંતુ એ આસક્તિ પણ સંતોએ દૂર કરવી જોઈએ. જગતનો આ જે પ્રેમ છે, આ જે મોટું ફળ છે તેનાથી પણ આત્માને અળગો પાડવો જોઈએ. હું કંઈક વિશેષ છું, એવું કદી લાગવું ન જોઈએ. આ રીતે સત્વગુણને પોતાનામાં પચાવવો જોઈએ.
 25. પહેલાં અભિમાન જીતી લેવું ને પછી આસક્તિને જીતવી. સાતત્યવડે અહંકારને જીતી શકાશે. ફળની આસક્તિ છોડી, સત્વગુણને લીધે મળનારૂં ફળ પણ ઈશ્વરને અર્પણ કરી આસક્તિ જીતી લેવી. જીવનમાં સત્વગુણને સ્થિર કરી લીધા પછી કોઈક વાર સિદ્ધિના રૂપમાં તો કોઈક વાર કિર્તિના રૂપમાં ફળ સામું આવી ઊભું રહે છે. પણ તે ફળનેયે તુચ્છ લેખજો. ફળ ગમે તેવું મોહક હોય, રસાળ હોય તોયે આંબાનું ઝાડ પોતાનું એક પણ ફળ જાતે ખાતું નથી. એ ફળ ખાવા કરતાં ન ખાવામાં જ તેને વધારે મીઠાશ લાગે છે. ઉપભોગના કરતાં ત્યાગ મીઠો છે.
Page – 208 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૦ – સત્વગુણ અને તેનો ઈલાજ

 26. જીવનનાં બધાંયે પુણ્યના પ્રતાપે મળનારા પેલા સ્વર્ગસુખના મોટા ફળનેયે ધર્મરાજાએ છેવટે લાત મારી. જીવનમાં કરેલા બધા ત્યાગો પર તેમણે આ કામથી કળશ ચડાવ્યો. સ્વર્ગનાં પેલાં મીઠાં ફળ ચાખવાનો તેમને હક હતો. પણ એ ફળ તે ચાખવા બેઠા હોત તો બધું પુણ્ય પરવારી જાત.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति
– પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિષે પ્રવેશે
 એ ચકરાવો પાછો તેમની પાછળ પડયો હોત. ધર્મરાજાનો આ કેવડો મોટો ત્યાગ ! તે હંમેશ મારી નજર આગળ તર્યા કરે છે. આવી રીતે સત્વગુણના આચરણમાં એકધારા મંડયા રહી અહંકારને જીતી લેવો. તટસ્થ રહી સર્વ ફળો ઈશ્વરને અર્પી તેની આસક્તિને પણ જીતી લેવી એટલે સત્વગુણને જીતી લીધો જાણવો.
Page – 208 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૧ –
છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

૮૧. છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય ૨૦૮
 (૮૧.) હવે એક ચેવટની વાત કરી લઈએ. તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લો, ફળની આસક્તિ પણ છોડી દો, છતાં જ્યાં લગી આ દેહ વળગેલો છે ત્યાં લગી વચ્ચે વચ્ચે પેલા રજ-તમના હુમલા થયા વગર રહેતા નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગશેયે ખરૂં. પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગ્રત રહેવું જોઈએ. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતો નિર્માણ થાય છે, તેમ રજ-તમના જોરાવર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતો નિર્માણ કરે છે. તેથી જરાયે છિદ્ર રહેવા ન દેશો. કડક પહેરો રાખજો. અને ગમે તેટલા ખબરદાર રહેશો તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી, ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ એ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં.
 28. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી. તો કેવી રીતે બનશે ? અભ્યાસથી થશે ? ના. એક જ ઉપાય છે.તે ઉપાય ‘ હ્રદયની અત્યંત ઊંડી લાગણીથી, ખૂબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો ’ એ છે.
Page – 209 – અધ્યાય – ૧૪ – પ્રકરણ – ૮૧ –
છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

 રજ-તમ-ગુણોને જીતી લેશો, સત્વગુણને સ્થિર કરી તેના ફળની આસક્તિને પણ એક વાર જીતી લેશો છતાં તેટલાથીયે કામ સરવાનું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એ બનવાનું નથી. છેવટે તે માટે પરમેશ્વરની કૃપા જોઈએ. તેની કૃપાને માટે અંતરની ઊંડી લાગણીવાળી ભક્તિથી પાત્ર બનવું જોઈએ. એ વિના બીજો ઉપાય મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે અર્જુને ભગવાનને એ સવાલ પૂછ્યો અને ભગવાને જવાબ આપ્યો કે, ‘ અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલે પાર જઈ શકે છે. એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ નથી. ’ ભક્તિનો આ સહેલો ઉપાય છે. આ એક જ માર્ગ છે.

     

અધ્યાય તેરમો

July 5, 2008 by kantilal1929

     
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક -૧૭૦ – ૧૯૦

Page – 170 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૭ –
કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

અધ્યાય તેરમો

આત્માનાત્મવિવેક

 ૬૭. વ્યાસે પોતના જીવનનો સાર ભગવદગીતામાં રેડ્યો છે. વ્યાસે વિસ્તારપૂર્વક બીજાં લખાણો ઘણાં કર્યાં છે. એકલી મહાભારતની સંહિતાના શ્લોકો લાખ સવાલાખ છે. સંસ્કૃત ભાષામાં વ્યાસ શબ્દનો અર્થ જ મૂળમાં ‘ વિસ્તાર ’ એવો થઈ ગયો છે. પણ ભગવદગીતામાં વ્યાસની વિસ્તાર કરવાની વૃત્તિ નથી. ભૂમિતિમાં યુક્લિડે જેમ તત્વો બતાવ્યાં, સિદ્ધાંતો જણાવ્યા તેમ વ્યાસદેવે જીવનને ઉપયોગી તત્વો નોંધ્યા છે. ભગવદગીતામાં વિશેષ ચર્ચા નથી, વિસ્તાર, ફેલાવો, કશું નથી. એનું મુખ્ય કારણ એવું છે કે ગીતામાં જે બાબતો રજુ કરવામાં આવી છે તેમનો જીવનમાં હરેક જણ જાતે તપાસી તાળો મેળવી શકે છે. એ બાબતો એ રીતે ચકાસીને તાળો મેળવવાને ખાતર કહેવામાં આવી છે. જીવનને ઉપયોગી જેટલી ચીજો છે તેટલી જ ગીતામાં કહી છે. એ બાબતો કહેવાનો ઉદ્દેશ આટલો જ હતો. તેથી ટૂંકમાં તત્વો નોંધી ભગવાન વ્યાસે સંતોષ માન્યો છે. એમની એ સંતોષવૃત્તિમાં સત્ય પરનો અને આત્માનુભવ પરનો એમનો ભારે વિશ્વાસ આપણને જોવાનો મળે છે. જે ચીજ સત્ય છે તેના મંડનને સારૂ ખાસ દલીલ કે વધારે યુક્તિની જરૂર રહેતી નથી.  1.
 2. જે જે વખતે આપણને ગીતાની મદદની જરૂર પડે તે તે વખતે ગીતા પાસેથી આપણને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશથી આપણે અત્યારે ગીતા તરફ જોઈએ છીએ. એવી મદદ આપણને હંમેશ મળી રહે તેવી છે. ગીતા જીવનોપયોગી શાસ્ત્ર છે. તેથી જ ગીતામાં સ્વધર્મની વાત પર ભાર મૂક્યો છે. સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. એ પાયો જેટલો દ્રઢ હશે તેટલી ઈમારત ટકી રહેશે. આ સ્વધર્માચરણને ગીતાએ કર્મ કહ્યું છે. એ સ્વધર્માચરણરૂપ કર્મની ફરતે અનેક વસ્તુઓ ગીતાએ ઊભી કરી છે; તેના રક્ષણને માટે અનેક વિકર્મો રચ્યાં છે. સ્વધર્માચરણને શણગારવા ને તેને રૂડું રૂપાળું, સુંદર બનાવવાને માટે, તેને સફળ કરવાને માટે જે જે મદદની અપેક્ષા હોય તે બધી મદદ, તે બધો આધાર, બધો ટેકો આ સ્વધર્માચરણરૂપ કર્મને આપવો જરૂરી છે. એથી આપણે અત્યાર સુધીમાં ઘણી બાબતો જોઈ ગયા. તેમાંની ઘણીખરી ભક્તિના સ્વરૂપની છે. આજે તેરમા અધ્યાયમાં જે બાબત જોવાની છે તે પણ સ્વધર્માચરણને ઘણી ઉપયોગી છે. એ બાબત વિચારના ક્ષેત્રની છે.
Page – 171 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૭ –
કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

 3. સ્વધર્માચરણ કરવાવાળાએ ફળનો ત્યાગ કરવો એ મુખ્ય વાત ગીતામાં બધે ઠેકાણે કહી છે. કર્મ કરવું ને તેનું ફળ છોડવું. ઝાડને પાણી પાવું, તેને માવજત કરી ઉછેરવું પણ તેના છાંયડાની, તેનાં ફૂલોની, તેનાં ફળની પોતાને માટે અપેક્ષા ન રાખવી. આવો એ સ્વધર્માચરણરૂપ કર્મયોગ છે. કર્મયોગનો અર્થ કેવળ કર્મ કરવું એટલો નથી. કર્મ આ સૃષ્ટિમાં સર્વત્ર ચાલી રહેલું છે. તે કહેવાની જરૂર નથી; પણ ખાલી કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ બરાબર કરતા રહી તેનું ફળ છોડી દેવું એ વાત બોલવામાં સહેલી છે, સમજવામાંય  સહેલી હશે પણ આચરવી અઘરી છે. કારણકે ફળની વાસનાને જ મૂળમાં કાર્યને પ્રેરનારી શક્તિ માનેલી છે. ફળની વાસના છોડી કર્મ કરવું એ ઊલટો રસ્તો છે. વહેવારમાં, સંસારમાં જે વર્તન છે તેનાથી આ અવળી ક્રિયા છે. જે કોઈ પુષ્કળ કર્મ કરે છે તેના જીવનમાં ગીતાનો કર્મયોગ છે એમ આપણે ઘણી વાર કહીએ છીએ. પુષ્કળ કર્મ કરી છૂટનારનું જીવન કર્મયોગમય છે એવું આપણે બોલીએ છીએ. પણ આવો શબ્દપ્રયોગ આપણી ભાષાના ઢીલાપણાને લીધે આપણે કરીએ છીએ. ગીતાની વ્યાખ્યા મુજબનો એ કર્મયોગ નથી. કર્મ કરવાવાળા લાખો લોકોમાંથી, માત્ર કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ કરવાવાળા લાખોમાંથી પણ ગીતામાં કહેલા કર્મયોગનું આચરણ કરનારો બહુ તો એકાદ મળશે. કર્મયોગના સૂક્ષ્મ અને સાચા અર્થમાં જોઈએ તો એવો સંપૂર્ણ કર્મયોગી મળવો વિરલો છે. કર્મ કરવું અને તેનું ફળ છોડી દેવું, એ વસ્તુ તદ્દન અસામાન્ય છે. ગીતામાં અત્યાર સુધી આ જ પૃથક્કરણ રજૂ થયું છે.
Page – 172 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૭ –
કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

 4. એ જ પૃથક્કરણને ઉપયોગી એવું બીજું એક પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં બતાવ્યું છે. કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી એ જે પૃથક્કરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથક્કરણ દેહ ને આત્માનું છે. એ પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. આંખ વડે આપણે રૂપ જોઈએ છીએ. તે રૂપને આપણે મૂર્તિ, આકાર, દેહ કહીને ઓળખાવીએ છીએ. બાહ્ય મૂર્તિ અથવા આકારનો પરિચય આપણને આંખ વડે થાય છે ખરો પણ વસ્તુના અંતરમાંયે આપણે પ્રવેશ કરવો પડે છે. ફળની ઉપરની છાલ કાઢીને અંદરનો ગર આપણે ચાખવો પડે છે. નાળિયેરમાં પણ તેને ફોડીને અંદર શું છે તે જોવું પડે છે. ફણસની બહારની છાલ પર કાંટા દેખાય છે પણ અંદર મજાનાં રસાળ મીઠાં ચાંપાં હોય છે. પોતાની જાત તરફ જોવાનું હોય કે બીજાના તરફ જોવાનું હોય, પણ આ અંદરનું ને બહારનું પૃથક્કરણ જરૂરી હોય છે અને કર્યા વગર ચાલતું નથી. ઉપરની છાલ અથવા કાચલી દૂર કરવી એ વાતનો અર્થ શો ? એનો અર્થ એટલો કે દરેક ચીજનું બાહ્ય રૂપ અને અંદરના ગરનું પૃથક્કરણ કરવું. બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. સ્વધર્માચરણનું બહારનું ફળ એવો આ જે દેહ તે ફેંકી દેવો, છોડવો જોઈએ અને અંદરનો ચિત્તશુદ્ધિરૂપ, સારભૂત જે આત્મા તેનો સ્વીકાર કરવો જોઈએ, તેને વહાલો કરવો જોઈએ. આ પ્રમાણે જોવાની ટેવ, દેહને બાજુએ કરીને હરેક ચીજમાં રહેલો સાર પકડવાની સારગ્રાહી દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ. આંખને, મનને, વિચારને આવી કેળવણી આપવી જોઈએ, આવી ટેવ પાડવી જોઈએ, આવો મહાવરો પાડવો જોઈએ. હરેક ઠેકાણે આપણે દેહને જુદો પાડી આત્માની પૂજા કરીએ. વિચારને માટે આ પૃથક્કરણ તેરમા અધ્યાયમાં રજૂ કર્યું છે.
Page – 173 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર

 ૬૮. સારગ્રાહી દ્રષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી  એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારૂં થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દ્રષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડયા કરે છે. ‘ કેવળ દેહરૂપ હું છું ’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. આ દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાત દહાડો કરવામાં આવે છે.
 છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરૂં ! ’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે. 5.
Page – 174 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર
 
6. છોકરાંની કદર કરવાની હોય તો તે પણ તેના દેહની બાજુ પૂરતી જ થાય છે. તેની નિંદા કરવાની હોય તો પણ તે જ, દેહની બાજુની જ. ‘ કેમ અલ્યા લીંટિયા ! ’ એવું કહીને તેને વઢે છે. એથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે ! તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે ! તેના નાકમાં લીંટ હોય છે એ વાત સાચી. અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી. પણ તે સહેજે ન સાફ કરતાં તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે ! તે બિચારાથી તે સહન થઈ શક્તો નથી. તેને ખેદ થાય છે. તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા, નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર આ કેટલો બધો ખોટો નાહકનો આરોપ ! ખરૂં જોતાં તે છોકરો લીંટિયો નથી. અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે. તેનો અંશ તેનામાં છે. પણ તેને કહે છે ‘ લીંટીયો ! ’ એ લીંટની સાથે તેનો એવો શો સંબંધ છે ? તે છોકરાને તે સમજાતુંયે નથી. આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી. તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે. અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી. તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ.
 7. પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વંગસુંદર છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું ભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરૂં કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારૂં છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.
Page – 175 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર

 8. દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. ‘ હું ’ જે છું તે  દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ એટલે કે ખામી વગરનો એવો છું. પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મપરીક્ષણ કરે છે તે આત્મપરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે. કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી. ગુસ્સો ન કરતાં આ શરીરરૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે. જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી. આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ સુધારો થશે. મારા રેંટિયામાં કોઈ ખામી બતાવે તો હું તેના પર ચિડાઉં ખરો કે ? ખામી હોય તો તે હું દૂર કરૂં છું. એવું જ આ દેહનું છે. જેવાં ખેતીનાં ઓજારો હોય છે તેવો આ દેહ છે. પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે. એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ. દેહ સાધનરૂપે ખડો છે. આ દેહથી અળગા રહીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ. આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું. હું સ્વામિ છું, માલિક છું. આ દેહ પાસે વૈતરૂં કરાવનારો, તેની પાસેથી સારામાં સારૂં કામ લેનારો છું. છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ.
 9. રમતથી અળગો રહેનારો ત્રયસ્થ જેમ રમતમાં રહેલી ખામી-ખૂબી બરાબર જોઈ શકે છે તે જ પ્રમાણે દેહ, મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે. કોઈ માણસ કહે છે, ‘ હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે. એનો શો ઈલાજ કરવો ? ’ માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણશક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે. તે કહે છે, ‘ મારી સ્મરણશક્તિ બગડી છે. ’
Page – 176 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬ ૮ – સુધારણાનો મૂળ આધાર

 એટલે કે તેનું કોઈક સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે. કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે ; પણ કી જાતે ખોવાઈ જાય એવું બનતું નથી. છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે, પણ તે પોતે અંદરથી નામનોયે બગડ્યો હોતો નથી ; તે અવ્યંગ હોય છે, નીરોગી હોય છે. આ વાત ખરેખર સમજવા જેવી છે અને એ બરાબર સમજાય તો ઘણીખરી ભાંજગડનો અંત આવે.
Page – 176 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬૯  –
દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

 ૬૯. દેહ એટલે જ હું વી જે ભાવના બધે ઠેકાણે ફેલાઈ રહેલી છે તેને લીધે કશોયે વિચાર ન કરતાં આ દેહને વધારવાને માટે માણસે તરેહતરેહનાં સાધનો નિર્માણ કર્યાં છે. એ જોઈને મનમાં ડર લાગે છે. આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબૂત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે. પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી, ક્યાં સુધી સાચવી રખાશે ? બહુ તો મરીએ ત્યાં સુધી. મરણની ઘડી આવી એટલે એક ક્ષણભર પણ દેહ ટકાવી શકાતો નથી. મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે. આ તુચ્છ દેહને સારૂ તરેહતરેહનાં સાધનો માણસ નિર્માણ કરે છે. આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે. હવે તો માણસે કહેવા માંડ્યું છે કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી. માણસનો આ દેહ જાણે ઘણો કીમતી ! તેને બચાવવાને સારૂ માંસ ખાઓ ! જાનવરના શરીરની કિંમત ઓછી. શા સારૂ ઓછી ? માણસનો દેહ કીમતી શાથી ઠર્યો ? કયાં કારણોસર કીમતી સાબિત થયો ? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે. સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતાં નથી. પણ માણસ તેમ કરતો નથી. માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કીમતી છે. પણ જે કારણસર માણસનો દેહ કીમતી સાબિત થાય છે તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે. અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે.
Page – 177 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬૯  –
દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

 પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે. એટલા જ કારણસર મનખાદેહને દુર્લભ કહ્યો છે. પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઈમારત ઊભી કેમ રહેશે ? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે. જે ડાળ પર હું બેઠો હોઉં તેને જ કાપવાની હું કોશિશ કરૂં તેવું એ થયું. 10.
 11. વૈદકશાસ્ત્ર તો વળી તરેહતરેહના ચમત્કારો કરતું જાય છે. જાનવરો પર વાઢકાપ કરીને તેમનાં શરીરમાં,  જીવતાં પશુઓનાં શરીરોમાં રોગનાં જંતુ પેદા કરવામાં આવે છે અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે ! જીવતાં જાનવરોના આવા હાલહવાલ કરી, તેમને આમ રિબાવી જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે. અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે ! પેલાં જાનવરોનાં શરીરોમાં રોગનાં જંતુ નિર્માણ કરી, તેની રસી બનાવી, તે કાઢી લઈ માણસોનાં શરીરોમાં મૂકવામાં આવે છે ! આવા તરેહતરેહના ભીષણ પ્રયોગો કરવામાં આવે છે. જે દેહને સારૂ આ બધું ચાલે છે તે તો ક્ષણવારમાં ફૂટી જનારા કાચના જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાયે ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે. પણ છેવટે અનુભવ શો થાય છે ? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે એવી પ્રતીતિ થાય છે. તે છતાં દેહને વધારવાના માણસોના પ્રયાસો ચાલુ છે.
 12. કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારૂં થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ, એ વાત તરફ માણસ જરાયે જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત તે જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાવી શકાય એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે.
Page – 178 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૬૯  –
દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

 પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પર વળગાવેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે અને આ શરીર પાછું પહેલાંના જેવું ત્યાંનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝિલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું ? શરીર આટલું બધું, લચી પડે તેમ વધારવાથી ફાયદો શો ? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે. તે સાધનને બરાબર  કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું. યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન , ‘ યંત્રાભિમાન ’ જેવું કંઈ હોય ખરૂં કે ? તો પછી આ દેહયંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારૂ ન હોય ?
 13. ટૂંકમાં, દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે. પણ ના. એ કપડું સુંવાળું જોઈએ, તેના પર વેલબુટ્ટા, ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજુરી કરાવું છું. એ બધું શા સારૂ ? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી ? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત કે ? એ તેનાથી બને એવું નહોતું કે ? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાંનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત. પણ ઈશ્વરે માણસોને એકરંગી રાખ્યાં છે. તેના પર જરા બીજા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઊડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવદેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવું તેવું છે ? એ અસાધારણ સૌંદર્યને નીરખવું એટલું જ માણસનું કામ છે. પણ તે ભુલાવામાં પડ્યો. કહે છે જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલાં તારા મનનો રંગ મરી ગયો પછી તને આ કૃત્રિમ રંગોની હોંસ થવા માંડી. તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહ શણગારવાને છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હ્રદય સુંદર બનાવવું એ બધું આઘું રહી ગયું છે.
Page – 179 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૦  –  तत्वमसि

 ૭૦. એથી ભગવાન આ તેરમા અધ્યાયમાં જે વિચાર રજૂ કરે છે તે બહુ કીમતી છે. ‘ તું દેહ નથી, તું આત્મા છે. ’ ‘ तत्वमसि ’,તે આત્મરૂપ તું છે એ બહુ મોટો પવિત્ર ઉદ્ગાર છે, પાવન અને ઉદાત્ત ઉચ્ચાર છે. સંસ્કૃત સાહિત્યમાં આ બહુ મોટો વિચાર ગૂંથી લેવામાં આવ્યો છે. ‘ આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી; પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે. ’ જે ક્ષણે ‘ તે તું છે ’ એ વિચાર માણસના અંતઃકરણમાં સ્ફુરશે, હું આ દેહ નથી, પેલો પરમાત્મા હું છું એ વિચાર તેના મનમાં ઊઠશે તે ક્ષણે એક પ્રકારનો અનનુભૂત આનંદ તેના મનમાં પેદા થશે. એ મારા રૂપનો નાશ કરવાનું આ સૃષ્ટિમાંની કોઈ ચીજથી બને એવું નથી. કોઈનામાં એ સામર્થ્ય નથી. આવો સૂક્ષ્મ વિચાર એ ઉદગારમાં ભરેલો છે. 14.
 15. દેહની પારનું અવિનાશી, નિષ્કલંક જે આત્મતત્વ તે હું છું. તે આત્મતત્વને ખાતર આ દેહ મને મળ્યો છે. જે જે વખતે પરમેશ્વરી તત્વ દૂષિત થતું હશે તે તે વખતે તેના બચાવને સારૂ હું આ દેહને ફેંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જવળ રાખવાને માટે દેહનો હોમ કરવાને હું હમેશ તૈયાર રહીશ. હું આ દેહ પર સવાર થઈને આવ્યો છું તે મારી આબરૂના કાંકરા ઉડાવવાને માટે નથી આવ્યો. દેહ પર મારી હકુમત ચાલવી જોઈએ. હું દેહને વાપરીશ અને હિત ને મંગળ બંનેને સમૃદ્ધ કરીશ. ‘ आनंदे भरीन तिन्ही लोक, ’ ત્રણે લોકને આનંદથી ભરી દઈશ. મહાન તત્વોને ખાતર આ દેહને હું ફેંકી દઈશ અને ઈશ્વરનો જયજયકાર ફેલાવીશ. તાલેવંત માણસ એક વસ્ત્ર મેલું થતાં તેને ફેંકી દઈ બીજું લે છે તેમ હું પણ કરીશ. કામને માટે આ દેહનો ઉપયોગ છે. જ્યારે આ દેહ કામ આપે એવો નહીં રહે ત્યારે એને ફેંકી દેવામાં મને જરાયે વાંધો આવવાનો નથી.
Page – 180 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૦  –  तत्वमसि
 16. સત્યાગ્રહમાં આપણને આ જ કેળવણી મળે છે. દેહ અને આત્મા બે અલગઅલગ ચીજો છે આ વાત માણસના ધ્યાનમાં આવશે, એમાંનો મર્મ જ્યારે તે ઓળખશે તે જ વખતે તેની સાચી કેળવણીની, તેના સાચા વિકાસની શરૂઆત થઈ જાણવી. તે જ વખતે સત્યાગ્રહ સધાશે. એથી આ ભાવના દરેક જણે કેળવી બરાબર દિલમાં ઠસાવવી. દેહ નિમિત્તમાત્ર સાધન છે, પરમેશ્વરે આપણને બક્ષેલું હથિયાર છે. જે દિવસે એનો ઉપયોગ પૂરો થાય તે દિવસે આ દેહને ફેંકી દેવાનો છે. શિયાળામાં વાપરવાનાં ગરમ કપડાં આપણે ઉનાળામાં ફેંકી દઈએ છીએ. રાત્રે ઓઢેલા કામળા આપણે સવારે કાઢી નાખીએ છીએ, સવારનાં કપડાં બપોરે ઉતારી નાખીએ છીએ, તેવું જ આ દેહનું છે. જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાને ઉતારીને ફેંકી દઈશું. આત્માના વિકાસને માટે આ યુક્તિ ભગવાન અહીં બતાવી રહેલા છે.
Page–180–અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૧  –  જુલમી લોકોની સત્તા જતી રહી

 ૭૧. દેહથી હું જુદો છું એ વાત જ્યાં સુધી આપણા ધ્યાનમાં ઊતરી નથી ત્યાં સુધી જુલમગાર લોકો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું બની શકે છે. એક રાક્ષસ હતો. તેણે એક માણસને પકડયો. રાક્ષસ તેની પાસે કાયમ કામ કરાવે. માણસ કામ ન કરે તો રાક્ષસ કહે, ‘‘ તને ખાઈ જઈશ, તને ગળી જઈશ. ’’ શરૂ શરૂમાં માણસને ધાક લાગતો. પણ પછી જ્યારે હદ થવા માંડી ત્યારે તેણે કહ્યું, ‘‘ ખાઈ જા, ખાવો હોત તો એક વાર ખાઈ નાખ. ’’ પણ પેલો રાક્ષસ તેને થોડો જ ખાવાનો હતો ? તેને તો ગુલામ નેકર જોઈતો હતો. માણસને ખાઈ જાય પછી તેનું કામ કોણ કરે ? દર વખતે ખાઈ જવાની ધમકી રાક્ષસ આપતો, પણ ‘ જા ખાઈ જા, ’ એવો જવાબ મળતાંની સાથે જુલમ અટકી ગયો. જુલમ કરવાવાળા લોકો બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે.
Page–181–અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૧  –  જુલમી લોકોની સત્તા જતી રહી

 એમના દેહને કષ્ટ આપીશું એટલે એ દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આ આસક્તિ તમે ચોડશો એટલે તાબડતોબ તમે સમ્રાટ બનશો, સ્વતંત્ર થશો. પછી સર્વ સામર્થ્ય તમારા હાથમાં આવશે. પછી તમારા પર કોઈની સત્તા ચાલશે નહીં. પછી જુલમ કરનારનો આધાર તૂટી જાય છે. ‘ હું દેહ છું ’ એ ભાવના મૂળમાં તેમનો આધાર હોય છે. તેમને લાગે છે કે આ લોકોના દેહને દુઃખ આપીશું એટલે એ લોકો આપણા તાબામાં રહેશે. તેથી જ એ લોકો હંમેશ ધાકધમકીની ભાષા વાપરે છે. 17.
 18. ‘ હું દેહ છું ’ એવી જે મારી ભાવના હોય છે તેને જ લીધે સામાને મારા પર જુલમ કરવાની, મને સતાવવાની ઈચ્છા થાય છે. પણ વિલાયતમાં થઈ ગયેલા શહીદ ક્રૅન્મરે શું કહ્યું હતું ? ‘ મને બાળવો છે ? બાળો. આ જમણો હાથ પહેલો બાળો ! ’ અથવા પેલા બે શહીદ લૅટિમર અને રીડલેએ શું કહ્યું ? ‘ અમને બાળો છો ? અમને બાળવાવાળા કોણ છે ? અમે તો ધર્મની એવી જ્યોત ચેતાવી રહ્યા છીએ કે જે કદી ઠરવાની નથી. દેહની આ મીણબત્તી, આ ચરબી સળગાવીને સત્ તત્વોની જ્યોત સળગતી રાખવાનું તો અમારૂં કામ છે. દેહ જશે. અને તે તો જવાનો જ છે.
 19 . સૉક્રેટિસને ઝેર પાઈને મારી નાખવાની સજા ફરમાવવામાં આવી હતી. તે વખતે તેણે કહ્યું, ‘‘ હું હવે ઘરડો થયો છું. ચાર દહાડા પછી આ દેહ મરવાનો જ હતો. જે મરવાનો જ હતો તેને મારીને તમે લોકોએ શો પુરૂષાર્થ સાધ્યો તે તમે જાણો. પણ આ બાબતનો વિચાર તો કરશો કે નહીં ? દેહ મરવાનો છે એ નક્કી હતું. મરવાવાળી ચીજને તમે મારી તેમાં તમારી શી મોટાઈ ? ’’ જે દિવસે સૉક્રેટિસને મરવાનું હતું તેની આગલી રાતે આત્માના અમરપણાની વાત તે પોતાના શિષ્યોને સમજાવી રહ્યો હતો. પોતાના શરીરમાં ઝેર ફેલાઈ ગયા પછી શરીરને કેવી વેદના થશે તેની વાતો તે બહુ મોજથી કહેતો હતો. તેની તેને જરાયે ફિકર કે ચિંતા નહોતી. આત્માના અમરપણાની ચર્ચા પૂરી થયા બાદ એક શિષ્યે તેને પૂછ્યું, ‘‘ તમારા મરણ પચી તમને કેવી રીતે દાટીશું ? ’’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘‘ અરે ડાહ્યા, પેલા મને મારનારા ને તું મને દાટનારો ખરૂં ને ? પેલા મારનારા મારા વેરી ને તું દાટનારો મારા પર ભારે પ્રેમ રાખનારો, એમ ને ? પેલો પોતાના ડહાપણમાં મને મારશે ને તું તારા ડહાપણમાં મને દાટશે, એમ ને ? પણ અલ્યા, તું કોણ મને દાટનારો ? હું તમને બધાને દાટીને પાછળ રહેવાનો છું ! મને શામાં દાટશો ? માટીમાં દાટશો કે તપખીરમાં દાટશો ? મને કોઈ મારી શકતું નથી ; કોઈ દાટી શકતું નથી. મેં અત્યાર સુધી શું કહ્યું ? આત્મા અમર છે. તેને કોણ મારનાર છે ? કોણ દાટનાર છે ? ’’ અને ખરેખર, આજ અઢી હજાર વરસે તે મહાન સૉક્રેટિસ બધાયને દાટીને પાછળ જીવતો રહ્યો છે !
૭૨. પરમાત્મશક્તિ પર ભરોસો ૧૮૨
Page – 182 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૨  -  પરમાત્મશક્તિ પર ભરોસો

 ૭૨. સારાંશ કે જ્યાં લગી દેહની આસક્તિ છે, જ્યાં સુધી દેહની બાબતમાં ડર છે ત્યાં સુધી સાચો બચાવ થવાનો નથી, ત્યાં સુધી કાયમ ધાસ્તી રહેવાની છે. જરા સૂતા એટલે સાપ આવીને ડંખ તો નહીં મારી જાય, ચોર આવીને મારો નિકાલ તો નહીં લાવે એવું લાગ્યા કરશે. માણસ સૂતી વખતે ઓશીકા આગળ લાકડી રાખે છે. શા માટે ? કહે છે, ‘ પાસે રાખવી સારી. ચોરબોર આવે તો કામ આવે. ’ અરે ભલા માણસ, ચોરે જ તે દંડો તારા માથામાં ઝીંક્યો તો ? ચોર લાઠી ભૂલી ગયો હોય એટલે તેને માટે તેં આગળથી તૈયારી રાખી છે એમ સમજ ! અરે, તું કોને ભરોસે ઊંઘી જાય છે તેનો તો વિચાર કર. ઊંઘતી વખતે તું કેવળ દુનિયાના હાથમાં હોય છે. તું જાગતો હશે તો પોતાનો બચાવ કરશે ને ? ઊંઘમાં તારો બચાવ કોણ કરશે ?  20.
 21. હું કોઈ એક શક્તિ પર ભરોસો મૂકીને ઊંઘી જાઉં છું. જે શક્તિને ભરોસે વાઘ, ગાય વગેરે બધાં ઊંઘી જાય છે તે જ શક્તિ પર ભરોસો રાખીને હું પણ ઊંઘું છું. વાઘને પણ ઊંઘ આવે છે. આખી દુનિયાની સાથે જેણે વેર બાંધ્યું છે અને જે ઘડી ઘડી પાછું ફરીને જોતો રહે છે તે સિંહ પણ ઊંઘી જાય છે. પેલી શક્તિ પર વિશ્વાસ ન હોત તો થોડા સિંહ સૂઈ જાય અને થોડા જાગતા રહી પહેરો ભરે એવો કંઈક બંદોબસ્ત સિંહોને કરવો પડયો હોત. જે શક્તિ પર ભરોસો રાખી ક્રૂર એવા વાઘ, વરૂ, સિંહ વગેરે પણ નિરાંતે ઊંઘી જાય છે તે જ વિશ્વવ્યાપક શક્તિને ખોળે હું પણ સૂતો છું.
Page – 183 – અધ્યાય – ૧૩  – પ્રકરણ – ૭૨  -  પરમાત્મશક્તિ પર ભરોસો

 માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે. તે બાળક તે વખતે જાણે આખી દુનિયાનો બાદશાહ હોય છે ! આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી જ રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ. જેના ધાર પર મારૂં આ આખું જીવન છે તે શક્તિનો મારે વધારે ને વધારે પરિચય કેળવવો જોઈએ. તે શક્તિ ઉત્તરોત્તર મને પ્રતીત થતી જવી જોઈએ. એ શક્તિને વિષે મને જેટલી ખાતરી થયેલી હશે તેટલું મારૂં રક્ષણ વધારે થશે. જેમ જેમ એ શક્તિનો મને અનુભવ થતો જશે તેમ તેમ મારો વિકાસ થતો જશે. આ તેરમા અધ્યાયમાં આ વાતનો થોડોક્રમ બતાવવો પણ શરૂ કરેલો છે.
Page – 183–અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ
૭૩. પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ ૧૮૩

 ૭૩. જ્યાં સુધી દેહમાં રહેલા આત્માનો વિચાર આવ્યો નથી ત્યાં સુધી માણસ સામાન્ય ક્રિયાઓમાં ગૂંચવાયેલો રહે છે. ભૂખ લાગે એટલું ખાવું, તરસ લાગે એટલું પાણી પીવું અને ઊંઘ આવે એટલે સૂઈ જવું એથી વધારે બીજી કોઈ વાતની તેને ખબર હોતી નથી. એ બધી વાતોને માટે તે લડશે, તે બધીને માટે લોભ રાખશે. આમ દૈહિક ક્રિયાઓમાં જ તે મશગુલ રહે છે. વિકાસની શરૂઆત એ પછી થાય છે. આટલે સુધી આત્મા માત્ર જોયા કરે છે. ઘૂંટણિયે પડીને કૂવા તરફ જનારા નાના બચ્ચાની પાછળ સતત નજર રાખતી મા જેમ ઊભી હોય છે તે પ્રમાણે આત્મા ઊભો હોય છે. શાંતિથી તે બધી ક્રિયાઓ જોયા કરે છે. આને उपद्रष्टाની, સાક્ષીરૂપે બધું જોયા કરનારની સ્થિતિ કહી છે. 22.
 23. આત્મા જુએ છે પણ હજી સંમતિ આપતો નથી. પરંતુ પોતાને કેવળ દેહરૂપ માનીને ક્રિયા કરનારો આ જીવ આગળ ઉપર જાગે છે. પોતે પશુના જેવું જીવન વિતાવે છે એ વાતનું તેનામાં ભાન જાગે છે. જીવ આમ વિચારવા લાગે છે એટલે નૈતિક ભૂમિકા શરૂ થાય છે. પછી યોગ્ય કે અયોગ્ય એવો સવાલ ડગલે ને પગલે ઊભો થાય છે. પછી માણસ વિવેક કરવા માંડે છે.તેની પૃથક્કરણાત્મક બુદ્ધિ જાગતી થાય છે. તેની સ્વૈર ક્રિયાઓ અટકી જાય છે. તેનામાં સ્વચ્છંદ રહેતો નથી ને સંયમ આવે છે.
Page–184 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ
 24. આ નૈતિક ભૂમિકા પર જીવ પહોંચે છે એટલે પછી આત્મા કેવળ શાંત બેસી રહીને જોયા કરતો નથી. તે અંદરથી અનુમોદન આપે છે. અંદરથી ‘ શાબાશ ’ એવો ધન્યવાદનો અવાજ ઊઠે છે. હવે આત્મા કેવળ उपद्रष्टा ન રહેતાં अनुमन्ता થાય છે.
 ભૂખ્યો અતિથિ બારણે આવે અને તમે તમારી સામેની પીરસેલી થાળી તેને આપી દો પછી રાત્રે એ સત્કૃત્યનું સ્મરણ થાય તે વખતે જોજો તમને કેટલો બધો આનંદ થાય છે ! અંદરથી આત્મા ધીમેથી કહે છે, ‘‘ બહુ સારૂં કર્યું. ’’ મા દીકરાના વાંસા પર હાથ ફેરવી કહે કે, ‘ સારૂં કર્યું બેટા ’ તો દુનિયાની બધીયે બક્ષિસ પોતાને મળી ગઈ એમ તેને લાગે છે. તે જ પ્રમાણેહ્રદયસ્થ પરમાત્માનો ‘ શાબાશ બેટા ’ શબ્દ આપણને પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે. આ વખતે જીવ ભૌતિક જીવનમ છોડી નૈતિક જીવનની ભૂમિકા પર ઊભો હોય છે.
 25. એની આગળની ભૂમિકા આ પ્રમાણેની છે. નૈતિક જીવનમાં કર્તવ્ય કરતાં કરતાં, માણસ મનના બધાયે મળ ધોઈ કાઢવાની કોશિશ કરે છે. પણ એવી કરતો કરતો તે થાકે છે. એ વખતે જીવ પ્રર્થના કરે છે કે, ‘ હે ઈશ્વર, મારા પ્રયત્નોની હવે પરાકાષ્ઠા થઈ. મને વધારે શક્તિ આપ, બળ આપ. ’ જ્યાં સુધી બધીયે કોશિશ થઈ રહેતી નથી અને પોતે એકલે હાથે હવે પહોંચી વળી શકે એમ નથી એવો નુભવ માણસને થતો નથી ત્યાં સુધી પ્રાર્થનાનો મર્મ તેના ધ્યાનમાં ઊતરતો નથી. પોતાની બધીયે શક્તિ ખરચી નાખવા છતાં તે પૂ રી પડતી નથી એમ જોઈ આર્ત થઈ ઈશ્વરને આંગણે દ્રૌપદીની માફક ધા નાખવી. પરમેશ્વરી કૃપાનું ઝરણું, એની સહાયનો ઝરો કાયમ વહ્યા કરે છે. જેને જેને તરસ લાગે તે સૌને ત્યાં જઈને પાણી પીવાનો હક છે. જેને ખોટ પડે તેણે માગી લેવું. આ ત્રીજી ભૂમિકા પર આવી જાતનો સંબંધ હોય છે. પરમાત્મા વધારે નજીક આવે છે. હવે ખાલી શબ્દોથી શાબાશ ન કહેતાં તે સહાય કરવાને દોડી આવે છે.
Page–185 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

 26. પહેલાં પરમેશ્વર આઘો ઊભો હતો. ગુરૂ શિષ્યને ‘ દાખલો કર ’ એમ કહીને આઘે ઊભો રહી જોયા કરે છે તેમ ભોગમય જીવનમાં જીવ ગૂંથાયેલો હોય છે ત્યારે આઘે રહીને પરમાત્મા તેને કહે છે, ‘ ઠીક છે, ચાલવા દે ધમપછાડા. ’ એ બાદ જીવ નૈતિક ભૂમિકાએ પહોંચે છે. એ વખતે પરમાત્માથી કેવળ તટસ્થ રહી શકાતું નથી. જીવને હાથે સત્કર્મ થાય છે એવું જોતાંવેંત તે આસ્તે રહીને ડોકાય છે ને કહે છે ‘ શાબાશ. ’ આમ સત્કર્મો થતાં થતાં ચિત્તના સ્થૂળ મળ દૂર થાય છે ને સૂક્ષ્મ મળ ધોવાનો વખત આવે છે અને જ્યારે તે બાબતમાં બધા પ્રયત્ન અધૂરા પડે છે ત્યારે આપણે પરમેશ્વરને સાદ પાડીએ છીએ. અને તે આપણને ‘ આ આવ્યો ’ એવો સામો જવાબ આપે છે. તે દોડી આવે છે. ભક્તનો ઉત્સાહ અધૂરો પડે છે એવું જોતાંની સાથે તે આવીને ઊભો રહે છે. જગતનો સેવક સૂર્યનારાયણ તમારે આંગણે ઊભેલ જ છે. પણ સૂર્ય બંધ બારણું વીંધીને અંદર દાખલ થતો નથી કેમકે તે સેવક છે. તે સ્વામીની મર્યાદા રાખે છે. તે બારણાને ધક્કા મારતો નથી. અંદર માલિક સૂતેલા હશે તો આ સૂર્યરૂપી સેવક તેની મર્યાદા રાખી બારણા બહાર ચૂપચાપ ઊભો જ હશે. પણ બારણું જરાક જ ખોલો એટલે પોતાનો બધો પ્રકાશ સામટો સાથે લઈને તે અંદર આવશે અને અંધારાને નસાડી મૂકશે. પરમાત્મા પણ એવો જ છે. તેની પાસે મદદ માગો કે હાથ ઊંચા કરી દોડી આવ્યો જાણો. કેડ પર હાથ રાખી ભીમાને કાંઠે તે સજ્જ થઈને ઊભો જ છે.
उभारूनि बाहे  विठो पालवीत आहे ।।
 – બંન્ને હાથ ફેલાવી વિઠોબા ભેટવાને ઈશારો કરી રહેલો છે. આવાં વર્ણનો તુકારામ વગેરેએ કરેલાં છે. નાક ખુલ્લું રાખો કે હવા અંદર ગયા વગર રહેતી નથી. બારણું જરાસરખું ખોલો કે પ્રકાશ અંદર પેઠો જ જાણો. હવા અને પ્રકાશ એ બેના દાખલા પણ મને અધૂરા લાગે છે.
Page–186 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

 તેમના કરતાંયે પરમેશ્વર વધારે નજીક રહેવાવાળો છે, વધારે ઉત્સુક છે. હવે તે ઉપદ્રષ્ટા ને અનુમન્તા ન રહેતાં भर्ता, બધી રીતે મદદ કરનારો થાય છે. મનના મળ ધોવાને વખતે અગતિક થઈ આપણે કહીએ છીએ કે, ‘ મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે, ’ ‘ तू ही एक मेरा मददगार है, तेरा आसरा मुझको दरकार है । ’ એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી તે દયાઘન આઘો ઊભો રહી જોયા કરશે ખરો કે ? ભક્તની વહારે ધાનારો પરમાત્મા, અધૂરૂં પૂરૂં કરવાવાળો તે પ્રભુ આગળ આવે છે. પછી તે રોહિદાસનાં ચામડાં ધોશે, સજન કસાઈનું માંસ વેચશે, કબીરનાં શેલાં વણશે અને જનાબાઈની ઘંટીએ બેસી તેને દળવા લાગશે.
 27. આની આગળનું પગથિયું, પરમેશ્વરના કૃપાપ્રસાદથી કર્મનું જે ફળ મળ્યું હોય તે ફળ પણ આપણે સારૂ આપણી પાસે ન રાખતાં પરમેશ્વરને અર્પણ કરવાની ભૂમિકાનું આવે છે. જીવ ઈશ્વરને કહે છે, ‘ તારૂં ફળ તું જ લઈ લે. ’ ઈશ્વરે દૂધ પીવું જોઈએ વી નામદેવે હઠ પકડી. એ વાતમાં ખૂબ મીઠાશ રહેલી છે. એ બધુંયે કર્મફળરૂપી દૂધ નામદેવ ઈશ્વરને અર્પણ કરવા માગે છે. આ રીતે જીવનની આખીયે મૂડી, બધી કમાણી જેની કૃપાથી મળી તેને જ પાછી અર્પણ કરવાની છે. ધર્મરાજ સ્વર્ગમાં પગ મૂકવા જાય છે. ત્યાં તેમની સાથે ગયેલા કૂતરાને સ્વર્ગમાં દાખલ થવાની મનાઈ થાય છે. એટલે જીવનનાં બધાંયે પુણ્યના બદલામાં મળેલો સ્વર્ગલાભ ધર્મરાજ પલકવારમાં જતો કરે છે. એ જ પ્રમાણે ભક્ત પણ બધોયે ફળલાભ સામટો ઈશ્વરને અર્પણ કરે છે. उपद्रष्टा, अनुमन्ता અને भर्ता એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનારો એ પરમાત્મા હવે भोक्ता બને છે. શરીરમાં રહીને તે ખુદ પરમાત્મા ભોગ ભોગવી રહેલો હોય એવી ભૂમિકા પર જીવ ચડે છે.
 28. આ પછી સંકલ્પ કરવાનુંયે છોડી દેવાનું છે. કર્મનાં ત્રણ પગથિયાં છે. પહેલાં આપણે સંકલ્પ કરીએ છીએ, પછી કાર્ય કરીએ છીએ અને પછી ફળ આવે છે. કર્મને માટે પ્રભુની મદદ લઈ જે ફળ મળ્યું તે ફળ પણ તેને જ અર્પણ કર્યું. કર્મ કરનારો પરમેશ્વર, ફળ ચાખનારો પરમેશ્વર અને હવે તે કર્મનો સંકલ્પ કરનારો પણ પરમેશ્વરને જ થવા દે. આમ કર્મના આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ બધે પ્રભુને જ રહેવા દે. જ્ઞાનદેવે કહ્યું છે,
Page–187 –અધ્યાય–૧૩ – પ્રકરણ – ૭૩  -  પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

‘ माळियें जेउतें नेलें । तेउतें निवांत चि गेलें
तया पाणिया ऐसें केलें । होआवें गा ।। ’
 – માળી જ્યાં લઈ જવા માગતો હોય ત્યાં શાંતિથી જનારા પાણી જેવો થા. માળીને પાણી જ્યાં જ્યાં લઈ જવું હોય ત્યાં તે વગર તકરારે જાય છે. માળીને ગમતાં ફૂલઝાડ અને ફળઝાડને તે પોષે છે. તે જ પ્રમાણે તારે હાથે શું થાય તે તેને , તે માળીને જ મક્કી કરવા દે. મારા ચિત્તમાં ઊઠતા બધાયે સંકલ્પોની જવાબદારી તેને જ સોંપવા દે. મારો પોતાનો ભાર મેં ઘોડાની પીઠ પર લાદ્યો છે તો પછી મારા બચકાનું વજન હું વળી મારે માથે લઈને શા સારૂ બેસું ? તેને પણ ઘોડાની પીઠ પર જ મૂકવા દે. મારે માથે વજન લઈ હું ઘોડા પર બેસું તોયે તેનો ભાર ઘોડાને જ છે. તો પછી ચાલ જીવ,બધો ભાર તેની પીઠ પર જ મૂકવા દે, મ જીવનની બધીયે ચળવળો, નાચકૂદ અને તેની બધીયે ખિલવણી કરનારો, બધું આખરે પરમેશ્વર જ થઈ રહે છે. તારા જીવનનો તે હવે ‘ महेश्वर ’ બને છે. આ રીતે વિકાસ પામતાં પામતાં આખુયે જીવન ઈશ્વરમય થાય છે. પછી માત્ર આ દેહનો પડદો આડો રહી જાય છે. તે પણ ઊડી જાય એટલે જીવ ને શિવ, આત્મા ને પરમાત્મા એક થઈ જાય છે.
 29. આ રીતે ‘ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः – સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. પ્રભુ પહેલાં કેવળ તટસ્થપણે જોયા કરે છે. પછી નૈતિક જીવનની શરૂઆત થતા  આપણે હાથે સત્કર્મો થવા માંડે છે એટલે તે શાબાશી આપે છે. પછી ચિત્તના સૂક્ષ્મ મળ ધોઈ કાઢવાને પોતાના પ્રયાસ અધૂરા પડે છે અને ભક્ત ધા નાખે છે ત્યારે અનાથનાથ વહારે ધાય છે. તે પછી ફળ પણ ઈશ્વરને અર્પણ કરી તેને જ ભોક્તા બનાવવાનો છે અને પછી બધાયે સંકલ્પો પણ તેને જ સોંપી દઈ આખું જીવન હરિમય કરવાનું છે. આવું માનવીનું આ છેવટનું સાધ્ય છે. કર્મયોગ અને ભક્તિયોગની બે પાંખો વડે ઊડતાં ઊડતાં સાધકે આવા પ્રકારની આ છેવટની મજલ પૂરી કરી આખરને મુકામે પહોંચવાનું છે.
Page – 188 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૪  - 
નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના

૪. નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના ૧૮૮

 ૭૪. આ બધું પાર પાડવાને નૈતિક સાધનાનો મજબૂત, પાકો પાયો જોઈએ. સત્યાસત્યનો વિવેક કરી, સત્ય પકડી લઈ તેને વળગવું જોઈએ. સારાસાર જોઈ લઈ સાર પકડવો જોઈએ. છીપો ફેંકી દઈ મોતી એકઠાં કરી લેવાં જોઈએ. આ રીતે જીવનની શરૂઆત કરવી જોઈએ. પછીથી આત્મપ્રયત્ન અને ઈશ્વરી કૃપા એ બંનેને જોરે ઉપર ચડતા જવું જોઈએ. આ આખી સાધનામાં દેહથી આત્માને અળગો પાડતાં આપણે શીખ્યા હોઈશું તો ખૂબ મદદ થશે. આવે પ્રસંગે મને ઈશુ ખ્રિસ્તનું બલિદાન યાદ આવે છે. તેને ક્રૂસની સાથે ખીલાથી જડીને મારતા હતા. તે વખતે ઈશુના મોઢામાંથી ‘ હે ઈશ્વર, આ બધા આમ શા સારૂ જુલમ કરતા હશે, ’ એવાં વેણ બહાર પડ્યાં કહેવાય છે. પણ પછી તરત જ ભગવાન ઈશુએ પોતાનું સમતોલપણું સાચવી લીધું અને તેમણે કહ્યું, ‘‘ હે ઈશ્વર, તારી ઈચ્છા પાર પડો. એ લોકોને ક્ષમા કર. પોતે શું કરે છે તેનું એમને ભાન નથી. ’’ ઈશુના આ દાખલામાં ઘણો ઊંડો મર્મ રહેલો છે. દેહથી આત્માને કેટલો અળગો પાડવો જોઈએ તેની એ નિશાની છે. કેટલી મજલ કાપવાની છે અને કેટલી કાપવાનું શક્ય છે એ વાત ઈશુના જીવન પરથી જાણવાની મળે છે. દેહ છોતરાની માફક ખરી પડે ત્યાં સુધી આ મજલ પહોંચી. આત્માને દેહથી અળગો પાડવાનો વિચાર જ્યારે જ્યારે મારા મનમાં આવે છે તે બધે વખતે ઈશુનું જીવન મારી નજર સામે ખડું થાય છે. દેહથી તદ્દન અળગા થઈ ગયાનો, તેનો સંબંધ છૂટી ગયાનો અનુભવ થયાની એ વાત ખ્રિસ્તનું જીવન બરાબર બતાવે છે. 30.
 31. દેહ અને આત્મા એ બેનું પૃથક્કરણ સત્યાસત્યવિવેક વગર થઈ શકે એવું નથી. એ વિવેક, એ જ્ઞાન બરાબર પચવું જોઈએ. જ્ઞાનનો અર્થ આપણે જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી.
Page – 189 – અધ્યાય – ૧૩ – પ્રકરણ – ૭૪  - 
નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના

 મોંમાં બુક્કા મારવાથી ભોજન થતું નથી. મોંમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ, અને ત્યાં તે પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી જાણવાથી કામ સરતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હ્રદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધાંમાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. એથી આ તેરમા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની ઘણી સુંદર વ્યાખ્યા કરી છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણોની માફક આ જ્ઞાનનાં લક્ષણો છે.
नम्रता दंभ-शून्यत्व अहिंसा ऋजुता क्षमा
નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ, ક્ષમા
 વગેરે વીસ ગુણો ભગવાને ગણાવ્યા છે. એ ગુણોને જ્ઞાન કહીને જ ભગવાન અટક્યા નથી. તેમનાથી જે જે કંઈ ઊલટું છે તે બધું અજ્ઞાન છે એમ તેમણે સાફ કહ્યું છે. જ્ઞાનની જે સાદના બતાવી છે તે સાધના જ જ્ઞાન છે. સૉક્રેટિસ કહેતો, ‘ સદગુણને જ હું જ્ઞાન સમજું છું. ’ સાધના અને સાધ્ય બંને એકરૂપ છે.
 32. ગીતામાં ગણાવેલાં આ વીસ સાધનોનાં જ્ઞાનદેવે અઢાર જ કર્યાં છે. જ્ઞાનદેવે એ સાધનોનું ઘણી ઊંડી લાગણીથી વર્ણન કર્યું છે. આ સાધનોના, આ ગુણોના પાંચ જ શ્લોક ભગવદગીતામાં છે. પણ જ્ઞાનદેવે વિસ્તાર કરી એ પાંચ શ્લોકો પર સાતસો ઓવી લખી છે. સદગુણોની ખિલવણી સમાજમાં થાય, સત્યસ્વરૂપ પરમાત્માનો મહિમા સમાજમાં વધે એ બાબતની જ્ઞાનદેવને તાલાવેલી લાગેલી હતી. આ ગુણોનું વર્ણન કરતાં જ્ઞાનદેવે પોતાનો બધો અનુભવ એ ઓવીઓમાં ઠાલવ્યો છે. મરાઠી ભાષા બોલનારા લોકો પર તેમનો એ અનંત ઉપકાર છે. જ્ઞાનદેવના રોમેરોમમાં એ ગુણો ઊંડા ઊતરેલા છે. પાડાને મારેલી ચાબુકના સોળ જ્ઞાનદેવની પીઠ પર દેખાયા હતા. ભૂતમાત્રને માટે તેમની આવી ઊંડી કરૂણા હતી. આવા કારૂણ્યથી ભરેલા હ્રદયમાંથી જ્ઞાનદેવે જ્ઞાને શ્વરી પ્રગટ કરી. એ ગુણનું તેમણે વિવેચન કર્યું. તેમણે લખેલું એ ગુણવર્ણન વાંચવું, તેનું મનન કરવું અને તેને અંતરમાં ઠસાવવું. જ્ઞાનદેવની મીઠી બોલી મને ચાખવાની મળી તે સારૂ હું ધન્યતા અનુભવું છું. જ્ઞાનદેવની મીઠી ભાષા મારા મોંમાં બેસે તેટલા ખાતર મને ફરી જન્મ મળે તોયે હું ધન્યતા અનુભવું. ખેર, ઉત્તરોત્તર વિકાસ કરતાં કરતાં, આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંયે જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડયા રહેવું.

     

અધ્યાય બારમો

June 14, 2008 by kantilal1929

?????? ????? : ????-??????? ?????-??? – ??? <l >

અધ્યાય બારમો

સગુણ-નિર્ગુણ ભક્તિ

Page – 151 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

૫૯. ગંગાનો પ્રવાહ બધે પાવન ને પવિત્ર છે. પણ તેમાંયે હરિદ્વાર, કાશી, પ્રયાગ, એવાં સ્થળો વધારે પવિત્ર છે. તેમણે આખાયે સંસારને પાવન કરેલો છે. ભગવદગીતાની સ્થિતિ એવી જ છે. આરંભથી અંત સુધી ભગવદગીતા આખી પવિત્ર છે. પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. જે અધ્યાયની બાબતમાં આજે કહેવાનું છે તે ખૂબ પાવન તીર્થ બનેલો છે. ખુદ ભગવાને આ અધ્યાયને અમૃતધાર કહ્યો છે : ये तु धर्म्यामृतमिदं यथोकं पर्युपासते — ‘ આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી  જેમ મેં કહ્યું.’ આ નાનકડો વીસ જ શ્લોકનો અધ્યાય છે, પણ ખરેખર અમૃતની ધાર છે. અમૃત જેવો મીઠો છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાનને મોઢે ભક્તિરસના મહિમાનું તત્વ ગવાયેલું છે.    1.
Page – 152 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

2. ખરૂં જોતાં છઠ્ઠા અધ્યાયથી માંડીને ભક્તિરસના તત્વનો પ્રારંભ થયો છે. પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જીવનનું શાસ્ત્ર જોયું. સ્વધર્માચરણનું કર્મ, તેને મદદ કરનારૂં એવું માનસિક સાધનારૂપ વિકર્મ, આ બેની સાધના વડે કર્મને પૂરેપૂરૂં ભસ્મ કરનારી છેવટની અકર્મની ભૂમિકા, આ બધી વાતોનો પહેલા પાંચ અધ્યાય સુધી વિચાર થયો. અહીં જીવનનું શાસ્ત્ર પૂરૂં થયું. પછીથી એક રીતે જોઈએ તો છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાયના છેવટ સુધી ભક્તિતત્વનો જ વિચાર થયો છે. શરૂઆત એકાગ્રતાની વાતથી થઈ. ચિત્તની એકાગ્રતા કેમ થાય, તેનાં સાધનો કયાં, ચિત્તની એકાગ્રતાની આવશ્યક્તા શા માટે છે, એ બધું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતાની વાત કહી. એકાગ્રતાથી માંડીને સમગ્રતા સુધીની આવડી મોટી મજલ આપણે કેમ પૂરી કરી તે જોઈ જવું જોઈએ.
ચિત્તની એકાગ્રતાથી શરૂઆત થઈ. એ એકાગ્રતા થયા પછી માણસ ગમે તે વિષય પર ચર્ચા કરી શકે. મારા મનગમતા વિષયની વાત કરૂં તો ચિત્તની એકાગ્રતાનો ઉપયોગ ગણિતના અભ્યાસને સારૂ થઈ શકે. એમાં રૂડું ફળ મળ્યા વગર નહીં રહે. પણ ચિત્તની એકાગ્રતાનું એ સર્વોત્તમ સાધ્ય નથી. ગણિતના અભ્યાસથી ચિત્તની એકાગ્રતાની પૂરી કસોટી થતી નથી. ગણિતમાં અથવા એવા બીજા એકાદ જ્ઞાનના પ્રાંતમાં ચિત્તની એકાગ્રતાથી સફળતા મળશે, પણ એ તેની ખરી પરીક્ષા નથી. તેથી સાતમા અધ્યાયમાં કહ્યું કે એકાગ્ર થયેલી નજર ઈશ્વરના ચરણ પર રાખવી જોઈએ. આઠમા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વરને ચરણે એકધારી એકાગ્રતા રહે તેટલા ખાતર અને વાણી, કાન, આંખ કાયમ ત્યાં રહે તેટલા ખાતર, મરણ સુધી પ્રયત્ન ચાલુ રાખવા. આપણી બધી ઈન્દ્રિયોને એનો પાકો મહાવરો બેસવો જોઈએ.
पडिलें वळण ईन्द्रियां सकळां । भाव तो निराळा नाहीं दुजा ।।
બધી ઈન્દ્રિયોને પાકું વળણ પડી ગયું અને તે વિના બીજે ભાવ રહ્યો નથી એવું થવું જોઈએ. બધી ઈન્દ્રિયોને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. પાસે કોઈ વિલાપ કરતું હોય અગર ભજન કરતું હોય, કોઈ વાસનાની જાળ ગૂંથતું હોય અગર વિરક્ત એવા સજ્જનોનો, સંતોનો સમાગમ હોય, સૂર્ય હોય કે અંધારૂં હોય, ગમે તે હોય પણ મરણ વખતે ચિત્તની સામે પરમેશ્વર આવીને ખડો રહે એ રીતે આખી જિંદગી બધી ઈન્દ્રિયોને વળણ પાડવું એવી સાતત્યની શીખ આઠમા અધ્યાયમાં આપી છે.
Page – 153 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૯ – સર્વાર્થસાર
અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતા, સાતમામાં ઈશ્વરાભિમુખ એકાગ્રતા એટલે કે પ્રપત્તિ, આઠમામાં સાતત્યયોગ અને નવમામાં સમર્પણતા શીખવી છે. દસમા અધ્યાયમાં ક્રમિકતા બતાવી છે. એક પછી એક પગથિયું ચઢીને ઈશ્વરનું રૂપ ચિત્તમાં કેમ ઊંડું ઉતારવું, કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી સર્વત્ર ભરેલો પરમાત્મા ધીમે ધીમે કેવી રીતે પચાવવો તેની વાત કરી છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતા કહી છે. વિસ્વરૂપદર્શનને જ હું સમગ્રતાયોગ કહું છું. વિશ્વરૂપદર્શન એટલે એકાદ નજીવી ધૂળની રજકણમાં પણ આખું વિશ્વ ભરેલું છે એ વાતનો અનુભવ કરવો તે. એ જ વિરાટ દર્શન છે આવી છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી ભક્તિરસની જુદી જુદી રીતે કરેલી છણાવટ છે.
Page – 153 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ -
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

૬૦. બારમા અધ્યાયમાં ભક્તિતત્વની સમાપ્તિ કરવાની છે. સમાપ્તિનો સવાલ અર્જુને પૂછ્યો. પાંચમા અધ્યાયમાંના જીવનના આખાયે શાસ્ત્રનો વિચાર પૂરો થતાં જેવો સવાલ અર્જુને પૂછ્યો હતો તેવો જ તેણે અહીં પણ પૂછ્યો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ‘ કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તને કયો ભક્ત પ્રિય છે ? ‘    3.
4. ભગવાન શો જવાબ આપે ? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આઘીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય. માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શક્તો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારૂ શૂન્ય જેવો થઈ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે.
Page – 154 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ -
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારૂ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તે આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે તેનું દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને તમે સવાલ પૂછો તો તે શો જવાબ દેશે ? તેને તમે કહો, ‘ હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ. પસંદ કરી લે. ‘ મા શો જવાબ આપશે ? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લાંમાં બંન્ને બેસાડી તે શું તેમને તોળવા બેસશે ? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો. કુદરતી રીતે તે શો જવાબ આપશે ? તે બિચારી મા કહેશે, ‘ વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ. ‘ નાનાને તેણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને ફોડી ફોડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.
5. પેલા સવાલનો જવાબ આપતાં પેલી માને મૂઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે. અર્જુન કહે છે ‘ હે ભગવાન, એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો, તારૂં સતત સ્મરણ કરનારો છે. તેની આંખોને તારી ભૂખ છે, પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે, હાથપગ વડે તે તારી સેવા કરે છે, તારી પૂજા કરે છે; આવો એક આ તારો ભક્ત છે. બીજો સ્વાવલંબી, સતત ઈન્દ્રિયનિગ્રહ કરવાવાળો, સર્વ ભૂતહિતમાં મશગૂલ, રાત ને દહાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારૂં પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી; આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે.
Page – 155 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૦ -
સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

આ બેમાંથી તને કયો પ્રિય છે તે મને કહે.’ પેલી માએ જેવો જવાબ આપ્યો હતો તેવો જ આબેહૂબ જવાબ ભગવાને આપ્યો છે. પેલો સગુણ ભક્ત મને વહાલો છે અને પેલો બીજો પણ મારો જ છે. ભગવાન જવાબ આપતાં મૂંઝાય છે. જવાબ આપવાને ખાતર તેઓ આપી છૂટ્યા છે.
6. અને ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે. અક્ષરશઃ બંને ભકતો એકરૂપ છે. બંન્ની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. પાંચમા અધ્યાયમાં કર્મની બાબતમાં જે અર્જુનનો સવાલ છે તે જ અહીં ભક્તિની બાબતમાં તેણે પૂછ્યો છે. પાંચમા અધ્યાયમાં કર્મ અને વિકર્મ બંનેની સહાયથી માણસ અકર્મની ભૂમિકાએ પહોંચે છે. એ અકર્મ દશા બે રૂપે પ્રગટ થાય છે. એક રાત ને દિવસ અખંડ કામ કરતો છતો લેશમાત્ર કર્મ ન કરનારો એવો કર્મયોગી અને બીજો ચોવીસ કલાકમાં એક પણ કર્મ ન કરતો છતો આખા વિશ્વની ઊથલપાથલ કરનારો એવો સંન્યાસી, એમ બે રૂપે અકર્મદશા પ્રગટ થાય છે. એ બેની તુલના કેવી રીતે કરવી ? વર્તુળની એક બાજુ સાથે બીજીની સરખામણી કરી જુઓ. બંને એક જ વર્તુળની બાજુ છે. એની તુલના કેવી રીતે થાય ? બંને બાજુ સરખી લાયકાતવાળી છે, એકરૂપ છે. અકર્મ ભૂમિકાના વિવેચનમાં ભગવાને એકને સંન્યાસ અને બીજાને યોગ નામ આપ્યું છે. શબ્દ બે છે પણ બંનેનો અર્થ એક જ છે. સંન્યાસ અને યોગ એ બે વચ્ચેનો સવાલ આખરે સહેલાપણાના મુદ્દા પર ઉકેલ્યો છે.
7. સગુણ – નિર્ગુણનો સવાલ પણ એવો જ છે. એક જે સગુણભક્ત છે તે ઈન્દ્રિયો દ્વારા પરમેશ્વરની સેવા કરે છે. બીજો જે નિર્ગુણભક્ત છે તે મનથી વિશ્વનું  હિત ચિંતે છે. પહેલો છે તે બહારની સેવામાં મશગૂલ દેખાય છે પણ અંદરથી એકસરખું ચિંતન કરે છે. બીજો છે તે પ્રત્યક્ષ કંઈ સેવા કરતો દેખાતો નથી પણ અંદરથી મહાસેવા કાયમ ચાલુ રાખે છે. આ પ્રકારના બે ભક્તોમાંથી ચડિયાતો કયો ? રાત ને દિવસ કર્મ કરતો હોવા છતાં પણ લેશમાત્ર કર્મ ન કરનારો તે સગુણ ભક્ત છે. નિર્ગુણ ઉપાસક અંદરથી સર્વના હિતનું ચિંતન કરે છે, સર્વના હિતની ફિકર રાખે છે. આ બંને ભક્તો અંદરથી એકરૂપ જ છે. બહારથી કદાચ જુદા દેખાતા હોય એમ બને. તે બંને સરખા છે. પરમેશ્વરના લાડકા છે. પણ સગુણભક્તિ વધારે સુલભ છે. જે જવાબ પાંચમા અધ્યાયમાં આપ્યો છે તે જ અહીં પણ આપ્યો છે.
Page – 156 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

૬૧. સગુણ ભક્તિયોગમાં ઈન્દ્રિયો પાસેથી પ્રત્યક્ષ કામ લઈ શકાય છે. ઈન્દ્રિય સાધન છે, વિઘ્નો છે અથવા ઉભયરૂપ છે, તે મારનારી છે કે તારનારી છે તે જોનારની દ્રષ્ટિ પર અવલંબે છે. ધારો કે કોઈક માણસની મા મરણપથારીએ પડી છે અને તેને માને મળવા જવું છે. વચ્ચે પંદર માઈલનો રસ્તો છે. એ રસ્તો મોટર જાય એવો નથી. ગમે તેવી ભાંગીતૂટી પગદંડી છે. આવે વખતે આ પગદંડી સાધન છે કે વિઘ્ન છે ? કોઈ કહેશે, ‘ શા સારૂ આ ભૂંડો રસ્તો આડો આવ્યો ? આ અંતર ને આવો રસ્તો ન હોત તો તાબડતોબ માને જઈને મળ્યો હોત. ‘ એવા માણસને માટે તે રસ્તો દુશ્મન છે. રસ્તો ખૂંદતો ખૂંદતો તે જાય છે. તેને રસ્તા પર ગુસ્સો ચડ્યો છે. છતાં ગમે તેમ તોયે માને મળવાને ઝટ ઝટ પગ ઉપાડી તેને મા પાસે પહોંચ્યા વગર છૂટકો નથી. રસ્તો દુશ્મન છે એમ કહી તે ત્યાં જ માથે હાથ દઈને બેસી જાય તો દુશ્મન જેવો લાગનારો તે રસ્તો તેને જીતી ગયો જાણવો. ઝટ ઝટ ચાલવામાં તે મંડ્યો રહેશે તો એ દુશ્મનને તે જીતી જશે. બીજો માણસ કહેશે, ‘ આ જંગલ છે. પણ ચાલીને જવાને આટલોયે રસ્તો છે. આ રસ્તો છે તે ઘણું છે.  મને માની પાસે પહોંચાડશે. આ રસ્તો ન હોત તો હું આ વગડામાંથી શી રીતે આગળ જાત ? ‘ આવુ કહી એ પગદંડીને સાધન ગણી તે ઝટ ઝટ પગ ઉપાડતો ચાલ્યો જાય છે. તે રસ્તાને માટે તેના મનમાં પ્રેમની લાગણી થશે, તેને તે પોતાનો મિત્ર માનશે. રસ્તાને દુશ્મન ગણો કે દોસ્ત ગણો, અંતર વધારનારો ગણો કે અંતર ઘટાડનારો ગણો, ઝટ ઝટ પગ ઉપાડવાનું કામ કર્યા વગર છૂટકો નથી. રસ્તો વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે માણસના ચિત્તની જે ભૂમિકા, તેની જે દ્રષ્ટિ તના પર આધાર રાખે છે. ઈન્દ્રિયોનું એવું જ છે. તે વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે તમારી દ્રષ્ટિ પર આધાર રાખે છે.     8.
Page – 157 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

9. સગુણ ઉપાસકને સારૂ ઈન્દ્રિયો સાધનરૂપ છે. ઈન્દ્રિયો  ફૂલ છે. તે ફૂલ પરમાત્માને ચડાવવાનાં છે. આંખોથી હરિરૂપ જોવું, કાનોથી હરિકથા સાંભળવી, જીભથી નામ ઉચ્ચારવું, પગ વડે તીર્થયાત્રા કરવી, અને હાથ વડે સેવા-પૂજા કરવી. આમ તે બધી ઈન્દ્રિયો પરમેશ્વરને ચડાવે છે. પછી તે ઈન્દ્રિયો ભોગને માટે રહેતી નથી. ફૂલ દેવને ચડાવવાને માટે હોય છે. ફૂલની માળા પોતાના ગળામાં પહેરવાની હોતી નથી. તે જ પ્રમાણે ઈન્દ્રિયોનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવાનો છે. આ છે સગુણોપાસકની દ્રષ્ટિ. પણ નિર્ગુણોપાસકને ઈન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. તે તેમને સંયમમાં રાખે છે, પૂરી રાખે છે. ઈન્દ્રિયોનો આહાર તે તોડી નાખે છે. ઈન્દ્રિયો પર તે ચોકી રાખે છે. સગુણોપાસકને એવું કરવું પડતું નથી. તે બધી ઈન્દ્રિયોને હરિચરણે અર્પણ કરે છે. બંને રીત ઈન્દ્રિયનિગ્રહની છે. ઈન્દ્રિયદમનના એ બંને પ્રકાર છે. ગમે તેમ માનો પણ ઈન્દ્રિયોને તાબામાં રાખો. ધ્યેય એક જ છે. તેમને વિષયોમાં ભટકવા દેવી નહીં. એક રીત સુલભ છે. બીજી કઠણ છે.
10. નિર્ગુણ ઉપાસક સર્વભૂતરહિત હોય છે. એ વાત સામાન્ય નથી. આખાયે વિશ્વનું કલ્યાણ કરવાની વાત બોલવામાં સહેલી દેખાય છે, પણ કરવી ઘણી કઠણ છે. જેને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા છે, તેનાથી તેના ચિંતન સિવાય બીજું કશું થઈ નહીં શકે. તેથી નિર્ગુણ ઉપાસના અઘરી છે. સગુણ ઉપાસના અનેક રીતે પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ કરી શકે. જ્યાં આપણો જન્મ થયો હોય તે નાનકડા ગામની સેવા કરવી અથવા માબાપની સેવા કરવી એ સગુણ પૂજા છે. એ તમારી સેવા આખા જગતના હિતથી વિરોદી ન હોય એટલે થયું. ગમે તેટલા નાના પ્રમાણમાં સેવા કરો અને તે બીજાના હિતની આડે આવતી ન હોય તો અવશ્ય ભક્તિને દરજ્જે પહોંચે છે. એમ નહીં હોય તો તે સેવા આસક્તિ થાય. મા, બાપ, આપણા મિત્રો, આપણા દુઃખી બંધુઓ, સંતો એ બધાંને પરમેશ્વર માનીને એમની સેવા કરવાની છે. એ બધે ઠેકાણે પરમેશ્વરની મૂર્તિની કલ્પના કરવાની છે અને તેમાં સંતોષ માનવાનો છે. આ સગુણપૂજા સહેલી છે, નિર્ગુણપૂજા અઘરી છે. બાકી બંનેનો અર્થ એક જ છે. સૌલભ્યથી, સહેજે થઈ શકે એ દ્રષ્ટિથી સગુણ શ્રેયસ્કર છે એટલું જ.
Page – 158 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૧ – સગુણ સહેલું ને સલામત

11. સુલભતાનો એક મુદ્દો થયો. એવો જ બીજો પણ એક મુદ્દો છે. નિર્ગુણમાં જોખમ છે. નિર્ગુણ જ્ઞાનમય છે. સગુણ પ્રેમમય, ભાવનામય છે. સગુણમાં લાગણીની ભીનાશ છે. તેમાં ભક્ત વધારે સલામત છે. નિર્ગુણમાં જરા જોખમ છે. એક વખત એવો હતો કે જ્યારે જ્ઞાન પર મારો ખૂબ મદાર હતો. પણ કેવળ જ્ઞાનથી મારૂં કામ પાર પડે એવું નથી એવો મને અનુભવ થયો છે. જ્ઞાન વડે મનના સ્થૂળ મળ બળીને ખાક થઈ જાય છે. પણ મનના સૂક્ષ્મ મળને ધોવાનું સામર્થ્ય તેમાં નથી. સ્વાવલંબન, વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય, એ બધાંયે સાધનો લઈએ તો પણ તેમનાથી મનના સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. ભક્તિના પાણી વગર એ મળ ધોવાતા નથી. ભક્તિના પાણીમાં એ શક્તિ છે. આને જોઈએ તો તમે પરાવલંબન કહો. પણ परनुं એટલે पारकानुं એવો અર્થ ન કરતાં ते श्रेष्ठ परमात्मानुं અવલંબન એવો અર્થ કરો. પરમાત્માનો આધાર લીધા વગર ચિત્તના મળનો નાશ થતો નથી.
12. કોઈ કહેશે, ‘ અહીં જ્ઞાન શબ્દનો અર્થ ઓછો કર્યો છે; જ્ઞાનથી જો ચિત્તના મળ ન ધોવાતા  હોય તો જ્ઞાન ઓછા દરજ્જાનું છે એવું સાબિત થાય છે. ‘ આ આક્ષેપ હું સ્વીકારૂં છું. પણ મારૂં કહેવું એવું છે કે આ માટીના પૂતળામાં શુદ્ધ જ્ઞાન થવું કઠણ છે. આ દેહમાં રહીને ઉત્પન્ન થયેલું જ્ઞાન ગમે તેવું શુદ્ધરૂપ હશે તોયે તે અસલ કરતાં થોડું ઓછું જ ઊતરવાનું. આ દેહમાં ઉત્પન્ન થનારા જ્ઞાનની શક્તિ મર્યાદિત હોય છે. શુદ્ધ જ્ઞાન નિર્માણ થાય તો તે ચિત્તના બધાયે મળને બાળીને ખાક કર્યા વગર ન રહે એમાં મને જરાયે શક નથી. ચિત્ત સમેત બધાયે મળને બાળી નાખવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે. પણ આ વિકારી દેહમાં જ્ઞાનનું બળ ટૂંકું પડે છે. તેથી તેનાથી સૂક્ષ્મ મળ ધોવાતા નથી. ભક્તિનો આસરો લીધા સિવાય સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. એથી ભક્તિમાં માણસ વધારે સલામત છે. वधारे એ મારો પોતાનો ગાઠનો શબ્દ છે એમ ગણજો. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે. નિર્ગુણમાં સ્વવલંબન છે. એમાંના स्वનો અર્થ પણ આખરે શો છે ? સ્વાવલંબન એટલે પોતાના અંતઃકરણમાંના પરમેશ્વરનું અવલંબન એટલે કે પરમેશ્વરનો આધાર એ જ ત્યાં પણ અર્થ છે. કેવળ બુદ્ધિને આધારે શુદ્ધ થયેલો એવો કોઈ મળશે નહીં. સ્વાવલંબનથી એટલે કે અંતઃકરણમાંના આત્મજ્ઞાનથી શુદ્ધ જ્ઞાન મળશે. સારાંશ કે નિર્ગુણ ભક્તિના સ્વવલંબનમાં પણ આત્મા એ જ આધાર છે.
Page-159-અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

૬૨. સગુણ ઉપાસનાના પલ્લામાં સહેલાપણું અને સલામતી એ બે વજન મેં મૂક્યાં તેવી જ રીતે નિર્ગુણના પલ્લામાં પણ બીજાં વજન હું મૂકી શકું એમ છું. નિર્ગુણમાં મર્યાદા જળવાય છે. દાખલા તરીકે જુદાં જુદાં કામો કરવાને મટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે તે શરૂઆતમાં વ્યક્તિને લીધે થાય છે. તે વ્યક્તિતેનો મુખ્ય આધાર હોય છે. સંસ્થા શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારૂં ફેલાય છે. મને ગમતો દાખલો આપું. રેંટિયાની માળ તૂટી જતાંની સાથે કાતવાની વાત તો આઘી રહી, કંતાયેલું સૂતર વીંટવાનું પણ બની શકતું નથી. તેવી જ પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.    13.
14. સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી, આકારમાંથી બહાર નીકળવાનું, છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી, શંકરના જટાજૂટમાંથી નીકળી, પણ ત્યાં જ રહી નથી. એ જટાજૂટ છોડી, હિમાલયનાં પેલાં ખીણો ને કોતરો છોડી, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાનો હોય છે.
Page-160-અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી ફૂટ્યો એ સાચું; પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.
15. બુદ્ધદેવે આ વાત બરાબર ઓળખી હતી. તેથી તેમણે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી છે. શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠા હોય તો પણ તેમાંથી તત્વનિષ્ઠા અને એકદમ તત્વનિષ્ઠા નહીં તોયે ઓછામાં ઓછી સંઘનિષ્ઠા કેળવાવી જોઈએ. એક વ્યક્તિને માટે જે અંદરની લાગણી હતી તે દસપંદર વ્યક્તિઓને માટે થવી જોઈએ. સંઘને માટે સામુદાયિક પ્રેમ નહીં હોય તો અંદરઅંદર અણબનાવ થશે અને પછી ટંટા જાગશે. વ્યક્તિશરણતા છૂટી જવી જોઈએ ને તેને ઠેકાણે સંઘશરણતા નિર્માણ થવી જોઈએ, અને તે પછી સિદ્ધાંતશરણતા આવવી જોઈએ. તેથી બૌદ્ધોમાં बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि – બુદ્ધને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું એવી ત્રણ પ્રકારની શરણઆગતિ કહી છે. પહેલાં વ્યક્તિને માટે પ્રેમ, પછી સંઘને માટે પ્રેમ. એ બંને નિષ્ઠા પણ જો કે આખરે ડગી જનારી છે. છેવટે સિદ્ધાંતનિષ્ઠા પેદા થાય તો જ સંસ્થા લાભદાયી થાય. પ્રેરણાનું ઝરણું સગુણમાંથી નિર્માણ થાય પણ છેવટે તે નિર્ગુણના સાગરમાં જઈને મળવું જોઈએ. નિર્ગુણને અભાવે સગુણ સદોષ થાય છે, નિર્ગુણ વગર સગુણમાં ખામી પેસી જાય છે. નિર્ગુણની મર્યાદા સગુણને સમતોલ રાખે છે અને તે માટે સગુણ નિર્ગુણનું આભારી છે.
16. હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે બધાયે ધર્મોમાં કોઈને કોઈ પ્રકારની મૂર્તિપૂજા છે. મૂર્તિપૂજા ઊતરતા દરજ્જાની ગણાય તો પણ તે માન્ય થયેલી છે, શ્રેષ્ઠ છે. જ્યાં લગી મુર્તિપૂજાને નિર્ગુણની મર્યાદા હોય છે ત્યાં લગી તે નિર્દોષ રહે છે. પણ એ મર્યાદા છૂટી જતાંની સાથે સગુણ સદોષ થાય છે. બધા ધર્મોમાંનું સગુણ, નિર્ગુણની મર્યાદાને અભાવે અવનત દશાએ પહોંચ્યું છે. પહેલાં યજ્ઞયાગમાં જાનવરોની હત્યા થતી. આજે પણ શક્તિદેવીને ભોગ ધરાય છે. મૂર્તિપૂજાનો આ અત્યાચાર થયો. મર્યાદા છોડી મૂર્તિપૂજા આડે રસ્તે ચડી ગઈ. નિર્ગુણનિષ્ઠાની મર્યાદા હોય તો આ ધાસ્તી રહેતી નથી.
Page – 161 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

૬૩. સગુણ સુલભ અને સલામત છે. પણ સગુણને નિર્ગુણની જરૂર છે. સગુણ જોમથી વધતું જાય તેની સાથે તેને નિર્ગુણનો, તત્વનિષ્ઠાનાં ફૂલનો ગુચ્છો ફૂટવો જોઈએ. નિર્ગુણ અને સગુણ એકબીજાનાં પૂરક છે. એકબીજાનાં વિરોધી નથી. સગુણમાંથી શરૂ કરીને તેની મારફતે નિર્ગુણ સુધીના મુકામ પર પહોંચવું જોઈએ અને ચિત્તના સૂક્ષ્મ મળ ધોવાને પણ સગુણની ભીનાશ જોઈએ. બંનેને એકબીજાથી શોભા મળે છે.    17.
18. આ બંને પ્રકારની ભક્તિ રામાયણમાં બહુ સુંદર રીતે બતાવી છે. અયોધ્યા-કાંડમાં ભક્તિના એ બંને પ્રકાર જોવાના મળે છે. અને એ જ બે ભક્તિનો આગળ ઉપર રામાયણમાં વિસ્તાર કરેલો છે. પહેલો પ્રકાર ભરતની ભક્તિનો અને બીજો લક્ષ્મણની ભક્તિનો છે. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એ બંનેનું સ્વરૂપ આ દાખલાઓ પરથી બરાબર સમજાશે.
19. રામ વનમાં જવાને નીકળ્યા ત્યારે લક્ષ્મણને સાથે લઈ જવાને તૈયાર નહોતા. રામને લાગ્યું કે લક્ષ્મણને સાથે લઈ જવાનું કંઈ કારણ નથી. તેમણે લક્ષ્મણને કહ્યું, ‘ લક્ષ્મણ, હું વનમાં જાઉં છું. મને પિતાની આજ્ઞા થઈ છે. તું અહીં ઘરે રહી જા. મારી સાથે આવી આપણાં દુઃખી માતાપિતાને વધારે દુઃખી કરીશ મા. મા-બાપની અને પ્રજાની સેવા કરજે. તું તેમની પાસે હશે તો પછી મને ફિકર નહીં થાય. મારો પ્રતિનિધિ થઈને તું રહે. હું વનમાં જાઉં છું તે કંઈ સંકટમાં જતો નથી. હું ઋષિઓના આશ્રમમાં જાઉં છું. આમ રામચંદ્ર લક્ષ્મણને સમજાવતા હતા. પણ લક્ષ્મણે રામની બધી વાત એકી તડાકે, એક જ બોલથી વાળી કાઢી; એક ઘા ને બે કટકા કર્યા. તુલસીદાસે આ ચિત્ર ખૂબ મજાનું રંગ્યું છે. લક્ષ્મણે કહ્યું, ‘ તમે મને ઉત્તમ પ્રકારની નિગમનીતિનો ઉપદેશ કરો છો. ખરૂં જોતાં એ નીતિ મારે પાળવી જોઈએ. પણ મારાથી રાજનીતિનો આ બધો ભાર સહેવાશે નહીં. તમારા પ્રતિનિધિ થવાનું બળ મારામાં નથી. હું તો નાદાન બાળક છું. ‘
Page – 162 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

दीन्हि मोहि सिख नीकि गुसांई । लागि अगम अपनी कदराई
नरवर धीर धरमधुरधारी । निगम-नीतिके ते अधिकारी
मैं शिशु प्रभुसनेह प्रतिपाला । मंदरमेरू कि लेहिं मराला ।।
” હંસ પક્ષી મેરૂમંદરનો ભાર ઊંચકી શકશે કે ? રામચંદ્ર, હું તમારા પ્રેમ પર પોસાયો છું. તમારી આ રાજનીતિ બીજાને બતાવો. હું નાનું બાળક છું. ” આમ કહીને લક્ષ્મણે તે આખી વાત એકી તડાકે ઉડાવી દીધી.
20. માછલી જેમ પાણીથી અળગી રહી શક્તી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમેરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી લે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, ટટાર ઊભી રહેનારી ઝંડાની કાંઠીની વાત કોઈ કરે છે કે? રામના યશની એ પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડાની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારૂ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે, કદી વાંકો વળ્યો નથી. યશ કોનો ? તો કે રામનો. દુનિયાની પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહીરામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખ, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગી હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની સગુણ-ભક્તિ હતી.
Page – 163 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

21. ભરત નિર્ગુણ-ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું રંગ્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠગુરૂ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, ‘ મારે રામને મળવું જોઈએ. ‘ રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું છે અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું જોઈએ; નહીં તો તે ભક્તિ શા કામની ? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. ‘ હે રામ, તમારૂં આ રાજ્ય છે. તમે… ‘ એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, ‘ ભરત, તું જ રાજ ચલાવ ‘. ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે છે, ‘ તમારી આજ્ઞા મને પ્રમાણ છે. ‘ રામ કહે તે પ્રમાણ. તેણે બધું જ રામને સોંપી દીધું હતું.
22. પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજા જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડી ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું, બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી, એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. મ ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો. એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાંસગુણ-ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.
Page – 164 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬3 -
બંને એકબીજાનાં પૂરક – રામચરિત્રમાંથી દાખલો

23. ‘ રામનું નામ, રામની ભક્તિ, રામની ઉપાસના, એ બધું અમે કંઈ ન સમજીએ; અમે તો ઈશ્વરનું કામ કરીશું; ‘ એમ આજકાલના જુવાન કહે છે. ઈશ્વરનુંકામ કેમ કરવું તે ભરત બતાવે છે. ઈશ્વરનું કામ કરીને ભરતે વિયોગ બરાબર મનમાં સમાવી દીધો છે.ભગવાનનું કામ કરતાં કરતાં તેના વિયોગનું ભાન થાય એટલો વખત પણ ન મળે એ વાત જુદી છે ને ભગવાન શું છે ને કોણ છે તેની જેને જાણ સરખી નથી, તેનું બોલવાનું જુદું છે. ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. ‘ હે રામ, તમારો શબ્દ મને પ્રમાણ છે. તમે જે કહેશો તેમાં મને જરાયે શંકા નથી, ‘ આમ કહીને ભરત અયોધ્યા જવાને નીકળ્યો તો પણ તે જરા આગળ જઈને પાછો ફર્યો અને રામને કહેવા લાગ્યો, ‘ રામ, સમાધાન થતું નથી. મનમાં કંઈક ગડમથલ થયા કરે છે. ‘ રામ સમજી ગયા અને તેમણે કહ્યું, ‘ આ પાદુકા લઈ જા. ‘ આમ સગુણ માટેનો આદર આખરે તો રહ્યો જ. નિર્ગુણને સગુણે છેવટે પલાળ્યું તો ખરૂં જ. લક્ષ્મણને પેલી પાદુકાથી સમાધાન થયું ન હોત. તેની નજરે તે દૂધની ભૂખ છાશથી ભાંગવા જેવું થાત. ભરતની ભૂમિકા જુદી હતી. બહારથી તે દૂર રહીને કર્મ કરતો દેખાતો હતો પણ મનથી રામમય હતો. ભરત કર્તવ્ય બજાવવામાં રામભક્તિ માનતો હતો, તો પણ પાદુકાની જરૂર તેને લાગ્યા વગર ન રહી. એ પાદુકા વગર તે રાજકારભારનું ગાડું હાંકી શક્યો ન હોત. પેલી પાદુકાની આજ્ઞા સમજીને તે પોતાની ફરજ અદા કરતો રહ્યો. લક્ષ્મણ જેવો રામનો ભક્ત છે તેવો જ ભરત પણ છે. બંનેની ભૂમિકા બહારથી, દેખાવમાં જુદી છે. ભરત કર્તવ્યનિષ્ઠ હતો, તત્વનિષ્ઠ હતો, છતાં તેની તત્વનિષ્ઠાને પણ પાદુકાની ભીનાશની જરૂર લાગી હતી.
Page – 165 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૪ -
બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો

૬૪. હરિભક્તિની લાગણીની ભીનાશ અવશ્ય જરૂરી છે. તેટલા ખાતર અર્જુનને પણ मय्यासक्तमनाः पार्थ – અર્જુન મારામાં આસક્ત રહે, મારે માટે ભાવભીનો રહે, અને પછી કર્મ કર એમ ભગવાને ફરી ફરીને કહ્યું છે. જે ભગવદગીતાને આસક્તિ શબ્દ સૂઝતો નથી, રૂચતો નથી; જે ભગવદગીતામાં અનાસક્ત રહીને કર્મ કર, રાગદ્વેષ છોડીને કર્મ કર, નિરપેક્ષ કર્મ કર એમ ફરી ફરીને કહેવામાં આવ્યું છે; અનાસક્તિ, નિઃસંગપણું, એ જેનું ધ્રુપદ તેમ જ પાલુપદ એકસરખું બોલાયા કરે છે; તે ભગવદગીતા પણ કહે છે કે, ‘ અર્જુન, મારી આસક્તિ રાખ. ‘ પણ અહીં કદી ન વિસરાવું જોઈએ કે ભગવાન પરની આસક્તિ બહુ ઊંચી વસ્તુ છે. એ આસક્તિ કોઈક પાર્થિવ વસ્તુ માટેની થોડી જ છે ? સગુણ અને નિર્ગુણ બંને એકબીજામાં ગૂંથાઈ રહેલાં છે. સગુણ ને નિર્ગુણનો આધાર સમૂળગો તોડી નાખવાનું પરવડે એવું નથી અને નિર્ગુણને સગુણમાં રહેલી હ્રદયમાં રહેલી ભીનાશની જરૂર છે. હરહમેશ કર્તવ્યકર્મ કરવાવાળો કર્મરૂપે પૂજા જ કરે છે. પણ પૂજાની સાથે લાગણીની ભીનાશ જોઈએ. मामनुस्मर युध्य च  – મારૂં સ્મરણ રાખીને કર્મ કર. કર્મ પોતે એક પૂજા છે. પણ અંતરંગમાં ભાવના જીવંત હોવી જોઈએ. ખાલી ફૂલ માથે ચડાવ્યાં એ કંઈ પૂજા નથી. તે ભાવના જોઈએ. માથે ફૂલ ચડાવવાં એ પૂજાનો એક અને સત્કર્મો વડે પૂજા કરવી એ બીજો પ્રકાર છે. પણ બંનેમાં ભાવની ભીનાશ જોઈએ. ફૂલ ચડાવીએ છતાં ભાવ ન હોય તો તે પથ્થર પર ફેંકી દીધાં જાણવાં. એટલે આ સવાલ ભાવનાનો છે. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બંનેનો અંતિમ અનુભવ એક જ છે.     24.
25. અર્જુન અને ઉદ્ધવ એ બંનેની વાત જુઓ. રામાયણ પરથી કૂદકો મારીને હું મહાભારત પર ચાલ્યો. પણ એવા કૂદકો મારવાનો મને અધિકાર છે. કારણ રામ અને કૃષ્ણ બંને એકરૂપ છે. જેવી ભરત અને લક્ષ્મણની જોડી છે તેવી જ ઉદ્ધવ ને અર્જુનની છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં ઉદ્ધવ હોય જ. ઉદ્ધવથી કૃષ્ણનો વિયોગ ક્ષણભર પણ સહન ન થાય. હંમેશ તે કૃષ્ણની પાસે રહે ને સેવા કરે. કૃષ્ણ વગરનો આખો સંસાર તેને ફીકો લાગે છે. અર્જુન પણ કૃષ્ણનો સખા, મિત્ર હતો. પણ તે આઘે દિલ્હીમાં રહેતો. અર્જુન કૃષ્ણનું કામ કરવાવાળો હતો પણ કૃષ્ણ દ્વારકામાં તો અર્જુન હસ્તિનાપુરમાં એવું બંનેનું ચાલતું હતું.
Page – 166 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૪ -
બંને એકબીજાનાં પૂરક – કૃષ્ણચરિત્રમાંથી દાખલો

26. ભગવાનને જ્યારે દેહ છોડવાની જરૂર જણાઈ ત્યારે તેમણે ઉદ્ધવને બોલાવીને કહ્યું, ‘ ઉદ્ધવ, હવે હું જાઉં છું. ‘ ઉદ્ધવે કહ્યું, ‘ મને સાથે કેમ નથી લઈ જતા ? આપણે સાથે જ જઈએ ! ‘ પણ ભગવાને કહ્યું, ‘ એ મને પસંદ નથી. સૂર્ય પોતાનું તેજ અગ્નિમાં મૂકીને જાય છે તેમ મારી જ્યોત તારામાં મૂકીને હું જવાનો છું. ‘ આવી છેવટની સોંપણનોંધણ કરૂ કૃષ્ણે જ્ઞાન આપીને ઉદ્ધવને વિદાય કર્યો. પાછળથી મુસાફરીમાં મૈત્રેય ઋષિ તરફથી ઉદ્ધવને ખબર પડી કે ભગવાન નિજધામ પધાર્યા છે. એ ખબરની તેના મન પર જરા સરખી અસર ન થઈ. કેમ જાણે કશું જ બન્યું નથી ! – मरका गुरू, रडका चेला, दोहींचा बोध वाया गेला – ગુરૂ મૂઓ ને ચેલો રડ્યો બંનેનો બોધ ફોગટ ગયો, એવું આ નહોતું. જાણે કે વિયોગ થયો જ નથી ! ઉદ્ધવે જન્મભર સગુણ ઉપાસના કરી હતી; તે પરમેશ્વરની નજીક હતો. હવે તેને નિર્ગુણમાં આનંદ લાગવા માંડ્યો. નિર્ગુણ સુધી તેને પહોંચવું પડ્યું. સગુણ પહેલાં પણ નિર્ગુણ તેની પાછળ આવવું જ જોઈએ. એ વગર પરિપૂર્ણતા નથી.
27. અર્જુનનું આથી ઊલટું થયું. કૃષ્ણે તેને શું કરવાનું કહ્યું હતું ? પોતાની પાચળ બધી સ્ત્રીઓના સંરક્ષણનું કામ તેમણે અર્જુનને ભાળવ્યું હતું. અર્જુન દિલ્હીથી આવ્યો અને દ્વારકાથી શ્રીકૃષ્ણની ઘરની સ્ત્રીઓને લઈને નીકળ્યો. રસ્તામાં હિસાર પાસે પંજાબમાંના ચોરોએ તેને લૂંટી લીધો. તે જમાનામાં જે એકમાત્ર નર તરીકે, સર્વોત્તમ વીર તરીકે પ્રસિદ્ધ હતો; પરાજય શું તે જાણતો ન હોવાથી જેની ‘ જય ‘ નામથી ખ્યાતિ ચાલતી હતી; ખુદ શંકર સાથે ટક્કર લઈ જેણે તેમને પણ નમાવ્યા હતા; એવા એ અર્જુનને અજમેર પાસે નાસતાં નાસતાં ભોય ભારે પડી ને તે માંડ બચી ગયો. કૃષ્ણ જતા રહ્યા તેની તેના મન પર બહુ મોટી અસર થઈ હતી. જાણે તેનામાંથી જીવ નીકળી ગયો હતો ને તેનું નિસ્ત્રાણ ને નિષ્પ્રાણ ખોળિયું માત્ર રહી ગયું હતું. સારાંશ કે, સદોદિત કર્મ કરનારા, કૃષ્ણથી દૂર રહેનારા નિર્ગુણ ઉપાસક અર્જુનને વિયોગ છેવટે ખૂબ વરતાયો. તેનું નિર્ગુણ આખરે નકામું ગયું. તેનું બધું કર્મ જાણે કે પૂરૂં થયું. તેના નિર્ગુણને છેવટે સગુણનો અનુભવ થયો. ટૂંકમાં સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે.
Page – 167 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬૫ -
સગુણ – નિર્ગુણ એકરૂપ : સ્વાનુભવકથન

૬૫. એટલે સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક બંને વચ્ચે ફેર શો છે તે કહેવા જઈએ તો ભાષા કુંઠિત થઈ જાય છે. સગુણ અને નિર્ગુણ છેવટે એક ઠેકાણે ભેગાં થાય છે. ભક્તિનું ઝરણું શરૂઆતમાં સગુણમાંથી ફૂટે છે તોયે તે નિર્ગુણ સુધી પહોંચી તેને મળે છે. પહેલાં હું વાયકમનો સત્યાગ્રહ જોવાને ગયો હતો. મલબારના કિનારા પર શંકરાચાર્યનું જન્મસ્થાન છે એ ભૂગોળમાંથી જાણીને મેં યાદ રાખ્યું હતું. હું જતો હતો ત્યાંથી નજીક જ પેલું ભગવાન શંકરાચાર્યનું કાલડી ગામ હશે એમ મને લાગ્યું અને તેથી એ વિષે મારા સાથી મલયાળી ગૃહસ્થને મેં પૂછ્યું. તેમણે જવાબ આપતાં કહ્યું, ‘ તે ગામ અહીંથી દસબાર માઈલ પર જ છે. તમારે ત્યાં જવું છે ? ‘ મેં ના પાડી. હું સત્યાગ્રહ જોવાને ત્યાં ગયો હતો. તેથી રસ્તે બીજે ક્યાંક જવાને ફંટાવાનું મને ઠીક ન લાગ્યું અને તે વખતે તે ગામ જોવાને હું ન ગયો. એ મેં બરાબર કર્યું હતું વું હજી મને લાગે છે. પણ રાત્રે ઊંઘવાને આડો પડું એટલે તે કાલડી ગામ અને શંકરાચાર્યની મૂર્તિ મારી નજર સામે આવીને ઊભાં રહે. મને ઊંઘ ન આવે. એ અનુભવ મને હજી કાલે થયો હોય તેવો તાજો લાગે છે. શંકરાચાર્યના જ્ઞાનનો પ્રભાવ, તેમની દિવ્ય અદ્વૈતનિષ્ઠા, સામે ફેલાયેલી દુનિયાને રદ્દી, નકામી સાબિત કરી આપનારૂં તેમનું અલૌકિક અને ધગધગતું વૈરાગ્ય, તેમની ગંભીર ભાષા, અને મારા પર થયેલા તેમના અનંત ઉપકાર, એ બધી વાતના ખ્યાલ મારા મનમાં ઊભરાતા. રાત્રે એ બધા ભાવ પ્રગટ થાય. પ્રત્યક્ષ મુલાકાતમાં પણ એટલો પ્રેમ નથી. નિર્ગુણમાં પણ સગુણનો પરમોત્કર્ષ ઠાંસીને ભરેલો છે. હું કુશળ સમાચારના કાગળો વગેરે ઝાઝા લખતો નથી. પણ એકાદ મિત્રને પત્ર ન લખાય તો અંદરથી આખો વખત તેનું સ્મરણ થયા કરે છે. પત્ર ન લખવા છતાં મનમાં યાદ ભરપૂર રહે છે. નિર્ગુણમાં આ પ્રમાણે સગુણ છુપાયેલું હોય છે. સગુણ અને નિર્ગુણ બંને એકરૂપ જ છે. પ્રત્યક્ષ મૂર્તિ લઈ તેની પૂજા કરવી, પ્રગટ સેવા કરવી, અને અંદરથી એકસરખું જગતના કલ્યાણનું ચિંતન ચાલતું હોવા છતાં બહાર પૂજા ન દેખાય એ બંને વસ્તુ સરખી કિંમતની ને સરખી લાયકાતવાળી છે.     28.
Page – 168 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬ ૬ -
સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં

૬૬. છેવટે મારે વળી કહેવાનું છે કે સગુણ કયું અને નિર્ગુણ કયું એ ચોક્કસ નક્કી કરવું પણ સહેલું નથી. એક દ્રષ્ટિથી જે સગુણ છે તે બીજી દ્રષ્ટિથી નિર્ગુણ સાબિત થઈ શકે. સગુણની સેવા કરવાની હોય ત્યારે પથરો લઈને કરવામાં આવે છે. તે પથ્થરમાં પરમાત્મા કલ્પી લેવાય છે. પણ માતામાં અને સંતોમાં પ્રત્યક્ષ ચૈતન્ય પ્રગટ થયેલું હોય છે. ત્યાં જ્ઞાન, પ્રેમ, અંતરની ઊંડી મમતા પ્રગટ છે, ખુલ્લાં છે. છતાં ત્યાં પરમાત્મા નીરખીને પૂજા કરવામાં નથી આવતી. ચૈતન્યમય એવાં આ લોકો સૌ કોઈને દેખાય છે. તેમની સેવા કરવાને બદલે, તેમનામાં સગુણ પરમાત્મા જોવાને  બદલે પથ્થરમાં પરમાત્મા જોવાય છે ! હવે પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધાંમાં જ્ઞાન, પ્રેમ, ઉપકારબુદ્ધિ વગેરે પ્રગટ થયેલાં છે. તેમનામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. પથ્થરમાં ઈશ્વર માની લેવો અઘરો છે. પેલા નર્મદામાંથી નીકળતા પથ્થરને ગણપતિ માની દેવ ગણવામાં આવે છે. આ નિર્ગુણ પૂજા નથી કે ?     29.
30. એથી ઊલટું એમ લાગે છે કે પથ્થરમાં ઈશ્વર ન માનવો તો બીજે ક્યાં માનવો ? ઈશ્વરની મૂર્તિ થવાને પેલો પથ્થર જ લાયક છે. તે નિર્વિકાર છે, શાંત છે. અંધારૂં હોય કે અજવાળું હોય, તાપ હોય કે ટાઢ હોય, એ પથ્થર તેવો ને તેવો રહે છે. આવો આ નિર્વિકારી પથ્થર જ પરમેશ્વરનું પ્રતીક બનવાને લાયક છે. માબાપ, જનતા, અડોશીપડશી એ બધાં વિકારોથી ભરેલાં છે. એટલે કે તે બધાંમાં કંઈ ને કંઈ વિકાર જોવાને મળ્યા વગર રહે નહીં. તેથી પથ્થરની પૂજા કરવા કરતાં એ બધાંની સેવા કરવાનું એક રીતે જોઈએ તો અઘરૂં છે.
Page – 169 – અધ્યાય – ૧૨ – પ્રકરણ – ૬ ૬ -
સગુણ – નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્તલક્ષણો પચાવવાં

31. ટૂંકમાં, સગુણ અને નિર્ગુણ એકબીજાનાં પૂરક છે. સગુણ સુલભ છે, નિર્ગુણ અઘરૂં છે. પરંતુ સગુણ પણ અઘરૂં છે અને નિર્ગુણ પણ સહેલું છે. બંને વડે પ્રાપ્ત થનારૂં ધ્યેય એક જ છે. પાંચમા અધ્યાયમાં જેમ કહ્યું છે કે ચોવીસે કલાક કર્મ કરવા છતાં લેશમાત્ર કર્મ ન કરનારા યોગીઓ અને ચોવીસ કલાકમાં જરા સરખું કર્મ ન કરવા છતાં બધાંયે કર્મ કરનારા સંન્યાસીઓ એકરૂપ જ છે તેવું જ અહીં પણ છે. સગુણ કર્મદશા અને નિર્ગુણ સંન્યાસયોગ એકરૂપ જ છે. સંન્યાસ ચડે કે યોગ એ સવાલનો જવાબ આપવામાં જેવી ભગવાનને મુશ્કેલી પડી હતી તેવી જ તેમને અહીં પણ પડી છે. છેવટે સહેલાપણું અને અઘરાપણું, વધારે ને ઓછું શામાં એ વાત ધ્યાનમાં રાખી તેમણે જવાબ આપ્યો છે. બાકી યોગ ને સંન્યાસ અને સગુણ ને નિર્ગુણ  બધાં એકરૂપ જ છે.
32. છેવટે ભગવાન કહે છે, ‘ હે અર્જુન, તું સગુણ હો કે નિર્ગુણ હો પણ ભક્ત થા એટલે થયું. કોરો પથરા જેવો રહીશ મા. ‘ આટલું કહીને છેવટે ભગવાને ભક્તોનાં લક્ષણો ગણાવ્યાં છે. અમૃત મીઠું છે પણ તેની મીઠાશ આપણે ચાખી નથી. આ લક્ષણો પ્રત્યક્ષ મદુર છે. અહીં કલ્પનાની જરૂર નથી. એ લક્ષણોનો જાતે અનુભવ કરવો. બારમા અધ્યાયમાં ગણાવેલાં આ ભક્ત-લક્ષણોનું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક આપણે રોજ સેવન કરીએ, તેમનું રોજ મનન કરીએ અને તેમાંનાં થોડાં થોડાં આપણા આચરણમાં ઉતારી પુષ્ટિ મેળવીએ; અને એ રીતે ધીમે ધીમે આપણે આપણું જીવન પરમેશ્વર તરફ લઈ જઈએ.

l            l        l

અધ્યાય અગિયારમો

June 11, 2008 by kantilal1929

અધ્યાય અગિયારમો : વિશ્વરૂપ-દર્શન    -૧૪૦ – ૧૫૧

અધ્યાય અગિયારમો

વિશ્વરૂપદર્શન

Page–140–અધ્યાય–૧૧ – પ્રકરણ – ૫૫ – વિશ્વરૂપદર્શનની અર્જુનને થયેલી હોંસ

૫૫. ગયે વખતે આ વિશ્વમાંની અનંત વસ્તુઓમાં ભરેલ પરમાત્માને કેવી રીતે ઓળખવો, આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું એ વાતનો આપણે અભ્યાસ કર્યો.
Page–141–અધ્યાય–૧૧ – પ્રકરણ – ૫૫ – વિશ્વરૂપદર્શનની અર્જુનને થયેલી હોંસ
પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો, પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલો પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાયે વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું એમ પાછલા અધ્યાયમાં આપણે જોયું.
આજે આપણે અગિયારમો અધ્યાય જોવાનો છે. આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. અર્જુને ભગવાનને કહ્યું, ‘ હે ઈશ્વર, તારૂં પેલું સંપૂર્ણ રૂપ જોવું, એમ મને થાય છે. જે રૂપમાં તારો બધોયે મહાન પ્રભાવ પ્રગટ થયો છે એવું રૂપ મને નજરોનજર જોવાનું મળો. ’ અર્જુનની આ વિશ્વરૂપદર્શનની માગણી હતી.        1.
2. આપણે વિશ્વ, જગત, એ શબ્દો વાપરીએ છીએ. આ જગત વિશ્વનો એક નાનો સરખો ભાગ છે. આ નાના રખા ટુકડાનું પણ આપણને બરાબર આકલન થતું નથી. વિશ્વને હિસાબે જોઈએ તો આપણને ઘણું મોટું લાગનારૂં આ જગત અત્યંત તુચ્છ વસ્તુ છે એમ જણાઈ આવશે. આકાશમાં રાતને વખતે ઊંચે જરા નજર ફેંકશો તો પેલા અનંત ગોળાઓ દેખાશે. આકાશના આંગણામાં પૂરેલા એ સાથિયા, એ નાનાં નાનાં સુંદર ફૂલ, એ ઝબકઝબક ઝબકારા મારતા લાખો તારા, એ બધાનું અસલ સ્વરૂપ કેવું છે તે જાણો છો ? નાના નાના તારાઓ હકીકતમાં પ્રચંડ છે. અનંત સૂર્યો તેમાં સમાઈ જશે. રસમય, તેજોમય, બળબળતી ધાતુઓના એ ગોળા છે. આવા એ અનંત ગોળાનો હિસાબ કોણ કાઢશે ? ન અંત, ન પાર. નરી આંખે હજારો ગોળા દેખાય છે. દૂરબીનમાંથી જુઓ તો કરોડો દેખાય છે. વધારે મોટું દૂરબીન મેળવીને જોશો તો પરાર્ધોના પરાર્ધ દેખાશે. અને આખરે એમનો અંત ક્યાં છે ને કેવો છે તે સમજાશે નહીં. આ જે અનંત સૃષ્ટિ ઉપર નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. પરંતુ એ જગત પણ કેટલું બધું વિશાળ દેખાય છે !
3. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. હવે બીજી બાજુ છે તે જોઈએ. તે છે કાળની બાજુ. પાછળનો કાળ ધ્યાનમાં લઈએ તો ઈતિહાસની મર્યાદામાં બહુ બહુ તો દસ હજાર વરસ આપણે પાછળ જઈએ છીએ, અને આગળનો કાળ તો ધ્યાનમાં બેસતો જ નથી.
Page–142–અધ્યાય–૧૧ – પ્રકરણ – ૫૫ – વિશ્વરૂપદર્શનની અર્જુનને થયેલી હોંસ

ઈતિહાસનો ગોળો દસ હજાર વરસનો અને આપણું પોતાનું જે જીવન તેનો કાળ બહુ બહુ તો સો વરસ ! હકીકતમાં કાળનો વિસ્તાર અનાદિ અને અનંત છે. કેટલો કાળ ગયો તેનો હિસાબ નથી. આગળ હજી કેટલો હશે તેનો ખ્યાલ આવતો નથી. વિશ્વની સરખામણીમાં આપણું આ જગત જેવું તુચ્છ છે તે પ્રમાણે ઈતિહાસનાં આ દસ હજાર વરસ અનંત કાળને મુકાબલે કંઈ જ નથી. ભૂતકાળ અનાદિ છે. ભવિષ્યકાળ અનંત છે. નાનકડો વર્તમાનકાળ વાત કરતાં કરતાં ભૂતકાળમાં જતો રહે છે. વર્તમાનકાળ ખરેખર ક્યાં છે એ બતાવવા જાઓ ત્યાં તો તે ભૂતકાળમાં ડૂબી જાય છે. આવો અત્યંત ઝડપથી સરી જનારો ચપળ વર્તમાનકાળ તેટલો આપણો છે. હું હમણાં બોલું છુ પણ મોઢામાંથી શબ્દ બહાર પડ્યો ન પડ્યો ત્યાં તો તે ભૂતકાળમાં ગડપ થઈ જાય છે. આવી મહા કાળનદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે.
4. આમ એક બાજુ પર સ્થળનો પ્રચંડ વિસ્તાર અને બીજી બાજુ પર કાળનો પ્રચંડ ઓઘ એમ બંને દ્રષ્ટિથી સૃષ્ટિ તરફ જોઈએ છીએ તો કલ્પનાને ગમે તેટલી તાણવા છતાં તેનો અંત હાથ આવતો નથી એવું જણાઈ આવે છે. ત્રણે કાળમાં અને ત્રણે સ્થળમાં, ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં અને તે જ પ્રમાણે ઉપર, નીચે ને અહીં એમ સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે, પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઈચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે.
5. અર્જુન ભગવાનને અત્યંત પ્રિય હતો. કેટલો ? એટલો પ્રિય હતો કે દસમા અધ્યાયમાં કયે કયે સ્વરૂપે મારૂં ચિંતન કરવું એ બતાવતાં પાંડવોમાં પોતે અર્જુન છે અને તેનામાં મારૂં ચિંતન કરતો જા એમ ભગવાન કહે છે. पांडवानां धनंजयः એવું શ્રીકૃષ્ણે કહ્યું છે. આના કરતાં પ્રેમનું બીજું વધારે પાગલપણું, પ્રેમની આધારે ઘેલછા ક્યાં હશે ? પ્રેમ કેટલો બધો ઘેલો થઈ શકે છે તેનો આ નમૂનો છે. અર્જુન પર ભગવાનની પ્રીતિનો કંઈ પાર નહોતો. તે પ્રીતિને ખાતર આ અગિયારમો અધ્યાય પ્રસાદરૂપે છે. દિવ્ય રૂપ નીરખવાની અર્જુનની ઈચ્છા તેને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને પૂરી કરી. અર્જુનને તેમણે પ્રેમનો પ્રસાદ આપ્યો.
Page–143–અધ્યાય–૧૧– પ્રકરણ – ૫૬ – નાની મૂર્તિમાં પણ પૂરેપૂરૂં દર્શન થઈ શકે

૫૬. તે દિવ્ય રૂપનું સુંદર વર્ણન, ભવ્ય વર્ણન આ અધ્યાયમાં છે. આ બધી વાત સાચી હોવા છતાં આ વિશ્વરૂપને માટે મને ઝાઝું ખેંચાણ નથી. મને નાના રૂપથી સંતોષ છે. જે નાનું રૂડું રૂપાળું નાજુક રૂપ મને દેખાય છે તેની મીઠાશ અનુભવવાનું હું શીખ્યો છું. પરમેશ્વરના જુદા જુદા કકડા નથી. પરમેશ્વરનું જે રૂપ જોવાનું મળ્યું હોય તે તેનો એક કકડો છે ને બાકીનો પરમેશ્વર તેની બહાર રહી ગયો છે એવું મને લાગતું નથી. જે પરમેશ્વર વિરાટ વિશ્વમાં ભરેલો છે તે પૂરેપૂરો તેવો ને તેવો નાનકડી મૂર્તિમાં, અરે એકાદા માટીના કણમાં પણ છે ને જરાયે ઓછો નથી. અમૃતના સાગરમાં જે મીઠાશ છે તે જ એક ટીપામાં પણ છે. અમૃતનું નાનું સરખું ટીપું જે મને મળ્યું છે તેની મીઠાશ મારે ચાખવી એવી મારી લાગણી છે. અમૃતનો દાખલો મેં અહીં જાણીબૂજીને લીધો છે. પાણીનો કે દૂધનો દાખલો નથી લીધો. દૂધના એક પ્યાલામાં જે મીઠાશ છે તે જ તેના એક લોટામાં પણ છે. પણ મીઠાશ તેની તે હોવા છતાં બંનેમાં પુષ્ટિ સરખી નથી. દૂધના એક ટીપા કરતાં દૂધના એક પ્યાલામાં વધારે પુષ્ટિ છે. પણ મૃતના દાખલામાં એવું નથી. અમૃતના સમુદ્રમાં રહેલી મીઠાશ અમૃતના એક ટીપામાં છે જ. પરંતુ તે ઉપરાંત તેટલી જ પુષ્ટિ પણ મળે છે. અમૃતનું એક જ ટીપું ગળાની નીચે ઊતરે તોયે પૂરેપૂરૂં અમૃતત્વ મળ્યું જાણવું.
એ જ પ્રમાણે જે દિવ્યતા, જે પવિત્રતા પરમેશ્વરના વિરાટ સ્વરૂપમાં છે તે જ નાનકડી મૂર્તિમાં પણ છે. ધારો કે, એક મૂઠી ઘઉં નમૂના તરીકે કોઈએ મને આપ્યા. એટલા પરથી ઘઉં કેવા છે તેનો મને ખ્યાલ ન આવે તો ઘઉંની આખી ગૂણ મારી સામે ઠાલવવાથી કેવી રીતે આપશે ? ઈશ્વરનો જે નાનો નમૂનો મારી આંખ સામે ઊભો છે તેનાથી જો ઈશ્વરની પૂરી ઓળખાણ મને ન થાય તો વિરાટ પરમેશ્વરને જોવાથી તે કેવી રીતે થવાની હતી ?
Page–144–અધ્યાય–૧૧– પ્રકરણ – ૫૬ – નાની મૂર્તિમાં પણ પૂરેપૂરૂં દર્શન થઈ શકે

નાનું ને મોટું એમાં છે શું ? નાના રૂપની ઓળખાણ બરાબર થાય એટલે મોટાની થઈ જાણવી. તેથી ઈશ્વરે પોતાનું મોટું રૂપ મને બતાવવું એવી હોંશ મને નથી. અર્જુનની માફક વિશ્વરૂપદર્શનની માગણી કરવાની મારી લાયકાત પણ નથી. વળી, મને જે દેખાય છે તે વિશ્વરૂપનો કકડો છે એવું નથી કોઈ છબીનો ફાટેલો એકાડ ટુકડો મળી જાય તેના પરથી આખી છબીનો ખ્યાલ આપણને નહીં આવે. પણ પરમાત્મા કંઈ આવા કકડાઓનો બનેલો નથી. પરમાત્મા જુદા જુદા કકડાઓમાં કપાયેલો નથી, વહેંચાયેલો નથી. નાનકડા સ્વરૂપમાં પણ તે જ અનંત પરમેશ્વર આખો ને આખો ભરેલો છે. નાનો ફોટો ને મોટો ફોટો એ બેમાં ફેર શો ? જે મોટામાં હોય છે તે જ બધું જેવું ને તેવું નાનામાં પણ હોય છે. નાનો ફોટો એટલે મોટાનો એકાદો કકડો નથી. નાના ટાઈપમાં અક્ષરો છાપ્યા હોય અને મોટા ટાઈપમાં છાપ્યા હોય તો પણ અર્થ તેનો તે જ છે. મોટા ટાઈપમાં મોટો કે વધારે અને નાનામાં નાનો કે ઓછો અર્થ હોય છે એવું કાંઈ નથી. આ જ વિચારસરણીનો મૂર્તિપૂજાને આધાર છે.    6.
7. અનેક લોકએ મૂર્તિપૂજા પર હુમલા કર્યા છે. બહારના અને અહીંના પણ કેટલાક વિચારકોએ મૂર્તિપૂજાની ખામી બતાવી છે. પણ હું જેમ જેમ વિચાર કરૂં છું તેમ તેમ મૂર્તિપૂજામાં રહેલી દિવ્યતા મારી સામે સ્પષ્ટ ઊભી રહે છે. મૂર્તિપૂજા એટલે શું ? એકાદી નાનકડી વસ્તુમાં આખાયે વિશ્વનો અનુભવ કરતાં શીખવું તેનું નામ મૂર્તિપૂજા છે. નાનકડા ગામડામાં પણ બ્રહ્માંડ જોતાં શીખવું, જોવું એ વાત શું ખોટી છે ? એ ખાલી કલ્પના નથી, પ્રત્યક્ષ અનુભવની વાત છે. વિરાટ સ્વરૂપમાં જે છે તે જ નાનકડી મૂર્તિમાં છે, એકાદા માટીના કણમાં છે. એ માટીના ઢેખાળામાં કેરી, કેળાં, ઘઉં, સોનું, તાંબું, રૂપું, બધું છે. આખી સૃષ્ટિ  કણમાં છે. જેમ કોઈક નાનકડી નાટકમંડળીમાં તેનાં તે જ પાત્રો જુદો જુદો વેશ લઈને રંગભૂમિ પર આવે છે, તેવું જ પરમેશ્વરનું છે. અથવા કોઈ નાટકકાર પોતે નાટક લખે છે, અને નાટકમાં કામ પણ કરે છે તે જ પ્રમાણે પરમાત્મા પણ અનંત નાટકો લખે છે, અને પોતે જ અનંત પાત્રોનો વેશ લઈને તેમને રંગભૂમિ પર ભજવી બતાવે છે. આ અનંત નાટકમાં એક પાત્રને ઓળખ્યું કે આખુંયે નાટક ઓળખી લીધું જાણવું.
Page–145–અધ્યાય–૧૧– પ્રકરણ – ૫૬ – નાની મૂર્તિમાં પણ પૂરેપૂરૂં દર્શન થઈ શકે

8. કાવ્યમાં વપરાતાં ઉપમા અને દ્રષ્ટાંતને જે આધાર છે તે જ આધાર મૂર્તિપૂજાને છે. એકાદ ગોળ ચીજ જોવાથી આનંદ થાય છે કેમકે તેમાં વ્યવસ્થિતપણાનો અનુભવ થાય છે. વ્યવસ્થિતપણું એ ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વરની સૃષ્ટિ સર્વાંગ સુંદર છે. તેમાં વ્યવસ્થિતપણું છે. પેલી ગોળ ચીજ વ્યવસ્થિત ઈશ્વરની મૂર્તિ છે. પણ જંગલમાં ઊગીને વધેલું વાંકુંચૂકું ઝાડ પણ ઈશ્વરની જ મૂર્તિ છે. તેમાં ઈશ્વરનું સ્વૈરપણું છે. એ ઝાડને બંધન નથી. ઈશ્વરને કોણ બંધનમાં મૂકી શકે ? એ બંધનાતીત પરમેશ્વર પેલા વાંકાચૂકા ઝાડમાં છે. એકાદો સીધોસાદો થાંભલો જોવાનો મળતાં તેમાં ઈશ્વરની સમતાનું દર્શન થાય છે. નકશીવાળો થાંભલો જોતાં આકાશમાં તારા ને નક્ષત્રોના સાથિયા પૂરનારો પરમેશ્વર તેમાં દેખાય છે. કાપકૂપ કરી વ્યવસ્થિત રીતે ઊગાડેલા બગીચામાં ઈશ્વરનું સંયમી સ્વરૂપ દેખાય છે, અને વિશાળ જંગલમાં ઈશ્વરની ભવ્યતા અને સ્વતંત્રતાનું દર્શન થાય છે. જંગલમાં આપણને આનંદ થાય છે અને વ્યવસ્થિત બગીચામાં પણ થાય છે. ત્યારે શું આપણે ગાંડા છીએ ? ના, ગાંડા નથી. આનંદ બંનેમાં થાય છે, કેમકે ઈશ્વરી ગુણ એ હરેકમાં પ્રગટ થયેલો છે. સુંવાળા શાલિગ્રામમાં જે ઈશ્વરી તેજ છે તે જ તેજ પેલા નર્મદામાંથી મળતા ગડગુમડિયા ગણપતિમાં છે. મને પેલું વિરાટ રૂપ જુદું જોવાનું નહીં મળે તોયે વાંધો નથી.
9. પરમેશ્વર બધે જુદી જુદી વસ્તુઓમાં જુદે જુદે ગુણે પ્રગટ થયેલો છે અને તેથી આપણને આનંદ થાય છે. તે વસ્તુઓની બાબતમાં આપણને આત્મીયતા લાગે છે. આનંદ થાય છે તે કંઈ અમસ્તો થતો નથી. આનંદ શા માટે થાય છે ? કંઈ ને કંઈ સંબંધ હોય છે તેથી આનંદ થાય છે. છોકરાંને જોતાં વેંત માને આનંદ થાય છે કારણ તે સંબંધ ઓળખી કાઢે છે. હરેક ચીજની સાથે પરમેશ્વરનો સંબંધ બાંધો. મારામાં જે પરમેશ્વર છે તે જ પેલી વસ્તુમાં છે.
Page–146–અધ્યાય–૧૧–પ્રકરણ – ૫૬ – નાની મૂર્તિમાં પણ પૂરેપૂરૂં દર્શન થઈ શકે

આવો આ સંબંધ વધારવો તેનું જ નામ આનંદ વધારવો. આનંદની બીજી ઉપપત્તિ નથી. પ્રેમનો સંબંધ બધે બાંધવા માંડો અને પછી શું થાય છે તે જો. પછી અનંત સૃષ્ટિમાં રહેલો પરમાત્મા અણુરેણુમાં પણ દેખાશે. એક વખત આ દ્રષ્ટિ કેળવાઈ પછી બીજું શું જોઈએ ? પણ એ માટે ઈન્દ્રિયોને વળણ પાડવું જોઈએ. ભોગની વાસના છૂટી જાય અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે પછી હરેક ચીજમાં ઈશ્વર સિવાય બીજું કંઈ નજરે નહીં પડે. આત્માનો રંગ કેવો હોય છે તેનું ઉપનિષદમાં મજાનું વર્ણન છે.આત્માના રંગને કયે નામે ઓળખવો. ઋષિ પ્રેમથી કહે છે, यथा अयं ईन्द्रगोपः । આ જે લાલ લાલ રેશમ જેવું નરમ મૃગ નક્ષત્રનું જીવડું છે તેના જેવું આત્માનું રૂપ છે. મૃગ નક્ષત્રમાં પેદા થતું એ જીવડું જોઈને કેટલો બધો આનંદ થાય છે !
આ આનંદ શાથી થાય છે ? મારામાં જે ભાવ છે તે જ એ ઈન્દ્રગોપમાં છે. એની ને મારી વચ્ચે સંબંધ ન હોત તો મને આનંદ ન થાત. મારામાં જે સુંદર આત્મા છે તે જ પેલા ઈન્દ્રગોપમાં છે. તેથી આત્માને તેની ઉપમા આપવામાં આવી. ઉપમા આપણે શા સારૂ આપીએ છીએ ? અને તેનાથી આનંદ કેમ ઊપજે છે ? એ બંને ચીજોમાં સરખાપણું હોય છે તેથી આપણે ઉપમા આપીએ છીએ, અને તેને લીધે આનંદ થાય છે. ઉપમાન અને ઉપમેય બંને તદ્દન જુદી ચીજો હોય તો આનંદ થાય નહીં. ‘ મીઠું મરચાં જેવું છે ’ એમ કહેનારને આપણે ગાંડો કહીશું. પણ ‘ તારા ફૂલ જેવા છે ’ એમ કોઈ કહે તો સરખાપણું દેખાવાથી આનંદ થાય છે. મીઠું મરચાં જેવું છે એમ કહેવાય છે ત્યારે સરખાપણાનો અનુભવ થતો નથી. પણ કોઈની દ્રષ્ટિ એટલી વિશાળ થઈ હોય, જે પરમાત્મા મીઠામાં છે તે જ મરચાંમાં પણ છે એવું દર્શન જેણે કર્યું હોય, તેને મીઠું કેવું છે એમ પૂછો તો જવાબમાં મરચાં જેવું એમ કહેતાં પણ આનંદનો અનુભવ થશે. સારાંશ કે ઈશ્વરી રૂપ પ્રત્યેક વસ્તુમાં ઓતપ્રોત ભરેલું છે. એટલા માટે વિરાટ દર્શનની જરૂર નથી.
Page–147–અધ્યાય–૧૧– પ્રકરણ – ૫૭ – વિરાટ વિશ્વરૂપ પચશે પણ નહીં

૫૭. વળી, તે વિરાટ દર્શન મારાથી સહેવાશે પણ કેમ ? નાનકડું સગુણ સુંદર રૂપ જોઈ મને જે પ્રેમની લાગણી થાય છે, જે પોતીકાપણું લાગે છે, જે મીઠાશનો અનુભવ થાય છે તેવો અનુભવ વિશ્વરૂપ જોવાથી ન થાય એવું પણ બને. અર્જુનની એવી જ સ્થિતિ થયેલી. થરથર ધ્રૂજતો તે છેવટે કહે છે, ‘ હે ઈશ્વર, તારૂં તે પહેલાંનું મધુર રૂપ બતાવ. ’ સ્વાનુભવથી અર્જુન કહે છે કે વિરાટ વિશ્વરૂપ જોવાનો લોભ કરશો નહીં. ઈશ્વર ત્રણે કાળમાં ને ત્રણે સ્થળમાં વ્યાપીને રહેલો છે તે જ સારૂં છે. તે આખો એકઠો થયેલો ધગધગતો ગોળો મારી સામે ઊભો રહે તો મારી શી વલે થાય ? તારાઓ કેવા શાંત દેખાય છે ? કેમ જાણે દૂરથી તે બધા મારી સાથે વાતો કરતા હોય એવું લાગે છે ! પણ નજરને ત કરનારા એ તારાઓમાંનો એકાદ પાસે આવે તો તે ધગધગતી આગ છે. તેનાથી પછી હું દાઝી જઈશ. ઈશ્વરનાં આ અનંત બ્રહ્માંડો જ્યાં છે ત્યાં જ, જેવાં છે તેવાં રહેવા દો. એ બધાને એક ઓરડીમાં આણી એકઠાં કરવામાં શી મજા છે ? મુંબઈનાં પેલાં કબૂતરખાનાંઓમાં હજારો કબૂતરો રહે છે. ત્યાં જરાયે મોકળાશ છે ખરી કે ? એ આખો દેખાવ ખરેખર વિચિત્ર લાગે છે. નીચે ઉપર ને અહીં ત્રણે સ્થળે સૃષ્ટિ વહેંચાઈને રહેલી છે તેમાં જ મીઠાશ છે.    10.
11. જેવું સ્થળાત્મક સૃષ્ટિનું છે તેવું કાળાત્મક સૃષ્ટિનું જાણવું. આપણને ભૂતકાળનું યાદ આવતું નથી અને ભવિષ્યકાળનું જાણવાનું મળતું નથી તેમાં જ આપણું કલ્યાણ છે. જે ખાસ પરમેશ્વરની સત્તાની હોય છે અને જેમના પર મનુષ્યપ્રાણીની સત્તા કદી હોતી નથી એવી પાંચ વસ્તુઓ કુરાને શરીફમાં ગણાવેલી છે. તેમાંની એક વસ્તુ ‘ ભવિષ્યકાળનું જ્ઞાન ’ છે. આપમે અદાજ બાંધીએ છીએ, પણ એ અંદાજ કંઈ જ્ઞાન નથી. ભવિષ્યનું જ્ઞાન આપણને નથી એમાં જ આપણું કલ્યાણ છે. તેવી જ રીતે ભૂતકાળ યાદ આવતો નથી એ પણ ખરેખર બહુ સારૂં છે. કોઈક દુર્જન સારો થઈને મારી સામે આવીને ઊભો રહે તોયે મને તેનો ભૂતકાળ યાદ આવે છે અને તેને માટે મારા મનમાં આદર ઊપજતો નથી. તે ગમે તેટલી વાતો કરે, તોયે તેનાં પેલાં પહેલાંનાં પાપો હું વીસરી શક્તો નથી. તે માણસ મરી જાય ને પોતાનું રૂપ બદલીને પાછો આવે તો જ તેનાં પાપોનો દુનિયાને વિસારો પડે.
Page–148–અધ્યાય–૧૧– પ્રકરણ – ૫૭ – વિરાટ વિશ્વરૂપ પચશે પણ નહીં

પૂર્વસ્મરણથી વિકાર વધે છે. પહેલાંનું એ બધુંયે જ્ઞાન પૂરેપૂરૂં નાશ પામે તો બધું પૂરૂં થયું. પાપ ને પુણ્યનો વિસારો પડે તે માટે કોઈક તરકીબ જોઈએ, એ તરકીબ તે મરણની છે. એકલી આ જન્મની વેદના સહેવાતી નથી તો પાછલા જન્મનો કચરો શા સારૂ તપાસે છે ? એકલી આ જન્મની ઓરડીમાં શું ઓછો કચરો છે કે ? બચપણ સુધ્ધાં આપણે ઘણુંખરૂં વીસરી જઈએ છીએ. વિસ્મરણ થાય છે તે સારૂં છે. હિંદુ-મુસ્લિમ એકતાને માટે ભૂતકાળનું વિસ્મરણ એ જ ઈલાજ છે. ઔરંગજેબે જુલમ કર્યો હતો. પણ એ વાત ક્યાં સુધી ગોખ્યા કરવી છે ? ગુજરાતમાં રતનબાઈનો ગરબો છે તે આપણે અહીં ઘણી વાર સાંભળીએ છીએ. તેમાં છેવટે કહ્યું છે, ‘‘ જગતમાં બધાનો યશ છેવટે રહેશે. પાપ વિસારે પડશે. ’’ કાળ પોતાની ચાળણી કાયમ હલાવ્યા કરે છે. ઈતિહાસમાંનું સારૂં તેટલું સંઘરી પાપ બધું ફેંકી દેવું જોઈએ. નરસું છોડી માણસ સારૂં દ્યાનમાં રાખે તો બધાં રૂડાં વાનાં થઈ જાય. પણ તેમ થતું નથી. એથી વિસ્મરણની ખૂબ જરૂર છે. તેટલા ખાતર ઈશ્વરે મરણ નિર્મ્યું છે.
12. ટૂંકમાં, જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થળાત્મક જગત આખુંયે એક ઠેકાણે લાવવાની જરૂર નથી. અતિ પરિચયમાં સાર નથી. કેટલીક વસ્તુઓની નિકટતા કેળવવાની હોય છે, કેટલીકથી દૂર રહેવાનું હોય છે. ગુરૂજી પાસે નમ્રતાથી આઘા બેસીશું. માના ખોળામાં જઈને બેસીશું. જે મૂર્તિની સાથે જેમ વર્તવુ છાજે તેમ વર્તવું જોઈએ. ફૂલને પાસે લઈએ, અગ્નિને આઘે રાખીએ. તારા દૂરથી રળિયામણા. તેવું જ આ સૃષ્ટિનું છે. અત્યંત દૂર છે તે સૃ,ટિને અત્યંત નજીક લાવવાથી વધારે આનંદ થશે એવું નથી. જે વસ્તુ જ્યાં છે ત્યાં જ તેને રહેવા દે. તેમાં જ સાર છે. દૂરથી જે ચીજ દેખાય છે તેને નજીક આણવાથી તે સુખ આપશે જ એવું નથી. તેને ત્યાં દૂર રાખીને જ તેમાંનો રસ ચાખ. સાહસ કરીને, વધારે ઘરોબો રાખીને અતિ પરિચયમાં પડવામાં સાર નથી.
Page–149–અધ્યાય–૧૧– પ્રકરણ – ૫૭ – વિરાટ વિશ્વરૂપ પચશે પણ નહીં

13. સારાંશ કે ત્રણે કાળ આપણી સામે ઊભા નથી તે જ સારૂં છે. ત્રણે કાળનું જ્ઞાન થવામાં આનંદ અથવા કલ્યાણ જ છે એવું નથી. અર્જુને પ્રેમથી હઠ કરી, પ્રાર્થના કરી અને ઇશ્વરે તે પૂરી કરી. ભગવાને પોતાનું તે વિરાટ સ્વરૂપ તેને બતાવ્યું. પણ મારે માટે પરમેશ્વરનું નાનકડું રૂપ પૂરતું છે. એ નાનકડું રૂપ એટલે પરમેશ્વરનો ટુકડો હરગિજ નથી. અને ધારો કે પરમેશ્વરનો એ એક ટુકડો જ હોય તોયે તે અફાટ, વિશાળ પૂતળાનો એક પગ, અથવા એક પગની માત્ર એક આંગળી મને જોવાની મળશે તો પણ હું કહીશ કે, ‘ મારૂં અહોભાગ્ય. ’ આ હું અનુભવથી શીખ્યો છું. વર્ધામાં, જમનાલાલજીએ લક્ષ્મીનારાયણનું મંદિર અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂક્યું ત્યારે હું ત્યાં દર્શને ગયો હતો. પંદરવીસ મિનિટ સુધી હું તે રૂપ નીરખતો રહ્યો. મારી સમાધિ લાગી હોય તેવી સ્થિતિ થઈ હતી. ઈશ્વરનું તે મુખ, તેની તે છાતી, તેના તે હાથ નીરખતો નીરખતો હું પગ આગળ પહોંચ્યો ને તેના ચરણ પર જ છેવટે મારી નજર સ્થિર થઈ. गोड तुझी चरण-सेवा –‘ મીઠી તારા ચરણની સેવા ’ એ જ ભાવના છેવટે રહી. નાનકડા રૂપમાં તે મહાન પ્રભુ સમાતો નહીં હોય તો તે મહાપુરૂષના ચરણ જોવાના મળે તેયે પૂરતું છે. અર્જુને ઈશ્વરને પ્રાર્થના કરી. તેનો અધિકાર ઘણો હતો. તેની કેટલી આત્મીયતા, કેટલો પ્રેમ, કેવો સખ્યભાવ ! મારી શી લાયકાત છે ? મારે તેના ચરણ જ પૂરતા છે. મારો તેટલો જ અધિકાર છે.
Page – 149 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૮ – સર્વાર્થસાર

૫૮. પરમેશ્વરના દિવ્ય રૂપનું એ જે વર્ણન છે ત્યાં બુદ્ધિ ચલાવવાની મારી ઈચ્છા નથી. ત્યાં બુદ્ધિ ચલાવવી એ પાપ છે. એ વિશ્વરૂપ વર્ણનના તે પવિત્ર શ્લોકો વાંચીએ અને પવિત્ર થઈએ. બુદ્ધિ ચલાવી પરમેશ્વરના તે રૂપના ટુકડા કરવાનું મનમે જરાયે મન થતું નથી. એમ કરવું એ અઘોર ઉપાસના થાય. અઘોરપંથી લોકો મસાણમાં જઈ મડદાં ચીરે છે અને તંત્રોપાસના કરે છે. આ તેવું જ થાય. તે પરમેશ્વરનું દિવ્ય રૂપ,
Page – 150 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૮ – સર્વાર્થસાર

विश्वतश्चक्षुरूत विश्वतोमुखः
विश्वतोबाहुरूत विश्वतस्पात् ।
એ તે વિશાળ અનંત રૂપ, તેના વર્ણનના શ્લોક ગાઈએ, અને તે શ્લોકો ગાઈ મન નિષ્પાપ ને પવિત્ર કરીએ.    14.
15. પરમેશ્વરના આ બધાયે વર્ણનમાં એક જ ઠેકાણે બુદ્ધિ વિચાર કરવા માંડે છે. પરમેશ્વર અર્જુનને કહે છે, ‘ અર્જુન, આ બધાયે મરનારા છે. તું નિમિત્તમાત્ર થા. બધું કરવાવાળો હું છું, ’ આટલો જ એક અવાજ મનમાં ઘૂમ્યા કરે છે. આપણે ઈશ્વરના હાથમાંનું છે એ વિચાર મનમાં આવે છે એટલે બુદ્ધિ વિચાર કરવા માંડે છે કે ઈશ્વરના હાથમાંનું હથિયાર કેમ બનવું ? ઈશ્વરના હાથમાંની મોરલી મારે કેવી રીતે થવું ? તે મને પોતાને હોઠે લગાડી મારામાંથી મીઠા સૂર કાઢે, મને વગાડે, એ કેવી રીતે બને ? મોરલી થવું એટલે પોલા થવું. પણ હું તો વિકારોથી, વાસનાઓથી ઠાંસીને ભરેલો છું. મારામાંથી મીઠો અવાજ નીકળે શી રીતે ? મારો અવાજ બોદો છે. હું ઘન વસ્તુ છું. મારામાં અહંકાર ભરેલો છે. મારે નિરહંકાર થવું જોઈએ. હું પૂરેપૂરો ખાલી, પૂરેપૂરો પોલો થઈશ ત્યારે પરમેશ્વર મને વગાડશે. પણ પરમેશ્વરના હોઠની મોરલી થવાનું કામ સાહસનું કામ છે.તેના પગનાં પગરખાં બનવાની વાત કરૂં તો તે પણ સહેલું નથી. પરમેશ્વરના પગને જરાયે ન ડંખે એવાં એ નરમ પગરખાં હોવાં જોઈએ. પરમેશ્વરના પગને જરાયે ન ડંખે એવાં એ નરમ પગરખાં હોવાં જોઈએ. પરમેશ્વરના ચરણ અને કાંટાની વચ્ચે મારે પડવાનું છે. મારે મારી જાતને કમાવવી જોઈએ. મારી ખાલ છોલી છોલીને ચામડાને મારે કમાવતા રહેવું જોઈએ, તેને નરમ બનાવવું જોઈએ. એટલે પરમેશ્વરના પગનાં પગરખાં થવાનું પણ સહેલું નથી. પરમેશ્વરના હાથમાંનું હથિયાર બનવાની વાત કરૂં તો હું અધમણ વજનના લોખંડનો કેવળ ગોળો બનું તે પણ ચાલે એમ નથી. તપશ્ચર્યાની સરાણે ચડી મારે મારી જાતને ધારદાર બનાવવી જોઈએ. ઈશ્વરના હાથમાં મારા જીવનની તલવાર બરાબર ચમકવી જોઈએ. આવો અવાજ મારી બુદ્ધિમાં ઊઠ્યા કરે છે. ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવાઈ જાય છે.
16. એ કેમ કરવું, એવા કેમ થવાય,તે છેવટના શ્લોકમાં ભગવાને જાતે જ બતાવ્યું છે. શંકરાચાર્યે પોતાના ભાષ્યમાં આ શ્લોકને सर्वार्थसार, આખીયે ગીતાનો સાર કહીને ઓળખાવ્યો છે. એ શ્લોક કયો ?
Page – 151 – અધ્યાય – ૧૧ – પ્રકરણ – ૫૮ – સર્વાર્થસાર

मत्कर्मकृन्मत्परमो मद् भक्तः संगवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव ।।
‘ મારે અર્થે કરે કર્મ, મત્પરાયણ ભક્ત જે,
દ્વેષહીન, અનાસક્ત, તે વી મુજને મળે. ’
જેને જગતમાં કોઈની સાથે વેર નથી, જે તટસ્થ રહીને જગતની નિરપેક્ષ સેવા કરે છે, જે જે કંઈ કરે છે તે મને આપતો રહે છે, મારી ભક્તિથી જે ભરેલો છે, જે ક્ષમાવાન, નિઃસંગ, વિરક્ત અને પ્રેમાળ એવો ભક્ત છે, તે પરમેશ્વરના હાથમાંનું હથિયાર બને છે. આવો એ સાર છે.

અધ્યાય છથી  અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા

                    